ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પતાકાસ્થાનક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પતાકાસ્થાનક : આવનાર વસ્તુની પૂર્વસૂચના આપતી નાટ્યપ્રવિધિ, અહીં કોઈ જુદી જ પરિસ્થિતિમાં થયેલી એક પાત્રની ઉક્તિ અન્ય પાત્રની ઉક્તિ સાથે અકસ્માતે અનુસન્ધાન પામે છે. ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’ના પહેલા અંકમાં સીતા સાથે દાંપત્યની, ચરમક્ષણ અનુભવતા રામ સૂતેલી સીતાને નિહાળીને ઉચ્ચારે છે : ‘ન શું એનું પ્રેયસ? અસહ પણ તે માત્ર વિરહ’ (અનુ. ઉમાશંકર જોશી) અને ત્યાં જ પ્રતીહારી ‘આવી પહોંચ્યો છે, દેવ’ કહીને પ્રવેશ કરે છે; અને દુર્મુખના આગમનની જાણ કરે છે. અહીં અકસ્માત બે અલગ અલગ વાક્યોની સહોપસ્થિતિ – શ્લિષ્ટ ઉક્તિ – આવનાર કરુણ ઘટનાનો નાટ્યસંકેત આપે છે. રા.વિ. પાઠકે ‘મુકુન્દરાય’ વાર્તામાં ‘એ...મુકુન્દ ગયો છે’ની ઉક્તિને હાથથી પુત્રને ગુમાવી ચૂકેલા પિતાની ચિત્તસ્થિતિ સાથે જોડી પતાકાસ્થાનક રચ્યું છે. ચં.ટો.