ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રભાતિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રભાતિયું : મોટેભાગે ‘પ્રભાત’ રાગમાં તથા પ્રભાતકાળે ગવાતું ઈશ્વરસ્તુતિવિષયક, જ્ઞાનપ્રધાન, ઉપદેશપ્રધાનપદ. એમાં ઝૂલણાનો પ્રયોગ વિશેષત : જોવા મળે છે. મધ્યકાળમાં માનવજીવનની લગભગ બધી જ પ્રવૃત્તિમાં ધર્મ મહત્ત્વનો ભાગ ભજવતો. આથી સવારના ઊઠતાંવેંત ગાઈ શકાય તેવાં પદો રચાયાં જે પ્રભાતિયાં કહેવાયાં; એનું કદ સામાન્યત : છથી દશ ટૂક રૂપે જોવા મળે છે. મધ્યકાળમાં નરસિંહ મહેતાએ લખેલાં કથનની સરળતાવાળાં, અર્થની વિશદતાવાળાં લોકપ્રિય પ્રભાતિયાંમાં ક્યાંક જ્ઞાનનો ઉપદેશ છે, ક્યાંક કૃષ્ણની પ્રાત :લીલા વર્ણવી છે. દે.જો.