ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભરતવાક્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search



ભરતવાક્ય (Epilogue) : સંસ્કૃત નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરત પરત્વેના સમાદરથી કે એમની સંસ્મૃતિમાં નાટકને અન્તે એક કે બે શ્લોક પ્રાર્થના કે આશીર્વચન રૂપે સર્વ નટો રંગમંચ પર એકઠા થઈ સાથે ઉચ્ચારે છે, આથી એ ‘ભરત વાક્ય’ તો કહેવાય છે પણ સાથે સાથે ‘નટવાક્ય’ પણ કહેવાય છે. નાટકકાર નટો દ્વારા પ્રાણીમાત્રના અને પ્રેક્ષકોના કલ્યાણની કામના કરે છે. તત્કાલીન રાજા, સમાજ, દેશ વગેરેને સાંકળીને પણ પ્રાર્થે છે. પાશ્ચાત્ય પ્રણાલિ મુજબ આ સંજ્ઞા નાટકને અંતે આવતા ટૂંકા વક્તવ્યને, દૃષ્ટાંતકથાના અંતમાં આવતા બોધને કે કોઈપણ સાહિત્યકૃતિના ‘ઉપસંહારાત્મક ભાગને સૂચવે છે. પ્રસ્તાવના કે આમુખ (Prologue)થી વિરુદ્ધની આ સંજ્ઞા છે. ચં.ટો.