ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય વિદ્યાભવન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભારતીય વિદ્યાભવન : ભારતીય સંસ્કૃતિ, ધર્મ, વિદ્યા, ઇતિહાસ અને સાહિત્યનું સંશોધન, સંવર્ધન અને સંગોપન કરીને ભારતીય સંસ્કૃતિને પુનર્જીવન બક્ષવાના સંનિષ્ઠ આશયથી મુંબઈમાં કનૈયાલાલ મા. મુનશીએ ૧૯૩૭માં સ્થાપેલી આ સંસ્થા ગુજરાતમાં જ નહીં, બલકે ભારતભરમાં તેમજ વિદેશોમાં પણ પોતાની શાખાપ્રશાખા દ્વારા વિવિધ પ્રવૃત્તિ ચલાવે છે. ભવન દ્વારા વિનયન, વાણિજ્ય, વિજ્ઞાન અને પત્રકારત્વ જેવા વિષયોમાં ઉચ્ચશિક્ષણ આપતી સંસ્થાઓ, વિવિધ ભાષાઓનું શિક્ષણ તથા સંગીત, નૃત્ય અને નાટ્યકલાના વર્ગો પણ ચાલે છે. પૂર્વે જે ‘સમર્પણ’ નામે પ્રકાશિત થતું હતું અને આજે જે ‘નવનીત-સમર્પણ; નામે ‘નવનીત’ સાથે સંકળાઈને પ્રગટ થાય છે એ ભવનપ્રકાશિત પાક્ષિકે પોતાનો આગવો વાચકવર્ગ ઊભો કર્યો હતો. વિવિધ ભાષાના મૂર્ધન્ય વિદ્વાનોની કલમે લખાયેલા ગ્રન્થોના અંગ્રેજી ઉપરાંત પ્રાન્તીય ભાષાઓમાં સંસ્કરણો પણ આ સંસ્થાએ પ્રકાશિત કર્યાં છે. ર.ર.દ.