ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મુદ્રણકલા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુદ્રણકલા : ગુટનબર્ગે છાપકામ માટેનાં બીબાંની શોધ કરી ત્યારથી એલોઇ સેનફ્લેન્ડરે શિલા મુદ્રણની શોધ કરી ત્યાં સુધી સીસાના બનાવેલા છાપકામ માટેનાં બીબાં વગર છાપકામ શક્ય ન હતું. શિલામુદ્રણ અને ઑફસેટ પ્રિન્ટિંગમાં પણ, જો લખાણ છાપવું હોય તો પહેલાં બીબાં ગોઠવી, તેની છાપ મેળવી, તે છાપને શિલા યા પ્લેટ પર ફોટોગ્રાફીની મદદથી ફેરવી, તે પરથી છાપકામ કરવામાં આવતું હતું. મુદ્રણમાં સુઘડતા અને ઝડપ લાવવા માટે મોનોટાઇપ અને લાઇનોટાઇપ મશીન આવ્યાં તેમાં પણ છાપકામનાં બીબાં તો હતાં જ, માત્ર તે ઢાળવા તથા ગોઠવવાનું યાંત્રીકરણ થયું હતું. પરંતુ મુદ્રણ દ્વારા પ્રતિકૃતિઓ મેળવવાના કામમાં પ્રાથમિક છાપ મેળવવા માટે ફોટોગ્રાફીનો પ્રયોગ શરૂ થતાં અને વિકસતા છાપકામ માટે સીસાનાં બીબાં વગર અક્ષરોના ફોટોગ્રાફ પરથી મેળવેલી પ્રાથમિક છાપમાંથી છાપકામ શક્ય બન્યું. એ રીતે મુદ્રણક્ષેત્રે સીસાનાં બીબાંની જગ્યા અક્ષરોના ફોટાએ લીધી. તેમાં ક્મ્પ્યુટર ઉમેરાતાં કમ્પ્યુટરની મદદથી અક્ષરોની જોઈતા ક્રમમાં તસવીર ખેંચતા કેમેરાને ચલાવવાનું શોધાયું અને ઝડપનું પરિમાણ દસગણું આગળ વધી ગયું. છાપકામ માટેની પ્રથમાકૃતિ તૈયાર કરવાનું કામ હવે ક્રાન્તિકારી ઝડપે થવા લાગ્યું. વધુમાં, લેસર-પ્રિન્ટરની શોધ થતાં કમ્પ્યુટર અને લેસર પ્રિન્ટર બંને પર આધારિત આધુનિક ‘ડેસ્ક ટોપ પબ્લિશિંગ’ સિસ્ટમ જન્મી અને બરાબર વિકસી. આમ થતાં હવે ઓફસેટ મુદ્રણ માટે જોઈતી પ્રથમાકૃતિ તૈયાર કરવામાં સ્વચ્છતા, ઝડપ, વિવિધતા, અને ગુણવત્તા એકસાથે સુલભ થયાં. એકકાળે ગુટનબર્ગના છાપકામ માટેનાં બીબાંનો મુદ્રણજગત પર ડંકો વાગતો હતો તેને બદલે તેનો મૃત્યુઘંટ વાગી ગયો. આજે પુસ્તકો, વર્તમાનપત્રો ને સામયિકોના મુદ્રણમાં ૮૦થી ૯૦ ટકા મુદ્રણ મુખ્યત્વે ડી.ટી.પી. દ્વારા પ્રથમાકૃતિ મેળવી તે પરથી ઓફસેટ પદ્ધતિથી થાય છે. મુદ્રણની ત્રીજી પદ્ધતિ ફોટોગ્રેવ્યોર પદ્ધતિ નામે ઓળખાય છે. તેમાં પણ ઑફસેટ મુદ્રણ માટે કરવામાં આવે છે તેમ મુદ્રણ માટેની પ્રથમકૉપીને ફોટોગ્રાફીની મદદથી તાંબાની પ્લેટ યા નળાકાર પર ઉતારવામાં આવે છે. ત્યારબાદ છાપભાગને રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોતરી કાઢવામાં આવે છે અને કોરા રાખવાના ભાગને સપાટી પર રહેવા દેવામાં આવે છે. ગ્રેવ્યોર મુદ્રણમાં શાહી પ્રવાહી જેવી હોય છે. અને પ્લેટ યા નળાકાર ઉપર કોતરેલા છાપભાગમાં ભરાઈ જાય છે. તેના પરથી કાગળ પર છાપ લેવાય તે પહેલાં પ્લેટ યા નળાકાર પરની સપાટી પરની શાહી ‘ડૉક્ટર બ્લેડ’ દ્વારા સાફ કરી નાંખવામાં આવે છે. આથી પ્લેટ યા નળાકાર જ્યારે કાગળના દબાણમાં આવે ત્યારે પ્લેટ યા નળાકારમાં કોતરેલા અક્ષરોમાં ભરાયેલી શાહી કાગળ પર છાપના રૂપમાં ફેરવાઈ જાય છે. આ એક જ મુદ્રણપદ્ધતિ એવી છે જે જરૂરિયાત મુજબ વધતી યા ઓછી શાહીનું પડ કાગળ પર તૈયાર કરી શકે છે. તેથી તસ્વીરોના છાપકામમાં તે ઉત્તમ પદ્ધતિ પુરવાર થઈ છે. તેની પ્લેટ ને નળાકાર તૈયાર કરવામાં જતો સમય અને ખર્ચ જોતાં સામાન્ય છાપકામ માટે આ પદ્ધતિનો ઉપયોગ ઓછો થાય છે. મુખ્યત્વે રંગીન પોસ્ટરો, પેકેજિંગ, સાડી તથા ‘પાઉચ’ બનાવવા માટેની ફૉઇલ ઉપરના છાપકામમાં આ પદ્ધતિનો ઉપયોગ વિશેષ થાય છે. આ ઉપરાંત ઝેરોગ્રાફી, સિલ્ક સ્ક્રિન પ્રિન્ટિંગ, કોલોટાઈપ, અને હોલોગ્રાફી પણ મુદ્રણના અન્ય પ્રકાર છે, જેનો વિશિષ્ટ ઉપયોગ જુદા જુદા પ્રકારના છાપકામમાં થાય છે. આધુનિક મુદ્રણમાં ડેસ્ક ટોપ પબ્લિશિંગ સિસ્ટમ દ્વારા પ્રથમાકૃતિ મેળવી તે પરથી ઑફસેટ પ્રિન્ટિંગ દ્વારા પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોનું છાપકામ વધુ પ્રચલિત છે. જિ.દ.