ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યોગવાસિષ્ઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યોગવાસિષ્ઠ : ‘યોગવાસિષ્ઠ’ અથવા ‘વાસિષ્ઠ મહારામાયણ’ એ સંસ્કૃત ભાષામાં – લખાયેલો વેદાન્ત વિષયક એક અતિપ્રાચીન ગ્રન્થ છે. અહીં ‘યોગ’નો અર્થ સામાન્ય અર્થમાં જ લેવાનો છે. એટલે તો એને જ્ઞાન-વાસિષ્ઠ કહેવામાં આવે છે. સંસ્કૃત વાઙ્ગમયમાં આ ગ્રન્થનું ઘણું મહત્ત્વનું સ્થાન છે. રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકિએ આ પ્રસિદ્ધ ગ્રન્થની રચના કરી છે. મહર્ષિ વસિષ્ઠે પોતાના શિષ્ય રામને વેદાન્તના સિદ્ધાન્તોનો ઉપદેશ આ ગ્રન્થ દ્વારા આપેલો છે. તેમાં સુંદર અને રસિક આખ્યાનો અને ઉપાખ્યાનોનો પણ સમાવેશ થાય છે. આ ગ્રન્થનાં કુલ છ પ્રકરણો છે, જેમાં વૈરાગ્ય પ્રકરણ, મુમુક્ષુવ્યવહાર પ્રકરણ, ઉત્પત્તિ પ્રકરણ, સ્થિતિ પ્રકરણ, ઉપશમ પ્રકરણ અને નિર્વાણ પ્રકરણનો સમાવેશ થાય છે. યોગવાસિષ્ઠ અનુસાર સત્-ચિત્ત-આનંદ સ્વરૂપ પરબ્રહ્મ એ જ પરમ તત્ત્વ છે. તે અદ્વૈત, નિષ્કળ, નિત્ય, અનંત, સ્વયંપ્રકાશ, અવિકારી, શાશ્વત અને દેશકાલાતીત છે. જીવનની સર્વ યાતનાઓ અને દુન્યવી ઝંઝાવાતો વચ્ચે જીવાત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવું એ યોગવાસિષ્ઠનો વિષય છે. આ ગ્રન્થ વ્યવહારિક વેદાન્ત માટેનું સારું માર્ગદર્શન પૂરું પાડે છે. ચી.રા.