ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રોમિયો એન્ડ જુલિયેટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રોમિયો ઍન્ડ જુલિયેટ : શેક્સપીયરની મુગ્ધાવસ્થામાં ૧૫૯૫ની આસપાસ રચાયેલી આ અત્યંત રંગભરી કરુણાંત કૃતિ છે. જો કે તેમાં રોમેન્ટિક કોમેડીના ઘણા અંશો છે. ‘ઓથેલો’ કે ‘હેમ્લેટ’ જેવી ઉચ્ચ નાટ્યકળા એમાં નથી. તેમ છતાં રોમિયો અને જુલિયટનું તેમાં થયેલું પ્રેમનિરૂપણ વિશિષ્ટ કોટિનું છે. આવો ઉત્કટ આવેશમય પ્રેમ શેક્સપીયરની બીજી કોઈ કૃતિમાં જણાતો નથી. રોમિયો અને જુલિયટનાં પાત્રોમાં એમની કરુણાંતની આગાહી કરે તેવું કોઈ તત્ત્વ લેખકે નિરૂપ્યું નથી. એ નાટક સહેલાઈથી સુખાંત બનાવી શકાયું હોત. ‘હેમ્લેટ’, ‘મેકબેથ’, ‘કીંગ લીઅર’, ‘ઓથેલો’ જેવાં કરુણાંત નાટકોમાં પાત્રોની સ્વભાવજન્ય મર્યાદામાંથી તેમનો કરુણાંત જેમ રચાય છે, તેવું ‘રોમિયો ઍન્ડ જુલિયેટ’માં નથી. રોમિયો-જુલિયેટના પ્રેમના કરુણ પરિણામ માટે કંઈક અંશે પાત્ર અને મહદંશે નિયતિ જ જવાબદાર ગણાય છે. રોઝાલિના પ્રત્યે પ્રથમ દૃષ્ટિએ જ પ્રેમ અનુભવનાર અને તે પછી જુલિયટનું સૌન્દર્યદર્શન થતાં જુલિયટને જ હૃદયેશ્વરી તરીકે સ્વીકારનાર રોમિયોમાં ચાંચલ્ય તો છે જ, પણ એ ચાંચલ્ય છેવટે ઉત્કટ સાચી દૃઢ પ્રેમભાવનામાં પલટાય છે, અને પ્રેયસી ખાતર જીવનસમર્પણ કરવા સુધી તે પહોંચી જાય છે. રોમિયો અને જુલિયેટની પ્રથમ મુલાકાત અત્યંત રંગભરી-કાવ્યમય છે. બંને એ જ સમયથી એકબીજાનાં બની જાય છે. એ પછી અટારીમિલનનું દૃશ્ય પ્રેક્ષકો ભાગ્યે જ ભૂલી શકે. આ નાટક-કથા શેક્સપીયરે કોઈક ઇટાલિયન વાર્તાના (ફ્રેન્ચ દ્વારા) અંગ્રેજી અનુવાદ પરથી લીધી છે. એથી યે વિશેષ તો તેની પાસે આર્થર બ્રુક(Arthur Brooke)નું કાવ્ય ‘The Tragical History of Romeus and Juliet’ હાથવગું હતું જ, તેમ છતાં નાટકમાંના ત્વરિત કાર્યવેગ અને પાત્રો પર તેની પ્રતિભાની આગવી મુદ્રાને કારણે એ વધુ રસપ્રદ બન્યું છે. મ.પા.