ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વીસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીસી : મધ્યકાલીન જૈન પદપ્રકાર વીસી એટલે વીસ વિહરમાન જિન તીર્થંકરોનાં એક એક સ્તવન એમ વીસ સ્તવનની રચના ગુચ્છને ‘વીસી’ તરીકે ઓળખાવાય છે. આ ભક્તિપૂર્ણ રચનામાં તીર્થંકરોના ગુણવર્ણન સાથે સાથે એમના દેહરૂપનું વર્ણન, એમના જીવનવિષયક માહિતી કે એમની વિશિષ્ટ આધ્યાત્મિક શક્તિ કે ચમત્કારનું વર્ણન જોવા મળે છે. આ સાથે રચનાકર્તા કવિના ભક્તિભાવની આદ્રતા કે ઉદ્ગારોની ઉત્કટતા લક્ષપાત્ર છે. આ ગેયપ્રકારની રચનામાં દેશીઓ-લય-ઢાળનું વૈવિધ્ય જોવા મળે છે. હર્ષકુશલ, જિનહર્ષ, જશવિજય, વિનયવિજય, રાજલાભ, વિનયચંદ્ર, ભાવરત્ન, કેશરકુશલ, દેવચંદ્રગણિ, લક્ષ્મીવિમલ, ઉત્તમવિજય, સબલસિંહ, ન્યાયસાગર વગેરેની ‘વીસી’ કૃતિઓ નોંધપાત્ર છે. ક.શે.