ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જક ઉન્માદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સર્જકઉન્માદ(Poetic Madness, Frenzy) : સર્જક-અભિવ્યક્તિ સાથે કલ્પના(Imagination)નો સંબંધ એક ભૂમિકાએ સર્જક અને ઉન્મત્ત વ્યક્તિ(Madman)ની સરખામણી કરવા વિચારકોને પ્રેરે છે. સોક્રેટિસ, પ્લેટો અને ઍરિસ્ટોટલ આ માન્યતાનો સૈદ્ધાન્તિક સ્વીકાર કરે છે. ‘The wound and the Bow’ નામના નિબંધમાં એડમન્ડ વિલ્સન આ સિદ્ધાન્તનો વિગતે વિચાર કરે છે. અહીં Wound (ઘા) સર્જકચિત્તની ઉન્મત્તાવસ્થાનું અને Bow (ધનુષ્ય) કલાનું સૂચન કરે છે. આ સિદ્ધાન્ત અનુસાર સાહિત્યકૃતિ એ સર્જકપક્ષે ચિત્તશુદ્ધિ(Catharsis)નું કાર્ય કરે છે. ટૉમસ મૅન, કેનિથ બર્ક વગેરે વિવેચકો આ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. કલાવાદી વિવેચનાનું પ્રતિપાદન કરતા વિચારકો જેવા કે ક્રોચે, આઈ. એ. રિચર્ડ્ઝ આ સિદ્ધાન્તનો વિરોધ કરે છે. તેમના મત પ્રમાણે સર્જક એ સામાન્ય મનુષ્યથી ઓછો સ્વસ્થ નહીં, બલ્કે તેનાથી વધુ સ્વસ્થ હોય છે. ચં.ટો.