ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામૂહિક અચેતન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સામૂહિક અચેતન(Collective unconscious) : સામૂહિક અચેતનનો ખ્યાલ કાર્લ યુંગે મનોવિજ્ઞાનમાં આપ્યો અને પછી બીજી વિદ્યાશાખાઓમાં પ્રતિષ્ઠિત થયો. સર્જકચિત્તમાંનું સ્વયંભૂ સ્ફુરણ એ અજાગ્રત સંવિદ્નો જ આવિષ્કાર છે, એવો ખ્યાલ યુંગે પ્રતિષ્ઠિત કર્યો. ફ્રોય્ડે વ્યક્તિના જાગ્રત સ્તરની અવરુદ્ધ લાગણીના આવેગોના ઊર્ધ્વીકરણમાં કલાનો ઉદ્ગમ જોયો અને એ રીતે અજાગ્રત સ્તરની પ્રક્રિયાઓ તરફ નિર્દેશ કર્યો. યુંગે સર્જકની ભાવસૃષ્ટિના આદિમ અંશો માનવજાતિની સામૂહિક અચેતનમાં રોપાયેલા જોયા. યુંગના મતાનુસાર અજાગ્રત ચિત્તના પ્રતિભાવ દ્વારા જ વાસ્તવનું અખિલ દર્શન શક્ય છે. આજે અનેક સર્જકો વિશુદ્ધ વાસ્તવબોધ પામવાનો આગ્રહ સેવે છે. એ માટે અજાગ્રત ચિત્તના સ્વયંચાલિત વ્યાપારોને અવકાશ આપે છે. એથી જ તેઓ ક્યારેક બુદ્ધિ અને જાગ્રત ચિત્તના વ્યાપારને સર્વથા અવગણવા પ્રેરાયા છે. ખરા વાસ્તવવાદ જેવો સમુદાય આવી જ કોઈ વિચારધારા પર પ્રતિષ્ઠિત થયેલો જણાય છે. હ.ત્રિ.