ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને પ્રયોગદાસ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્ય અને પ્રયોગદાસ્ય : શબ્દાદિનો કે શૈલીનો પ્રયોગ – ઉપયોગ તાજગીવાળો કે લેખકના નિયંત્રણવાળો રહેવાને બદલે લેખકની અ-વશતા કે ટેવ-વશતાના રૂપમાં એની મર્યાદા બની જાય, પ્રયોગનું લેખકની લખાવટ પર આધિપત્ય ઊભું થાય એ પ્રયોગદાસ્ય. જેના ગુજરાતી પર્યાય તરીકે પ્રયોગદાસ્ય શબ્દ પ્રચલિત બન્યો છે. એ અંગ્રેજી સંજ્ઞા મેનરિઝમ(Mannerism) મૂળે તો શૈલીવિશેષ તરીકે પ્રયોજાતો હતો. સોળમી અને સત્તરમી સદીના સંધિકાળે ચિત્રકળાને ક્ષેત્રે લાક્ષણિક શૈલી ધરાવતા ચિત્રકાર્ય માટે મેનરિસ્ટ પેઈન્ટીંગ(શૈલીવિશિષ્ટ ચિત્રાલેખનકલા) સંજ્ઞા વપરાતી હતી. એટલે એ સંજ્ઞામાં નિશ્ચિત સમયગાળાની વિશેષ શૈલીનો એક ઐતિહાસિક ઘટનાવિશેષ તરીકેનો નિર્દેશ પડેલો છે. સાહિત્યમાં પણ આ જ સંજ્ઞા, આ જ અર્થમાં રેનેસૉં અને બરોક વચ્ચેના સમયગાળાના સાહિત્ય માટે વપરાતી થઈ હતી. પરંતુ ક્રમશ : આ સંજ્ઞાનું શૈલીવિશેષ પરથી શૈલીદોષ તરફ હીનીકરણ કે હ્રસ્વીકરણ થતું ગયું. સાહિત્યમાં લેખનરીતિની કેટલીક લઢણો લેખકની વૈયક્તિક લાક્ષણિકતાઓ રૂપે કે વિલક્ષણતાઓ રૂપે ઊપસતી હોય છે. આવી લઢણો જ્યારે અતિરૂઢ બનતી જાય, ઘૂંટાઈ ઘૂંટાઈને દોદળી બનતી જાય ત્યારે પ્રયોગદાસ્યમાં પરિણમે છે. શૈલીનો વિશેષ સર્જકની વિશિષ્ટ મુદ્રા પ્રગટાવે. જ્યારે આ પ્રયોગદાસ્ય એની મર્યાદાઓની ઓળખ બની રહે. પ્રયોગદાસ્ય વ્યાપક સ્વરૂપનું પણ હોય, એટલેકે સાહિત્ય-પરંપરાની કે સમયગાળાની એક સર્વસામાન્ય લાક્ષણિકતા રૂપે એ આવતું હોય, જેમકે સભારંજની કવિતાની કેટલીક રૂઢ ને પ્રચલિત લઢણો કે લોકપ્રિય મનોરંજક નવલકથામાં ઘટના-નિરૂપણની કે વર્ણનઆલેખનની સ્થગિત રૂઢ રીતિઓ; સંસ્કૃત કવિતામાં છંદના ખાડા પૂરવા બિનજરૂરી રીતે મુકાતા ‘च’ કે ગુજરાતી છંદરચનાઓમાં મુકાતા ‘જ’ પ્રયોગદાસ્યનાં વ્યાપક દૃષ્ટાંતો છે, આમાં, એક જ પ્રકારની શૈલીને બહેલાવતા શૈલીવેડા તેમજ સર્જક-કૌશલને અભાવે આવતું મર્યાદારૂપ શૈલીદાસ્ય બંને હોય છે. બીજી તરફ, સર્જકગત લઢણો જ્યારે વધારે મુખર બને, વારંવાર આવવાથી કઠે કે અનાવશ્યક સ્થાનોએ આવતી થાય ત્યારે પણ પ્રયોગદાસ્ય શૈલીદાસ્ય રૂપે આગળ તરી આવે છે. જેમકે મુનશીની નવલકથાઓમાં પાત્રોનાં એક જ ધાટીનાં દેહવર્ણનો, નરસિંહરાવ દિવેટિયામાં ‘દિવ્ય’, ‘ગૂઢ’ આદિ જેવા અને ન્હાનાલાલમાં ‘અમરવેલડી’, ‘હૃદયવેલડી’ જેવા અંગ-વિસ્તારકો અને ‘રસ’, ‘બ્રહ્મ’, આદિ જેવાં પૂર્વપદોનો અતિરેક તેમજ અન્ય કેટલાક કવિઓ અને ગદ્યકારોની વાક્-આડંબરી શૈલી. સારા સર્જકોની નબળી રચનાઓમાં દેખાતું આ પ્રયોગદાસ્ય એમની પછીની પેઢીના અનુગતિક કવિઓની રચનાઓમાં મુખ્ય શૈલીદોષ રૂપે પણ અવતરતું હોય છે. આવું પ્રયોગદાસ્ય પ્રતિકાવ્ય આદિ જેવી પ્રતિ-શૈલીરચનાઓ(પેરડીઝ) દ્વારા કટાક્ષ-ટીકા પણ પામતું હોય છે. પ્રયોગદાસ્ય કૃતિના રસકીય અંતસ્તત્ત્વ અને એના રચના-આકારને સંયોજિત કરવાને બદલે વિખૂટાં રાખનારું વિલક્ષણ શૈલીતત્ત્વ બની રહે છે. ર.સો.