ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/શ્રીમતી તારાબ્હેન મોડક
એઓ જાતે દક્ષિણી–કોંકણસ્થ બ્રાહ્મણ અને પુણાના વતની છે. એમને જન્મ મુંબાઇમાં ૧૯મી એપ્રિલ ૧૮૯૨ના દિવસે થયો હતો. એમના પિતાનું નામ સદાશિવ પાંડુરંગ કેળકર અને માતાનું નામ ઉમાબાઈ કેળકર છે. એઓએ ઘણોખરો અભ્યાસ મુંબાઇમાં કર્યો હતો. સન ૧૯૦૯માં મેટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી, ૧૯૧૦માં કૉલેજમાં જોડાયેલા; અને સન ૧૯૧૪માં બી. એ.ની ડીગ્રી ઐચ્છિક વિષય ફિલોસોફી લઇને મેળવેલી. આપણી અત્યારની સામાજિક પરિસ્થિતિમાં એક બ્હેન આ પ્રમાણે બી. એ., સુધીની કેળવણી લેવાને શક્તિમાન થાય એ ખચિત્ અભિનંદનીય છે. એઓ સન ૧૯૨૧માં રાજકોટની સ્ત્રીઓ માટેની બાર્ટન ફીમેલ ટ્રેનીંગ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે પ્રથમ દાખલ થયેલા; પણ મૉન્ટીસોરીની પદ્ધતિથી આકર્ષાઈને તેઓ દક્ષિણામૂર્તિ બાળમંદિરના શિક્ષણકાર્યમાં જોડાયા. તેમના પ્રિય વિષયો સમાજશાસ્ત્ર અને બાળશિક્ષણ છે.
શ્રીયુત ગીજુભાઈની સાથે બાલશિક્ષણ અને મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિમાં એઓ એટલા રસલીન અને પ્રવૃત્તિમય થઈ ગયેલાં છે કે એ બંનેના કાર્ય પ્રતિ શિક્ષિત ગુજરાત આતુર દૃષ્ટિએ જોઈ રહ્યું છે અને એમના પ્રયત્નોને સત્કારી રહ્યું છે.
એક દક્ષિણી બ્હેન ગુજરાતના બાળકો માટે પોતાની શક્તિ અને જ્ઞાનનો યજ્ઞ કરે, એથી વિશેષ રૂડું આપણા માટે બીજું શું હોય! એ પણ એક અપૂર્વ સંયોગ છે.
શાળાના ચાલુ શિક્ષણકાર્ય સાથે એમણે બાલસાહિત્ય નવું સર્જવામાં પણ સારો હિસ્સો આપેલો છે; એટલુંજ નહિ પણ એમના બીજાં કાર્યોની પેઠે ‘શિક્ષણ પત્રિકા’ના એઓ શ્રીયુત ગિજુભાઈ સાથે સહતંત્રી છે.
એમના ગ્રંથોની યાદીઃ