ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/અંબેલાલ કશનજી વશી
અંબુ કે. વશીના નામે ઓળખાતા આ લેખકનો જન્મ તા. ૨૩-૧૧-૧૯૦૪ના રોજ સુરત જિલ્લામાં તેમના વતન તલંગપુરમાં થયેલો. તેઓ જ્ઞાતિએ અનાવિલ બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ કશનજી મોહનભાઈ વશી અને માતાનું નામ ઈચ્છાબેન છે. તેમનું લગ્ન ઈ.સ. ૧૯૩૨માં સૌ. શાન્તાબેન સાથે થયું છે. તેમણે પ્રાથમિક કેળવણી વતનની શાળામાં, માધ્યમિક સુરતની સરકારી હાઈસ્કૂલમાં અને ઉચ્ચ કેળવણી મુંબઈની ખેતીવાડી કૉલેજમાં લીધી હતી. મેટ્રિકમાં ગુજરાતીના વિષયમાં તેમણે વિશિષ્ટ ગુણવત્તા પ્રાપ્ત કરી હતી કૉલેજમાં ત્રણ વર્ષો લગી સરકારી છાત્રવૃત્તિ પણ મેળવી હતી. ત્યારબાદ ઈ.સ. ૧૯૨૮માં બી.એજી.ની પદવી બીજા વર્ગમાં પ્રાપ્ત કરીને કેટલોક સમય તેમણે ‘ખેતીવાડી’ તેમજ ‘ખેતી, ખેડૂત અને સહકાર’ એ સામયિકોનું સંચાલન કરેલું. હાલમાં તેઓ પૂનાની વાડિયા કૉલેજમાં ગુજરાતી સાહિત્યના માનાર્હ અધ્યાપકનું અને લેડી ઠાકરશીના ખાનગી મંત્રી તરીકેનું કામ બજાવી રહ્યા છે. કવિ ન્હાનાલાલે અને નવલકથાકાર મુનશીએ તેમના સાહિત્યિક વ્યક્તિત્વને ઘડ્યું છે. શરૂઆતમાં ‘વિપ્રદાસ’ અને ‘ઉષા’ જેવી રસિક-મનોહર કૃતિઓના સંસ્કારથી પ્રેરાઈને સ્વતંત્ર વાર્તાલેખનની પ્રવૃત્તિ તેમણે આરંભેલી; પરંતુ જ્ઞાતિ અને સામાજિક વિષયો ૫રનાં ચર્ચાત્મક લખાણો અને પરપ્રાંતીય ભાષાનાં વાર્તા-નાટકોના અનુવાદો જ આજ લગી એમની પ્રિય લેખનપ્રવૃત્તિ બની રહેલ છે. એમની પ્રથમ મૌલિક વાર્તા ‘ઉષા’ ‘અનાવિલ હિતેચ્છુ’ નામના સામયિકમાં ઈ.સ. ૧૯૨૧માં પ્રગટ થયેલી. મરાઠી લેખક શ્રી. ખાંડેકરની વાર્તાઓનું સૌથી પ્રથમ ગુજરાતી ભાષાંતર કરનાર શ્રી. વશી છે. સાહિત્યમાં એમને નવલિકાનું સ્વરૂપ પ્રિય છે. એમનો જીવનઉદ્દેશ ‘શક્ય તેટલી સમાજસેવા અને પૂનામાં વસતા ગુજરાતી બંધુઓની કેળવણી માટે પ્રયત્ન કરી છૂટવાનો’ છે. હાલ પૂનાના ‘બંધુસમાજ’ના તેઓ અગ્રગણ્ય કાર્યકર છે અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ દ્વારા ત્યાંના ગુજરાતી સમાજની સારી સેવા બજાવી રહ્યા છે, એમના અનુવાદો સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં થયેલા છે. સુપ્રસિદ્ધ મરાઠી લેખક અત્રેના ‘उदयांचा संसार’ નાટકનો ‘આવતી કાલ’ નામનો અનુવાદ રંગભૂમિ ઉપર સફળતાથી ભજવી શકાય તેવો બન્યો છે. આનો યશ એક તરફ જેમ મૂળ લેખક આચાર્ય અત્રેની નાટ્યકલાને ફાળે જાય છે, તેમ બીજી તરફ શ્રી, વશીની તખ્તાને અનુકૂળ ગુજરાતી ભાષશૈલીને પણ મળે છે. તેમની મૌલિક વાર્તાઓ બોધપ્રધાન છે અને તે વસ્તુનો રસ ઠીક જાળવી રાખે છે. ‘પુસ્તકાલય-૧૯૩૦’માં તેમણે લખેલા ‘બાલસાહિત્ય’ વિશેના લેખે રા. ‘સાહિત્યપ્રિય’ અને રા. બચુભાઈ રાવત જેવા વિચારકોને ચર્ચા માટે પ્રેર્યા હતા.
કૃતિઓ
- કૃતિનું નામ *પ્રકાર *રચના-સાલ *પ્રકાશન *પ્રકાશક મૌલિક, સંપાદન કે અનુવાદ
સી. જમનાદાસની કં. મુંબઈ
૧. માલિકા *નવલિકા- ૧૯૨૫થી ૧૯૨૮ *૧૯૩૦ *અનાવિલબંધુ પ્રિ.પ્રેસ, સુરત *કેટલીક મૌલિક, બાકીની અનુવાદિત વાર્તાઓ
માલિકા(બીજી આવૃત્તિ) * - * - *૧૯૩૨ * -
૨. આરોગ્યવિજ્ઞાન શાસ્ત્ર નિબંધ પાઠયપુસ્તક *૧૯૩૩ *૧૯૩૩ *શ્રી. બર્વે *મરાઠીમાંથી અનુવાદ
૩. આવતી કાલ *નાટક *૧૯૩૬ *૧૯૪૪ *ત્રિશક્તિ કાર્યાલય *મરાઠીમાંથી . અનુવાદ
અભ્યાસ-સામગ્રી
‘માલિકા’ માટે:- પ્રા. મો. પા. દવેની સમાલોચના ‘વિવેચન’ પુસ્તકમાં.
‘આવતી કાલ’ માટે:-ઇ. સ.૧૯૪૫ નું ગ્રંથસ્થ વાઙ્મય.
***