ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/પ્રવાહદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દાયકાના સાહિત્યનું પ્રવાહદર્શન
[૧૯૫૧થી ૧૯૬૦]

ભાષાનું સ્વરૂપ કે સાહિત્યના પ્રવાહ, વર્ષે વર્ષે કે દાયકે દાયકે પલટાતા નથી. એને સમયનાં કોઈ જડબંધનોની રેખાઓથી સીમિત કરી શકાય નહિ. કોઈ ચોક્કસ સ્વરૂપની સમયમર્યાદાથી એમનું ગણિત માંડવા બેસીએ તેમ થાપ ખાવાનો પૂરો સંભવ છે. કોઈ એક જ દાયકો સાહિત્યસર્જનની સમૃદ્ધિથી ભર્યોભર્યો હોય અને એ પછીનામાં સર્જનપ્રવૃત્તિએ ઓટ પણ અનુભવી હોય; અને એથી ઊલટું બનવાની સંભાવના પણ ઓછી નથી. તેમ છતાં ચેાક્કસ સ્વરૂપની કાળમર્યાદામાં રહીને, સાહિત્યનાં વહેણો અવલોકવાનો પ્રયત્ન કરીએ તો એમાં કશું અનુચિત પણ નથી. જૂનાં ક્યાં વહેણો ચાલુ રહ્યાં, ક્યાં નવાં વહેણો ઉમેરાયાં અને સમગ્ર રીતે એની ફલશ્રુતિ શી – એ સર્વનું અવલોકન પણ આનંદપ્રદ બની રહે છે. અવલોકનમાં ઉચ્ચ શિખરોનું દર્શન આ૫ણને ગૌરવાન્વિત કરે છે, આસપાસની સરવર કે સરિત્લીલા પ્રસન્નતા અર્પે છે અને કૂંળી કૂંળી હરિયાળીનું દર્શન પણ સંતર્પી રહે છે. મહાકાળના પ્રવાહમાં આ સર્વમાંથી શું અને કેટલું ટકશે એનું સમીકરણ માંડ્વું એ કદાચ અત્યારે અનુચિત લેખાય, તેમ છતાં સાહિત્યસ્વરૂપોના ભિન્ન ભિન્ન પ્રવાહોનું દર્શન કરતાં એમાં ક્યાંક ક્યાંક પેલા ‘સનાતન'ની ઝાંખી તે અવશ્ય થાય જ. મહાકાળ વિવેચક પોતાના પ્રવાહમાં આ સર્વમાંથી કેટલું સંઘરશે એ ભલે અત્યારે આપણે ન ભાખીએ, પણ આવા પ્રવાહદર્શનમાં પ્રગટ થતા સત્ત્વને તો ઝીણી નજરે ઓળખવાનો યત્ન કરી શકાય. હવે પછીનાં પૃષ્ઠોમાં દસકાના વાક્મયપ્રવાહને આપણે વિભાગવાર અવલોકીશું, પરંતુ એ પૂર્વે આછેરું ઇતિહાસદર્શન કરી લઈએ. આ દાયકો ઇતિહાસદૃષ્ટિએ અપૂર્વ પુરવાર થયો. ૧૯૬૦ના મે માસની પહેલીએ ગુજરાત રાજ્યનું નિર્માણ થયું. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કરણ વાઘેલો ઈ.સ. ૧૨૯૭માં, અલાઉદ્દીન ખિલજીના સૈન્ય સામે ટક્કર ન ઝીલી શકતાં, પાટણ ત્યજી ગયો અને ત્યારથી ગુજરાત પરાધીન થયું. પૂરાં ૭૬૩ વર્ષો સુધી ગુજરાતે અનેક રાજસત્તાઓનું આગમન અને ગમન નિહાળ્યુ. એ વર્ષોમાં ગુજરાતનું મધ્યકાલીન સાહિત્ય એકમાત્ર ધર્મના આલંબન વડે પ્રજાજીવનને ઓછીવત્તી પ્રેરણા અને બળ અર્પતું રહ્યું હતું. નરસિંહ, મીરાં, ભાલણ, અખો, પ્રેમાનંદ, શામળ અને દયારામ-મધ્યયુગના સાહિત્યગગનના આ સપ્તર્ષિઓ તેમ જ અર્વાચીનોમાં આદ્ય વીર નર્મદથી માંડી ગાંધીજી સુધીના બહુસંખ્ય જ્યોતિર્ધરોએ ગુજરાતની પ્રજાકીય ચેતનાના ઉત્થાનમાં ચિરંજીવ અર્પણ કર્યું છે. ગુજરાત હવે નિજના સ્વપ્નાં અને અસ્મિતા સિદ્ધ કરી શકે એવી અનુકૂળતા સર્જાઈ છે. જનતાનો પુરુષાર્થ ગુજરાતના સર્વાંગી વિકાસમાં કેવો કાર્યશીલ બને છે. અને ગુજરાતનો સાહિત્યસર્જક એ પુરુષાર્થીઓને કેવો પોરસ ચડાવે છે. એ આવતી કાલનો ઇતિહાસકાર નોંધશે. આજે તો ભારતમાં લોકશાહી વિકસી રહી છે અને ગુજરાતમાં પણ જનજાગૃતિનાં પૂર ઊમટી રહ્યાં છે એ શુભચિહ્ન છે. આ દાયકા દરમ્યાન આપણી વચ્ચેથી ચિરવિદાય પામેલ સાહિત્યકારોનું સ્મરણ કરી લઈએ. સર્વશ્રી રામમોહનરાય ગુણવન્તરાય દેસાઈ, કૌશિકરામ વિધ્નહરરામ મહેતા, પ્રાણલાલ કિરપારામ દેસાઈ હરગોવિંદ પ્રેમશંકર કવિ, ગજાનન વિશ્વનાથ પાઠક, ગોકુલદાસ રાયચુરા, બળવંતરાય ઠાકોર, કિશોરલાલ મશરૂવાળા, દુર્ગાશંકર શાસ્ત્રી, ખબરદાર, ‘કવિચિત્રકાર' ફૂલચંદભાઈ જગજીવનદાસ મોદી, રમણલાલ વસંતલાલ દેસાઈ ડૉ. એરચ તારાપોરવાળા, જયસુખલાલ જોષીપુરા, રણછોડલાલ જ્ઞાની, દેસાઈભાઈ પટેલ, કેતન મુનશી, રામનારાયણ વિશ્વનાથ પાઠક, રત્નમણિરાવ ભીમરાવ જોટે, યશવંત પંડ્યા, મસ્તફકીર, અનંત ઠક્કર, સાકરલાલ દવે, દાદાસાહેબ માવલંકર, ચતુરભાઈ શંકરભાઈ પટેલ, બચુભાઈ શુકલ, દી. બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, નરહરિ પરીખ, બકુલેશ, શંકરપ્રસાદ રાવળ, કાંતિલાલ છ. પંડ્યા, સુકાની, વિદ્યાબેન નીલકંઠ, નાનાભાઈ ભટ્ટ, લાભશંકર પ્રભુરામ ભટ્ટ, કપિલ ઠક્કર, ચંદ્રશંકર શુકલ, જીવણચંદ સા. ઝવેરી, કૃષ્ણલાલ શ્રીધરાણી, હીરાલાલ અ. શાહ, વજુ કોટક, ડૉ. રમણલાલ કલ્યાણરાય યાજ્ઞિક, જયેન્દ્રરાવ દૂરકાળ, નાથાલાલ દત્તાણી વગેરે. આ ઉપરાંત પ્રસિદ્ધ પત્રકારો સર્વશ્રી શામળદાસ ગાંધી, અમૃતલાલ દલપતભાઈ શેઠ; દેવદાસ ગાંધી અને પુસ્તક-પ્રકાશક ભુરાભાઈ શેઠ આદિને પણ કેમ ભુલાય? આ સદ્ગતોનું વાક્મયક્ષેત્રે જે સત્ત્વશીલ અર્પણ હશે તે અવશ્ય ચિરંજીવ રહેશે. આ દાયકો શતાબ્દી ઉત્સવોથી અને ષષ્ઠી પૂર્તિ ઉજવણીથી સભર બન્યો. મહામનીથી ગોવર્ધનરામની જન્મશતાબ્દીની ગૌરવગંભીર ઉજવણી આ દાયકાનું એક મધુરમંગલ સંભારણું બની રહેશે. એ ઉજવણીના પરિપાક રૂપ ‘ગોવર્ધન શતાબ્દી ગ્રંથ' ગોવર્ધનરામના અભ્યાસીને ખૂબ સહાયરૂપ નીવડશે. શતાબ્દીનિમિત્તે પ્રકાશક એન. એમ. ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર'ની શતાબ્દી આવૃત્તિ પડતર કિંમતે પ્રગટ કરી અને એ મહાગ્રંથ સર્વ સુલભ કર્યો. હજી આજે પણ ‘સરસ્વતીચંદ્ર' સાથે બેસે એવી મહાકૃતિ પ્રગટવી બાકી છે. ગોવર્ધનરામની પરમ પ્રાજ્ઞ પુરુષ તરીકેની પ્રતિષ્ઠાને સ્થિરદ્યુતિ કરે એવી ‘સ્ક્રેપબુકસ'નું સંપાદન સ્વ. કાંતિલાલ છ. પંડ્યાએ કર્યું એ પણ આ દાયકાનું એક ઉત્તમ કાર્ય થયું. ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળા શરૂ થઈ તેનો મંગલારંભ આ૫ણા પ્રસિદ્ધ વિવેચક શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘ગોવર્ધનરામ-ચિન્તક અને સર્જક'એ વિષય પર આપેલ વ્યાખ્યાનોથી થયો. આપણા ખ્યાતનામ સર્જકો અને વિવેચકોનું સાહિત્યક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન અને ગણનાપાત્ર સેવાઓ લક્ષમાં રાખી સાહિત્યપ્રેમીઓ અને તેમના મિત્રોએ ષષ્ઠીપૂર્તિ ઊજવેલી તેમાં શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે પ્રસિદ્ધ થયેલ તેમનાં લખાણોનો ગ્રંથ ‘ઉપાયન' ખાસ ઉલ્લેખનીય છે. પ્રગાઢ ચિંતક અને વિદ્વાન સર્જક કાકાસાહેબની પંચોતેરમા વર્ષની ઉજવણી પ્રસંગે ‘કાલેલકર અધ્યયન ગ્રંથ' પ્રગટ થયો. આ સાથે શ્રી ધૂમકેતુની ષષ્ઠીપૂર્તિ ૧૯૫૩માં ઊજવાઈ અને ‘નવચેતન'ના આજીવન તંત્રી શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીએ પોતાની ષષ્ઠીપૂર્તિ ૧૯૫૨માં ‘નવચેતન'નો 'તંત્રી અંક' પ્રગટ કરીને ઊજવી. અંબુભાઈ પુરાણીની ષષ્ઠીપૂર્તિ પણ આ જ દાયકામાં ઊજવાઈ. આપણા સમર્થ સાહિત્યકારો સર્વશ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, બાલાશંકર અને નરસિંહરાવની જન્મશતાબ્દી ૧૯૫૮માં તેમજ કેશવ હર્ષદ ધ્રુવની ૧૯૫૯માં પૂરા ગૌરવ અને ગાંભીર્યથી ઊજવાઈ. એ નિમિત્તે યોજાયેલ સભા-સમારંભોમાં તે તે સાહિત્યકારની અક્ષરસેવાઓને અંજલિ અર્પવામાં આવી હતી. આ સર્વ પ્રસંગોમાં ‘આકાશવાણી' નો સહકાર પ્રશસ્ય હતો. આ દાયકા દરમ્યાન ‘વિશેષાંકો' ઠીક ઠીક સંખ્યામાં પ્રગટ થયા છે. ‘કુમાર' માસિકનો એપ્રિલ ૧૯૫૭નો ૪૦૦ મો અંક અને ‘સંસ્કૃતિ'નો ૧૦૧મો અંક ખાસ નોંધપાત્ર અંકો બની રહેશે. ‘બુદ્ધિપ્રકાશ'નો માર્ચ ૧૯૫૯નો દળદાર અંક ‘શ્રી વિદ્યાબહેન સ્મૃતિ અંક', નારીરત્ન સ્વ. વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠને અંજલિ અર્પે છે. ગુજરાતનાં પ્રથમ બે સ્નાતક સન્નારીઓ વિદ્યાબહેન નીલકંઠ અને શારદાબહેન મહેતાનું સન્માન પણ આ દાયકામાં થયું તે અહીં નોંધવું જોઈએ. શ્રી દિલીપ કોઠારીએ આ દાયકાના આરંભનાં વર્ષોમાં ‘શ્રીરંગ' વાર્ષિકના કેટલાક અંકો પ્રગટ કરી કલા અને સાહિત્યનો સુરુચિપૂર્ણ સમન્વય સાધી બતાવ્યો હતો. એ ‘શ્રીરંગ'ની યાદ તાજી કરાવે એવું વાર્ષિક ‘કેસૂડા' કલકત્તાથી સાહિત્યપ્રેમીઓ પ્રગટ કરી રહ્યા છે. બીજા ખાસ ગણનાપાત્ર વિશેષાંકો છે ‘સ્ત્રીજીવન'નો શ્રી ધૂમકેતુ ષષ્ટીપૂર્તિ’ નિમિત્તે પ્રસિદ્ધ થયેલો ખાસ અંક અને ઑકટોબર ૬૦નો ‘વિશ્વમાનવ’નો ‘નવી નવલિકા વિશેષાંક.’ આ દસકા દરમ્યાન નવાં સામયિકો ઠીક ઠીક પ્રગટ્યાં, વિકસ્યાં અને ક્યારેક વિલાયાં પણ. શ્રી સુરેશ જોશીએ ‘વાણી' અને હવે ‘ક્ષિતિજ'નું સુકાન શ્રી પ્રબોધ ચોકસી સાથે સંભાળ્યું છે. શ્રી ભાનુ ઝવેરી (હવે ભાનુ પાટીલ)નું ‘ગ્રંથાગાર' બેએક વર્ષ ચમકારો બતાવીને વિલીન થયું. મુંબઈથી ‘ગુજરાતી નાટ્ય' સામયિક પણ વીજળી જેમ ઝબકી ગયું. શ્રી ભોગીલાલ ગાંધીએ ‘માનવ’ અને હવે ‘વિશ્વ માનવ' દ્વારા એક અભ્યાસપૂર્ણ, ચિંતન-પ્રેરક સામયિકની ખોટ પૂરી છે. કવિતાનાં સામયિકમાં ‘કવિલોક’ અને ‘કવિતા અનિયતકાલિક’ નોંધપાત્ર છે. બંનેમાં નવતર કવિતાનાં વહેણો અને વળાંકોનાં દર્શન થાય છે. શ્રી ધનવંત ઓઝાએ ‘ગ્રંથ-પરિચય’ થોડોક સમય ચલાવ્યું તેમાં નવાં પુસ્તકો અને દેશ-વિદેશના સાહિત્યસ્વામીઓનો સુરેખ પરિચય અપાતો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદે ‘પરબ’ નામે પરિષદનું મુખપત્ર શરૂ કર્યું છે. ‘પરબ’ વિવેચન અને સંશોધનના ક્ષેત્રે ગણનાપાત્ર પ્રદાન કરી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરે એવી શ્રદ્ધા અસ્થાને નથી. સૂરતના ચુનીલાલ ગાંધી વિદ્યાભવન તરફથી પ્રગટ થતું વાર્ષિક અભ્યાસલેખોથી સભર હોય છે. ભારતીય વિદ્યાભવન તરફથી પ્રગટ થતું સામયિક ‘સર્મપણ’ ભવનની અનેકવિધ સાંસ્કારિક પ્રવૃત્તિઓમાં એકનો ઉમેરો કરે છે. આ દાયકામાં પ્રસિદ્ધ થયેલું શ્રી. સોપાનદંપતીનું ‘ગૃહમાધુરી', ગુજરાત સમાચારનું ‘શ્રીરંગ' વગેરે સ્થિર થતાં જાય છે. શિષ્ટ અને સંસ્કારી સામયિકો પ્રજાની ઊઘડતી જતી વાચનભૂખને પોષે છે અને સંરકારે છે. વધતી જતી વાચનતૃષા અને ઊભા થતા નવા વાચકવર્ગના કારણે સામયિકોનું પ્રસારણ પણ વિસ્તર્યું છે. ‘અખંડ આનંદ' અને ‘જન કલ્યાણ' દૈનિક જેટલી નકલો કાઢતાં થયાં છે એ આ દાયકાની નોંધપાત્ર હકીકત છે. પાંગરતી પેઢીને સતત પ્રેરણા આપતું કલાત્મક માસિક ‘કુમાર' અને પ્રજાના સાહિત્ય અને સંસ્કારજીવનને સમૃદ્ધ કરતું ‘સંસ્કૃતિ' આ દાયકાનાં ગૌરવશાળી માસિકો બની રહ્યાં છે. ‘ચાંદની', ‘આરામ' અને બીજાં કેટલાંક નવાં વાર્તામાસિકો આ દાયકાની દેન છે. પરિણામે નવા વાર્તાલેખકો અને નવો વાચકવર્ગ પુષ્ટ થતો જાય છે. આ જ દાયકામાં એક નહીં પણ ત્રણ ત્રણ યુનિવર્સિટીઓ ગુજરાતમાં કેળવણીક્ષેત્રે નવપ્રસ્થાન કરી રહી. માધ્યમ પરત્વે ત્રણેય યુનિવર્સિટીઓ ભિન્નત્વ ધરાવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી અને/અથવા અંગ્રેજી, વલ્લભ વિદ્યાનગરમાં હિંદી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરામાં અંગ્રેજી માધ્યમ વિશેનો અખતરો ગુજરાતની ભૂમિની સહિષ્ણુતાનો દ્યોતક કહી શકાય ખરો. ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની મોટામાં મોટી પ્રાદેશિક યુનિવર્સિટી છે. આજે આ યુનિવર્સિટી વટવૃક્ષની જેમ વિસ્તરી રહી છે. ઉચ્ચ શિક્ષણમાં બોધભાષા તરીકે માતૃભાષા ગુજરાતીનું ગૌરવ કરીને ગુ. યુનિ.એ કેળવણીક્ષેત્રે એક પ્રશસ્ય પ્રયાણ કર્યું છે. વિનયન, વિજ્ઞાન, વાણિજ્યની તમામ શાખાઓમાં તેમ જ ટૅકનોલોજી, તબીબી વિદ્યા જેવા વિષયોમાં આવતા અંગ્રેજી શબ્દો પરથી પારિભાષિક ગુજરાતી પર્યાયો યોજવાનો પુરુષાર્થ ગુજરાત યુનિવર્સિટી કરી રહી છે. પારિભાષિક શબ્દોનો જેમ જેમ વપરાશ વધશે તેમ તેમ એ શબ્દો સ્થિર થશે અને એથી આપણી ભાષાની ગુંજાશ વધશે એટલું જ નહીં પણ અભિવ્યક્તિની સૂક્ષ્મતા પણ સધાશે. ભાષાના ખેડાણમાં થઈ રહેલી પ્રક્રિયા આજે તો અનિવાર્ય છે. નવા શબ્દો, લઢણો અને પ્રયોગોથી આપણી ગરવી ગુજરાતી વધુ ખમીરવંતી થશે. ઉચ્ચશિક્ષણક્ષેત્રે ગુજરાતીનો બોધભાષા તરીકે સ્વીકાર થતાં વિવિધ વિષયોનાં અને વિવિધ લેખકોનાં પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે. આમાંનાં ઘણાંખરાં અંગ્રેજી પુસ્તકોની સવિશેષ છાયા ઝીલતાં અને તરજુમિયા પ્રકારનાં પણ છે. ગુજરાતની પ્રકાશનપ્રવૃત્તિ આને કારણે જાણે દોટ મૂકી રહી છે. આ હરીફાઈમાંથી લાંબે ગાળે પણ ઉત્તમ કોટિનાં મૌલિક પુસ્તકો આપણને પ્રાપ્ત થાય અને આપણા વિચારકોનું સત્ત્વ સહજ રીતે એમાં ઊતરી આવે એવી આશા રાખીએ. ત્યાંસુધી ગુજરાત યુનિવર્સિટીએ અન્ય ભાષાના ઉત્તમ શિષ્ટ ગ્રંથોને ગુજરાતીમાં અનુવાદિત કરાવવાનો આદરેલો પ્રયોગ સફળ બની રહો. ગુજરાતી ભાષા સાહિત્યના સર્વતોમુખી વિકાસ માટે અનેક ક્ષિતિજો ઊઘડી ચૂકી છે. ભાષા પણ એક ધબકતી ચીજ છે. ગુજરાતીની અભિવ્યંજના શક્તિ ખૂબ ખીલો. ગુજરાતી સાહિત્ય પરિષદ પુનર્જન્મ પામી એ આ દશકાની આપણા સાહિત્યજગતની મહત્ત્વની ઘટના કહી શકાય. ઈ.સ. ૧૯૫૫માં સાહિત્ય પરિષદનું સંમેલન શ્રી કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે નડિયાદમાં મળ્યું ત્યારે એ સાક્ષરભૂમિમાં યુવાન સાહિત્યકારોની આગ્રહભરી માગના પરિણામે શ્રી મુનશીએ ખેલદિલીથી નવીનોને આવકાર્યો અને પરિષદના બંધારણમાં આવશ્યક સુધારા સ્વીકાર્યા. તે પછી તો સાબરમતીમાંથી ઘણું પાણી વહી ગયું. અમદાવાદમાં ૧૯૫૯ના ઑકટોબરમાં શ્રી કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપદે નવજીવન પામેલી પરિષદનું સંમેલન મળ્યું ત્યારે શ્રી મુનશીએ હાજર રહી શુભેચ્છા અને આશિષ આપ્યા. ત્યાર પછી ૧૯૬૦ના ઑકટોબરમાં પરિષદના ઉપક્રમે મોડાસા ખાતે જ્ઞાનસત્ર યોજાયું અને મુક્ત મિલનનો આનંદ આપતા ‘લેખકમિલન'ની યાદ આપી ગયું. જ્ઞાનસત્રને નોંધપાત્ર સફળતા મળી. આવાં સત્રો પ્રજાની સાહિત્યિક સુરુચિ ઘડવામાં અને નવજાગૃતિ પ્રગટાવવામાં સારો ફાળો આપી રહે છે. એક વર્ષ પરિષદનું સંમેલન યોજાય અને એક વર્ષ જ્ઞાનસત્ર ગોઠવાય એ પ્રથા આવકાર્ય છે. આશા રાખી એ કે ૫રિષદ પ્રાણવાન બને અને સાચા અર્થમાં પ્રજાની પ્રતિનિધિ બને. અહીં ‘લેખકમિલન'ને પણ યાદ કરવું જેઈએ. ૧૯૫૦માં વડોદરા, ૧૯૫૩માં સૂરત, ૧૯૫૫માં ફરી વડોદરા અને ૧૯૫૭માં અમદાવાદમાં ‘લેખકમિલન'ની બેઠકો યોજાઈ હતી. લેખકમિલનની ખૂબી એની અનૌપચારિકતામાં હતી. પોતાને લેખક માનતી પ્રત્યેક નાનીમોટી વ્યક્તિઓમાં ઊલટભેર ભાગ લેતી. વળી ગૌરવપ્રદ બીના એ હતી કે લેખકમિલનને એનું બંધારણ જ ન હતું. એક અલગારી યુવાનની અદાથી એ સંસ્થા ગુજરાતને એક સ્થળેથી બીજે સ્થળે ઘૂમતી રહી અને સત્કારાતી રહી. સાહિત્યપરિષદમાં નવું લોહી પ્રવેશ્યુ અને લેખકમિલનનો પ્રવાહ સાહિત્યપરિષદમાં સાહજિક રીતે સમરસ બની ગયો. લેખકમિલનનો રંગ પરિષદની પ્રૌઢતાને લાગશે તો જરૂર એને કાયાકલ્પ થશે. સાહિત્ય પરિષદ આંતરે વરસે મળે છે. બે પરિષદો વચ્ચેના વચલા વર્ષમાં શહેરથી દૂર કોઈ ગ્રામવિસ્તારમાં ‘જ્ઞાનસત્ર' યોજાય છે. ‘જ્ઞાનસત્ર'માં ખ્યાતનામ અને આશાસ્પદ લેખકો સાથે મળી મુક્ત ચર્ચા કરી શકે છે. જાણે અજાણે ‘લેખક મિલન'નું રૂપાંતર ‘જ્ઞાનસત્ર'માં થયુ છે એ નોંધવું જોઈએ. આ જ દાયકામાં અખિલ ભારતીય ધોરણે 'સાહિત્ય અકાદેમી' નામની સંસ્થા બારમી માર્ચ ૧૯૫૪ ને ‘દાંડીકૂચ-દિને' દિલ્હીમાં સ્થપાઈ ત્યારે અકાદેમીના પ્રમુખ શ્રી જવાહરલાલ નહેરુ હતા અને ઉપપ્રમુખ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ હતા. ભારતનાં તમામ રાજ્યોના પ્રતિનિધિઓ એમાં છે. અકાદેમી ભારતીય સાહિત્યગ્રંથસૂચિ તૈયાર કરી રહી છે. વીસમી સદીમાં હયાત હોય એવા સાહિત્યકારોનાં પુસ્તકની (૧૯૫૩ સુધીની) સૂચિ, દેશની બધી જ ભાષાઓની, તૈયાર થઈ રહી છે. કેટલાક ભાગો છપાઈ ચૂક્યા છે. દરેક ભાષાના સાહિત્યનો ઇતિહાસ ત્રણસો જેટલાં પૃષ્ઠોમાં તૈયાર કરવાની યોજના પણ અમલમાં મુકાઈ રહી છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર કરવાનું શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ સ્વીકાર્યું છે. ભારતીય સાહિત્યકારોના પરિચયનું પુસ્તક Who's Who તૈયાર થઈ રહ્યું છે. ‘સમકાલીન ટૂંકી વાર્તાઓ'નો સંગ્રહ પણ દેશની ભાષાઓમાંથી પ્રતિનિધિ વાર્તાઓ પસંદ કરીને પ્રગટ કર્યો છે. ‘ઇન્ડિયન લિટરેચર' નામે એક અર્ધ વાર્ષિક ૧૯૫૮થી અકાદેમી પ્રગટ કરે છે, જેમાં દર વરસે દેશની દરેક ભાષામાં થયેલી સાહિત્યપ્રવૃત્તિનો પરિચય અપાય છે. અકાદેમીમાં આરંભથી જ આપણા પ્રતિનિધિ તરીકે પ્રસિદ્ધ સાહિત્યકારો શ્રી કાકા કાલેલકર અને શ્રી ઉમાશંકર જોશી બેસે છે. અકાદેમીએ ગોવર્ધનરામ ત્રિપાઠીની અપ્રગટ ‘સ્કેપ બુક'નાં બે વૉલ્યુમોના પ્રકાશનમાં આર્થિક સહાય કરી છે. દર વરસે ભારતની તે તે ભાષામાં પ્રગટ થયેલા ઉત્તમ ગ્રંથને પાંચ હજારનું પારિતોષિક આપવાનો પ્રબંધ અકાદેમીએ કર્યો છે. આ દાયકા દરમ્યાન ગુજરાતીમાં પ્રગટ થયેલ ‘મહાદેવભાઈની ડાયરી' ભાગ-૧ (સ્વ. મહાદેવભાઈ દેસાઈકૃત), ‘બૃહત્ પિંગલ' (સ્વ. રા.વિ. પાઠકકૃત), તેમ જ ‘દર્શન અને ચિંતન' (પંડિત સુખલાલજીકૃત), અકાદેમી પારિતોષિક પામ્યાં છે. અકાદેમીના સૂચન અનુસાર અન્ય ભાષાઓની ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં સુલભ બની છે. ‘ભગવાન બુદ્ધ' (અનુ. સ્વ. ગોપાલરાવ કુલકર્ણી); ‘રવિ-રશ્મિ' ૧-૨ (અનુ. સ્વ. બચુભાઈ શુક્લ); ‘માટીની મૂર્તિઓ' (અનુ. જયન્ત બક્ષી); ‘બાણભટ્ટની આત્મકથા' (અનુ. નવરંગ ધોળકિયા); ‘મોલિયેરનાં બે નાટકો' (અનુ. હંસા મહેતા). આ ઉપરાંત ‘ગુજરાતીનાં એકાંકી' (સં. શ્રી ગુલાબદાસ બ્રોકર); ‘નાનાલાલ મધુકોષ' (સં. શ્રી અનંતરાય રાવળ); ‘સરસ્વતીચંદ્ર બૃહત્ સંક્ષેપ' (સ.. શ્રી ઉપેન્દ્ર પંડ્યા) અને ‘ગૂજરાતી ટૂંકી વાર્તા' (સં. શ્રી મનસુખલાલ ઝવેરી) પણ અકાદેમીનાં પ્રકાશનો છે. સાહિત્ય અકાદેમી હજી તો પાંગરતો છોડ છે. દેશની અને દુનિયાની વિવિધ ભાષાઓની ઉત્તમ કૃતિઓ દ્વારા સંસ્કારવિનિમય શક્ય બનાવતી અકાદેમી ખૂબ ફૂલેફાલે એવી અભ્યર્થના. સાહિત્ય અકાદેમીના પ્રમુખ શ્રી જવાહરલાલ નહેરુને વરદ હસ્તે ૧૯૫૯ના નવેંબરની ૨૮ મીની સવારે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના પ્રાંગણમાં કવિશ્રી ન્હાનાલાલની મહત્ત્વાકાંક્ષી કૃતિ ‘હરિસંહિતા'નું પ્રકાશન થયું એ એક મધુર યોગ કહેવાય. તે દિવસે ગુજરાતનો લાડીલો કવિ રાષ્ટ્રના લાડીલા નેતાને હાથે બહુમાન પામ્યો એ ઘટના આપણા ઇતિહાસમાં ચિરંજીવ રહેશે. જેમ સાહિત્ય એકાદમી ભારતની ભગિનીભાષાઓ વચ્ચે સેતુ બની રહી છે તેમ બીજી પણ એક સરકારપ્રેરિત પ્રવૃત્તિની અહીં નોંધ લેવી જેઈએ. ૧૯૫૬માં બૃહદ્ મુંબઈ રાજ્ય સ્થપાયું ત્યારે અને ૧૯૬૦માં ગુજરાત રાજ્ય સ્થાપાયું ત્યારે પણ તે તે પ્રાદેશિક સરકારોએ રાજ્યભાષાઓની વર્ષની ઉત્તમ કૃતિઓને ઈનામ આપવાની પ્રથા શરૂ કરી છે. કવિતા, વાર્તા, નાટક, નવલકથા, વિવેચન, વિજ્ઞાન, બાલસાહિત્ય વગેરેમાં બબ્બે ત્રણ ત્રણ ઇનામો અપાય છે એથી સાહિત્યકારોને ઉત્તેજન મળે છે એ ચોક્કસ. પસંદગી સમિતિના નિર્ણયો વિશે ભાગ્યે જ એકમત પ્રવર્તી શકે. વાદવિવાદમાંથી જ ધીરે ધીરે સંવાદ સ્થપાય એવી શ્રદ્ધા સાહિત્યના ક્ષેત્રમાં વધુ પડતી ન ગણાય. ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ માન જેમાં ગૌરવપૂર્વક જળવાયું છે તે રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર આ દાયકાના દસે સાહિત્ય-સંસ્કાર સેવકોને અભિનંદન આપીએ છીએ અને એમની સાધના સિદ્ધિનાં નવાં શિખરો સર કરે એવી શુભેચ્છા સેવીએ છીએ. સર્વશ્રી જયશંકર ‘સુંદરી' (૧૯૫૧), કે. કા. શાસ્ત્રી (૧૯૫૨), ભોગીલાલ સાંડેસરા (૧૯૫૩), ચંદુલાલ. પટેલ (૧૯૫૪), અનંતરાય રાવળ (૧૯૫૫), રાજેન્દ્ર શાહ (૧૯૫૬), ચુનીલાલ મડિયા (૧૯૫૭), કૃષ્ણલાલ શ્રીધરાણી (૧૯૫૮), જયંતી દલાલ (૧૯૫૯), હરિપ્રસાદ શાસ્ત્રી (૧૯૬૦). આવું જ બીજું માન છે નર્મદ સુવર્ણચંદ્રક. આ દાયકાના નર્મદ ચંદ્રક વિજેતાઓ છે સર્વશ્રી ચુનીલાલ મડિયા, સુન્દરમ્, ધૂમકેતુ, કિશનસિંહ ચાવડા, હરિપ્રસાદ શાસ્ત્રી, શિવકુમાર જોશી અને નિરંજન ભગત. આ સર્વે સાહિત્યકારોને પણ મુબારકબાદી, બંને ચંદ્રકો સાથે સંકળાયેલી ગુજરાતની અસ્મિતાના બે જ્યોતિર્ધરોની સ્મૃતિ એના ધારકોને સદાય પ્રેરણા આપતી રહેશે. આ દાયકો ગયા દાયકા (૧૯૪૧-૧૯૫૦) જેટલો રોમહર્ષણ બનાવોથી ભરચક નથી. સર્જનક્ષેત્રે એ બનાવોને આલેખતી કે ગૂંથી લેતી કોઈ નોંધપાત્ર કૃતિ એ દાયકામાં નહોતી મળી. સર્જક ચિત્ત ક્યારે સંવેદન અનુભવશે એ કહી શકાય નહિ. કાર્યકારણનો કોઈ નિયમ વાક્મયસૃષ્ટિમાં કારગત નીવડ્યો જાણ્યો છે? કેટલીયે ઐતિહાસિક ઘટનાઓ સર્જકને ઉશ્કેર્યા કે ઉત્તેજ્યા વિના કાળગર્ભમાં વિલીન થઈ જાય છે. આ દાયકાના મહત્ત્વના બનાવો સાથે સીધો સંબંધ નથી એવી કેટલીક મહત્ત્વની કૃતિઓનો ઉલ્લેખ અહીં અનિવાર્ય ગણાય. આ દાયકાનું કવિતાસાહિત્ય ગયા દાયકાને મુકાબલે વિપુલ અને સમૃદ્ધ ૫ણ છે. ‘યાત્રા' અને ‘ધ્વનિ' જેવા કાવ્યસંગ્રહો આ દાયકાનાં શ્રેષ્ઠ પ્રકાશનો છે, તે આપણા સદ્ગત કવિશ્રી ન્હાનાલાલનું સત્તાવીસ હજાર પંક્તિઓમાં વિસ્તરીને મહાન કાવ્યરચનાના આપણે ત્યાં થયેલા પ્રયોગોમાં વિશિષ્ટ અને લાક્ષણિક ભાત પાડતું ‘હરિસંહિતા'નું પ્રકાશન પણ આ દાયકાની અવિસ્મરણીય ઘટના છે. વિવિધ પેઢીની કાવ્યપ્રવૃત્તિઓ આ દાયકાને એક અનેખી છટા અર્પે છે. ન્હાનાલાલ, રામનારાયણ, દેશળજી પરમાર, સુન્દરમ્-ઉમાશંકર અને એમની પેઢીના કવિઓ તેમ જ નવતર કવિઓની કવિતા-આ સર્વથી આ દાયકાની કવિતા વિવિધ રંગો ધારણ કરે છે. તો, નવલકથાક્ષેત્રે શ્રી દર્શકની ‘ઝેર તો પીધાં છે જાણી જાણી'ના બે ભાગ; શ્રી પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઈ'ના અનુસંધાનમાં લખાયેલી ‘ભાંગ્યાના ભેરુ 'એ આ દાયકાની ઉત્તમ કૃતિઓ છે. જૂનાઓમાં શ્રી કનૈયાલાલ મુનશીની ‘ભગ્નપાદુકા' (પહેલો ભાગ) અને ‘તપસ્વિની’(ત્રણ ભાગ) નોંધપાત્ર છે. શ્રી ધૂમકેતુ અને શ્રી ગુણવંતરાય આચાર્ય સંખ્યાની દૃષ્ટિએ થોકબંધ નવલકથાઓ અને ‘ગ્રંથાવલિ'ઓ આપ્યે જ જાય છે; જેમાંની મોટાભાગની કૃતિઓમાં વાર્તારસ સિવાય કશું જ ચિરંજીવ નથી. શ્રી પેટલીકરની ‘પ્રેમપંથ', શ્રી મડિયાની ‘વેળા વેળાની છાંયડી’ અને ‘લીલુડી ધરતી'; શ્રી પીતાંબર પટેલની ખેતરને ખોળે'; શ્રી સારંગ બારોટની ‘નંદનવન' પણ ઉલ્લેખનીય છે. નવીન લેખકોમાં શ્રી શિવકુમાર જોશીકૃત ‘કંચુકી બંધ' અને ‘અનંગ રાગ’; શ્રી ‘સુહાસી'ની ‘મેઘલી રાતે'; શ્રી ભગવતીકુમાર શર્માની ‘પ્રેમયાત્રા'; શ્રી વિશ્વમિત્રની ‘મંગલયાત્રા': શ્રી શ્રી મહમ્મદ માંકડની ‘કાયર'; શ્રી ચંદ્રકાંત બક્ષીકૃત ‘પડઘા ડૂબી ગયા' અને ‘રોમા' ખાસ નોંધપાત્ર છે. એમાં શ્રી શિવકુમાર અને શ્રી ચંદ્રકાન્ત, શ્રી ભગવતી કુમાર અને શ્રી મોહમ્મદ માંકડ ખૂબ જ આશાસ્પદ નવલકથાકારો છે. નવલિકાના પ્રદેશમાં આ દાયકે ઠીક ઠીક સંખ્યામાં નવા વાર્તાસંગ્રહ મળ્યા છે. શ્રી સુરેશ જોષીકૃત ‘ગૃહપ્રવેશ', શ્રી ચંદ્રકાન્ત બક્ષીકૃત ‘પ્યાર'; સ્વ. કેતન મુનશીકૃત ‘સ્વપ્નનો ભંગાર', શ્રી મોહનલાલ પટેલકૃત ‘હવા તુમ ધીરે બહો!', શ્રી રમણલાલ પાઠકકૃત ‘સબસે ઊંચી પ્રેમસગાઈ’, શ્રી સરોજબહેન પાઠકકૃત ‘પ્રેમ ઘટા ઝુક આઈ'- આટલા ખાસ ઉલ્લેખપાત્ર સંગ્રહો છે. શ્રી કિશનસિંહ ચાવડાકૃત ‘અમાસના તારા' વાર્તાક્ષેત્રે એક અપૂર્વ, અનોખું, અર્પણ છે. શ્રી ચુનીલાલ મડિયાના ‘શરણાઈના સૂર' અને '‘અંતઃસ્ત્રોતા' એ બંને સંગ્રહો એમની સ્થિરદ્યુતિ વાર્તાકલાની શાખ પૂરે છે. શ્રી જયંતી દલાલકૃત ‘આ ઘેર પેલે ઘેર', શ્રી પન્નાલાલ પટેલકૃત ‘વાત્રકને કાંઠે' અને શ્રી બ્રોકરકૃત ‘પુણ્ય પરવાર્યું નથી’ પણ નિજી વ્યક્તિત્વના મહોરવાળા વાર્તાસંગ્રહો છે. નાટકની દિશામાં ખાસ કરીને એકાંકી નાટકો અને રેડિયો નાટિકાઓના ક્ષેત્રમાં આ દાયકે સારું એવું પ્રદાન થયુ છે. નવીનોમાં સૌ પ્રથમ શ્રી શિવકુમાર જોશીકૃત ‘પાંખ વિનાનાં પારેવાં' અને ‘અનંત સાધના' તેમ જ ‘સુમંગલા’ નોંધપાત્ર નાટ્યકૃતિઓ છે. શ્રી મડિયાના ‘રંગદા', ‘વિષવિમોચન' અને ‘શૂન્યશેષ', શ્રી ઉમાશંકર જોશીકૃત ‘શહીદ', શ્રી બ્રોકર કૃત ‘જ્વલંત અગ્નિ', શ્રી જયંતી દલાલકૃત ‘બીજો પ્રવેશ', ‘ત્રીજો પ્રવેશ' અને ‘ચોથો પ્રવેશ’, શ્રી ચંદ્રવદનકૃત ‘રંગભંડાર' અને ‘હોહોલિકા' તેમ જ શ્રી કનૈયાલાલ મુનશીકૃત ‘વાહ રે મેં વાહ' એ નોંધપાત્ર પ્રકાશનો છે. રેડિયોના માધ્યમે, નાટ્ય સ્પર્ધાએ અને સરકારી ઈનામોએ નાટ્યલેખનને ઉત્તેજન આપ્યું છે એમ કહેવામાં અત્યુક્તિ નથી. સંખ્યાની દૃષ્ટિએ વિપુલ દેખાતો ચરિત્ર વિભાગ ટિળક, મણિલાલ, કિશોરલાલ, ત્રિભુવનદાસ ગજજર જેવાની જીવનકથાઓથી, ઇંદુલાલ, નાનાભાઈ ચંદ્રવદન, મુનશી, ધૂમકેતુ જેવાની આત્મકથાઓથી, ગાંધીજી જેવી વિભૂતિનાં આલેખાયેલાં વિવિધ સંસ્મરણોથી, મહાદેવભાઈની ડાયરીના પાંચમા ભાગના પ્રકાશનથી તેમ જ નરસિંહરાવની રોજનીશી અને ગાંધીજીના પત્રોના સંપાદનથી સત્ત્વવંતો બન્યો છે. કાકાસાહેબ, રામનારાયણ, મશરૂવાળા તેમ ઉમાશંકરના નિબંધસંગ્રહો; જ્યોતીન્દ્ર, ઉમાશંકર, ચિનુભાઈ પટવા, બકુલ ત્રિપાઠીના લઘુ-લલિત નિબંધો આ દાયકાનાં આવકારદાયક પ્રકાશનો છે. બળવંતરાય, રામનારાયણ, સંજાણા, ઉમાશંકર, અનંતરાય, મનસુખલાલ, અને સુરેશ જોશીના વિવેચનગ્રંથો, કે. કા. શાસ્ત્રી અને અનંતરાય રાવળના પ્રાચીનમધ્યકાલીન યુગ વિશેનાં સાહિત્ય-ઇતિહાસ-લેખનો આ દાયકાના નિબંધવિવેચન વિભાગને ઉજમાળો બનાવે છે. પંડિત સુખલાલજીના ‘દર્શન અને ચિંતન' જેવા લલિતેતર વિભાગની સમૃદ્ધિ દાખવતા ગ્રંથો, ‘બૃહત્ પિંગલ' જેવો શકવર્તી સંશોધન ગ્રંથ, ‘કચ્છનું સંસ્કૃતિદર્શન' જેવો તે પ્રદેશનો સર્વગ્રાહી આકરગ્રંથ, ડૉ. ભાયાણી, પ્રિ. કે. બી. વ્યાસ, ડૉ. સાંડેસરા અને શ્રી. કે. કા. શાસ્ત્રી જેવા વિદ્વાનોનાં શાસ્ત્રીય સંપાદનો અને બેત્રણ ભાષાવિજ્ઞાનનાં પુસ્તક, ભગવદ્ગોમંડલના છેવટના ચાર ગ્રંથો, રસિકલાલ પરીખનું ‘ગુજરાતની રાજધાનીઓ’, હરિપ્રસાદ શાસ્ત્રીનું ‘મૈત્રકકાલીન ગુજરાત' અને ‘દર્શક'નું ‘આપણો વારસો અને વૈભવ' જેવાં ઇતિહાસ વિભાગનાં સમૃદ્ધ પ્રકાશનો-આ સર્વે વીસમી સદીના ૬ઠ્ઠા દાયકાનો ઉત્તમ ફાલ છે એમ કહી શકાય. હવે ક્રમેક્રમે સર્વ સાહિત્યસ્વરૂપોની કૃતિઓનું પંખીદર્શન કરીએ.