ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ઇબ્રાહીમ દાદાભાઇ પટેલ ઉર્ફે ‘બેકાર’


ગ્રંથકાર ચરિત્રાવળી
ઇબ્રાહીમ દાદાભાઈ પટેલ ઉર્ફે ‘બેકાર’

એઓ જાતે સુન્ની મુસલમાન (પટેલ વહોરા) અને મૂળ વતની ભરૂચ જીલ્લાના ખાનપુર દેહના છે. એમના પિતાનું નામ દાદાભાઈ યાકુબ પટેલ અને માતાનું નામ દાજીબાઈ અલીભાઈ પટેલ છે. એમનો જન્મ ખાનપુર દેહમાં સન ૧૯૦૦માં થયો હતો. લગ્ન સન ૧૯૧૯માં અકોટા તાબે વડોદરામાં થયું હતું. એમના પત્નીનું નામ ફાતમાબાઈ છે. એઓ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાંથી સન ૧૯૧૮માં ત્રીજા વર્ષમાં પાસ થઈ નિકળ્યા હતા. ત્યાં તેમને ચિત્રકામ બદલ તેમ કસરત માટે ઈનામ મળ્યાં હતાં. હમણાં તેઓ શિક્ષક ઉપરાંત લેખનકાર્ય અને ખેતીમાં પણ લક્ષ આપે છે. હાસ્ય લેખો માટે બે વખત ઇનામ મેળવ્યું છે. સંગીત એ એમનો પ્રિય વિષય છે. ઈસ્લામી લેખકોની સંખ્યા થોડી છે; એઓ ગુજરાતી દ્વારા પોતાની અદના શક્તિનો અને જ્ઞાનનો લાભ જનતાને આપવાનું ચાલુ રાખશે, તો તેમાંથી નવીન જાણવા શિખવાનું મળવાની સાથે બે કોમ વચ્ચેનો એખલાસ દિન પ્રતિદિન વૃદ્ધિ પામશે એ સ્પષ્ટ છે.

: : એમની કૃતિઓ : :

૧. ચાલુ જમાનાનો ચિતાર (હાસ્ય પ્રધાન નાટક) સન ૧૯૨૭
૨. રસનાં ચટકાં (હાસ્ય લેખોનો ૧ લો સંગ્રહ)  ”  ૧૯૨૯
૩. હાસ્ય કુંજ (હાસ્ય લેખનો ૨ જો સંગ્રહ)  ”  ૧૯૩૦