ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જયરામદાસ જેઠાભાઈ નયગાંધી
એઓ જાતના ભાટિયા છે. વતની (કચ્છ) અંજારના અને જન્મ પણ એ જ સ્થળે સં. ૧૯૬૦ના શ્રાવણ સુદ પુનમે બળેવના શુભ દિવસે થયો હતો. એમના પિતાનું નામ જેઠાભાઈ કરશનદાસ અને માતાનું નામ ઝવેરબાઈ છે. એમનું લગ્ન સં. ૧૯૭૬ માં અંજારમાં થયું હતું. એમની પત્નીનું નામ મોતીબાઇ છે. પોતે ઈંગ્રેજી છ પુસ્તકોનો અભ્યાસ કરેલો છે; છતાં એટલા સમયમાં એમણે સહાધ્યાયીઓને તેમ હેડ માસ્તરનો સારો ચાહ સંપાદન કર્યો હતો. અભ્યાસ છોડ્યા પછી પિતાની આજ્ઞાથી હિન્દમાં જૂદે જૂદે સ્થળે ભ્રમણ કરેલું. અત્યારે તેઓ વેપાર અને વહાણવટાનો ધંધો કરે છે; પણ સાહિત્યવાચન અને લેખન માટે સદા ઉત્સુક રહે છે. એમણે કચ્છનો બૃહદ્ ઈતિહાસ લખીને કિમતી સેવા બજાવી છે. તે કાર્યમાં તેમણે જુનાં હસ્તલિખિત ગ્રંથો ઉપરાંત કચ્છી કાફી, દુહા, લોકવાર્તા, શિલાલેખ, પાળિયા વગેરેનો ઉપયોગ કરેલો છે; છતાં કચ્છ વિષે હજુ ઘણું ઘણું જાણવાનું બાકી રહે છે. એ પ્રાંત બહુ જુનો છે; અનેક પ્રકારની માહિતીથી ભરપૂર છે. તેઓ અવકાશનો સમય એ વિષયને વધુ ખીલવવામાં અને ખેડવામાં ગાળશે તો પ્રાંતની સેવાની સાથે સમસ્ત જનતાને એક મૂલ્યવાન પુસ્તક તેઓ અર્પણ કરી શકશે.
: : એમના ગ્રંથો : :
| ૧. | કચ્છનો બૃહદ્ ઇતિહાસ | સં. ૧૯૮૩ |
| ૨. | કચ્છની રસધાર | ”” |
| ૩. | કચ્છનો બાલોપયોગી ઇતિહાસ | ”” |