ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ઠક્કર શ્રી વસનજી માધવજી વ્યાખ્યાનમાળા :

ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા.
સન. ૧૯૨૯-૩૦.

વ્યાખ્યાતા,
શ્રીયુત્‌ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા, બી. એ. સી. એસ;

ગુજરાતી ભાષા અને સાહિત્ય વિષે શ્રીયુત્‌ નરસિંહરાવભાઈ જે કાંઈ બોલે લખે તે જાણવા માટે ગુજરાતી વાચકવર્ગ સ્વાભાવિક રીતે ઉત્સુક રહેજ; એટલુંજ નહિ પણ એમનું લખાણ આદરપાત્ર અને વિચારણીય ગણાય. પ્રસ્તુત વ્યાખ્યાનો એમણે ગઈ સાલ મુંબાઈ યુનિવ્હર્સિટી તરફથી પહેલ પ્રથમ આપ્યાં હતાં. તે ઇંગ્રેજીમાં લખાયાં હતાં; પણ “વસન્ત કાર્યાલયે” તેનો સાર ગુજરાતીમાં છાપી એક પ્રશસ્ય કાર્ય કર્યું હતું. પરંતુ તે વાંચ્યા પછી અમને થયા કરતું હતું કે એક પુસ્તિકારૂપે સદરહુ વ્યાખ્યાનો સંકલિત થવાની જરૂર છે, જે સાહિત્યના અભ્યાસીને ઉપયોગાર્થે સવડભર્યું થઇ પડે; તેમ તેનો બહોળો પ્રચાર થવા પામે. આવી માન્યતાથી અમે વિદ્વાન ભાષણકર્તાને તે વ્યાખ્યાનો “ગ્રંથ અને ગ્રંથકાર” પુ. ૨ માં પુનઃ પ્રકટ કરવા પરવાનગી માંગેલી, જે એમણે ઉદારતાપૂર્વક તુરત આપી હતી; અને “વસન્ત કાર્યાલય”નો તો આપણા પર ઉપકાર છે જ.

સંપાદક