ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/મહાત્મા ત્રિકમલાલજી મહારાજ

મહાત્મા ત્રિકમલાલજી મહારાજ

એઓ જ્ઞાતે પાટણના ઝારોળા બ્રાહ્મણ છે; અને એમનો જન્મ સં. ૧૯૦૯ના શ્રાવણ સુદ સાતમને દિવસે પાટણમાં થયો હતો. તેમના પિતાનું નામ નારણજી અને માતાનું નામ સાંકુબાઈ છે. તેમની પત્નીનું નામ ગોનાંદકુંવર, જેઓ ગુજરી ગયેલા છે. સામાન્ય ગુજરાતી ભાષાનો તેમનો અભ્યાસ છે; અને તે ઉપરાંત બ્રહ્મસમાજયુક્ત શ્રૌત સ્માર્ત અને નિત્યકર્માદિનું જ્ઞાન છે. ચુંવાલીસ વર્ષે તેઓ સંસારનો ત્યાગ કરી ગીરી ગુફામાં જઈ રહેલા; અને ત્યાં યોગસિદ્ધિ કરેલી. પાટણના બાબુ હરિલાલના સહવાસથી એક અવધૂત યોગીના પ્રતાપે કેટલીક યોગક્રિયા જાણેલી. ત્યારબાદ કાશીના બ્રહ્માનંદજી મહાત્મા પાસેથી તે દિશામાં વધુ જ્ઞાન મેળવેલું. એમનો અભ્યાસનો પ્રિય વિષય તત્ત્વજ્ઞાન છે; અને તે કારણને લઇને એઓ તત્ત્વજ્ઞાનને લગતાં પદો રચી યોગમાર્ગે જનાર મુમુક્ષુઓને તેનો લાભ આપી રહ્યા છે. દર ગુરુ પૂર્ણિમાએ મોટો ઉત્સવ થાય છે તે વખતે કેટલાએ ભાવિકજનો ત્યાં આવી એમના ભજનકીર્તન સાંભળવાનો લ્હાવો લે છે.

: : એમના ગ્રંથો. : :

ત્રિકમ તત્ત્વ, ભા. ૧ સં.
  ”ભા. ૨ સં. ૧૯૮૨
આત્મજ્ઞાન વિષે મુમુક્ષુજનોને સમજણ સં. ૧૯૮૬