ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/બાલકૃષ્ણ ચુનીલાલ જોશી ‘ઉર્ફે (‘જ્યોતિ’)
એઓ ઉદિચ્ય ટોળકિયા બ્રાહ્મણ જ્ઞાતિ, શુક્લ યજુર્વેદ-માધ્યંદિની શાખા-સાંકૃત ગોત્ર–ના છે. એઓ મૂળ સિનોરના વતની છે અને જન્મ તા. ૧૫ મી ઑગષ્ટ ૧૮૯૫ના રોજ ડભોઈમાં થયો હતો. એમના પિતાનું નામ ચુનીલાલ કાશીનાથ જોશી અને માતુશ્રીનું નામ ગં. સ્વ. ગુલાબબા વસંતરામ પંડ્યા છે. પિતા રેવન્યુ ખાતામાં તલાટી હતા. એમના પિતામહ મુંબાઈમાં એક ઝવેરીને ત્યાં મુનીમ હતા અને પ્રપિતામહ નરનારાયણ મંદિર (મુંબાઈ)માં વ્યાસ તરીકે કથાવાર્તા કરતા હતા. એમનું પ્રથમ લગ્ન ૧૦ મા વર્ષે સિનોરમાં સ્વ. સવિતાગૌરી દલસુખરામ સાથે થયું હતું અને દ્વિતીય લગ્ન ડભોઈમાં સૌ. કુસુમલક્ષ્મી રામનારાયણ પુરોહિત સાથે ૩૩ મા વર્ષે થયું હતું. પ્રાથમિક શિક્ષણ છ ધોરણ સુધીનું એમણે સિનોરમાં લીધું હતું. માધ્યમિક પાંચ ધોરણ સુધીનું ડભોઈમાં અને ત્યારબાદ વડોદરા હાઇસ્કૂલમાં છઠ્ઠા અને સાતમા ધોરણનો અભ્યાસ કર્યો હતો. તે પછી વડોદરા કૉલેજમાં જોડાયલા. વળી વડોદરા રાજ્યની એસ. ટી. સી. ની પરીક્ષા પહેલા વર્ગમાં એમણે પાસ કરેલી છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી લેવાતી સામાન્ય અને ઉચ્ચ શ્રેણીઓની પરીક્ષા પણ આપી તેમાં પસાર થયા છે; અને સ્કાઉટિંગનો સારો અનુભવ લીધો છે. હમણાં તેઓ પાદરા હાઈસ્કૂલમાં શિક્ષક છે. એમના પ્રિય વિષયો સાહિત્ય, ચરિત્ર, શારીરિક વિકાસ અને ઇતિહાસ છે. મહાત્માજી, સ્વ. રાનાડે અને ટૉલ્સ્ટોયની એમના જીવનપર અસર થયાનું તેઓ જણાવે છે. એમના પ્રિય પુસ્તકો સરસ્વતીચંદ્ર, પ્રવાસીના પત્રો અને કોનો વાંક? વગેરે છે. સંગીતનો ખાસ શોખ છે. સારી રીતે ગાઇ બજાવી જાણે છે. ડૉ. કેતકર તરફથી ગુજરાતી જ્ઞાન કોષ કાર્યમાં તેમ ગોંડલ રાજ્ય તરફથી તૈયાર થતા શબ્દકોષમાં એમણે ફાળો આપેલો છે. નીચે એમનાં પુસ્તકોની યાદી નોંધી છે, તે એમની બુદ્ધિ શક્તિનો ખ્યાલ આપશે.
: : એમની કૃતિઓ : :
| ૧ | ભારતીય શિક્ષણનો ઇતિહાસ (રા. ચીમનલાલ માણેકલાલ જાની સાથે) | સન ૧૯૨૦ |
| ૨ | પ્રાચીન જાતિ અને જ્ઞાતિ[1] ભા-૧-૨ | સન ૧૯૨૪ |
| ૩ | સુશીલા[2] | ”” |
| ૪ | ગૌરી | ” ૧૯૨૫ |
| ૫ | ડાક્ટર કે દૈત્ય | ” ૧૯૨૬ |
| ૬ | દેશસેવક દમ્પતી | ”” |
| ૭ | સંન્યાસિની | ” ૧૯૨૭ |
| ૮ | સુમતિ | ” ૧૯૨૮ |
| ૯ | રણવીરની તલવાર | ” ૧૯૨૯ |