ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ગટુલાલ ગોપીલાલ ધ્રુવ
એઓ વડનગરા નાગર ગૃહસ્થ (જ્ઞાતિમાં જન્મેલા) અને અમદાવાદના વતની છે. એમનો જન્મ તા. ૧૦ મી મે સન ૧૮૮૧ના રોજ અમદાવાદમાં થયો હતો. એમના માતુશ્રી બાળાબ્હેન તે સ્વર્ગસ્થ સરદાર ભોળાનાથભાઇના પુત્રી; અને એમના પિતા ગોપીલાલ મણિલાલ તે ઘણા સમય અમદાવાદમાં નાજરના હોદ્દાપર હતા અને તેમણે તે જગોપર સારી નામના મેળવી હતી. એમનું લગ્ન સન ૧૯૦૪માં અમદાવાદમાં શ્રી. રણછોડરાય આણંદરાય દીવેટીઆની પુત્રી શ્રીમતી શ્રીદેવી સાથે થયું હતું. એમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાં તેમ કેટલોક સમય ઉમરેઠમાં–એમના પિતા તે વખતે ત્યાંની કોર્ટમાં ક્લાર્ક ઑફ ધી કોર્ટ હોઇને–લીધું હતું. માધ્યમિક શિક્ષણ મિશન સ્કુલમાં અને સરકારી હાઇસ્કુલમાં લીધું હતું. તેઓ સન ૧૮૯૮માં મેટ્રીક્યુલેશનની પરીક્ષા પાસ કરી ગુજરાત કૉલેજમાં દાખલ થયા હતા. તે પછી થોડો થોડો સમય તેઓએ વિલ્સન કૉલેજ અને એલ્ફીન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ સન ૧૯૦૪માં લોજીક અને મોરલ ફિલોસોફીનો ઐચ્છિક વિષય લઇને બી. એ. થયા હતા. તે પછી તેઓ કેળવણી ખાતામાં જોડાયા; અને ગુજરાતના લગભગ બધા જીલ્લાનાં શહેરોમાં નોકરીના અંગે તેઓ ફરી વળ્યા હતા. છેવટના દસ વર્ષમાં તેઓ આસિ. ડેપ્યુટી એજયુકેશનલ ઇન્સ્પેક્ટરની જગોપર હોઈને ગામડે ગામડે તેમને ફરવાનું થતું. પ્રવાસ કરવાનું એમને બહુ પ્રિય છે. જ્યાં જાય છે ત્યાં તેઓ લોકસ્થિતિ અને રીતભાતનું, ઐતિહાસિક સ્થાનો વગેરેનું રસપૂર્વક નિરીક્ષણ કરે છે. એઓ હિન્દુસ્તાનના ચારે ખૂણે ફરી વળેલા છે અને એમને એમના પ્રવાસ વિષે વાત કરતાં સાંભળીએ તો માલુમ પડે કે પરપ્રાંતની એમની માહિતી કેટલીબધી ઝીણી તેમ ભરપુર છે. ધર્મ, સમાજશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન એ એમના પ્રિય વિષયો છે; તેમ સ્વર્ગસ્થ નારાયણ હેમચંદ્રનાં પુસ્તકોએ, ટાગોરની ‘સાધના’એ અને બાઇબલે એમનાી જીવનપર કાયમની અસર કરી છે. એમના માતુશ્રી બાળાબ્હેનના ઉન્નત સંસ્કાર એમનાપર પડેલા. તે ઉપરાંત સ્વર્ગસ્થ સર રમણભાઈ ડૉ. મેફનિકોલ અને બાબુ ક્ષિતિમોહન સેન પાસેથી એઓ ઘણું શિખ્યા છે. અમદાવાદ પ્રાર્થના સમાજમાં છેલ્લા પંદર વર્ષથી તેઓ મુખ્ય કાર્યકર્તા છે અને ગુજરાત સંસાર સુધારાનું તંત્ર ચલાવવામાં તેઓ અગ્રેસર છે. વિધવાઓ પ્રતિ તેમની સહાનુભૂતિ બહોળી છે અને અનેક વિધવા બ્હેનોને ઠેકાણે પાડવામાં તેમ તેમને રાહત આપવામાં તેઓ પુષ્કળ શ્રમ લે છે. સ્ત્રી કેળવણીમાં તેમને ઘણો રસ છે અને છેલ્લા ચાર વર્ષથી તેઓ ગુજરાત સ્ત્રીકેળવણી મંડળના મંત્રી પદે છે. રા. સા. મહીપતરામ અનાથાશ્રમના એક મંત્રી તરીકે એમની સેવા વિસરાય એવી નથી. આવા સંસ્કારી અને સુશિક્ષિત ગૃહસ્થો હસ્તક આપણી સાર્વજનિક સંસ્થાઓનો વહિવટ રહે તો જરૂર થોડા સમયમાં સુધારાના ક્ષેત્રમાં ઘણી પ્રગતિ જોવામાં આવે. સુભાગ્યે તેઓ પેન્શનપર છેલ્લા બે વર્ષથી રીટાયર થયલા છે અને તેઓ પોતાનો સઘળો સમય જાહેર કાર્યોમાં વ્યતીત કરે છે. તેઓ જેમ એક સારા વક્તા તેમ લેખક છે. તે લેખો મુખ્યત્વે ધર્મ અને કેળવણી પર લખેલા છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | રાજા રામમોહનરાય | ” ૧૯૦૫ |
| ૨ | ઇસુ ખ્રિસ્તનું જીવન | ” ૧૯૧૦ |
| ૩ | પ્રજ્ઞા પારમિતા સૂત્રમ્ | ” ૧૯૧૬ |
| ૪ | હિન્દુ સ્ત્રીઓની ઉન્નતિમા ગાળેલા મ્હારા વીસ વર્ષ રાજા રામમોહનરાય (શ્રી. કર્વેના લેખનું ભાષાન્તર) |
” ૧૯૩૧ |
| ૫ | બ્રાહ્મધર્મ | ” ૧૯૩૧ |