ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/ત્રિભુવનદાસ પુરૂષોત્તમદાસ લુહાર (સુન્દરમ્‌)

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર (સુન્દરમ્‌)

એઓ જ્ઞાતિએ લુહાર અને ભરૂચ જીલ્લામાં આવેલા મિયાં માતર ગામના વતની છે. એમનો જન્મ સન ૧૯૦૮ માં મિયાં માતરમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ પુરુષોત્તમદાસ કેશવલાલ લુહાર અને માતુશ્રીનું નામ ઉજમબ્હેન છે, એમનું લગ્ન નવેક વર્ષે એમના જન્મસ્થાનમાં શ્રીમતી મંગલાબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક શિક્ષણ મિયાં માતરની લોકલ બોર્ડની સ્કૂલમાં અને માધ્યમિક આમોદ અને ભરૂચમાં રાષ્ટ્રીય શાળાઓમાં લીધું હતું. તેઓ ગુજરાત વિદ્યાપીઠના સ્નાતક છે; અને ભાષા વિશારદની પદવી પ્રાપ્ત કરી છે. ‘સાબરમતી’ માં ઉત્તમ લેખ લખવા માટે એમને તારાગૌરી ચંદ્રક મળ્યો હતો; તેમજ ગુજરાતી વિષયમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ અખીલ ભારત વિદ્યાર્થી પરિષદનું ઈનામ પ્રાપ્ત થયું હતું. કવિતા એમનો પ્રિય વિષય છે. મહાત્માજીએ એમના જીવનપર પ્રબળ અસર કરી છે; અને લોકશિક્ષણ એ એમનો વ્યવસાય છે. નવા કવિઓમાં એમની કવિતા આદરપાત્ર જણાય છે; અને નજદિકમાં એમનો કવિતા સંગ્રહ બહાર પડતાં, જનતા એમની કવિતાની વધુ કદર કરશે એવી અમને ખાત્રી છે.