ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/કેશવલાલ હિંમતરામ કામદાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કેશવલાલ હિંમતરામ કામદાર

એઓ જ્ઞાતે દશા શ્રીમાળી વણિક અને ગોંડલના વતની છે. એમના પિતાશ્રીનું નામ હિંમતરામ ડાહ્યાભાઈ અને માતુશ્રીનું નામ વખતબાઈ ઉર્ફે નંદુબાઈ ડુંગરશી છે. એમનો જન્મ સં. ૧૯૪૭ ના ચૈત્ર શુદ ૭ ને બુધવારના રોજ રાજકોટમાં થયો હતો. તેઓ સ્થાનકવાસી જૈન ધર્મ પાળે છે. એમનું લગ્ન સન ૧૯૧૩ ના માર્ચ માસમાં રાજકોટમાં શ્રીમતી ગિરજાકુંવર જેઠાલાલ સાથે થયું હતું. એમનું કુટુંબ બગસરાથી ગોંડલમાં ભા કુંભાજીના વખતમાં આવી વસેલું; આ કુટુંબે સાર્વજનિક તેમ જ રાજ્યહિતનાં કામો સારી રીતે અને હુંશિયારીથી કરવાથી તેમની કીર્તિ બહોળી જામી હતી; અને ગોંડલના એક અગ્રેસર શેઠ કુટુંબ તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. પ્રો. કામદારે ઘણોખરો અભ્યાસ ગોડલમાં કર્યો હતો. પ્રિવિયસની પરીક્ષા બાવદીન કૉલેજ-જુનાગઢમાંથી પાસ કરી ઈન્ટર-આટ્‌ર્સથી તેઓ ગૂજરાત કૉલેજ, અમદાવાદમાં જોડાયા હતા; અને સન ૧૯૧૨માં બી. એ. ની પરીક્ષા પુના ફરગ્યુસન કૉલેજમાંથી પાસ કરી હતી. દરમિયાન તેમણે સન ૧૯૧૦માં એક વર્ષ એન્જીનીઅરીંગ કૉલેજમાં ગાળ્યું હતું. સન ૧૯૧૬માં તેઓ એમ.એ., થયા હતા. શાળા પાઠશાળાના અભ્યાસ દરમિયાન તેઓ હંમેશાં ઊંચી પાયરીએ રહેતા. બી.એ. ફર્સ્ટ ક્લાસમાં પાસ કરેલી. આખી યુનિવર્સિટીમાં બીજે નંબરે હતા. એમ.એ., માં પણ ઉંચા માકર્‌સ મળ્યા હતા. તે પરીક્ષામાં એમના ઐચ્છિક વિષયો ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને રાજકારણ હતા. યુનિવર્સિટીમાં તેમને બે સ્કોલરશીપો મળી હતી. (૧) કહાનદાસ મંછારામ (૨) ધીરજલાલ મથુરાંદાસ. સન ૧૯૧૮માં સુરત કૉલેજમાં એમની ઇતિહાસના અધ્યાપક તરીકે નિમણુંક થઈ હતી. ત્યાંથી બીજે વર્ષે વડોદરા કૉલેજમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર નિમાયા હતા, જ્યાં તેઓ અત્યારે છે. કૉલેજની સર્વ પ્રવૃતિઓમાં તેઓ રસ લે છે; એટલું જ નહિ પણ વડોદરા રાજ્ય તરફથી નિમાયેલી જુદી જુદી કમિટીઓ જેવી કે, ડેવલપમેન્ટ બોર્ડ, પબ્લીકેશન કમિટી, સહકાર કમિટી, પાઠ્યપુસ્તક કમિટી, બેન્કિંગ કમિટી, રેકર્ડઝ કમિટીમાં તેઓ કામ કરતા રહ્યા છે. યુનિવર્સિટિમાં તેઓ બી.એ. સુધીની પરીક્ષાઓમાં પરીક્ષક તરીકે રહ્યા છે. તદુપરાંત માસિકોમાં તેમના લેખો વારંવાર પ્રગટ થાય છે; અને એક ગંભીર અને વિચારશીલ લેખક તરીકે તેમની ખ્યાતિ બંધાઈ છે; જેમાં મુખ્યઃ (૧) ગૂજરાતનું સંસ્કારિત્વ (૨) સરસ્વતીચંદ્રનું “રાજકારણ” છે. તેઓ વળી “ગ્રામ જીવન” માસિકના તંત્રી તરીકે કામ કરે છે. અંગ્રેજીમાં પણ એમણે ઉપયોગી પુસ્તકો રચ્યાં છે.

:: એમનાં પુસ્તકો ::

નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
૧. હિન્દુસ્તાનનો શાળોપયોગી ઈતિહાસ સ. ૧૯૨૭
૨. હિન્દની પ્રજાનો ટુંકો ઇતિહાસ
૩. બ્રિટિશ લોકોને ઇતિહાસ ૧૯૨૯
૪. અર્થશાસ્ત્ર ૧૯૩૩
૫. રાજ્યશાસ્ત્ર (ડૉ. મહેતાના અંગ્રેજી લખાણનો અનુવાદ) ૧૯૩૪
હવે પ્રકટ થશે
૧. Survey of Indian History (૧૭૫૭-૧૮૫૮) ૧૯૨૨
૨. History of India, Political and Administrative (૧૭૫૭-૧૯૨૦) ૧૯૨૪
૩. A History of the Mughal Rule in India ૧૯૨૮
૪. Report on Banking in Baroda State ૧૯૩૦
૫. Social and Economic Surveys, Baroda State
(Translations from Gujarati, of two reports)
૧૯૩૩
૬. Notes on Central Banking ૧૯૩૪