ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય

ગિરિજાશંકર વલ્લભજી આચાર્ય

એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ અને મૂળ જુનાગઢના વતની છે. એમનો જન્મ જુનાગઢમાં સંવત્‌ ૧૯૩૭ ના કાર્તિક સુદ ૯ ના રોજ થયો હતો. એમના પિતાશ્રી વલ્લભજી હરિદત્ત આચાર્ય એક સાક્ષર અને પુરાતત્ત્વવિદ્‌ તરીકે પ્રસિદ્ધ છે. એમણે રાજકોટ વૉટસન મ્યુઝિયમના ક્યુરેટર તરીકે કાઠિયાવાડની પુરાતન વસ્તુ-લેખો, સિક્કા વગેરે મેળવી, એ મ્યુઝિયમને બહુ સમૃદ્ધ કરેલું છે અને તેની ખ્યાતિ સ્વર્ગસ્થને આભારી હતી. એમની માતુશ્રીનું નામ ચતુરલક્ષ્મી હતું. એમનું લગ્ન સં. ૧૯૫૧માં જુનાગઢમાં સૌ. ચંચળલક્ષ્મીબહેન સાથે થયેલું છે. એઓએ પ્રાથમિક કેળવણી જુનાગઢમાં, માધ્યમિક રાજકોટમાં અને કૉલેજ શિક્ષણ ગુજરાત કૉલેજ-અમદાવાદ-બહાવદ્દીન કૉલેજ-જુનાગઢ, અને એલ્ફીન્સ્ટન કૉલેજ-મુંબાઈ-માં લીધું હતું. તેમણે સન ૧૯૦૭ માં બી. એ. ની ડીગ્રી લીધી હતી અને સન ૧૯૦૯ માં એમ. એ., ની પરીક્ષામાં પાલી પેલીઓગ્રાફીના સવાલપત્રકમાં પાસ થયા હતા. હાલમાં તેઓ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ-મુંબઇમાં, ઑર્કોલોજીકલ વિભાગના ક્યુરેટરના પદે છે. પ્રાચીન સિક્કા, લેખો વગેરે એમના પ્રિય વિષયો છે; અને તેમાં એમના પિતાશ્રી પાસેથી એમણે ઘણું પ્રાપ્ત કર્યું હતું. સ્વર્ગસ્થ રખાલદાસ બેનરજી, જેમનું નામ મ્હોન જે ડેરોનાં ખોદકામ સાથે સદા જોડાયેલું રહેશે તેમણે શ્રીયુત આચાર્યના જીવનપર પ્રબળ અસર કરેલી છે. પ્રકીર્ણ લેખો એમણે જુદાં જુદાં ઇંગ્રેજી ગુજરાતી માસિકામાં લખેલાં ઘણાં છે. હમણાં શ્રી ફૉર્બસ સભા તરફથી બહાર પડેલું એમનું “ગુજરાતના ઐતિહાસિક લેખો ભા. ૧” નામનું પુસ્તક એમની વિદ્વત્તાનો ખ્યાલ આપશે.

: : એમની કૃતિઓ : :

નં. પુસ્તકનું નામ. પ્રકાશન વર્ષ.
૧. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભા. ૧ સન ૧૯૩૩