ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ

સ્વ. ગંગાશંકરનો જન્મ ધ્રાંગધ્રામાં તા.૧૫-૬-૧૮૭૬ને રોજ થએલો. તેમનું મૂળ વતન રાજકૉટ. તેમના પિતાનું નામ મણિશંકર દયાળજી વૈષ્ણવ અને માતાનું નામ ડાહીબ્હેન. તે ન્યાતે વડનગરા નાગર ગૃહસ્થ હતા. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક કેળવણી રાજકોટમાં લઇને ઉંચી કેળવણી વડોદરા કૉલેજમાં લીધી હતી. નાની વયમાં પિતૃગૃહ છોડવું પડ્યું હોવાથી તે અભ્યાસમાં અને વ્યવસાયમાં આપબળે આગળ વધ્યા હતા. બાયોલૉજી અને કૅમિસ્ટ્રી તેમના પ્રિય વિષયો હતા, અને સાહિત્ય તથા સંગીતનો તેમને રસ હતો. જીવનભર શિક્ષણનો વ્યવસાય તેમણે કર્યો હતો. તેમના જીવન ઉપર સ્વ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદીની પ્રબળ અસર હતી. તેમનું લગ્ન સને ૧૮૯૪માં રાજકોટમાં સૌભાગ્યગોરી સાથે થયું હતું. તેમને ત્રણ પુત્રીઓ અને. એક પુત્ર છે. શ્રી. ગંગાશંકર સુરતમાં તા. ૧૦-૬-૧૯૧૭ના રોજ અવસાન પામ્યા હતા. ૧૮૯૯ માં (૧) ‘બાળસ્વભાવ' નામનું તેમનું પહેલું પુસ્તક બહાર પડ્યું હતું. ત્યારબાદ તેમનાં પ્રસિદ્ધ થએલાં પુસ્તકોની નામાવલિ નીચે મુજબ છે: (૨) બાળવાર્તા, (૩) પદાર્થપાઠ, (૪) જ્ઞાનપ્રદીપ, (૫) ગુજરાતી વ્યાકરણ, (6) English Essays, (૭) બાયોલૉજી તથા કૅમિસ્ટ્રી, (૮) ગૃહવ્યવસ્થા.

***