ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/બહેચરલાલ ત્રીકમજી પટેલ (‘વિહારી')

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બહેચરલાલ ત્રિકમજી પટેલ (વિહારી)

બહુ પ્રકાશમાં નહિ આવેલા, પણ ઊંચી મેધા ધરાવનાર અને 'વિહારી' નામથી કાઠિયાવાડમાં જાણીતા આ કવિનો જન્મ ભાવનગર રાજ્યના સિહોર ગામમાં પાટીદાર જ્ઞાતિમાં સં.૧૯૨૨ના ચૈત્ર સુદ ૬ તા.૨૨ મી માર્ચ ૧૮૬૬ના રોજ થયો હતો. એમના પિતાનું નામ ત્રિકમજી પુરુષોત્તમ અને માતાનું નામ ગંગાબાઈ. ગુજરાતી સાત ધોરણ સિહોરમાં અને અંગ્રેજી છ ધોરણ ભાવનગરમાં કરી રાજકોટ અને અમદાવાદની ટ્રેનિંગ કૉલેજોમાં એમણે અધ્યાપનનું શિક્ષણ લીધું અને અંતિમ પરીક્ષામાં ૮૦ ટકા ગુણ લઈ પહેલા વર્ષમાં પહેલે નંબરે આવ્યા. તરત તે કેળવણી ખાતામાં જોડાયા અને જીવનભર એ જ વ્યવસાયમાં, તાલુકા શાળાના હેડમાસ્તર અને ગોંડલ અધ્યાપન મંદિરના આચાર્ય તરીકે રહ્યા. સંવત ૧૯૪૧માં શ્રી મણિબાઈ સાથે એમનું લગ્ન થયું. એમને ત્રણ પુત્રો છે; ત્રણેય ગ્રેજ્યુએટ છે. મોટા પુત્ર શ્રી ચંદુલાલ પટેલ ગોંડલ રાજ્યના વિદ્યાઅધિકારી અને વચેટ પુત્ર જયન્તીલાલ તથા નાના ધીમતલાલ વકીલાત કરે છે. એમના પિતા વ્યવહારકુશળ, વાચનના શોખીન અને વેદાંતજ્ઞાની હતા, અને એમણે બાળપણથી જ એમનામાં સારા વિદ્યાસંસ્કાર તથા ઉચ્ચ જીવનબીજ રોપ્યાં હતાં. તે પછી અભ્યાસકાળ દરમ્યાન કુમાર વયે સાક્ષર વિવેચક શ્રી નવલરામભાઈ, પિંગળકાર રણછોડભાઈ ઉદયરામ, કેશવ હર્ષદ ધ્રુવ અને ડાહ્યાભાઈ દેરાસરી જેવા ગુરુઓના ઊંચા સંસ્કાર એમણે ઝીલ્યા હતા. તે ઉપરાંત સ્વયંશિક્ષણમા કવિ નર્મદની પ્રેમશૌર્યભીની સંસ્કારિતા, ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ કૃત 'હિંદ અને બ્રિટાનિયા', ગોવર્ધનરામ કૃત ‘સરસ્વતીચંદ્ર' અને મણિલાલ નભુભાઈ કૃત ‘ગુલાબસિંહ’ આદિની અસર જીવન ૫૨ અદ્ભુત થઈ, અને જીવનમય સાહિત્યની ભૂમિકા બંધાઈ, સંસ્કૃતના તે સારા જ્ઞાતા હોઈ મહાભારત, ભાગવત, બ્રહ્મસૂત્ર, ગીતા આદિનો પણ એમણે સૂક્ષ્મ અભ્યાસ કર્યો હતો અને ગુરુ શ્રી પ્રકાશાનંદજી મહારાજ તથા અન્ય સંન્યાસીઓ ને સંતો સાથેની આધ્યાત્મિક ચર્ચા વગેરેથી એમની પ્રતિભા પોષાઈને પુષ્ટ બની હતી. એમની કૃતિઓમાં સંસ્કૃત ગુજરાતી કાવ્યો ઉપરાંત કેટલાટ ભાષ્યગ્રંથો પણ છે, સાહિત્ય ઉપરાંત વેદાંત એમનો પ્રિય વિષય હતો. એમની પ્રથમ કૃતિ 'વીરસિંહ અને પ્રેખરાય’ નામનું સળંગ લાંબું કાવ્ય સં.૧૯૪૩માં ૨૧ વર્ષની વયે પ્રસિદ્ધ થયું. પણ એમનું જાણીતું કાવ્ય તે ‘વીરસૂ’ અને એમને ખ્યાતિ મળી તે એમણે મેઘદૂતના રચેલા સમશ્લોકી ભાષાંતરથી. એ ઉપરાંત એમના ‘આત્મોન્નતિ નામના કાવ્યસંગ્રહમાં એમની વિવિધ કૃતિઓ સંગ્રહાએલી છે. એમનું જીવન અનેકવિધ હતું અને એમની તીવ્ર બુદ્ધિશક્તિ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ચમકી ઊઠી હતી. સંસ્કૃત ઉપરાંત ગણિત એમનો પ્રિય વિષય હોઈ તે સારા ગણિતશાસ્ત્રી અને વ્યાપારી નામામાં નિષ્ણાત હતા, અષ્ટાવધાન કરી શકતા, હસ્તાક્ષરપરીક્ષામાં પણ તે નિષ્ણાત લેખાતા અને જ્યોતિષી તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા, -એવા કે પોતાના અવસાનની તિથિ, વાર, સમય એમણે ૨૦ વર્ષ પૂર્વે ભાખી રાખ્યાં હતાં, અને તે જ મુજબ સં.૧૯૯૩ના કાર્તિક વદિ ૪, તા.૨૨ મી નવેમ્બર ૧૯૩૭ના રોજ સંધ્યાસમયે એ ગોંડલમાં અવસાન પામ્યા. અખંડ ખાદીધારી અને દેશની ઊંડી દાઝ ધરાવનાર એ કવિનાં રાષ્ટ્રભક્તિનાં કાવ્યો અને દુહા જાણીતાં છે. સાહિત્યસેવક, કેળવણીકાર ઉપરાંત રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિને લીધે એમની અન્ય પ્રવૃત્તિઓ જ્ઞાતિ અને દેશહિતનાં કાર્યોની પણ હતી. એમની કૃતિઓની વર્ષવાર યાદી નીચે મુજબ છે :

૧. વિરસિંહ અને પ્રેમરાય – ૧૯૪૩(૧૮૮૭)
૨. પંચદશી ભાષાંતર – ૧૯૪૯ (૧૮૯૩)
૩. ભાગવત પુષ્પાંજલિ – ૧૯૫૧ (૧૮૯૫)
૪. મહિમ્નસ્તોત્ર ભાષાંતર – ૧૯૫૫(૧૮૯૯)
૫. જયશંકર સ્તોત્ર ભાષાંતર - ૧૯૫૫ (૧૮૯૯)
૬. વીરસૂ – ૧૯૬૩ (૧૯૦૭)
૭. મેઘદૂત ભાષાંતર - ૧૯૬૪ (૧૯૦૮)
૮. રાજતોત્સવ - ૧૯૬૫ (૧૯૦૯)
૯. બ્રહ્મમૂળ ભાષાંતર - ૧૯૬૬ (૧૯૧૦)
૧૦. પ્રેમલક્ષણા ભક્તિ – ૧૯૬૮ (૧૯૧૨)
૧૧. આત્મોન્નતિ – ૧૯૭૧ (૧૯૧૫)
૧૨. ગીતાવૃત્તવિહારી ભાષાંતર - ૧૯૭૪ (૧૯૧૮)
૧૩. રાષ્ટ્રગીત - ૧૯૭૭ (૧૯૨૧)
૧૪. ઉપનિષદ ભાષાંતર - ૧૯૮૧ (૧૯૨૫)
૧૫. સંગીત ગીતા પુષ્પાંજલિ - ૧૯૮૪ (૧૯૨૮)
૧૬. ગીતા પંચામૃત - ૧૯૮૪ (૧૯૨૮)
૧૭. ગીતા પુષ્પાંજલિ - ૧૯૮૪ (૧૯૨૮)
૧૮. વૃત્તવિહારિણી ગીતા (સંસ્કૃત) - ૧૯૮૬(૧૯૩૦)
૧૯. શિવસપ્તકમ્ (સંસ્કૃત) - ૧૯૮૮ (૧૯૩૨)
૨૦. શ્રીકૃષ્ણશરણમ્ (સંસ્કૃત) - ૧૯૮૮ (૧૯૩૨)
૨૧. ગીતાભુવનમ્ (સંસ્કૃત) - ૧૯૮૯ (૧૯૩૩)
૨૨. સૌવર્ણસૌંદર્ય – ૧૯૯૦ (૧૯૩૪)
૨૩. ઉત્તરરામચરિત (ભાષાંતર) - ૧૯૯૧ (૧૯૩૫)
૨૪. શાકુંતલ (ભાષાંતર) – ૧૯૯૧ (૧૯૩૫)
૨૫. વિહારી આર્યાવર્ત યાત્રા – ૧૯૯૨ (૧૯૩૬)

***