ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૧૧

[કુલિંદ રાજા ક્રોધિત ધૃષ્ટબુદ્ધિને જોઈને ધ્રૂજી જાય છે પણ ધૃષ્ટબુદ્ધિ ક્રોધ ગળી જઈ તેની સાથે સારો વ્યવહાર કરે છે. પણ હવે કપટથી મરાવી નાખવા પોતાના દીકરા મદનના હાથે ઝેર આપવાના લખાણવાળી ચિઠ્ઠી લઈ ખુદ ચંદ્રહાસને જ પોતાના રાજ્યમાં મોકલી ચન્દ્રહાસને મારી નાખવાનું એક વધારે કાવતરું ઘડે છે.]

રાગ : સારંગ

તાલાવેલી લાગી પાપીને, સુણી જાચક તણાં રે વચન;
‘ગાલવિયાનું કહ્યું થાશે, દાસીનો પરણશે તન.’
તાલાવેલી૦          ૧
એવું સાંભળી ચાલ્યો પાપી સેના તેડી સાથ,
એવે સમાચાર પહોંત્યો, જ્યાંં કૌંતલ દેશનો નાથ.
તાલાવેલી૦          ૨
કુલિંદ રાજા ઊઠ્યો ભડકી ધ્રૂજવા લાગ્યો આપ;
‘હવે શું થાશે રે વિધાતા, પ્રધાનનો મહાઉત્પાત.
તાલાવેલી૦          ૩
મેં ઘણાં વરસ થયાં પાપીને નથી આપ્યું સુવર્ણ;
તે માટે જાગીને આવ્યો, હવે પમાડશે મર્ણ.
તાલાવેલી૦          ૪
પછે કુલિંદ કુંવરને તેડી મળવા સામો સંચરિયો;
પિતા પુત્રને આવતા દેખી રથથી પ્રધાન ઊતરિયો.
તાલાવેલી૦          ૫
ધાઈને આલિંગન દીધું, ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી;
‘ધન્યધન્ય કુલિંદરાજા, મે મૈત્રી તમારી જાણી.
તાલાવેલી૦          ૬
પરમેશ્વર તુજને પ્રસન્ન થયા, પુત્ર પાંચ વર્ષનો લાવ્યો;
વાંઝીયાબાર ઉઘાડ્યું તારું, સમાચાર મુને ન કહાવ્યો.’
તાલાવેલી૦          ૭
એહવું સાંભળીને મહારાજાનું હરખ્યું અતિશે ચિત્ત;
‘ભાગ્ય મહારું ઉદે થયું, ત્રેવડી વાધી પ્રીત.
તાલાવેલી૦          ૮
ગાજતેવાજતે આવ્યા ગામમાં, આપ્યા ઉત્તમ ઉતારા;
સહસ્ર એક મોકલ્યા સેવક સેવાના કરનારા.
તાલાવેલી૦          ૯
શાક પાક સ્વાદિષ્ટ અન્ન રાયે રસોઈ કરાવી;
સરવે મળીને ભોજન કીધું, નવ જાણે કો ભાવી.
તાલાવેલી૦          ૧૦
સુભટમાત્ર સભામાં બેઠા, પ્રધાન બોલ્યો વચન;
આજ જવું પડશે ઉતાવળું, મને પાછાં ફરી ભોવન.
તાલાવેલી૦          ૧૧
તમો પિતાપુત્ર મળવાને આવ્યા, પણ કારજ એક વીસરિયું;
ભેગા મળ્યા ને ભોજન કીધું, સુખ પામ્યે સાંભરિયું.
તાલાવેલી૦          ૧૨
તમશું મુજને ગોષ્ઠ કર્યાની ઘણી હુતી ઈચ્છાય;
પણ આજ ઉતાવળું જાવું પડશે, મુને કૌંતલપુરની માંહ્ય.
તાલાવેલી૦          ૧૩
અગોપ[1] વાત મારા મન તણી, તે મદન પુત્રથી થાય;
પત્ર લખીને મોકલું પણ, કો એવો નથી જે જાય.
તાલાવેલી૦          ૧૪
વાટમાં વાંચે નહિ એવો સાધુ તમારો તન;
પત્ર લખીને મોકલો, પુત્રને મળવા ઇચ્છે છે મદન.
તાલાવેલી૦          ૧૫
એવું સાંભળીને મહારાજા સમીપ તેડાવ્યો ચંદ્રહાસ;
પિતા કહે : ‘રે પુત્ર, લેઈ પધારો મદન મિત્રની પાસ.’
તાલાવેલી૦          ૧૬
કુંવર કહે : ‘રે મુને મોકલો છો વણ વિચારે, ભૂપ;
(પણ) તાત તમારું કહ્યું કરવું મારે, જો નાખો અંધારે કૂપ.’
તાલાવેલી૦          ૧૭
એહવે પત્ર લખ્યું પાપીએ કૌંતલપુર નિજ ગામ :
‘સકળગુણ શિરોમણિ સુત મદન એવું નામ.
તાલાવેલી૦          ૧૮
અહીં ચંદ્રહાસ મોકલ્યો છે, માન ઘણેરું દેજો;
અમો તમારા કિંકર છું, એમ કાલા થઈને કહેજો!
તાલાવેલી૦          ૧૯
રૂપ ના જોશો રંગ ના જોશો ન પૂછશો ઘરસૂત્ર;
મુહ્‌ર્ત માત્રમાં વિષ દેજો : ઘણું શું લખિયે, પુત્ર?’
તાલાવેલી૦          ૨૦
કપટે લખિયું કૂડું દુષ્ટે પછે પત્ર વીંટ્યું પાપી;
કહે નારદ : બોલાવ્યો સાધુ, કાગળ કરમાં આપી.
તાલાવેલી૦          ૨૧

વલણ


આપી પત્ર ચંદ્રહાસને ધૃષ્ટબુદ્ધિ બોલ્યો વાણી રે :
‘રખે મારગમાં પત્ર વાંચતો! મેં કીધી છે એંધાણી રે.’
તાલાવેલી૦          ૨૨




  1. અગોપ – છાનુ