તખુની વાર્તા/નિવેદન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
નિવેદન

ગુજરાતી સાહિત્ય સંસ્કારવાંછુ વાચકવર્ગને જાણ હશે જ કે ‘ગદ્યપર્વ’ એ આપણી ભાષાનું સર્જનાત્મક ગદ્ય તેમજ ટૂંકી વાર્તાનું સશક્ત સામયિક છે. આ સામયિકે ઓગણીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. ‘ગદ્યપર્વ’ નિમિત્તે ગુજરાતી સાહિત્યનું માતબર સર્જન પ્રકાશિત થઈ રહ્યું છે. ‘ગદ્યપર્વ’ની સક્ષમ લેખક મિત્રમંડળી વર્ષમાં બે વાર ‘સાહચર્ય લેખનશિબિર’માં ભાગ લે છે. દરમિયાન ‘સાહચર્ય લેખનશિબિર’ના લેખોની નીવડેલી રચનાઓનું સંપાદન ‘ગદ્યપર્વ’માં થતું રહે છે. ‘સાહચર્ય પ્રકાશન’ એ એમની આ પ્રવૃત્તિનું જ ફળ છે. પોતીકા પ્રકાશન હેઠળ આ પૂર્વે એમણે સાત પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. એમની આ સાહિત્યિક પ્રવૃત્તિનું, એના પ્રકાશનનું હું ઉમળકાભેર બહુમાન કરું છું. ગીતા નાયક તેમજ ભરત નાયક ‘સાહચર્ય પ્રકાશનશ્રેણી’નો કાર્યભાર સંભાળી રહ્યા છે. રસકીય ગુણવત્તાને વરેલી એમની સૂઝ-સમજનો લાભ આ પુસ્તકપ્રકાશનને મળતો રહેશે.

આજે શ્રેણીના ચોથા પુસ્તકરૂપે અજિત ઠાકોરનો વાર્તાસંગ્રહ ‘તખુની વાર્તા’ પ્રકાશિત કરી રહ્યા છીએ તેનો આનંદ છે. મને શ્રદ્ધા છે, અમારું આ સહિયારું સાહસ ઉત્તરોત્તર ફળદાયી બનશે.

અશોક ધનજીભાઈ શાહ
નવભારત સાહિત્યમંદિર