તત્ત્વસંદર્ભ/કવિતાની રચનાપ્રક્રિયા (સ્ટીફન સ્પૅન્ડર)
સ્ટીફન સ્પેન્ડર
ક્ષમાપના :
કવિઓ મેજ આગળ બેસીને કવિતા લખવાનો આરંભ કરે ત્યારે, કે પોતાના મગજમાં જ કાવ્ય રચતા આમથી તેમ લટાર મારતા હોય ત્યારે, જે પ્રકારના પ્રશ્નો ઉકેલવાને તેઓ મથી રહ્યા હોય છે તેવા બધા પ્રશ્નોના એક વિશાળ સંદર્ભમાં જો મારી કાવ્યરચનાની રીતિને સાંકળી ન શકું, તો આ વિશેની મારી ચર્ચાવિચારણા અક્ષમ્ય દોષવાળી જ ગણાય. દરેક કવિ પાસે પોતાની કાવ્યકૃતિ સિદ્ધ કરવાનો આગવો આગવો તરીકો હોય, કવિ તરીકેનો દરેકનો અનુભવ પણ ભિન્ન ભિન્ન રૂપનો હોય, અને મારી પોતીકી કાવ્યરચનાઓની વાત કરું તો મારી ચર્ચાવિચારણાઓનું સમર્થન કરી રહે એટલી ઊંચી ગુણવત્તાવાળી એ ન પણ હોય, ત્યારે એવા સંજોગોમાં મારા અંગત અનુભવની બાબતને હું એક સર્વસામાન્ય નિયમ ગણાવી બેસતો હોઉં, એવી દહેશત મારા મનમાં રહી છે.
અને છતાં, કવિતાનું સર્જન એક એવી પ્રવૃત્તિ છે, જે એના કવિ પાસે અમુક ચોક્કસ પ્રકારની ધ્યાનમગ્નતા માગે છે; અને એ સાથે, કવિ પાસે શ્રવણ દર્શન કલ્પના અને સ્મૃતિ વગેરે વિશેષ કેળવાયેલી ચિત્તશક્તિઓ હોય, એવી એમાં અપેક્ષા પણ રહે છે. કવિ ખરેખર તો કલ્પનોથી ચિંતન કરી શકતો હોવો જોઈએ; અને તેની ભાષાનો વ્યાપ ઘણો સીમિત હોય તોપણ, ચિત્રકાર પોતાના રંગોની સામગ્રી પર જેવું મહાન પ્રભુત્વ મેળવે છે તેવું જ, તેણે તેની ભાષા પર મેળવ્યું હોવું જોઈએ. આ બધું એમ સૂચવે છે કે, સામાન્ય સમાજમાં ઓછેવત્તે અંશે સભાન રહીને પોતાની પ્રવૃત્તિઓને અનુરૂપ તેણે પોતાને ગોઠવી લેવાનો રહે છે; અને એ કારણે જ તો, ઘણાય લોકો જેને પાગલપણાની નિકટની અવસ્થાના ગણતા હોય છે તેવી, બધી વિલક્ષણતાઓવાળી કોઈ પ્રેરણાની અવસ્થા તેનામાં જોવા મળે છે. કોઈ એક કવિનું દૃષ્ટાંત લઈએ તો, કવિતાની માંગને અનુરૂપ તેની વ્યક્તિતા શી રીતે ઘાટ લઈ શકી તેટલી જ વાત રજૂ થઈ ગણાય, પણ એવી વાત પણ જો સ્પષ્ટ રૂપમાં વર્ણવવામાં આવી હોય તો, બીજા કવિઓને તેમ કેટલેક અંશે કવિતાકળાને પોતાને સમજવામાં પણ એ ઉપકારક બની રહે એમ બને.
આજે આપણી કને કવિતાનું સમગ્રલક્ષી દર્શન તો છે નહીં, એને બદલે તેના એક યા બીજા પાસાને લગતા એકાંગી ખ્યાલો જ પ્રવર્તતા રહ્યા છે; અને એ વિશે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે, કવિઓ માટે આ કે તે ખ્યાલ જ એક માત્ર લક્ષ્ય છે. વળી મુક્ત પદ્ય, કલ્પનવાદ, અતિવાસ્તવવાદ, અભિવ્યંજનાવાદ, વ્યક્તિવાદ જેવાં આંદોલનોએ લોકોને એમ માનવા પ્રેર્યા છે કે, કવિતાનું સર્જન એ માત્ર પ્રાસયુક્ત છંદમાં લખવા ન લખવાની બાબત છે, કે કેવળ સ્વચ્છંદી બનીને સાહચર્યો ગૂંથી લેવાની એ વાત છે, કે દીવાનખંડમાં જ ઉદ્ભવતી સામ્યવાદી વિચારસરણી જેવી (અતિવાસ્તવવાદી) ઉન્મત્તતાની એ ઘટના છે. અહીં ‘વિચારો’ (Ideas)નું એક સંકલન છે : રાત્રિ, અંધકાર, તારાઓ, અનંત વિસ્તાર, નીલ ગગન, દેહભૂખ, વળગણ, સ્થંભોની હારમાળા, વાદળાં, ચંદ્ર, દાતરડું, લણણી, વિરાટ કેમ્પફાયર, નર્કાગાર. તો શું આટલાંથી જ કવિતા બની ગઈ? પણ આવા જ કોક રસપ્રદ પ્રશ્ન સાથે કાવ્ય રચવું એટલે કેવળ તર્કવિહીન બની રહેવું, એવો જ કોઈ ખ્યાલ બાંધીને જુવાનિયાઓનો એક મોટો વર્ગ આ જાતના સીધાસાદા શબ્દોનાં જોડકણાં પરબીડિયાંની પાછળની બાજુએ લખી લખીને તંત્રીઓ કે કવિઓને મોકલાવ્યા જ કરતા હોય છે. તો, કવિઓ શી રીતે કાર્ય કરે છે, તેને લગતી આ ચર્ચાવિચારણા તેમને વિશે વધુ વિશાળ અને વધુ પૂર્ણ દૃષ્ટિકોણ આપશે, એવી મને આશા છે.
ધ્યાનની પ્રક્રિયા :
સર્જનાત્મક સાહિત્યનો પ્રશ્ન, તત્ત્વતઃ તો, સર્જકના ધ્યાનમગ્ન બનવાનો પ્રશ્ન છે. અને કવિઓની ધૂની લાગતી વૃત્તિઓ પણ સામાન્ય રીતે તો ધ્યાનમગ્ન થવાને તેમણે કેળવેલી ખાસિયતો કે વિલક્ષણ રીતભાતનું જ પરિણામ છે. અલબત્ત, ગણિતનો દાખલો ગણતાં જે રીતનું ધ્યાન કેન્દ્રિત કરવું પડે, તેથી કાવ્યરચનામાં જુદી જ રીતે ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. એક અત્યંત વિલક્ષણ રીતે ધ્યાન કેન્દ્રિત કરવાની આ વાત છે : છોડ વિકાસની પ્રક્રિયામાં કંઈ એક જ દિશામાં પ્રાણશક્તિ સંચિત કરતો નથી – પર્ણઘટા સાથે પ્રકાશ અને ઉષ્માની દિશામાં, તો મૂળિયાંઓના પુંજ સાથે અંદર ભેજની દિશામાં એમ સર્વ બાજુએ યુગપત્ પ્રસાર તે સાધે છે; એ જ રીતે, કવિ પોતાના બીજભૂત ‘વિચાર’ (idea)ના સર્વ સૂચિતાર્થો અને તેમાં નિહિત રહેલી સર્વ વિકાસક્ષમતાઓ વિશે સભાનતા કેળવી શકાય તેવી ધ્યાનમગ્નતા માટે મથે છે.
શીલર કવિતા રચતી વેળા પોતાના નાક આગળ જ, પોતાના મેજના ખાનામાં ઢાંકી રાખેલા, સડેલા સફરજનની વાસ સૂંઘતો રહેતો. વૉલ્ટર ડી લા મેરે મને એમ કહેલું કે, લખતી વેળા સિગારેટ પીધા વગર મને ચાલે જ નહીં. ઑડેન વળી ચાના કપ પર કપ ઢીંચ્યે જ રાખે. મને પોતાને કૉફીનું વ્યસન છે, ઉપરાંત મને સિગારેટો પણ ઘણી જોઈએ; જોકે એવી ટેવ તો હું લખતો હોઉં તેટલા સમય પૂરતી જ, તે પછી નહીં. હું એમ જોઈ શક્યો છું કે, જેમ જેમ હું ધ્યાનસ્થ થતો જાઉં છું, તેમ તેમ હું સિગારેટનો સ્વાદ ભૂલતો જાઉં છું. પછી એક સામટી બે-ત્રણ સિગારેટો ફૂંકી લેવાની ઉત્કટ ઝંખના મારા મનમાં જાગી પડે છે; તે વળી એટલા માટે કે, મારી આસપાસ ધ્યાનમગ્નતાનું જે એક અભેદ્ય આવરણ રચાઈ જવા પામ્યું હોય, તેને વીંધીને બહારનાં સંવેદનો અંદર પ્રવેશી શકે.
પણ રખે માની બેસતા કે, એ સડેલાં સફરજનો, સિગારેટો કે ચાના કપને કોઈ શીલરની કે કોઈ વૉલ્ટર ડી લા મેરની કે ઑડેનની કૃતિની આંતરિક ગુણવત્તા જોડે ક્યાંય કશો સંબંધ છે. ધ્યાનમગ્ન થવાનાં એ કારણો છે એમ નહીં, પણ ધ્યાનમગ્નતાની જે સ્થિતિ નિર્માણ થઈ હોય છે તેના ભાગરૂપ તે હોય છે. વૉલ્ટર ડી લા મેરે મને એક વાર કહ્યું હતું કે, કોઈ ઉત્તેજનામાંથી નહીં પણ આંતરિક એવી જરૂરિયાતમાંથી કાવ્ય આરંભાયું હોય ત્યારે, તેને ધૂમ્રપાનની ઇચ્છા એટલા માટે થઈ આવે છે કે પોતાની આસપાસના વાતાવરણમાં જ જે કંઈ પોતાના ધ્યાનને વિક્ષેપ કરનારું પડ્યું હોય તે તરફ પોતાનું ચિત્ત ખેંચાયા ન કરે. મહોલ્લામાંથી આવતું-જતું કોઈ સીટી વગાડે કે ઘડિયાળમાં ટકોરા પડવા શરૂ થાય એટલામાંયે તેનું ધ્યાન તૂટી જાય. આ શરીરના બંધારણમાં જ એક એવું સામાન્ય વલણ રહ્યું છે જે કશોક વિક્ષેપ બનીને ધ્યાન ખંડિત કરે. એટલે, વિક્ષેપની આવી અનિવાર્યતાને જો અમુક એક દિશામાં વાળી શકાય – જેમ કે સડેલા સફરજનની વાસમાં, તમાકુના સ્વાદમાં કે ચાના ઘૂંટમાં – તો વ્યક્તિની બહારના બીજા વિક્ષેપો એની સામે ટકી શકે નહીં.
બીજું એક સંભવિત સ્પષ્ટીકરણ એ છે કે, કાવ્યલેખનની પ્રવૃત્તિમાં ધ્યાનમગ્ન થવાનો પ્રયત્ન પોતે જ એક આધ્યાત્મિક પ્રવૃત્તિ છે. અને એવી સ્થિતિમાં પોતે એક શરીરધારી છે એવું ભાન પણ તત્ક્ષણ પૂરતું તો વ્યક્તિચિત્તમાંથી લોપ પામતું હોય છે. શરીર અને મનની સમતુલામાં આ વિક્ષેપ છે, અને એ માટે વ્યક્તિને ભૌતિક વિશ્વના સંવેદનને કિનારે જઈને લાંગરવાની આવશ્યક્તા વરતાતી હોય છે; અને એટલે જ તો, આવી વાસ સ્વાદ કે કેટલીક વાર જાતીય સુખની ઝંખના ઉત્તેજિત થઈ ઊઠતી હોય છે. કાવ્યરચનાની પ્રવૃત્તિ પોતાને ગમે છે એ કરતાંયે, વિશેષ તો, એ તેમને માટે આંતરિક જરૂરિયાત બની ગઈ હોય છે, એમ કવિઓ કહે છે. એમાં એક રીતની આધ્યાત્મિક વૃત્તિનો દબાવ રહ્યો હોય છે; આદિ તમિસ્રો (abysses)માં ઢંકાયેલાં શિખરો સુધી પહોંચવાનો માનવચિતિનો કઠોર પુરુષાર્થ એમાં રહ્યો હોય છે. અને એ બધી ક્ષણો પૂરી સુખદાયી પણ હોતી નથી. કેમ કે, આ પ્રવૃત્તિમાંથી, એના ઉત્તમ અર્થમાં જે કંઈ બદલો મેળવવાની અપેક્ષા હોય છે, તેનોય અહીં સદંતર નિષેધ થયેલો છે : તે એ રીતે કે કવિમાં ગમે તેટલો આત્મવિશ્વાસ હોય તો પણ, પોતાની બધી શક્તિઓ ખોટે માર્ગે ગઈ નથી કે પોતે જે કંઈ લખી રહ્યો છે તે ખરેખર મહાન કાવ્યકૃતિ બની રહી છે, એવી તેને કદીય નિશ્ચલ પ્રતીતિ થતી જ નથી અને જે ક્ષણે કળા ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, તે ક્ષણે તે શબ્દ રંગ કે સૂરના માધ્યમને અતિક્રમી જાય છે; અને એવી ક્ષણે કળાકારમાં એવું ભાન જાગ્રત થવા લાગે છે કે, પોતે જે કંઈ કહેવા મથી રહ્યો છે તેના હાર્દને પ્રગટ કરવાને આ બધાં ઓજારો પૂરતાં જ નથી.
જુદા જુદા કવિઓ જુદી જુદી રીતે ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે. મારા પોતાના મનમાં ધ્યાન કેન્દ્રિત કરવાની બે રીતોનો હું સ્પષ્ટ ભેદ કરીને ચાલું છું : એક રીતે તે તત્કાલ પૂર્ણ ધ્યાનમગ્ન બની જવાની છે; બીજી રીત તે ખૂબ પ્રયત્નો કરીને ક્રમિક તબક્કાઓમાં થઈને પૂર્ણતા સુધી પહોંચવાની છે. કેટલાક કવિઓ તાત્કાલિક કવિતા લખે છે. અને એવી કવિતા એક વાર લખાઈ ચૂક્યા પછી તેમાં સુધારાવધારાને ભાગ્યે જ એવો કોઈ અવકાશ રહેતો હોય છે. આથી ભિન્ન, બીજા કવિઓની રચનાઓ ક્રમશઃ તબક્કાઓમાં ઊઘડતી આવે છે; એક કાચા મુસદ્દામાંથી બીજો કાચો મુસદ્દો આકારાય, અને એ રીતે કવિઓ એમાંથી જ પોતાનો માર્ગ સંવેદતા આગળ વધે છે. અને અનેક સુધારાવધારાઓને અંતે તેઓ જે કૃતિ સિદ્ધ કરે છે, તેને તેની પહેલી રૂપરેખા જોડે બહુ ઓછો સંબંધ રહેલો દેખાય છે.
પરસ્પર વિરોધી એવી આ બે રચનાપ્રક્રિયાઓનાં જ્વલંત દૃષ્ટાંતો સંગીતના ક્ષેત્રમાંથી મોઝાર્ત અને બિથોવનમાં સ્પષ્ટ રૂપે મળી આવે છે. મોઝાર્ત પોતાની સિમ્ફનીઓ, ક્વૉર્ટેટ્સ કે ઑપેરાનાંય કેટલાંક આખેઆખાં દૃશ્યો પ્રથમ તો પોતાના મગજમાં જ રચી કાઢતો. – ઘણી વાર તો પ્રવાસ દરમ્યાન જ કે કેટલીક વાર વળી તેનું મગજ તેને ભીંસી રહેલા પ્રશ્નોમાં બિલકુલ ગૂંચવાઈ પડ્યું હોય ત્યારે જ, – અને પછીથી કાગળ પર તેનું સંપૂર્ણ રૂપમાં તે સ્વરાંકન કરી લેતો. આથી ભિન્ન બિથોવન પોતાની સાથે રાખેલી નોંધપોથીમાં સંગીત-કૃતિના અમુક અમુક ખંડો નોંધી લેતો, અને પછી તેના પર વર્ષો સુધી તે કામ કરતો. તેને ઉપલબ્ધ થયેલા પહેલા ‘વિચારો’ (ideas) એટલા તો અસ્પષ્ટ રૂપના હતા કે, એવા ‘વિચારો’માંથી તે છેવટે આટલી અદ્ભુત કૃતિઓ નિર્માણ કરી શક્યો, એ હકીકતનું સંગીતજ્ઞોને વિસ્મય રહ્યું છે.
આમ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ અર્થે પ્રતિભા જુદે જુદે માર્ગે ગતિ કરે છે; પણ જોકે, મોઝાર્તના પ્રકારની પ્રતિભા વધુ ઝળહળતી અને આંજી નાખનારી હોય તો પણ, સાચી પ્રતિભા, સંગીતકારના પ્રયોગથી ભિન્ન એના પરિણામની મહત્તાથી જ અંકાય છે, તેની કાર્યપદ્ધતિના ઝળહળાટથી નહીં. અંતદૃષ્ટિની મૂળ ક્ષણમાંથી પૂર્ણ વિકાસ સાધીને પરિણામરૂપે એની સૌંદર્યનિષ્ઠ આકૃતિ રચાવા પામે, એ જ મહત્ત્વની વાત છે; અને સિદ્ધ થયેલી કૃતિને જો અમરતા મળી હોય તો, એવી સ્વલ્પ કૃતિ અર્થે કવિને આખી જિંદગી ખરચવી પડી હોય તોપણ તે કોઈ મોટો પ્રશ્ન નથી. આ બે પ્રકારની પ્રતિભા વચ્ચે ભેદ હોય તો તે એટલો જ કે મોઝાર્તના પ્રકારની પ્રતિમા એકાદ ક્ષણના પ્રચંડ આવેશમાં જ પોતાના અનુભવની સૌથી વધુ ગહરાઈઓ તાગી લેવા સમર્થ બનતી હોય છે; જ્યારે બિથોવન પ્રકારની પ્રતિભાને પોતાની ચેતનામાં એક પછી એક પડો વીંધતા જઈને ઊંડાણ તાગવાનાં હોય છે. પણ આ બંનેય દૃષ્ટાંતોમાં મહત્ત્વનું છે તે દર્શન (vision) જે પોતાના અંતિમ લક્ષ્યને જુએ છે, તેને જ અનુસરે છે અને પ્રાપ્ત કરે છે; અને એ જ તો છે કળાત્મક ઉદ્દેશનું તર્કસૂત્ર.
કવિને કોઈ પ્રાસાદિક ઉત્કટ અને પ્રયોજનવતી પ્રજ્ઞાનું દિવ્ય વરદાન પણ હોય; અથવા તેની ચિતિશક્તિ અસ્પષ્ટ અને મંદવૃત્તિની પણ હોય; પણ એ કોઈ ખરો પ્રશ્ન નથી; પોતાપણાનો લોપ કર્યા વિના તેણે આવા ઉદ્દેશ્યની અખિલાઈ પ્રાપ્ત કરી છે કે નહીં, અને એવા ઉદ્દેશ્યનું છેવટ સુધી નિર્વહણ કરી શક્યો કે નહીં, એ જ અગત્યની વાત છે. મારી વાત કરું તો કાવ્યનિર્માણની ક્ષણે તાત્કાલિક ધ્યાનમગ્ન થવાની મારામાં ભાગ્યે જ કોઈ ક્ષમતા હશે, મારી ઇચ્છાશક્તિ નિર્બળ રહી જાય છે, અને કેવળ વિચારોની ભરચકતા અને આકૃતિ વિશેની ક્ષીણ દૃષ્ટિ મને રૂંધી રહે છે. કેમ જે, પ્રત્યેક કાવ્ય લખવાના આરંભની ક્ષણે મારા ચિત્તમાં એવી બીજી ઓછામાં ઓછી દસ કવિતાઓ સ્ફૂરી રહી છે, જે હું કદીયે લખવા પામતો જ નથી અને જે કવિતા હું લખું છું તેનાય એવા બીજા સાત-આઠ મુસદ્દાઓ હોય છે, જે હું ક્યારેય પૂરા કરી શકતો નથી.
એટલે હું એવી પદ્ધતિ અપનાવું છું કે, એવી ક્ષણે પહેલાં તો, શક્ય તેટલા વધુ ‘વિચારો’ – તે ગમે તેટલા અણઘડ રૂપમાં હોય તોયે – મારી નોંધપોથીમાં હું ટપકાવી લઉં છું. (મારી છેલ્લાં પંદર વર્ષની લેખનપ્રવૃત્તિની જો વાત કરું તો, નહીં નહીં તોયે આવી વીસેક નોંધપોથીઓ મારા મેજ પછવાડેની અભરાઈઓ પર પડી હશે.) એમાંની કેટલીક સામગ્રીઓનો પછીથી હું ઉપયોગ કરી લઉં છું. અને બાકીનીને ત્યજી દઉં છું.
અણઘડ ‘વિચારો’ને હું શી રીતે વિકાસાવું છું, તેનું સ્પષ્ટીકરણ કરવાનો સૌથી સારો માર્ગ તે એક દૃષ્ટાંત લઈને ચાલવાનો છે એમ મને લાગે છે. અહીં ૧૯૪૪માં શરૂ થયેલી એક નોંધપોથીની વિગતો નોંધું છું. એમાંનાં સોએક જેટલાં પૃષ્ઠો ભરીને મેં જે વિચારો ટપકાવી લીધા હતા, તેમાંથી માત્ર છ એક કાવ્યકૃતિઓ આકાર પામી શકી છે. કોઈ પણ ‘વિચારો’(idea) મને પહેલી વાર સૂઝે, એટલે તરત તેને હું ક્રમસંખ્યા આપી દઉં છું. કેટલીક વાર આવો ‘વિચાર’ એકાદ પંક્તિથી વધુ વિસ્તર્યો જ ન હોય એમ બને. ઉદાહરણ તરીકે, ત્રીજા ક્રમનો વિચાર એક જ પંક્તિનો સંભવ્યો છે. (કૃતિરૂપે એ વિકસ્યો નથી) [A language of Flesh and roses. [૧] [1] :
આગળ ઉપર પ્રેરણાની વાત કરવાનો છું ત્યાં આ પંક્તિનો ફરીથી ઉલ્લેખ કરીશ. અહીં તો ૧૩મા ક્રમનો એક એવો વિચાર લઉં છું જે વિકાસ પામીને પૂર્ણરૂપ પામ્યો છે. એની પહેલી રૂપરેખા આ રીતે આરંભાઈ હતી
(a) There are some days when the
sea lies like a harp
Stretched flat beneath the cliffs. The waves
Like wires burn with the sun’s copper glow.
[all the murmuring blue every silent]
Between whose spaces every image Of Sky [field and] hedge
and field and boat
Dwells like the huge face of the afternoon.
[Lies]
When the heat grows tired, the afternoon
Out of the land may breathe a sigh
[Across these wires like a hand.
They vibrate with]
Which moves across those wires like a soft hand
[Then the vibration]
Between whose spaces the vibration holds
Every bird-cry, dog’s bark, man shout
And creak of rollock from the land and sky
Wilh all the music of the Afternoon.
[૨]
દેખીતી રીતે જ એક ‘વિચાર’(idea) જે ચિત્તના કોઈ એક સ્તરે સ્પષ્ટ રૂપમાં સંભવે છે, અને છતાં જે સીધા કથનમાં ગ્રહી શકાતો નથી તેને નિરૂપવાના પ્રયત્નો આ પંક્તિઓમાં થયા છે. આ તબક્કે કવિતા એક એવા ચહેરા સમી તાદૃશ થાય છે જેને સ્મૃતિની આંખમાં સ્પષ્ટ રૂપે નિહાળી શકાય છે, પણ તેની એક એક રેખા લઈને જો કોઈ તેનું મનોમન નિરીક્ષણ કરવા જાય કે તેનો વિચાર કરવા જાય તો તે ધૂંધળી બની લોપ પામતી જણાય છે.
સમુદ્રનું ‘દર્શન’(vision) તે આ કવિતાનો ‘વિચાર’ છે. એ અંગે કવિની એવી શ્રદ્ધા રહી છે કે, આ દર્શનને સ્પષ્ટ રૂપમાં નિરૂપવામાં આવે તો તે અર્થસંપન્ન બની રહેશે. ખડકોની તળેટીમાં વિસ્તરીને પડેલા સમુદ્રનું આ દર્શન છે. ખડકાળ ટેકરીની ટોચે ખેતરો વાડો અને મકાનો છે. શેરીઓમાં ઘોડાઓ ખટારા ખેંચે છે. દૂર અંદરના ભાગમાં ક્યાંક કૂતરાંઓ ભસે છે, છેટેથી ઘંટારવ સંભળાય છે. વસંતની એક રળિયામણી સાંજે સમુદ્રનો કિનારો એની ટોચ પરની વાડો ગુલાબો ઘોડાઓ અને માનવીઓથી ભર્યો ભર્યો દેખાય છે, જ્યારે એ સમુદ્ર એ કિનારાને પ્રતિબિંબિત કરતો અને આત્મસાત્ કરી લેતો દેખાય છે, ત્યાં કિનારા નીચે સુપ્ત સમુદ્રમાં નાના નાના તરંગોની ઝળહળતી હારમાળા એવી રીતે અલગ પ્રકાશરેખાઓ રચે છે કે જાણે વીણાની તંત્રીઓ સૂર્યરશ્મિમાં ઝળહળી ઊઠી હોય. આ તંત્રીઓની વચ્ચે કિનારાનું પ્રતિબિંબ ઝિલાય છે. પુષ્પોની શોધમાં નીકળેલાં પતંગિયાઓ શ્વેત – ભૂમિપટનાં ખેતરો માની તરંગોની ઉપર આમથી તેમ ઉડ્ડયન કરતાં લાગે છે. આવા જ કોઈ એક દિવસે સમુદ્ર તટ પર તરંગાતો ભૂમિ-પ્રદેશ જાણે એટલાન્ટિસની જેમ એની તળે પડ્યો હોય એમ એમાં પ્રવેશતો દેખાય છે. આ વીણાતંત્રીઓ સમુદ્રપટ અને ભૂમિપટનું સંયોજન કરનાર દૃષ્ટિગોચર સંગીત સમી લાગે છે.
આ ‘દર્શન’ને બીજા કોણથી જોતાં, દેખીતી રીતે જ એમાં પ્રતીકાત્મક મૂલ્ય મળ્યું દેખાય છે. સમુદ્ર જો મૃત્યુ અને શાશ્વતીનું પ્રતિનિધાન કરે છે, તો ભૂમિખંડ વસંતના અલ્પ જીવનનું અને જે એક માનવપેઢી શાશ્વતીના સાગરમાં પ્રવેશી રહી છે તેનું પ્રતિનિધાન કરે છે. પણ આ સાથે જ મારે અહીં કહેવું જોઈએ કે, કવિ ‘દર્શન’ના આ પાસા વિશે સભાન હોય તો પણ, ખરેખર તો આ જ બાબતનું સીધું કથન તે ટાળવા ચાહે છે, અથવા એમાં તે વધુ પડતો પરોવાવા ઇચ્છતો નથી. તેનું કાર્ય તેના ‘દર્શન’નું પુનઃનિર્માણ કરવાનું છે, એને એમાંથી જ જે નીતિભાવ સ્વયં વ્યંજિત થાય તેને તેમ થવા દેવાનું છે. કવિએ કઈ વાત સ્પષ્ટરૂપે વર્ણવવાની છે અને કઈ નહીં એ બાબતમાં તેણે પોતાના મનમાં જ વિવેક કરી લેવો જોઈએ. અકથિત આંતરિક અર્થ કવિતાના સંગીતમાં તેમ તેના રણકા(tonality)માં પ્રગટ થાય છે. અને પોતાના સ્વરમાં અમુક જાતનો રણકો અને અમુક જાતનો લય જરૂરી છે એવા તેના બોધમાં જ કવિને એની પણ અભિજ્ઞતા હોય છે.
આ કવિતાના પછીના વીસ મુસદ્દાઓમાં દૃષ્ટચિત્ર, સંગીત, અને ઊંડી સંવેદનાના સ્પષ્ટીકરણને માર્ગે હું સંવેદતો ગયો. ઉપર નોંધેલા પ્રથમ કાવ્યપાઠમાં બીજી-ત્રીજી પંક્તિઓમાં આ પ્રમાણે શબ્દાવલિ છે :
The waves
Like wires burn with the sun’s copper llow [૩]
આ શબ્દાવલિમાં સમુદ્રના કલ્પનની સાથે સંગીતકળાનો વિચાર સંયોજાયો છે, અને એ કારણે એ એક ચાવીરૂપ શબ્દરચના છે. કેમ કે, આ કવિતાનો વર્ણ્યવિષય જ સમુદ્ર અને ધરતીના સંયોજનનો છે. અહીં એ સવા પંક્તિના જે બીજા પાઠો જે ક્રમમાં લખાયા, તે સૌ તે જ ક્રમમાં અહીં ઉતારું છું :
(b) The waves are wires
Burning as with the secret song of fires [૪]
(c) The day burns in the trembling wires
With a vast music golden in the eyes [૫]
(d) The day glows on its trembling wires
Singing a golden music in the eyes [૬]
(e) The day glows on its burning wires
Like waves of music golden to the eyes. [૭]
(f) Afternoon burns upon its wires
Lines of music dazzling the eyes [૮]
(g) Afternoon gilds its tingling wires
To a visual silent music of the eyes. [૯]
છેવટના કાવ્યપાઠમાં એ પંક્તિઓ નીચેની કડીઓ રૂપે વિકસી છે :
(h) There are some days the happy ocean lies
Like an unfingered harp, below the land.
Afternoon gilds all the silent wires
Into a burning music of the eyes.
On morning paths between those fine strung fires
The shore, laden with roses, harses, spires,
Wanders in water, imaged above ribbed sand [૧૦]
અંતઃપ્રેરણા :
આખીય કાવ્યકૃતિમાં થયેલા ‘કાર્ય’ના માત્ર અલ્પાંશ એવાં આ દૃષ્ટાંતોમાં જે રીતે કઠોર પરિશ્રમ બતાવવામાં આવ્યો છે તે જોઈને અંતઃપ્રેરણા જેવી કોઈ વસ્તુ છે કે નહીં અથવા સ્ટીફન સ્પેન્ડર શું કોઈ પ્રેરણારહિત કવિ છે કે કેમ, એવું વિસ્મય વાચકને થાય એમ બને. પણ એના ઉત્તરમાં કહેવાનું કે, અંતઃપ્રેરણાના તત્ત્વને બાદ કરતાં કવિતામાં બીજું બધું જ પ્રયત્નસાધ્ય હોય છે; પછી ભલેને મોઝાર્તે પોતાની સંગીતકૃતિનું સ્વરાંકન કર્યું છે તે રીતે આવું કાર્ય કોઈએ એક જ ત્વરિત સપાટામાં કર્યું હોય; કે પછી તબક્કાઓ વાર વિકસતું રહીને ઉત્ક્રાન્તિની ધીમી ઘટનાથી તે સિદ્ધ થયું હોય. આગળ ‘ધ્યાનમગ્ન સ્થિતિ’ વિશેની વિચારણામાં મેં એ શબ્દની વિશિષ્ટ અર્થછાયા સ્પષ્ટ કરી, તેમ આ ‘કાર્ય’ શબ્દ વિશેય સ્પષ્ટતા કરવાની રહે છે : કવિતાની એક પંક્તિ પરનું ‘કાર્ય’ એ રીતેય સંભવે કે, એનો મૂળનો પાઠ થોડાક દિવસો માટે, અઠવાડિયાંઓ માટે, કે વર્ષો સુધી, એમનો એમ જ પડ્યો રહે; અને પછી જ્યારે એને હાથમાં લેવામાં આવે, ત્યારે વચગાળામાં આખીયે પંક્તિ પોતે નવેસરથી લખાઈ હોય તેમ, એનું રૂપ જ બદલાઈ ચૂક્યું હોય.
અંતઃપ્રેરણા એ જો કવિતાનો આરંભ છે, તો એ તેનું અંતિમ લક્ષ્ય પણ છે. અંતઃપ્રેરણા એ પહેલવહેલો જન્મેલો એક એવો વિચાર (idea) છે, જે કવિના ચિત્તમાં બુંદની જેમ ઝમી પડે છે; અને એ એક એવો અંતિમ વિચાર (idea) છે, જેને કવિએ છેવટે શબ્દોરૂપે પ્રાપ્ત કર્યો હોય છે. આ આરંભ અને અંતિમ લક્ષ્ય એ બે અંતિમો વચ્ચે કવિની અત્યંત કઠોર એવી દોટ રહી છે; પ્રસ્વેદ અને પરિશ્રમ રહ્યાં છે.
કવિતાની એક પંકિત ‘ઈશ્વરદત્ત’ હોવાનું પૉલ વાલેરીએ કહ્યું છે. ઈશ્વર કે પ્રકૃતિ તરફથી કવિને એક પંક્તિ વરદાનમાં મળી હોય છે. બાકીની તેણે પોતે શોધી લેવાની રહે છે.
અંતઃપ્રેરણા વિશેનો મારો પોતીકો અનુભવ એવો છે કે, કવિતાની એકાદ પંક્તિ, એકાદ શબ્દસમૂહ એકાદ શબ્દ માત્ર કે ક્યારેક તો એથીય કશીક ધૂંધળી વસ્તુ – વિચારનું એક ઝાંખુપાંખું વાદળ માત્ર જેને શબ્દોના બુંદ રૂપે મારે મૂર્ત કરવું જોઈએ એમ મને લાગ્યું હોય તે – આટલું તો આરંભની ક્ષણે મને ચોક્કસપણે વરતાતું હોય છે. કવિતાના ચાવી રૂપ શબ્દ કે પંક્તિની વિશિષ્ટતા જોઈએ તો સમજાશે કે, ‘braggadocio’ જેવો શબ્દ મને જે રીતે આકર્ષક લાગે છે, તે રીતની આકર્ષક વસ્તુ એ નથી; એ તો સ્વયં એક સક્રિય, પુંસક અને અંકુરયુક્ત એવી વસ્તુ છે; જાણે કે આદિ અને અંતની અનિવાર્યતા ઝંખતા કોઈ વિધાનનું એ કેન્દ્રબિંદુ છે; અને અમુક ચોક્કસ દિશા પ્રતિનો ગત્યાત્મક ઉન્મેષ ધરાવતી અંતઃક્ષમતાય એમાં રહી હોય છે. એનાં દૃષ્ટાંતો આ રહ્યાં :
A language of flesh and roses
આ શબ્દાવલિ (જે પોતે મને એટલી સમાધાનકારી નથી તે) – જે કવિતા હું કદાચ હવે પછીનાં થોડાં વર્ષો બાદ રચુંય ખરો, તેનો મૂળ ‘વિચાર’ અને અનુભવોની એક આખી પરંપરા મારા ચિત્તમાં ખેંચી લાવે છે. બ્લેક કન્ટ્રીમાં પસાર થતી ટ્રેનના કોરિડોરમાં હું ઊભો હતો ત્યાં દૃષ્ટિ સામેની વિસ્તૃત ધરતી પર ખાડાઓ, તેના પર ગોઠવવામાં આવેલાં રાક્ષસી યંત્રો, માનવસર્જિત ડુંગરો અને સપાટી પરના આડાઅવળા પીળચટા રંગના વ્રણો – એ બધું જાણે કે પોતાના શિકારની શોધમાં નીકળેલા કોઈ વિરાટકાય પશુએ કે ખજાનાની તલાશમાં ભટકતા ફરતા કોઈ રાક્ષસે ભારે પરિશ્રમ કરીને એ ધરતીને વલૂરી નાખી હોય તેવું – એ બધું રૂપાંતર થઈ ગયેલું મેં જોયું. કંઈક વિચિત્ર લાગે એવી ઘટના તો એ બની ગઈ કે એ જ કોરિડોરમાં મારી નિકટમાં જ ઊભેલા એક અણજાણ મુસાફરે મારા જ અંતરતમનો પડઘો પાડ્યો. તેના મોંમાંથી સહજ ઉદ્ગાર નીકળી ગયો. ‘અહીં આ બધું જ માનવનિર્મિત છે!’ એ જ ક્ષણે મારા ચિત્તમાં આ પંક્તિ ચમકી ગઈ –
A language of Flesh and roses.
મારા વિચારનો ઘટનાક્રમ આ જાતનો હતો : ઔદ્યોગિક ક્ષેત્રનું આ દૃશ્ય, હવે તો જે રોજિંદા અનુભવની બાબત બની ગઈ છે, અને જે ઈશ્વરનું કાર્ય હોવાનું જણાયું છે – જેને માલિકો અને મજૂરો બંનેય વર્ગ પાસે છે, અને એ બંનેય વર્ગ જેના લાભ વાંછે છે અને તે જ તેમને ગુલામ પણ બનાવી દે છે એવા ઈશ્વરનું એ કાર્ય છે – એ આખુંય દૃશ્ય હવે ખરેખર તો માનવીની ઇચ્છાશક્તિની અભિવ્યક્તિ માત્ર છે. માનવીએ જ તો આવી રચનાની ઇચ્છા કરી છે; એટલે એ ખાડાઓ પરનાં રાક્ષસી યંત્રો, ધાતુઓના ભંગારના મોટા ડુંગરો અને કેવળ ધનસંપત્તિ માટેની આંધળી દોટમાં બાકીનાં બધાંની ક્રૂર અવગણના, એ બધું મને તો આધુનિક માનવીના મનનું પ્રતીક બની જતું લાગ્યું. બીજા શબ્દોમાં, આપણે જે પ્રકારનું જગત – ગંદી વસાહતો, ટેલિગ્રામ્સ અને વર્તમાનપત્રોનું જગત – રચી રહ્યા છીએ, તે ખરેખર તો આપણા ગૂઢ મનની ઇચ્છાઓ અને વિચારોની જ એક જાતની ‘ભાષા’ છે. અલબત્ત, એ ‘ભાષા’ છે ખરી, પણ દેખીતી રીતે જ આપણા અંકુશની બહાર ચાલી ગયેલી એ ‘ભાષા’ છે. અને બિનજવાબદાર નિર્બળ પ્રલાપ શી એ ‘ભાષા’ બની રહી છે. આવા ખ્યાલોએ મને ખૂબ જ વ્યથિત કરી મૂક્યો, અને હું એ વિચારે ચઢી ગયો કે માનવજાતિએ નિર્મેલી આ સર્વ ઘટના ખરેખર જો કોઈ ‘ભાષા’ના શબ્દો જેવી છે, તો પછી આપણે કેવા પ્રકારની ‘ભાષા’ની ઝંખના કરી રહ્યા છીએ? અને મારા ચિત્તમાં આ પ્રશ્ન આકાર લે તે પહેલાં જ, એના ઉત્તરરૂપે આ સર્વ વિચારોનું ઘટનાચક્ર એકાએક આ શબ્દોરૂપે મારા મનમાં ઝબકી ગયું :
A language of Flesh and roses.
‘અંતઃપ્રેરણા’ શબ્દથી મને શું અભિપ્રેત છે, તેનો કંઈક ખ્યાલ વાચકને આ દૃષ્ટાંતમાંથી મળી જશે એવી મને આશા છે. હવે પ્રસ્તુત પંક્તિ જેનું હું પુનરાવર્તન કરવા ઇચ્છતો નથી તે કલ્પનાની કોટિના ચિંતનની પ્રક્રિયા જ છે. ઉપર મેં જે વિચારો સાંકળી લીધા, તે પૈકીના થોડાક પણ જો એ પંક્તિમાં મૂર્ત થઈ શક્યા હોય, તો મારે એને બીજી પંક્તિઓમાં વિશેષ સ્ફુટ કરવાના રહે. કવિતાનો આ એક ભયંકર પડકાર છે. તો, એ માટે હું કલ્પનોનું તર્કસૂત્ર નિપજાવી શકું ખરો? મને જે કવિતા લખવાનું ગમ્યું હોત, તેને વિશે સ્પષ્ટીકરણ કરવાનું કેટલું સરળ લાગે છે. પણ એ કવિતા લખવાનું કેટલું બધું મુશ્કેલ હોય છે! આ રીતે કવિતાનું લેખન, તે અહીં જે બધા વિચારોનાં કેવળ અમૂર્ત તત્ત્વો સાંપડે છે, તે સર્વને કલ્પનનિષ્ઠ અનુભવ રૂપે જીવવાની આખી પ્રક્રિયા છે એમ થયું. અને કલ્પનનિષ્ઠ અનુભવનો આવો પ્રયત્ન જીવનભરનું ધૈર્ય અને આંતર-નિરીક્ષણ માગે છે.
મારા ચિત્તમાં અવ્યાકૃત રૂપમાં પડી રહેલી બીજી એક કવિતાનો ચાવી રૂપ શબ્દ ‘ક્રોસ’(cross) છે, જેમાંથી અંકુરિત થતા ‘વિચાર’નું ધૂંધળું રૂપ એક દૃષ્ટાંત લેખે રજૂ કરું છું. તાજેતરમાં જ મારી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મ પછી જ્યારે પહેલી વાર પત્નીને મળવા નીકળ્યો, ત્યારે હું બસમાં હૉસ્પિટલ જવા નીકળ્યો. બસની ઉપલી ડેક પર બેસી શેરીઓ પસાર કરતાં બધી શેરીઓ મને એકદમ સ્વચ્છ અને રળિયામણી લાગી. અને, મારા મનમાં વિચાર આવ્યો કે અમારા બાળકના સ્વાગત અર્થે અહીં બધાં જ આતુર હતાં. ગઈ પેઢીઓએ એટલા માટે જ તો પરિશ્રમ વેઠ્યો હતો કે સાંપ્રતમાં જન્મતા હરેક બાળકને તેના સમવયસ્કોની સાથે શહેરો, શેરીઓ, સંસ્થાઓ અને સૌથી વધુ વિકસિત યંત્રસામગ્રી તેના જીવન અર્થે વારસામાં પ્રાપ્ત થાય. એ બાળક જન્મ્યું તેની પૂર્વે ઘણી અગાઉથી લોકોએ તેને માટે સુવિધાઓ તૈયાર કરી રાખી હતી. પણ એવામાં સાહજિકપણે જ મારા ચિત્તમાં જાગી ઊઠેલા વિષાદની ઘેરી છાયા ફરી વળી. કેટલી ભયંકર ગેરવ્યવસ્થા અને કેટલા વિરાટ માનવીય અપરાધો એ બાળકે વારસામાં મેળવ્યા છે તેનો મને વિચાર આવી ગયો. ત્યાં મેં એ બાળકને સમગ્ર ભૂતકાળ અને સર્વ સંભવિત ભાવિઓનો જેમાં એક ક્રોસ – cross રચાયો હોય એવી એક સાંપ્રતની ક્ષણરૂપે, વર્તમાન અસ્તિત્વના એક શિરોબિંદુ રૂપે, નિહાળ્યો. આ ‘ક્રોસ’ (cross) શબ્દે, કોણ જાણે કેમ, આ સંસારમાં જન્મેલા બાળકની સમસ્ત પરિસ્થિતિનું તેમ જ તેની પરિસ્થિતિ વિશેની કવિતાના આકારનુંય, સૂચન કરી દીધું હતું. આ ‘ક્રોસ’ શબ્દ કવિતામાં આવે ત્યારે ભૂતકાળ વિશેના ખ્યાલે ભાવિના ખ્યાલને અવકાશ આપવો જોઈએ; અને જે ‘ક્રોસ’માં વર્તમાન અને ભાવિ એક બિંદુએ મળે છે, તે જ વ્યક્તિના માનવીય અસ્તિત્વનું રહસ્ય છે, એમ એમાંથી તરી આવવું જોઈએ. અને ફરીથી અહીં ‘ક્રોસ’ શબ્દના બીજા અર્થસંકેતો સાથે સંકળાયેલી નૈતિકતાની છાયાઓ, કવિતાની પાર એવું અકથિત રહસ્ય, એક એવી ગુણસમૃદ્ધિ રૂપે પ્રજ્વલિત થવા લાગે છે, જેનું કદીયે સીધું કથન કરવાનું ન હોય, અને છતાં કવિતાના પ્રત્યેક કલ્પનમાં તે ઝળહળી રહ્યું હોવું જોઈએ.
બીજા કવિઓ ‘અંતઃપ્રેરણા’ વિશે જે જાતના અહેવાલો આપે તેની સરખામણીમાં આ બયાન સંભવતઃ નિસ્તેજ લાગશે. મારા જ પોતાના અનુભવને પ્રમાણીને હું આ નોંધું છું; અને બીજા કવિઓ વિશે હું જે ખ્યાલ કરી શકું, તેમનાથી નિરાળી વાસ્તવિક્તાના સ્વરૂપને ભેદવા ચાહતી અંતર્દૃષ્ટિની ઝાંખી જેવી મારી અંતઃપ્રેરણાની જ અહીં આ વાત કરું છું અને છતાં આલ્દસ હક્ઝલીએ પોતાની નવલકથા, ‘ટાઇમ મસ્ટ હેવ એ સ્ટોપ’માં તરુણ કવિ કાવ્ય શી રીતે લખે છે તે વિશે જે બયાન આપ્યું છે, તેની તુલનામાં અહીં મેં વર્ણવેલો પ્રેરણાનુભવ ગમે તેટલો આછોપાતળો હોય તોયે, વાસ્તવિક કાવ્યાનુભૂતિનો વધુ સચ્ચાઈભર્યો ખ્યાલ એમાં રહેલો છે. હક્ઝલીએ આ વિશે રજૂ કરેલા અહેવાલ કરતાં વધુ આત્મસભાન અને વધુ અકાવ્યાત્મક બીજું કંઈ કલ્પી શકાતું નથી.
સ્મૃતિ :
વિલક્ષણ રીતે ધ્યાનમગ્ન બનવાની કળા એ જો કવિતાને પોતાને પ્રગટ થવાને અનિવાર્ય એવી શિસ્ત હોય તો એવી જ કોઈ વિલક્ષણ રીતે સ્મૃતિનું અનુસંધાન એ પ્રતિભાની નૈસર્ગિક બક્ષિસ છે. કવિ, બીજું કંઈ પણ હોય, વિશેષે તે એક એવી વ્યક્તિ છે, જે પોતાના અનુભવમાં આવેલા ઐન્દ્રિયિક સંસ્કારોને કદીયે ભૂલી શકતી નથી, અને જે, એ અનુભવોને એની સર્વ આદિમ તાજગી સાથે ફરી ફરીને જીવી શકતી હોય છે.
બધા જ કવિઓ પાસે સ્મૃતિશક્તિનું આવું એક અત્યંત કેળવાયેલું વેદનશીલ તંત્ર છે; અને જે અનુભવો તેમને છેક બાળપણમાં થઈ ચૂક્યા હોય અને જીવનભર જે પોતાનું આદિમ રહસ્ય જાળવીને ટકી રહેતા હોય તેવા અનુભવો વિશે સામાન્ય રીતે તે સભાન હોય છે. મહાકવિ દાન્તે ફક્ત નવ વર્ષનો હતો ત્યારે બિએટ્રીસને મળવાનો તેને જે પ્રસંગ મળ્યો, તેનો અનુભવ તેના ચિત્તમાં એક પ્રતીકરૂપ વસ્તુ બની રહ્યો, જે પછીથી તેની કૃતિ ‘ડિવાઈન કૉમેડી’રૂપે ઘનીભૂત થવા પામ્યો. વડ્ર્ઝવર્થની કવિતામાં પ્રકૃતિનો અનુભવ જે રીતે વર્ણ્યવિષય બનીને આવે છે, તેય ખરેખર તો બાળક વડ્ર્ઝવર્થની આસપાસ વીંટળાઈ રહેલાં ‘નિસર્ગનાં સત્ત્વો’ વિશેનો તેના શૈશવકાલીન દર્શનનો જ વિસ્તાર માત્ર છે, અને ઉત્તરવયમાં તેમણે લેઈક ડિસ્ટ્રીક્ટમાં જઈ વસવાનો જે સંકલ્પ કરેલો તે પણ, તેની કવિતામાં તેના જે જે અનુભવ સૌથી વધુ મૂલ્યવાન બની રહ્યા હતા, તેના સ્રોત સમી શૈશવની સ્મૃતિઓના વિશ્વમાં પાછા ફરવાનો એ સંકલ્પ હતો. બધી જ સર્જનાત્મક કળાઓ માટે આ પ્રકારની સ્મૃતિનું મહત્ત્વ બતાવી શકાય તેમ છે; અને જે સર્જનાત્મક ગદ્ય છે, તેનેય આ વિચારણા એટલી જ નિશ્ચિતપણે લાગુ પડે છે. સર ઑસ્બર્ત સીટવેલે મને એક વાર એમ કહ્યું હતું કે, ‘બિફોર ધ બોમ્બાર્ડમેન્ડ’ નામના પોતાના પુસ્તકમાં છેલ્લા મહાયુદ્ધ પૂર્વના અને એ યુદ્ધ સમયના સ્કારબરો પ્રદેશના સમાજજીવનનું જે અત્યંત સુરુચિપૂર્ણ અને વ્યંગઉપહાસભર્યું ચિત્ર તેમણે આલેખ્યું હતું, તે તેઓ પોતે બાર વર્ષના થયા તે પૂર્વે એ પ્રદેશના જીવનનાં તેમણે જે અવલોકનો કરેલાં તેના પર આધારિત હતું.
આમ, જોકે, ટેલિફોન નંબરો સરનામાંઓ ચહેરાઓ, અરે દિવસની સવારની ટપાલ મૂકી હોય તે જગ્યા વગેરે બાબતોનું મને સામાન્ય રીતે સ્મરણ રહેતું નથી. પણ અનુભવોનાં એવાં કેટલાંક સંવેદનો, જે મારે માટે અમુક સાહચર્યો પ્રાપ્ત કરી સ્ફટિકઘન બની રહ્યાં હોય, તેની પૂરેપૂરી સ્મૃતિ મારા ચિત્તમાં સંગ્રહિત થઈને રહી હોય, તો એમાં કશું આશ્ચર્ય પામવા જેવું નથી. મારા ચિત્તનો કબજો લઈને બેઠાં હોય એવાં સ્મૃતિસાહચર્યો અચાનક જ જાગ્રત થઈને મને સંપૂર્ણતયા મારા ભૂતકાળમાં – અને તેમાંયે વિશેષે તો જ્યાં વર્તમાન સ્થળકાળનું બધું ય ભાન લોપ પામે છે એવા શૈશવકાળમાં – ખેંચી ગયાં છે, તે વિશે મારા પોતાના જીવનમાંથી હું અનેક દૃષ્ટાંતો આપી શકું તેમ છું, પણ આવી સ્મૃતિશક્તિનું ઉત્તમ દૃષ્ટાંત તો પંદરેક વર્ષો પર લખાયેલી મારી નોંધપોથીમાંની કેટલીક વિચિત્ર લાગતી પંક્તિઓમાં જોવા મળશે. અધૂરી રહી જવા પામેલી એ કવિતાના ત્રૂટક ત્રૂટક ખંડો તરત જ જે અનુભવોમાં એ જન્મ્યા હતા તે અનુભવોમાં, જે સંયોગોમાં એ લખાયા હતા એ સંયોગોમાં અને કવિતાની અલિખિત સંવેદના જે પ્રક્ષેપ પામી હતી પણ કદી શબ્દદેહે અવતરી નહોતી તે સંવેદનામાં મને ખેંચી જાય છે.
...Knowledge of a full sun
That runs up his big sky, above
The hill, then in those trees and throws
His smiling on the turf. [૧૧]
પંદર વર્ષ પહેલાંનો આ એક અધૂરો રહી ગયેલો ‘વિચાર’ છે; અને એ સાથે મને એક રસ્તા પરના મકાનનો ઝરૂખો, રસ્તાની સામેની બાજુની પાઈનવૃક્ષોની કતાર અને તેની સાથે વિસ્તરી રહેલા સમુદ્રનું બરોબર સ્મરણ થઈ આવે છે. રોજ સવારે સૂરજ, પહેલાં તો, એ સમુદ્રની કોરે ઊગી નીકળતો; એ પછી પેલાં વૃક્ષોની ટોચે તે ચઢી જતો, અને મારી બારી પર ઝળહળી ઊઠતો. આજે હવે લંડનમાં વસંતમાં તેમ જ ગ્રીષ્મના શરૂના દિવસોમાં, મારી બારીમાં ઝળહળી ઊઠતા સૂરજને જોઈને એ સ્મરણનું અનુસંધાન થઈ જાય છે; અને એ રીતે એ સ્મરણ એ કેવળ સ્મરણ રહેવા પામતું નથી. વર્ષો સુધી અનુભવેલી સમરૂપ અનુભૂતિઓનું આખુંય પુદ્ગલ જેના પર ટીંગાડી શકાય તેવી વિશેષે તો એ એક ખીંટી બને છે. કોઈ પણ સ્મૃતિને સ્પષ્ટ કથન રૂપે રજૂ કરો, એટલે તરત જ તે સ્મૃતિ મટી જાય છે, અને તે ચિરંતન સાંપ્રત બની જાય છે. કેમ કે એનું સ્મરણ કરાવી આપે એવી કોઈ પણ વસ્તુનો જ્યારે આપણે અનુભવ કરીએ ત્યારે મૂળનો એ વિશદ અને પારદર્શી અનુભવ નવા અનુભવો પર એના આકૃતિગત સૌંદર્યનું આરોપણ કરે જ છે. એ રીતે મૂળની સ્મૃતિ કેવળ સ્મૃતિ રહેતી નથી, પણ ફરી ફરીને જીવતો રહેલો અનુભવ બની રહે છે.
આ જૂની નોંધપોથીઓનાં પાનાં ઉથલાવતાં વળી એક આકાર લેતી લાંબી કવિતાની થોડીક પંક્તિઓ મારી નજરે પડે છે, જે એક સ્ત્રીના ચહેરાની નાનકડી છબી બની આ પ્રમાણે નવો ઘાટ લે છે :
Her eyes are gleaming fish
Caught in her nervous face, as if in a net,
Her hair is wild and fair, haloing her cheeks
Like a fantastic flare of southern sun.
There is madness in her cherishing her children.
Sometimes, perhaps a single time in years.
Her wandering fingers stoop to arrange some flowers
Then in her hands her whole life stops and weeps, [૧૨]
સ્મૃતિ એ કવિતાનો વ્યાપાર છે એમ કહેવું કદાચ સત્ય છે; કેમ કે કલ્પનાવ્યાપાર પોતે સ્મૃતિશક્તિનો જ પ્રયોગ છે. પૂર્વકાળમાં કશુંક પણ જે આપણી કલ્પના કરવાની શક્તિ છે, તે ખરેખર આપણે જાણ્યું ન હોય તેની આપણે કલ્પના કરી શકતા નથી, તો આપણે એક વાર પણ જેનો અનુભવ કર્યો હોય, અને બીજી જુદી પરિસ્થિતિમાં પણ જેને આપણે લાગુ પાડી શકીએ એમ હોય, તેનું સ્મરણ કેળવવામાં રહી છે. આ રીતે જોતાં મહાન કવિઓ, તે મહાન સ્મૃતિઓવાળી વ્યક્તિઓ છે – અને તેમની સ્મૃતિઓ એટલી તો મહાન સંભવે છે કે તેમની પોતાની અહમ્કેન્દ્રિતતાની બહાર ઘણે દૂર સુધી – પોતાના ઉત્કટમાં ઉત્કટ અનુભવોને ઓળંગીને લોકો અને પદાર્થોનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ અવલોકનો સુધી વિસ્તરતી હોય છે. (સ્મૃતિની નિર્બળતા તેની અહમ્ કેન્દ્રિતતા છે. અને આ કારણે જ તો મોટા ભાગની કવિતામાં નાર્સિસસ વલણ દેખાય છે.)
અહીં જ હું મારી પોતાની સૌથી મોટી નિર્બળતાને જોઈ શકું છું. મારી સ્મૃતિ-શક્તિ દોષવાળી અને અહમ્-કેન્દ્રી છે. હું મારી સ્મૃતિ-શક્તિનો મારા પોતાનાથી બહારના એવા સંયોગો નિર્માણ કરવાને ઉપયોગ કરી શકું. એટલો આત્મવિશ્વાસ મારામાં નથી. જોકે હું એમ પણ માનું છું કે, સિદ્ધાંતની ભૂમિકાએ વિચારતાં કવિ જેની કલ્પના જ ન કરી શકે એવી પરિસ્થિતિઓ જીવનમાં બહુ ઓછી સંભવે છે. કારણ કે મોટા ભાગના કવિઓએ જીવનની લગભગ દરેક પરિસ્થિતિનો અનુભવ કર્યો જ હોય છે. પણ આ રીતે હું એમ સૂચવવા માગતો નથી કે, ધ્રુવપ્રદેશની સાહસયાત્રા વિશે લખનાર કવિ ખરેખર ઉત્તર ધ્રુવનું પરિભ્રમણ કરી આવ્યો હોવો જોઈએ. મારા કહેવાનું તાત્પર્ય જોકે, એમ ખરું કે, શૈત્ય, ભૂખ વગેરેને તે જાણતો હોય, જેથી તેના પોતાના અનુભવોને કલ્પનાથી સ્મરણમાં આણીને ઉત્તર ધ્રુવની ખોજ તે શી વસ્તુ છે તે તેને જાણવાનું શક્ય બની રહે અને આ બાબતમાં જ તો હું નિષ્ફળ જાઉં છું. ઉત્તર ધ્રુવના પરિભ્રમણ વિશે હું લખી શકતો જ નથી.
શ્રદ્ધા :
કવિઓને તેમની પ્રવૃત્તિમાં રહસ્યાનુભૂતિની ઉત્કટતા ધરાવતી શ્રદ્ધા જ ટકાવી રાખે છે એ સ્પષ્ટ વાત છે. આના પુરાવારૂપ ઘણાંય ઉદાહરણો કવિઓના જીવનમાંથી મળી રહે એમ છે; અને શેક્સ્પિયરનાં સૉનેટોમાં તેની પોતાની પંક્તિઓની અમરતા માટેની શ્રદ્ધા સર્વત્ર વ્યક્ત થતી રહેલી દેખાય છે.
મારા અનુભવના પ્રકાશમાં જ આવી શ્રદ્ધાનું સ્વરૂપ હું સમજાવી શકું. જ્યારે હું નવેક વર્ષનો હતો ત્યારે અમે લેઈક ડિસ્ટ્રિક્ટના પ્રદેશમાં ગયેલાં, અને ત્યાં મારાં માતાપિતાએ મને વડ્ર્ઝવર્થની કેટલીક કાવ્યરચનાઓ વાંચી સંભળાવેલી. કવિતાના કાર્યની પવિત્રતાનું મને પહેલું ભાન ત્યારે થવા લાગ્યું હતું. અને મને હંમેશાં એવી પ્રતીતિ રહી છે કે, સંતના કાર્ય જેવું જ કવિનું પણ પવિત્ર કાર્ય છે. હું નવ વર્ષનો હતો ત્યારથી જ ઘણું ઘણું બનવાની મને ઇચ્છાઓ જાગી હતી; જેમ કે (બાર વર્ષની વયે) વડાપ્રધાન થવાનું સ્વપ્ન સેવેલું. બીજા કેટલાક કવિઓની જેમ સત્તાધારી અને ક્રિયાશીલ એવી જિંદગીનું મનેય આકર્ષણ રહ્યું છે; પણ એથી વધુ તો તિરસ્કાર પણ મને એવી જિંદગી માટે રહ્યો છે! કેટલીક વસ્તુઓ સિદ્ધ કરીને, અને સ્વયં જે મહત્ત્વવાળા છે એવા હોદ્દાઓ મેળવીને, ઇતિહાસકારોનું લક્ષ્ય ખેંચવામાં સત્તાધારીની સત્તા રહી છે; એટલે કહેવાતા સત્તાશાળી અને પ્રખ્યાત માણસનો આત્મા કંઈ ખરેખર શક્તિશાળી હોતો નથી. પણ તે જે સ્થાન પ્રાપ્ત કરે છે અને જે વસ્તુઓ કરે છે, તેમાંથી જ તેની શક્તિ સંભવે છે; એવી રીતે ક્રિયાશીલ જિંદગી પહેલી નજરે ‘પોઝિટિવ’ લાગે; પણ, હકીકતમાં જીવનનું એ આંશિક જ અને તેય ‘નેગેટિવ’ રૂપ જ સંભવે છે. ક્રિયાશીલ માનવી કોઈ એક કે અનેક વસ્તુઓ કરે, કેમ કે, બીજી કેટલીક વસ્તુઓ તે કરતો નથી. સામાન્ય રીતે જે માણસો અસાધારણ ભવ્ય કાર્યો કરે છે, તેઓ સૌથી સામાન્ય લોકોના જીવનને ભરી દે તેવી સામાન્ય વસ્તુઓ કરવામાં પૂરેપૂરા નિષ્ફળ જાય છે – અને તેય એવી સામાન્ય વસ્તુઓ કે જે ઘણા લોકોએ એવી વસ્તુ કરવાનું સ્વીકાર્યું ન હોત તો તે કદાચ વળી વધુ વીરત્વભરી અને ભવ્ય બની રહી હોત! આમ વ્યવહારની ભૂમિકાએથી વિચારતાં ક્રિયાશીલ જીવન વ્યક્તિને ખરા જીવનથી જ વિચ્છિન્ન કરી નાખનારું મને લાગ્યું છે.
જોકે, કવિઓ મિથ્યાવાદી અને મહત્ત્વાકાંક્ષી હોય છે એ ખરું, પણ તેમનો એ મિથ્યાવાદ અને તેમની એ મહત્ત્વાકાંક્ષા આ વિશ્વમાં સુલભ એવી વસ્તુઓમાં વિશુદ્ધતમ એવી વસ્તુઓ છે. કેમ કે, મહત્ત્વાકાંક્ષાને તો માત્ર સંતો જ ત્યજી શકતા હોય છે, અને કવિઓની મહત્ત્વાકાંક્ષા એટલી જ હોય છે કે, પોતાની કવિતામાં પોતાના ગૂઢતમ અનુભવો, પોતાના સૂક્ષ્મતમ પ્રત્યક્ષો, પોતાની ઊંડામાં ઊંડી સંવેદનાઓ, અને સત્ય વિશેની પોતાની પરમ ભાવનાથી તેઓ અંતે જેવા પ્રગટ થાય તેવા રૂપે તેમને સ્વીકૃતિ મળે. આ બાબતમાં તેઓ કોઈને છેતરી શકે જ નહીં, કેમ કે તેમના પોતાના અસ્તિત્વનો ગુણવિશેષ કંઈ કવિતા દ્વારા વ્યક્ત થતી કેવળ ઉદાત્ત લાગણીઓમાં જ પ્રગટતો નથી; પણ, મતદારમંડળના વિશ્વાસદર્શક ઠરાવથી કે ‘પોયેટ લોરિએટ’ના ઇલકાબથી જે પ્રાપ્ત ન થઈ શકે એવી સંવેદનશીલતા, ભાષાપ્રભુત્વ, લય અને સંગીત, અને એવી એવી વસ્તુઓમાં તે પ્રગટ થાય છે. અલબત્ત, કવિકર્મનું અસાધારણ મહત્ત્વ છે; પણ કવિતારચનામાં, સૌથી મોટો શ્રમ પણ, કવિ ખરેખર જે કંઈ છે તેના આત્માના આંતરિક ગુણોને પ્રગટ કરવામાં, સહાયક તરીકે જ આવે.
કાવ્યરચનામાં કોઈને પણ છેતરવાનું શક્ય નથી; એટલે સંતની જેમ કવિ પણ પોતાની બધી કૃતિઓમાં હંમેશાં અંતિમ ચુકાદાના દિવસે અદાલત સમક્ષ ઊભો રહ્યો હોય તેવો દેખાશે. સફળતા મળતાં, અલબત્ત, તેનો અહંભાવ સંતોષાય છે. જોકે, એવી સફળતા પણ તેની સમજમાં એટલી વૃદ્ધિ કરશે કે, તે જે પ્રકારની સર્વકાલીન સ્વીકૃતિ ઝંખે છે, તે કંઈ તેને કેવળ લોકપ્રિય બનવાથી મળી જવાની નથી. કેમ કે, આપણો પોતાનો યુગ જે અપરાધો અને મૂર્ખામીઓમાં ગળાડૂબ રહ્યો છે, તેની પ્રશંસા મેળવવાનોય શો અર્થ? સિવાય કે આપણે જ્યાં મૂર્ખ ઠરીએ છીએ, ત્યાં ભવિષ્યની પેઢીઓ કદાચ એવી બાબતને આપણા યુગના અપરાધો અને મૂર્ખામીઓની લાક્ષણિક અભિવ્યક્તિ રૂપે જોઈ રહે! બીજી બાજુ સફળતાનો અભાવ એ પણ મહાન કવિતાની કસોટી નથી; જોકે કેટલાક લોકો એવો દેખાવ કરતા હોય છે ખરા. અને અમુક મર્યાદા સુધીના રચનાકળાને લગતા નિર્ણયોથી વિશેષ વિવેચકોનોય વિશ્વાસ કરી શકાય નહીં.
એટલે, કવિની શ્રદ્ધા સૌ પ્રથમ તો, તેના કાર્યનું રહસ્યસભર આહ્વાન છે; બીજું, તેની શ્રદ્ધા એ તેના મુશ્કેલ કાર્યમાં નિહિત રહેલી, તેને પોતાની નિષ્ઠાભક્તિ સમેત, તેને પોતાને ઉપલબ્ધ સત્યમાં નિહિત રહેલી શ્રદ્ધા છે. વ્યક્તિ પોતાના પરમ કાર્યની સંસિદ્ધિ અર્થે પોતાનાથી બનતું બધું જ કરી રહી છે એવા તેના આત્મવિશ્વાસથી ભિન્ન બીજી કોઈ શ્રદ્ધા સંભવતી નથી, અને બધા જ મહાન કવિઓને એવી શ્રદ્ધા પ્રેરતી રહે છે. એ સાથે જ વળી તેની શ્રદ્ધામાં તેની ઊંડી વિનમ્રતા પણ જોડાયેલી રહી છે. કેમ કે, તેને એ વાતનું ભાન હોય છે કે, છેવટે કૃતિનો નિર્ણય કંઈ તેણે પોતે કરવાનો નથી. બિલકુલ નિર્દંભ બની રહેવું, પોતે જે કંઈ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે એમ હોય તેવા કૌશલ્યથી સંવર્ધિત કરેલી પોતાના ચિત્તની શક્તિઓ અને પ્રત્યક્ષો દ્વારા, જે સ્થિતિ શક્ય હોય ત્યાં પહોંચવું, અને એ રીતે કાળના ચુકાદા સામે ખડા રહેવું – વધુમાં વધુ સર્જક આટલું કરી શકે.
આ જાતની ભાવનાઓ પ્રગટ કરતું એક ગદ્યકાવ્ય મારી નોંધપોથીમાંથી મળે છે : મને શાંતિ આણી દ્યો, મને સત્તા આણી દ્યો, મારા અંતરને ખાતરી આપો. છેવટે મારા હાથ, જ્યાં શબ્દો પર શાસન કરી રહે, કોઈ ચિંતા જ્યાં મને સતાવતી ન રહે, એવા ઊજળા દિવસે, ઉચ્ચ ખુરશી પર, સદા મેજ પર મને પહોંચવા દો. એ સ્થાનોએ જો હું પહોંચી ન શકું તો, વરુઓ વચ્ચે હું જઈશ : એક સ્થળથી બીજા સ્થળમાં એક અનુભવથી બીજા અનુભવમાં વિચરતું ફરતું હું એક અજંપાગ્રસ્ત પ્રાણી છું.
મારા પોતાના સર્જનકાર્યના ઊંડા સમૃદ્ધ સંતોષથી હું એકાકી જિંદગી જીવી રહું, તિરસ્કાર કે અસ્વીકારના શબ્દથી સંશયગ્રસ્ત ન બની જાઉં, તે માટે મને નિર્ણયશક્તિ અને વિનમ્રતા અર્પો.
તમારી કૃતિમાં તમે જેને ચાહો છો તે સમગ્ર વિશ્વની પૂર્ણતા અને ભરચકતા જો સિદ્ધ થઈ શકી હોય તો, છેવટના વિશ્લેષણમાં તમારી કૃતિ સારી છે કે નહીં તેનો વિચાર કરશો નહીં.
ગીત-ગુંજન :
‘અંતઃપ્રેરણા’ અને ‘ગીત-ગુંજન (song) એ કવિની બે મૌલિભૂત અને સંસિદ્ધ એવી આંતરિક શક્તિ છે, જે તેના કાર્યને અન્ય કાર્યોથી અલગ પાડે છે, ‘અંતઃપ્રેરણા’ જે તેને પ્રાપ્ત થતો એવો એક અનુભવ છે, જે તેને એકાદ પંક્તિ કે વિચાર અર્પે; અથવા, તેની ઉત્તમ કૃતિ રચાઈ જાય તેવી ભાવસ્થિતિ પણ રચી આપે. પણ ‘ગીતગુંજન’(song)ની વ્યાખ્યા કરવાનું તો અત્યંત મુશ્કેલ છે. આ ‘ગીતગુંજન’ એક એવું સંગીત છે, જે હજી ન ચિંતવેલી કવિતા ધારણ કરી રહે છે – કવિના સંવિદ્માં હંમેશ પડી રહેલું એ એક એવું ખાલી ગર્ભાશય છે, જે હંમેશ અંકુરયુક્ત બીજની પ્રતીક્ષા કરતું હોય છે.
કેટલીક વાર હું તંદ્રાવસ્થામાં પડ્યો હોઉં ત્યારે, મારા ચિત્તમાં થઈને – જેને હજી કોઈ અર્થ પ્રાપ્ત થયો નથી પણ કેવળ ધ્વનિ ધારણ કર્યો છે – ભાવનો ધ્વનિસંકેત ધારણ કર્યો છે અથવા, જે કવિતાને હું ઓળખું છું તેને જેનો ધ્વનિ આમંત્રે છે – એવા શબ્દોની હારને વિશે હું સભાન બની જાઉં છું. વળી કેટલીક વાર હું લખવામાં રોકાયો હોઉં છું ત્યારે, જે શબ્દોને હું આકાર આપવા મથી રહું છું, તેનું ‘ગીતગુંજન’ જ મને એ શબ્દોથી દૂર અતીતના પ્રાંતમાં ખેંચી જાય છે; અને જેને હજુ શબ્દદેહ મળ્યો નથી તેવા લય નૃત્ય તાંડવ વિશે હું સભાન બની રહું છું.
આ બધાં અવલોકનો રજૂ કરતાં કવિઓની જીવનયાત્રામાં જેને વિરામસ્થાન ગણવામાં આવે છે તેવી, માથાદુઃખણાં ઉજાગરાઓ શરાબની મહેફિલો પ્રણયગોષ્ઠિઓ વગેરે બાબતોને અંગે મેં બહુ થોડી વાત કરી. કવિતા લખતી વેળા કૃતિ સફળ થતી લાગે ત્યારે, કવિના દેહમાં ઉત્કટ ભાવોદ્રેક જન્મે, અને એની સાથેસાથ જ મુક્તિ અને સમાધિસ્થ દશાનું જે ભાન જાગે, તે વિશે તો ક્યાંય કોઈ શંકાને સ્થાન જ નથી. બીજી બાજુ કવિતાલેખનમાં મને ભય પણ લાગે છે. એ માટે નીચેનાં કારણો મને સમજાયાં છે : કવિતા એક ભયંકર સફર છે, કલ્પનાશક્તિના એકકેન્દ્રી પ્રવર્તન માટેની એ યાતનાભરી મથામણ છે; વળી શબ્દોનું માધ્યમ એક અતિ મુશ્કેલ માધ્યમ છે; અને કેટલીક વાર એમ પણ બને કે, અમુક એક વસ્તુ સ્પષ્ટ રૂપમાં કહેવાની મથામણમાં કવિએ દિવસોના દિવસો ગાળ્યા હોય, અને છતાંય તેણે જે કહ્યું, તે સાવ નીરસ જ વસ્તુ બની આવી છે, એમ તેને સમજાય. સૌથી મહત્ત્વની વાત તો એ કે, કવિતાનું લેખન કવિને પોતાની જ વ્યક્તિતાનો, તેની સર્વ પરિચિત અને જરઠ મર્યાદાઓ સમેત, સામનો કરવાના પ્રસંગો આણે છે. અસ્તિત્વના બીજા હરેક તબક્કામાં વ્યક્તિ પરંપરાગત રૂઢ રીતિનીતિને અનુસરી શકે, પોતાના મિત્રો જોડે તે નમ્રતાથી વર્તે, પોતાની ઑફિસમાં દિવસના કામકાજ તે આટોપી રહે; અમુક રીતનો દેખાવ તે ધારણ કરી રહે; સમાજમાં પોતાના સ્થાન વિશે બીજાઓનું ધ્યાન ખેંચી રહે. ટૂંકમાં આવા બધા પ્રસંગે કેવળ બીજા માનવીઓ જોડે તે કામ પાડતો હોય છે; કવિતામાં તે ઈશ્વરની સામે સીધો મુકાબલો કરે છે.
સામાન્ય રીતે જ્યારે હું કવિતા પૂરી કરું ત્યારે, મને એમ લાગે કે ‘આ જ મારી સર્વોત્તમ કૃતિ છે.’ અને તરત જ એને પ્રગટ કરવાની હું ઇચ્છા કરું છું. એનું આંશિક કારણ એ છે કે, મારે કશુંક નવું કહેવાનું હોય છે અને આગળ મેં જે કંઈ કહ્યું હોય તેથી એ વધુ મૂલ્યવત્તાવાળું છે, એમ મને લાગ્યું હોય ત્યારે જ તે મેં લખ્યું છે; અને બીજું આંશિક કારણ એ પણ ખરું કે, વર્તમાન અને ભાવિ વિશેનો મારો આશાવાદ મને મારા ભૂતકાળને તિરસ્કારવા પ્રેરે છે. એટલે એક કવિતા પૂરી થાય કે પછી થોડા જ દિવસોમાં મારા ભૂતકાળના બીજા અને વ્યર્થ પ્રયત્નોની વચ્ચે – જે બધા ગ્રંથોને હું ઉઘાડવા ઇચ્છતો હોતો નથી તેની વચ્ચે – હું એને ધકેલી દઉં છું.
મેં લખેલી કવિતાઓમાંથી મને કદાચ મહત્તમ આનંદ જો ક્યારેય પણ મળ્યો હોય, તો તે એવે પ્રસંગે કે, જ્યારે મારી સમક્ષ રજૂ થતી અમુક કાવ્યપંક્તિઓનું પઠન હું સાંભળું અને એ ક્ષણે એના કર્તાની સાચી ઓળખ મને ન હોય, અને એ ‘કેટલી સુંદર! કેટલી હૃદયસ્પર્શી!’ એમ હું અનુભવી રહું તે પછી જ મને ખબર પડે કે એ મારી પોતાની જ પંક્તિઓ હતી!
બીજા સર્જકોની જેમ, આકરા વિવેચનથી મને કશી જ અસર થઈ નથી, એવો હું દેખાવ કરું છું; જ્યારે હકીકતમાં એવા વિવેચનથી હું અંદરથી એકદમ ક્ષુબ્ધ બની ગયો હોઉં છું. આથી ઊલટું, સમીક્ષક તરફથી પ્રશંસા થાય, ત્યારે વળી તે શેની વાત કરી રહ્યો છે તેની તેને ખબર જ નથી કે શું, એવો હંમેશાં સંશય જાગે છે. સર્જકો વિવેચનની બાબતમાં આટલા આકળા શા માટે? એનો આંશિક ઉત્તર એ કે, સંવેદનપટુ હોવું એ જ તો તેમનો ધર્મ છે; અને બીજી બધી બાબતમાં તેમ આ વિવેચનની બાબતમાંય તેઓ સંવેદનપટુ પુરવાર થતા હોય છે. અને એનું બીજું આંશિક કારણ એ પણ ખરું કે, ગંભીર વૃત્તિનો દરેક સર્જક તેના અંતરના ઊંડાણમાં તો પ્રતિષ્ઠા ચાહે છે, નહીં કે સફળતા. (સર હ્યુજ વૉલ્પૉલ એ મારી જાણમાંના જ સૌથી વધુ સફળ લેખકોમાંના એક લેખક છે, પણ તેઓ પોતાની પ્રતિષ્ઠા વિશે અત્યંત ખિન્નતા અનુભવ્યા કરતા, તે એટલા માટે કે ઉન્નતભૂ વાચકોને તે ગમતા નહોતા.) વળી મને તો ઊંડે ઊંડે એવોય વહેમ છે કે, દરેક સાહિત્યકાર છૂપી રીતે તો અન્ય કોઈકને અર્થે જ લખતો હોય છે; સંભવતઃ પોતાનાં માતાપિતા માટે કે પછી કોઈ ગુરુજન માટે – જેમણે તેને બાળપણમાં સ્વીકૃતિ આપી નહોતી! જે વિવેચક તેને એકદમ ‘સમજવાનો’ ઇનકાર કરે છે તે તેને આવી વ્યક્તિઓ જોડે એકરૂપ થતો લાગે, અને આવી એકાદ વ્યક્તિનો અસ્વીકાર ચાલુ રહે તો, ઘણા પ્રશંસકોનો ‘સમભાવ’ છતાં પણ એવા સર્જકના અંતરમાં જાગેલી કડવાશમાં વૃદ્ધિ જ થયા કરે છે.
ધીરે ધીરે સર્જકને એવી પ્રતીતિ થતી જાય છે કે, જેને તેની કૃતિ ગમે નહીં એવી એકાદ કોઈ વ્યક્તિ તો હંમેશ નીકળવાની જ. એ પછી જ કદાચ એ સર્જક પોતાની કળાપ્રવૃત્તિમાં જે કંઈ થઈ શકે એમ હોય તે કરવાની શ્રદ્ધા કેળવવાનો, પોતે જે કંઈ છે તેથી વિશેષ બનવાનો, અપેક્ષા બહુ ઓછી રાખીને ચાલવાનો, કવિતાના રહસ્યવિશ્વમાં શ્રદ્ધા સ્થાપવાનો – ક્રમશઃ જે સત્ય પરત્વેની રહસ્યયુક્ત ઉપાસનામાં વિકસે છે એવી શ્રદ્ધા સ્થાપવાનો – તે વિનમ્ર પ્રયત્ન કરે છે.
અને છતાં, કેવી તો નિષ્ફળતાઓ સર્જાતી હોય છે! અને વ્યક્તિને કેટકેટલો કાદવ ચોંટી જતો હોય છે! બીજાઓ દ્વારા નહીં, પોતાનું ભરણપોષણ મેળવવાની મથામણમાં જ એ કાદવ તેને લાગ્યો હોય છે! પોતાને મળેલા પત્રોના ઉત્તરો આપવા ન આપવાના ખ્યાલમાંથી એ ઊડી આવ્યો હોય, કે પછી પ્રજાકીય આંદોલનનું સમર્થન કરવું ન કરવું જેવી બાબતમાંથી એ ફેંકાયો હોય! તો, પછી એ કાદવ જેમાંથી મોતી નિર્માણ થઈ શકે એવા રેતીકણોનો એ બન્યો હોય, એટલી જ આપણે સૌ આશા રાખીએ.
પરિશિષ્ટ
(લેખમાં ઉલ્લેખાયેલી પંક્તિઓનો અનુવાદ)
[૧] રુધિરમાંસ અને ગુલાબોની ભાષા
[૨] એવાયે કેટલાક દિવસો ઊગે
જ્યારે
ખડકોની તળેટીમાં વિસ્તરેલો
સમુદ્ર સુપ્ત નિષ્કંપ
વીણાતંત્રીઓ શી જલે વીચિમાલાઓ
સૂર્યની અરુણી પ્રભામાં
(આખાય નીલગગનનો મર્મર
પ્રત્યેક મૌન)
જેના અવકાશોની વચમાં
આકાશ (અને ખેતર) વાડ અને ખેતર
અને નૌકાના પ્રત્યેક કલ્પન
વસે મધ્યાહ્નના વિશાળ વદન સરખા
(સુપ્ત)
ઉષ્ણતા બને જ્યારે ક્લાન્ત
ધરતીની બહાર મધ્યાહ્ન
નિશ્વાસ નાંખે
(આ તંત્રીઓ પર હસ્ત શો.
તંત્રીઓ રણઝણે)
એ તંત્રીઓ પર ફરે મૃદુ હસ્ત શો
(ત્યાં શી ઝંકૃતિ)
જેના અવકાશોની વચ્ચે ઝંકૃતિ ધરે
પ્રત્યેક પંખીનો ચિત્કાર
શ્વાનનો ભસભસાટ
માનવીનો સાદ અને
ધરતી અને આકાશમાંથી હલેસાંની વળીનો ચિંચવાટ
મધ્યાહ્ન સર્વ સંગીતનાદ સહ.
[૩] સૂર્યની અરુણી પ્રભામાં
જલે વીચિમાલાઓ
વીણાતંત્રીઓ શી
[૪] વીચિઓની તંત્રીઓ
જલે શું અગ્નિનાં ગૂઢ ગીતોથી
[૫] દિવસ જલે કંપતી વીણાતંત્રીઓમાં
સોનલવરણું ગીત અનંત
આંખોમાં
[૬] દિવસ પ્રોજ્જ્વલ
તેના કંપતા તંત્રીઓ પરે
ગુંજતું ગીત સોનલવરણું
આંખોમાં
[૭] દિવસ પ્રોજ્જ્વલ
તેને જલતા તંત્રીઓ ઉપરે
સોનલવરણા સંગીતની વીચિમાલા શા
આંખોમાં
[૮] મધ્યાહ્ન જલે એની તંત્રીઓ પરે
આંજી દેતી સંગીતની ધારા આંખોને
[૯] મધ્યાહ્ન એની રોમહર્ષિણી તંત્રીઓને
સોનલ ઝાંય અર્પે
આંખો ચિત્ર શા નિઃશબ્દ સંગીતને
[૧૦] એવાયે કેટલાક દિવસો ઊગે
જ્યારે
ભૂમિખંડની તળેટીમાં
આનંદમગ્ન સમુદ્ર સુપ્ત
અઝંકૃત
કો વીણાતંત્રી શો
મધ્યાહ્ન એની સર્વ મૌન તંત્રીઓને
સોનલ ઝાંય અર્પે
આંખોના જલતા સંગીતમહીં
એ સુસંવાદી વહ્નિરેખાઓ વચ્ચેના
માર્ગો ઝીલે પ્રતિબિંબો
ગુલાબો, અશ્વો, શિખરટોચ
–થી બોજિલ
વિહરે કિનારો
સિંધુના જળરાશિમાં
પ્રલંબિત પ્રતિમા શો રેતીના ચાસ પરે
[૧૧] ...ટેકરીની ટોચે
પોતાના વિશાળ આકાશને
આંબી લેતા પૂર્ણ સૂર્યનું જ્ઞાન –
ત્યાં વૃક્ષોમાં અને,
ફેંકે પોતાનું સ્મિત હરિયાળી પરે.
[૧૨] તેની આંખો
તેના ચિંતાગ્રસ્ત ચહેરામાં
પકડાયેલી ચળકતી માછલી શી, જાળમાં
ઝુલ્ફાં તેનાં ઉન્મત્ત રમ્ય
રચે આભા તેનાં લમણાંઓની આસપાસ
દક્ષિણના સૂર્યની અજબની જ્વાલા શી.
શિશુની ઝંખનામાં પ્રગટે તેની મત્તતા
કેટલીક વાર,
ક્યારેક તો, વર્ષોમાં એકાદ જ વાર.
તેની વિચરતી અંગુલીઓ નમી રહે
કો પુષ્પગુચ્છ રચવાને,
અને પછી પોતાના હાથોમાં
થંભે અને રુચે, તેની સમસ્ત જિંદગી
ગ્રંથ, સપ્ટે ૭૭.
- ↑ સ્પેન્ડરે રચનાપ્રક્રિયાના વિચારો સ્પષ્ટ કરતાં પોતાની કેટલીક કાવ્યપંક્તિઓ ઉદાહરણ રૂપે આ લેખમાં મૂકી છે. આ અનુવાદમાં એના મૂળના અંગ્રેજી પાઠો રાખ્યા છે. અંતે પરિશિષ્ટમાં એના ગુજરાતી છાયાનુવાદો આપ્યા છે. – પ્ર.