તત્ત્વસંદર્ભ/કૃતિ-પરિચય
તત્ત્વસંદર્ભ
પશ્ચિમના વિવેચનતત્ત્વ-વિચારકોની વિચારણાના પરિચય-દોહનના લેખો તો આપણા કેટલાક વિવેચકો પાસેથી મળતા રહ્યા છે પરંતુ એ વિચારકોના લેખોના અનુવાદો પ્રમાણમાં ઓછા છે, એમાં પ્રમોદકુમાર પટેલ, આ પુસ્તક દ્વારા, કેટલાક ઉત્તમ અને સંકુલ લેખોના વિશદ અનુવાદો આપે છે એ મહત્ત્વનું છે. અહીં અર્ન્સ્ટ કેસિરરના Problems in Aestheticsના ‘કળા’ નામે કરેલા અનુવાદથી લઈને નાટ્યસર્જક યુજિન આયનેસ્કોના Theatre of Violence નામના રસપ્રદ લેખના ‘રંગભૂમિનો અનુભવ’ નામે કરેલા અનુવાદ સુધી પ્રમોદભાઈનાં રસ-જિજ્ઞાસા પ્રવર્ત્યાં છે. ‘પેરિસ રિવ્યૂ’એ અનેક સર્જકો-વિચારકો સાથેના વિચારણીય ઇન્ટરવ્યૂ પ્રગટ કરેલા. એમાંથી ઓ’કોનરની તથા ફ્રાન્ક મોરિયાની મુલાકાતોના કેટલાક અંશો અનુવાદરૂપે એમણે ઊતાર્યા છે.
પ્રમોદભાઈએ, આ ઉપરાંત, સંસ્કૃત-કાવ્યમીમાંસા વિશેના શ્રીકંઠૈયા, રાઘવન્ અને એસ. કે. ડે.ના અંગ્રેજી લેખોના અનુવાદો પણ આ પુસ્તકમાં મૂક્યા છે.
એ રીતે, ઘણી મૂલ્યવાન તત્ત્વવિચારણાઓને અનુવાદો દ્વારા સુલભ કરી આપતું આ ‘તત્ત્વસંદર્ભ’ (૧૯૯૯) પ્રમોદકુમાર પટેલનું એક મહત્ત્વનું પ્રદાન છે ને જિજ્ઞાસુ અભ્યાસીઓ માટે એ ઘણું ઉપયોગી બનશે.
– રમણ સોની