તારાપણાના શહેરમાં/કલહાંતરિતા ગઝલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કલહાંતરિતા ગઝલ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઈ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઈ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઈ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઈ

ભલે અવાજની ક્ષિતિજમાં જઈ ન શકાય
વિચારને તો જતા-આવતા કરે કોઈ

કોઈ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઈ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ