તારાપણાના શહેરમાં/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કૃતિ-પરિચય

‘તારાપણાના શહેરમાં’ ગઝલસંગ્રહ કવિ જવાહર બક્ષીની ૪૦ વર્ષ સુધી ચાલેલી શબ્દસાધનાનો પરિપાક છે. કવિએ સાડા આઠસો જેટલી ગઝલોમાંથી સાતસો જેટલી ગઝલો રદ કરીને માત્ર ૧૦૮ જેટલી ગઝલો આ સંગ્રહમાં ગ્રંથસ્થ કરી છે. પ્રિયપાત્રનો વિરહ અને આધ્યાત્મિકતા આ ગઝલોનો મુખ્ય વિષય છે. અહીં આધુનિકતા અને જૂનાગઢી અધ્યાસોની છાંટવાળી આધ્યાત્મિકતાનું સુંદર સમન્વય થયેલું છે. ‘કુંડળી ગઝલ’, ‘દોહા ગઝલ’, ‘વિષમ છંદની ગઝલ’, ‘એક પંક્તિના રદીફની ગઝલ’ વગેરે ગઝલો પ્રયોગશીલ છતાં અર્થપૂર્ણ રચાઈ આવી છે. અનેક ગઝલોમાં અહીં કવિનું સંવેદન ચિંતનમાં રૂપાંતરિત થયેલું છે. ‘ટોળાની શૂન્યતા છું જવા દો કશું નથી’ ગઝલમાં આજના માણસની નિઃસહાયતા અને સાંપ્રત જીવનની નિરર્થકતાનો રણકો સ્પષ્ટપણે સંભળાય છે. પરંપરા અને આધુનિકતાનાં સંસ્કારોથી યુક્ત આ ગઝલો ભાષા પરત્વે દાખવેલી નવીન અભિવ્યક્તિ, પ્રાસજન્ય ચમત્કૃતિ, ‘પ્રયોગમુખરતા’ વગરની પ્રયોગશીલતા જેવા ગુણોને કારણે અજોડ છે. આધુનિક ગઝલનું પ્રતિનિધિત્વ કરે એવો આ ગઝલસંગ્રહ આપ સમક્ષ રજૂ કરતાં એકત્ર આનંદ અનુભવે છે.

—અનંત રાઠોડ