દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૪૩. જળવર્ણન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૪૩. જળવર્ણન

ભુજંગી છંદ


જુઓ નિર્મળું છે ભર્યું નીર કેવું,
દિસે સજ્જનોનું ભલું ચિત્ત જેવું;
અતી લાયકી વાળિ જો લેર આવે,
રૂડી સાગરે લેર જેવી સુહાવે.

કહું છું વળી તે દિસે લેર કેવી,
કવીને દિલે કાવ્યની લેર જેવી;
વળી તે થકી, હું વખાણું વધારે,
કહે દાન લ્યો હાથ લાંબા પસારે.

કહે લોક છે તે સરે નીર કેવું,
અમે સાંભળ્યું છે ઘણી વાર એવું;
જનો વિશ્વમાં જે ન આ નીર જાણે,
વધૂ નીર ગંગાતણું તે વખાણે.

પિએ નીર ત્યાં કોઈ ઝાઝે પ્રસંગે,
હરે રોગ આરોગ્યતા થાય અંગે;
સદા એ મહા ઔષધી જેમ સેવી,
નિરોગીષ્ટ કાયા કરે શુદ્ધ એવી.

ભલે દેવ લોકે સુધા ખૂબ હોય,
કદી પૃથ્વીના લોક પામે ન કોય;
સુધાથી ઘણું આ દિસે નીર સારું,
તૃષાતૂરની છે તૃષા ટાળનારું.

સુધા જૈ પિએ જે કરે સ્વર્ગવાસ,
અહીં જીવતાં કોઈ રાખે ન આશ;
ઉધારે હજારો તણી છાપ છાપે,
ભલો એથી જે રોકડો એક આપે.

ભલે હોય ભાગીરથી સૌથી મોટી,
ન આપે મને નિત્ય તે નીર લોટી;
પિએ મૂજ દેશી જનો પાણી જેનું,
વખાણું વિશેષે વડુ માન તેનું.

રુડે તે તળાવે રહ્યું નીર એમ,
જુઓ અક્ષરોમાં રહે અર્થ જેમ;
કહું શોભિતા નીર કલ્લોલકેવા,
બને વાણી કેરા બહુ છંદ જેવા.

વળી સ્વચ્છ ભાસે ભર્યું નીર એમ,
ભરી વિશ્વમાં રાજની કીર્તિ જેમ;
તરંગો ઉઠે સ્વચ્છ તે મધ્ય કેવા,
જુઓ રાજની કીર્તિનાં કાવ્ય જેવા.

હશે નીર કે આ હશે કાચ ઢાળ્યો,
ટળે શી રીતે એહ સંદેહ ટાળ્યો;
રચેલો મયે દાનવે જેમ સ્વસ્થે,
અતી ઓપતો ચોક શ્રી ઇંદ્રપ્રસ્થે.

ઉઠે નીરમાં ઉજળા જે તરંગ,
વધે દેખતાં અંતરે ઉછરંગ;
જુઓ જજ્ઞ ભૂમિ વિષે ઉજળીઓ,
ભલી ભાત લીપી કરી ઓકળીઓ.