દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૬૨. નર ભમરાને શિખામણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૬૨. નર ભમરાને શિખામણ


નિર્ભય ન ભમિશ રે નર ભમરા,
બહુબાવળ ક્યાંઈકજ ડમરા.                                              નિર્ભય. ટેક.

આ સંસાર વિકટ વન છે, સ્થિર ચર તરૂવરમય તે છે,
ક્યાંઈ મોટા પર્વત દુઃખમય ક્યાંઈ, સુખમય સરિતા વહે છે.

ક્યાંઈ ભયકારી શિકારી ફરે છે, સૂક્ષમ જાળ પસારી;
પગ અડતાં પકડાઈ પડિશ તું, તો પછી શી ગતિ તારી.

કોઈ તરુવરનો પરિમળ નિર્મળ, છે વિષમય કોઈ છાયા;
કુટિલ કઠણ છે કોઈના કાંટા, કષ્ટ કરે પરકાયા.

ઉપર નિરખી આકાર અધિક શુભ, અધિક સુવાસની આશે;
ગણ ણણ ણણ ગુંજારવ કરતો, પહોંચિશ નહિ તે પાસે.

દિસે સરસ દેખાવ ખરો વળિ, ફૂલ અતુલ્ય ફુલેલાં;
પ્રાણ પ્રલય પળમાંહિ કરે, પ્રગટવાથી પણ પહેલાં.

સરસ સુગંધિત અમળ કમળ, લોભે ન રહિશ લપટાઈ;
બંધ થતાં બંધાઈ પડિશ તો, મુકરર મરિશ મુંઝાઈ.

કોઈ તરુનો ચિકણો રસ છે ત્યાં, ચડપ રહે પગ ચોંટી;
એ પગ પછી ઉખડે ન ઉખાડ્યો, પડે પીડા મહા મોટી.

રિસામણી સરખાં તરુ રિસનાં, સેહેજે રિસે ભરાય;
પ્રિય ભાવે પણ સ્પર્શ કર્યાથી, ચડપ બહુ ચિડવાય.

કોઈ તરુ ફોગટ ફુલે ખરાં પણ, સુગંધ નહિ માંહિ સારો;
નિરખિ રહિશ પણ, નકી નહિ સરે, તેથી અરથ કાંઈ તારો.

કોઈ તરુ કદળી જેવાં, ફળ આપે એક જ વાર;
કાપે તેને ફરી ફળ આપે, બીજા નિરાશ જનાર.

રાયણની વળી રીત જુદી, શરૂમાં ફળશે સો વરસે;
સેવા કરનારો સુખ નહીં લે, પછિ કોઈને સુખ કરશે.

ઠેકાણું ઠિક જોઈને ઠરજે, ડરિશ ન ઠામ કુઠામે;
કથન અધિક તુજ હિતકારક કહી દીધાં દલપતરામે.