દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૮. અયોગ્ય ન કરવા વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૮. અયોગ્ય ન કરવા વિષે

સોરઠા


ઉચ્ચરિયે ઉચ્ચાર, પ્યાર વધે જેથી પુરો;
ભુંડાપે ભંડાર, ભરવાથી મરવું ભલું.

તજી નિજ દેશ તમામ, નામ ન જાણે ત્યાં જવું;
કુળ લાજે તે કામ, કરવાથી મરવું ભલું.

વનમાં કરી વિશ્રામ, દિન નિર્ગમિયે દોહલા;
ઠગ જન જ્યાં તે ઠામ, ઠરવાથી મરવું ભલું.

ન મળે જો નર માંહિ, પુરુષાતન તે પરમ શુભ;
ગુણકાના ઘરમાંહિ, ગરવાથી મરવું ભલું.

જીવ જવાનો જેમ દરિયામાં ડૂબે તરે;
તો તે જળમાં તેમ, તરવાથી મરવું ભલું.

સજ્જનનો સજી સંગ, સદ્‌ગુણ સજીએ સર્વદા;
ધૂતારાના ઢંગ, ધરવાથી મરવું ભલું.

લાયક ન ગણે લોક, તો જીવતર તેનું કશું;
ફેલી થઈને ફોક, ફરવાથી મરવું ભલું.

જે નારીને નાથ, ગમતે ગમતાં તે ભલું;
વણ ગમતા વર સાથ, વરવાથી મરવું ભલું.

થાય નાશ કે ક્ષેમ, ધીરજ ધરિયે ધર્મથી;
હેતૂ જનનું હોય, હરવાથી મરવું ભલું.

ઘણી કુટુંબી ઘેર, રિદ્ધિ દેખી રાચવું;
ઉલટું આંખે ઝેર, ઝરવાથી મરવું ભલું.

અણબનતી ત્યાં આપ, વાસ કરી વસીએ નહીં;
સદા ઉઠી સંતાપ, સ્મરવાથી મરવું ભલું.

સજવો નહિ સંગ્રામ, સજવો તો સજવા પછી
દિલમાં દલપતરામ, ડરવાથી મરવું ભલું.