દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૯. દેશાટન કરવા વિષે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯૯. દેશાટન કરવા વિષે


વિદેશમાં વિચાર્યા વિના, પેટ ન પૂર્ણ ભરાય;
પશુઓ પણ પરભાતથી, જંગલ ચરવા જાય.

ઘેર રહે લક્ષ્મીધણી, હોંશે કેમ હંમેશ;
રાજા રાજ્ય વધારવા, વિચરે દૂર વિદેશ.

વિદેશમાં વિચર્યા વિના, મળે ન મોટું માન;
સમુદ્રમાં વખણાત શું, સીપ તણાં સંતાન.

સાગર પંથ વેપારથી, મળે બહુ ધન માલ;
લક્ષ્મી માટે નિધિ મથ્યો, એહ અસલનો ચાલ.

પુરુષ ફરે પરદેશ તો, તે શ્રમ વ્યર્થ ન જાય;
પથરા પણ પરદેશ જઈ, મુલ્યવાન કહેવાય.

કદી પ્રવાસ કરે નહિ, હોય આળસૂ રાય;
જંગલમાંનું ઝાડવું ઊગે ત્યાંજ સૂકાય.

પ્રવાસથી તનમન ખિલે, પૂરણ પેટ ભરાય;
પ્રભાત ઉઠી પક્ષિ પણ, ચારો ચરવા જાય.