દેવદાસ/પ્રકરણ ૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૩

પિતાના મૃત્યુ પછી છ માસ લગી ઘેર રહી દેવદાસ છેક જ ચીડિયો થઇ ગયો. સુખ નહિ, શાંતિ નહિ, બિલકુલ એકધારું ઉદાસ જીવન ! ઉપરાંત વળી રોજ ને રોજ પાર્વતીના વિચારો, આજકાલ બધાં કામમાં પાર્વતી યાદ આવ્યા કરતી. વળી ભાઈ દ્વિજ્દાસ અને પતિવ્રતા ભાભી દેવદાસની જ્વાળા ઓર વધારી મૂકતાં. માતાની સ્થિતિ પણ દેવદાસના જેવી જ છે. સ્વામીના મૃત્યુની સાથે સાથે જ તેનું સમસ્ત સુખ પૂરું થઇ ગયું છે. પરાધીન દશામાં આ ઘર તેને ધીમે ધીમે અસહ્ય થઇ પડ્યું છે. આજે કેટલા દિવસો થયાં તે કાશીવાસનો સંકલ્પ કરી રહ્યાં છે- માત્ર દેવદાસના લગ્ન કર્યા વિના જઈ શકતાં નથી. વારે વારે કહે છે, “દેવદાસ, તું લગ્ન કર- હું જોઇને જાઉં.” પણ એ શી રીતે બને ? એક તો અશૌચ અવસ્થા, એમાં વળી કન્યાની ખોળ કરવાની; એથી ગૃહિણીને કેટલીક વાર દુઃખ થતું હતું, કે એ વખતે જ જો પાર્વતીની સાથે એનું લગ્ન કરી નાંખ્યું હોત તો કેવુ સારું થાત ! એક દિવસ તેમણે દેવદાસને બોલાવી કહ્યું, “દેવદાસ, હવે તો નથી રહેવાતું- થોડા દિવસ કાશી જઈ આવું તો સારું.” દેવદાસની પણ એ જ ઈચ્છા હતી; તેણે કહ્યું, “હું પણ એમ જ કહું છું, પણ છ મહિના પછી પાછા આવવું પડશે.” “હા, ભાઈ, એમ કર ! પછી પાછી આવી, એમની ક્રિયા પૂરી થતાં તારા લગ્ન કરી તને સંસારી જોઈ, કાશીવાસ કરીશ.” દેવદાસ કબૂલ થયો. માતાને થોડા દિવસ માટે કાશી મૂકી આવી એ કલકત્તા ચાલ્યો ગયો. કલકત્તા જઈને ત્રણ ચાર દિવસ સુધી દેવદાસે ચુનીલાલની શોધ કરી. તે નહોતો. ઠેકાણું બદલી ક્યાંય બીજે ચાલ્યો ગયો હતો. એક દિવસ સંધ્યાને સમયે દેવદાસને ચંદ્રમુખીની યાદ આવી. એક વાર મેળાપ થાય નહિ ! આટલા દિવસ તે બિલકુલ યાદ જ આવી નહોતી. દેવદાસને જાણે જરાક શરમ આવી. એક ગાડી ભાડે કરી સાંજ પડ્યા પછી થોડીવારે તે ચંદ્રમુખીના ઘરની સામે આવી પહોંચ્યો. બહુવાર સુધી બૂમો પાડ્યા પછી અંદરની એક સ્ત્રીના કંઠે જવાબ આપ્યો, “અહીં નથી.” સામે જ એક બત્તીનો થાંભલો હતો. દેવદાસે તેની પાસે જઈ પૂછ્યું, “કહી શકશો એ ક્યાં ગઈ છે ?” બારી ખોલી થોડીવાર રહી તે બોલી, “તમે કોણ, દેવદાસ ?” “હા.” “ઉભા રહો- બારણું ઉઘાડું છું.” આમ કહી બારણું ખોલી તેણે કહ્યું, “આવો.” કંઠસ્વર જાણે થોડોક પરિચિત હતો, છતાં બરાબર ઓળખી શક્યો નહિ. થોડુંક અંધારુ પણ થયું હતું. તે સંશયપૂર્વક બોલ્યો, “ચંદ્રમુખી ક્યાં છે, કહી શકશો ?” સ્ત્રીએ જરાક હસી કહ્યું, “હા, ઉપર ચાલો !” એ વખતે દેવદાસ ઓળખી શક્યો : “હેં ! તું ?” “હા, હું ! દેવદાસ, મને છેક જ ભૂલી ગયા શું ?” ઉપર જઈ દેવદાસે જોયું કે ચંદ્રમુખીએ કાળી કિનારનું જરાક મેલું લૂગડું પહેરેલું હતું. હાથમાં માત્ર બે બંગડી સિવાય બીજા કશા અલંકાર નહોતા. માથાના વાળ અસ્તવ્યસ્ત હતા. એ વિસ્મિત થઇ બોલ્યો, “તું ?” એણે ધારી ધારીને જોઈ લીધું. ચંદ્રમુખી પહેલા કરતાં પુષ્કળ કૃશ થઇ ગઈ છે. પૂછ્યું, “તું માંદી હતી ?” દેવદાસે પથારી ઉપર બેસી ચોતરફ નજર નાંખી. ઘર એકદમ પહેલેથી છેલ્લે સુધી બદલાઈ ગયું છે. ગુહસ્વામિનીની માફક તેની પણ દુર્દશા થવામાં કઈ બાકી રહી નથી ! બિલકુલ રાચરચીલું નથી- કબાટ, ટેબલ અને ખુરશીની જગ્યા ખાલી પડી છે. માત્ર એક પથારી છે; ચાદર અસ્વચ્છ છે. ભીંત પરની છબીઓ ખસેડી નાખવામાં આવી છે; લોઢાની થાંભલીઓ હજુ રોપેલી છે. બે એક થાંભલીઓમાં લાલ દોરી ઝૂલે છે. ઉપરની પેલી ઘડિયાળ હજુ બ્રેકેટમાં પણ નિઃશબ્દ છે. આગળપાછળ કરોળિયાએ મરજીમાં આવે એમ જાળ ગૂંથી રાખી છે. એક ખૂણામાં એક તેલનો દીવો ઝાંખો પ્રકાશ ફેંકી રહ્યો છે; એના જ પ્રકાશથી દેવદાસે આ નવા પ્રકારનો ગૃહસાજ જોઈ લીધો. જરા વિસ્મિત, જરા ક્ષુબ્ધ થઇ કહ્યું, “ચંદ્ર, આવી દુર્દશા શી રીતે થઇ ?” ચંદ્રમુખીએ ઉદાસ હાસ્ય કરી કહ્યું, “દુર્દશા તમને કોણે કહી ? મારાં તો નસીબ ઊઘડ્યાં છે.” દેવદાસ સમજી શક્યો નહિ, કહ્યું, “તારા શરીર પરના ઘરેણાં વળી ક્યાં ગયાં ?” “વેચી નાખ્યાં.” “રાચરચીલું ?” “એ પણ વેચી નાંખ્યું.” “ઓરડાની છબીઓ પણ વેચી દીધી ?” એ વખતે ચંદ્રમુખી હસી, સામેનું એક ઘર બતાવી કહ્યું, “પેલા ઘરની ક્ષેત્રમણિને આપી દીધી.” દેવદાસે થોડીવાર તેના મોં સામું જોઈ રહી કહ્યું, “ચુનીબાબુ ક્યાં ?” “કહી શકતી નથી. બે મહિના થયા ! ઝઘડો કરી ચાલ્યા ગયા છે, ફરી આવ્યા નથી.” દેવદાસને વધારે આશ્ચર્ય થયું, “ઝઘડો શાનો ?” ચંદ્રમુખીએ કહ્યું, “ઝઘડો શું થાય નહિ ?” “થાય, પણ શું કરવા?” “દલાલી કરવા આવ્યા હતા, એટલે કાઢી મૂક્યા.” “શાની દલાલી ?” ચંદ્રમુખી હસીને બોલી, “શણની.” પછી આગળ કહ્યું, “તમો સમજતા કેમ નથી? એક મોટા માણસને પકડી લાવ્યો હતો-મહિને બસો રૂપિયા, થોકબંધ ઘરેણાં અને બારણાની સામે જ એક સિપાઈ, સમજ્યા ?” દેવદાસ સમજી ગયો. હસી પડી બોલ્યો, “ક્યાં ? એ બધું તો મેં લગીરે જોયું નહિ !” “હોય તો જુઓ ને  ! મેં એ લોકોને હાંકી કાઢ્યા હતા !” “તેમનો વાંક ?” “વાંક ખાસ કશો નહિ. પણ મને ઠીક ન લાગ્યું.” દેવદાસ બહુ વખત સુધી વિચાર કરી બોલ્યો, “ ત્યારથી બીજું કોઈ આવતું નથી ?” “ના, ત્યારથી જ શાને ? તમે ગયા તેને બીજે દિવસથી જ અહીં કોઈ આવતું નથી. માત્ર ચુની કદીક આવી બેસતા. પણ બે મહિના થયા તે પણ બંધ !” દેવદાસ બિછાના ઉપર સૂઈ ગયો. બીજી દિશામાં જોઈ રહી. બહુવાર લગી મૂંગો રહી તેણે ધીમેથી પૂછ્યું, “ચંદ્રમુખી, તો પછી દુકાનબુકાન બધું કાઢી નાખ્યું ?” “હા, દેવાળું કાઢ્યું છે !” દેવદાસે એનો જવાબ આપ્યા વિના આગળ ચલાવ્યું, “પણ ખાવાપીવાનું શું ?” “આ કહ્યું તો ખરું. થોડાઘણાં જે ઘરેણાંગાંઠાં હતાં તે વેચી નાખ્યાં.” “બહુ નથી, આશરે આઠસોનવસો રૂપિયા મારી પાસે હશે. એ એક મોદીને ત્યાં રાખી મૂક્યા છે-એ મને મહિને દહાડે વીસ રૂપિયા આપે છે.” “વીસ રૂપિયામાં પહેલાં તો તારે ચાલતું નહિ.” “ના, આજે પણ બરાબર ચાલતું નથી. ત્રણ મહિનાનું ઘરભાડું ચડી ગયું છે; એટલે જ તો હવે વિચાર કરું છું કે હાથની આ બે બંગડી વેચી નાખી, બધું પતાવી કરી બીજે ક્યાંક ચાલી જાઉ.” “ક્યાં જઈશ?” “એ હજી નક્કી કર્યું નથી. કોઈ સોંઘા મુલકમાં જઈશ,- કોઈ ગામડાગામમાં, જ્યાં વીસ રૂપિયામાં મહિનો નીકળી જાય.” “આટલા દિવસ ગઈ કેમ નહિ ? જો સાચે જ તારે બીજું કશું પ્રયોજન નહોતું તો શું કરવા આટલા દિવસ નકામું ઉધાર કરજ કરી ચલાવ્યું ?” ચંદ્રમુખીએ મોં નીચું રાખી થોડીવાર વિચાર કરી લીધો. તેના આખા જીવનમાં એ વાત કહેતાં આજે તેને પહેલવહેલીજ લજ્જા આવી. દેવદાસ બોલ્યો, “બોલતી નથી કંઈ !” ચંદ્રમુખી પથારીના એક છેડે સંકોચાઈને બેઠી; ધીરે ધીરે એણે કહ્યું, “ચિડાશો નહિ ? જતાં પહેલાં આશા હતી, તમારો મેળાપ થાય તો સારું ! લાગતું જ હતું તમે એકવાર આવશો તો ખરા. આજે તમે આવ્યા છો, હવે કાલે જ જવાની તૈયારી કરીશ. પણ ક્યાં જઉં, કહેશો ?” દેવદાસ વિસ્મિત ભાવે બેઠો થઇ બોલ્યો, “માત્ર મને મળવાની આશામાં ? પણ, શા માટે ?” “એક તરંગ ! તમે મારી બહુ ઘૃણા કરતા. એટલી ઘૃણા કોઈએ કદી કરી નહિ હોય એમ મને તો લાગે છે. આજે તમને યાદ આવશે કે નહિ તે જાણતી નથી, પણ મને સારી પેઠે યાદ છે- જે દિવસે અહીં તમે પહેલવહેલા આવ્યા તે દિવસથી જ મારી તમારા પર નજર પડી હતી. તમે પૈસાદારના દીકરા છો એ હું જાણતી હતી; પણ ધનની આશાએ તમારા પ્રત્યે આકર્ષાઈ નહોતી. તમારા પહેલાં કેટલા માણસો અહીં આવ્યા છે. ગયા છે, પણ કોઈની અંદર કદી તેજ જોયું નથી, અને તમે આવતાંવેંત જ મને આઘાત કર્યો. કેવો વણમાગ્યો, છતાં અનુચિત રૂઢ વ્યવહાર ! ઘૃણાથી મોંઢું તો ફેરવી નાંખ્યું પણ આખરે પાછા તમાસો ન હોય એમ કશુંક આપતા ગયા ! એ બધું યાદ આવે છે શું?” દેવદાસ મૂંગો જ રહ્યો. ચંદ્રમુખીએ પાછું આગળ ચલાવ્યું, “એ ઘડીથી તમારી તરફ દ્રષ્ટિ રાખી બેઠી છું- સ્નેહપૂર્ણ પણ નહિ, ઘૃણાભરીપણ નહિ. એક નવી વસ્તુ જોતાં જેમ એ ખૂબ મનમાં રમી રહે તેમ તમને પણ કેમે કરી ભૂલી શકતી નથી. તમે આવતા ત્યારે હું ખૂબ બીતી બીતી સાવચેત થઇ રહેતી; પણ આવતાં જ નહિ તો લગીરે ગમતું નથી. ત્યારબાદ વળી મને શો બુદ્ધિભ્રમ થયો – આ બે આંખોએ ઘણી વસ્તુઓ બીજી જ રીતે દેખાવા લાગી; પહેલાંની “હું” એટલી તો બદલાઈ ગઈ- જાણે એ “હું” હવે છે જ નહિ. પછી તમે દારૂ શરુ કર્યો. દારૂ પ્રત્યે મને ખૂબ ઘૃણા છે. કોઈ દારૂ પીએ તો મને એના પર ખૂબ ક્રોધ ચડતો, તમે પીતા ત્યારે ક્રોધ નહોતો આવતો; ખૂબ દુઃખ થતું” બોલીને ચંદ્રમુખીએ દેવદાસના પગ પર હાથ રાખી છલકાતી આંખે કહ્યું, “હું ખૂબ અધમ છું. મારો અપરાધ ધ્યાનમાં લેશો નહિ. તમે કેટકેટલું કહેતા, કેટલી ભારે ઘૃણાપૂર્વક મને ખસેડી મૂકતા ! પણ એટલી જ તમારી પાસે આવવા ઇચ્છતી. આખરે તમે ઊંઘી જતા ત્યારે – જવા દો, એ બધું કશું નહિ. વળી પાછા તમે ક્યાંક ગુસ્સો કરી બેસશો !” દેવદાસે કશું કર્યું નહિ. આ નવા પ્રકારની વાત તેને થોડુંક-દુઃખ દેતી હતી. ચંદ્રમુખીએ છાનીમાની આંખ લૂછી કહ્યું, “એક દિવસ તમે મને કહ્યું હતું-અમે લોકો કેટલું સહન કરીએ છીએ ! લાંછના, અપમાન, નીચ અત્યાચાર અને ઉપદ્રવની વાત- એ દિવસથી મને ભારે રીસ લાગી ગઈ, મેં બધું બંધ કરી દીધું ?” દેવદાસે ઊઠી બેઠા થઇ પૂછ્યું, “પણ તારા દિવસો કેમ જશે ?” ચંદ્રમુખીએ કહ્યું, “એ તો પહેલાં જ હું કહી ગઈ.” “ધારી લે, કે પેલો જો તારા બધા પૈસા ડુબાવી નાખે-” ચંદ્રમુખીને ગભરાટ થયો નહિ. શાંત. સહજભાવે તે બોલી, “બને, નવાઈ નહિ- પણ એનોય મેં વિચાર કરી રાખ્યો છે. મુશ્કેલીમાં આવી પડતાં તમારી પાસે ભીખ માગી લઈશ.” દેવદાસે વિચાર કરી કહ્યું, “માગી લેજે. હવે બીજે ક્યાંક જવાની તૈયારી કર.” “કાલે જ કરીશ. આ બે બંગડીઓ વેચી નાખી, એક વાર મોદીને મળી આવીશ.” દેવદાસે પાકીટમાંથી સો સો રૂપિયાની પાંચ નોટો બહાર કાઢી ઓશીકા નીચે રાખી કહ્યું, “બંગડીઓ વેચીને નહિ- પણ મોદીને જરૂર મળજે ! પણ જવું છે ક્યાં ? ક્યા તીર્થસ્થાને ?” “ના, દેવદાસ તીરથધરમ ઉપર મારી એટલી શ્રદ્ધા નથી. કલકત્તાથી બહુ દૂર જવું નથી. આટલામાં કોક ગામડે જઈ રહીશ.” “કોઈ ભદ્રલોકને ત્યાં દાસી થઇ રહેવું છે ?” ચંદ્રમુખીની આંખમાં પાછાં પાણી આવ્યાં; તે લૂછી નાખી તે બોલી, “મન થતું નથી. સ્વતંત્ર રીતે, લહેરથી રહેવું છે. શું કરવા દુઃખી થવા જાઉં ? શરીરનું દુઃખ કદી સહ્યું નથી, હવે સહેવાશે નહિ. વધારે ખેંચાખેંચી કરવા જતાં કદાચ તૂટી જશે.” દેવદાસ ખિન્ન મુખે જરાક હસ્યો; બોલ્યો, “પણ શહેરની પાસે રહીશ તો વળી પ્રલોભનમાં પડીશ- માણસના મનનો ભરોસો નહિ.” એ વખતે ચંદ્રમુખીનું મોં પ્રફુલ્લિત થયું. તે હસીને બોલી, “એ વાત સાચી; માણસના મનનો ભરોસો નહિ તે ખરું; પણ હું હવે પ્રલોભનમાં પડીશ નહિ. સ્ત્રીઓને લોભ બહુ ભારે હોય છે એમ પણ માનું છુ, પણ લોભની જે વસ્તુ છે તેનો ઈરાદાપૂર્વક મેં ત્યાગ કર્યો છે. હવે મને ભય નથી. એકદમ જો ધૂનમાં ને ધૂનમાં છોડી દીધો હોત તો વળી સાવધાન રહેવું આવશ્યક હતું. પણ આટલા દિવસમાં એક દિવસ પણ એને માટે પશ્ચાતાપ થયો નથી. ઉલટું, હું તો ખૂબ સુખમાં રહું છુ.” “તો પણ” દેવદાસે માથું હલાવી કહ્યું, “સ્ત્રીઓનું મન ખૂબ ચંચળ હોય છે, તેના પર વિશ્વાસ ન રખાય.” ચંદ્રમુખી એકદમ પાસે આવી બેઠી, હાથ પકડી બોલી, “દેવદાસ !” દેવદાસે તેના મોં તરફ જોયું, પણ આજે તેનાથી બોલાયું નહિ, કે “મને અડકીશ નહિ.” ચંદ્રમુખીએ સ્નેહવિકસિત આંખોએ અને જરાક કંપતા અવાજે તેના બંને હાથ પોતાના ખોળામાં ખેંચી લઇ કહ્યું, “આજે છેલ્લો દિવસ છે. આજે હવે ગુસ્સો કરશો નહિ. એક વાત તમને પૂછવાની ઈચ્છા છે-” કહીને તે ક્ષણભર સ્થિર દ્રષ્ટિએ દેવદાસના મુખ તરફ જોઈ રહી બોલી, “પાર્વતીએ શું તમને ખૂબ ભારે આઘાત કર્યો છે ?” દેવદાસનાં ભવાં સંકોચાયાં; બોલ્યો, “એ વાત શા માટે ?” ચંદ્રમુખી ચળી નહિ. શાંત, દઢ સ્વરે તે બોલી, “મારે કામ છે, તમને સાચું કહું છું. તમને દુઃખ થતાં મારું હૃદય ચિરાઈ જાય છે. વળી, મને લાગે છે કે હું અનેક વાતો જાણું છું. વચ્ચે વચ્ચે નશાના ઘેનમાં તમારા મોઢે અનેક વાતો સાંભળી છે. પણ તેમ છતાંય મને ખાતરી પડતી નથી કે પાર્વતીએ તમને છેતર્યા છે : ઊલટું, એમ લાગે છે કે, તમે પોતે જ પોતાને છેતર્યા છે. દેવદાસ, હું તમારા કરતાં ઉંમરમાં મોટી છું, આ જગતમાં ઘણું ઘણું જોયું છે. મારા મનમાં શું થાય છે, જાણો છો ? મને જરૂર લાગે છે, તમારી જ ભૂલ થઇ છે એમ લાગે છે. કે ચંચળ અને અસ્થિરચિત્ત ગણીને સ્ત્રીઓને જેટલી નિંદવામાં આવે છે તેટલી નિંદાને યોગ્ય તેઓ નથી. નિંદા કરનારા પણ તમે અને વખાણ કરનારા પણ તમે જ. તમારે જે કહેવું હોય તે તમે લોકો અનાયાસે કહો છો, પણ સ્ત્રીઓ એમ કહી શકતી નથી. પોતાના જ દિલની વાત એ જાહેર કરી શકતી નથી. કરે તોપણ બધા એ સમજતા નથી. કેમ કે તે ખૂબ અસ્પષ્ટ હોય છે- તમ પુરુષોના મોં આગળ એ વાત દબાઈ જાય છે. પછી નિંદા જ લોકોના મોઢેમોઢે વધારે ને વધારે સ્પષ્ટ થતી જાય છે.” ચંદ્રમુખી જરાક થંભી, કંઠસ્વર જરાક વધારે ચોખ્ખો કરી બોલવા લાગી, “આ જીવનમાં સ્નેહનો વેપાર ઘણો વખત કર્યો છે, પણ માત્ર એક જ વાર ‘સ્નેહ’ કર્યો છે. એ સ્નેહ ખૂબ જ મૂલ્યવાન છે. ખૂબ શીખવા મળ્યું છે. જાણો છો, સ્નેહ જુદી વસ્તુ છે અને રૂપનો મોહ જુદી ચીજ છે. એ બે વચ્ચે ખૂબ ગોટાળો જામે છે અને પુરુષ જ વધારે ગોટાળો કરે છે. રૂપનો મોહ તમારા પુરુષો કરતાં અમારામાં ખૂબ ઓછો હોય છે, એટલેય એક ક્ષણવારમાં અમે તમારા લોકોની જેમ ઉન્મત્ત થઇ જતાં નથી. તમે આવીને જ્યારે સ્નેહ દેખાડો છો –કેટલી વાતો દ્વારા, કેટલા ભાવ દ્વારા વ્યક્ત કરો છો- ત્યારે પણ અમે મૂંગાં રહીએ છીએ, ઘણી વાર તો તમારા મનને ક્લેશ પહોંચાડતાં અમને શરમ આવે છે, દુઃખ થાય છે, સંકોચ થાય છે, જ્યારે મોઢું જોઇને પણ ઘૃણા ઉત્પન્ન થતી હોય છે, ત્યારે પણ શરમને લીધે અમે કહી શકતાં નથી કે હું તમને ચાહી શકીશ નહિ, ત્યારે બાહ્ય પ્રેમનો અભિનય શરુ થાય છે. એક દિવસ જ્યારે તે પૂરો થઇ જાય છે ત્યારે ક્રોધ કરી અસ્વસ્થ થઇ બોલે છે, ‘કેવી વિશ્વાસઘાતી !’ બધા એ જ શબ્દો સાંભળે છે, એ જ વાત માને છે. અમે ત્યારે પણ મૂંગાં રહીએ છીએ. મનમાં કેટકેટલું દર્દ થતું હોય છે ! પણ કોણ એ જોવા જાય છે ?” દેવદાસ બિલકુલ બોલ્યો નહિ. ચંદ્રમુખીએ પણ થોડીવાર તેના મુખ તરફ જોઈ રહી પાછું બોલવા માંડ્યું, “કદાચ એમાંથી એક મમતા જન્મે ખરી. સ્ત્રી માને છે કે આનું જ નામ પ્રેમ ! અને શાંત, ધીર ભાવે સંસારનું કામકાજ કરે છે, દુઃખને વખતે તન તોડી સહાય કરે છે, તમે એનાં કેટલાંય વખાણ કરોછો- મોઢેમોઢે એને કેટલાંય ધન્યવાદ આપો છો ! પણ કદાચ તે વખતે તે સ્નેહનો કક્કો સુધ્ધાં જાણતી નથી હોતી, અને પછી કોક અશુભ ઘડીએ તેનું હૃદય અસહ્ય આંતરવેદનાનું માર્યું તડફડ કરતું બહાર નીકળી આવે છે ત્યારે-” બોલીને એણે દેવદાસના મુખ તરફ એક તીવ્ર દ્રષ્ટિપાત કરી કહ્યું- “ત્યારે તમે રાડ પડી બોલી ઊઠો છો- કલંકિની ! છી !છી !” એકાએક દેવદાસ ચંદ્રમુખીના મોં ઉપર હાથ દાબી દઈ બોલી ઊઠ્યો, “ચંદ્રમુખી, આ શું ?” ચંદ્રમુખીએ ધીરે ધીરે હાથ ખસેડી નાંખી કહ્યું, “ગભરાઓ નહિ, દેવદાસ, હું તમારી પાર્વતીની વાત કહેતી નથી.” બોલીને તે મૂંગી રહી. દેવદાસ પણ થોડીવાર ચૂપ થઇ રહ્યો. તે અન્યમનસ્કની જેમ બોલ્યો, “પણ ફરજ જેવું કંઈ હોય છે ને ! ધર્માધર્મ હોય છે તો !” ચંદ્રમુખી બોલી, “એ તો છે જ. અરે છે જ ! એટલેસ્તો દેવદાસ, જેઓ સાચેસાચો સ્નેહ રાખે છે તેઓ જ સહન કરી રહે છે. માત્ર હૃદયમાં સ્નેહ રાખવાથી પણ કેટલું સુખ, કેટલી તૃપ્તિ મળતી હોય છે, એ જેને ખબર છે, તે સંસારમાં નિરર્થક દુઃખ, અશાંતિ લાવવા ઇચ્છતું નથી. પણ હું શું કહેતી હતી, દેવદાસ ? મને ખાતરી છે, પાર્વતીએ તમને તલભારે છેતર્યા નથી, તમે જ તમારી જાતને છેતરી છે. આજે એ વાત સમજવા જેટલી તમારી શક્તિ નથી. એ હું જાણું છું. પરંતુ જો કદી પણ વખત આવશે તો તે વખતે તમે જોઈ શકશો કે હું સાચી વાત કહેતી હતી.” દેવદાસની બંને આંખો આંસુથી ભરાઈ ગઈ. આજે કોણજાણે કેમ પણ તેના મનમાં થવા લાગ્યું કે, ચંદ્રમુખીની વાત જ સાચી છે. એ આંખના પાણી ચંદ્રમુખીએ જોયાં, પણ લૂછી નાખવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નહિ. તે મનમાં મનમાં બોલવા લાગી, “તમને મેં અનેક વાર અનેક પ્રકારે જોયા છે. હું તમારું મન જાણું છું. સારી પેઠે સમજી છું કે, સાધારણ પુરુષની માફક તમે ઈચ્છાપૂર્વક સ્નેહ દેખાડી શકવાના નથી. તોપણ રૂપની વાત –રૂપને કોણ ચાહતું નથી? પણ એટલા માટે તમારું આટઆટલું તેજ રૂપને ચરણે આળોટે એવો તો કેમે કર્યો મને વિશ્વાસ આવતો નથી. પાર્વતી ભલેને ખૂબ રૂપવતી હોય; પણ તોય મને લાગે છે કે, તેણે જ તમને પહેલાં ચાહ્યા હતા, પહેલાં એણે જ સ્નેહ દર્શાવ્યો હતો.” મનમાં મનમાં બોલવા જતાં એકાએક તેના મુખમાંથી અસ્પષ્ટ રીતે શબ્દો બહાર આવ્યા, “મારા પોતાના દાખલા ઉપરથી જ હું સમજી છું કે એ તમને કેટલી ચાહતી હશે !” દેવદાસે ઉતાવળા ઉતાવળા ઊઠી બેઠા થઇ પૂછ્યું, “શું બોલી ?” ચંદ્રમુખીએ કહ્યું, “કશું નહિ, હું કહેતી હતી કે તે તમારા રૂપમાં ભોળવાઈ નહોતી. તમારે રૂપ છે એ ખરું, પણ કંઈ અંજાઈ જવાય એવું નથી. આ તીવ્ર રુક્ષ રૂપ બધાંની નજરે પડતું પણ નથી. પણ એક વખત જોઈ લીધા પછી એના પરથી આંખ ખસેડી પણ શકાતી નથી.” બોલીને તેણે એક દીર્ઘ નિઃશ્વાસ નાખી પાછું બોલવા માંડ્યું, “તમારામાં કેટલું આકર્ષણ છે, એ તો જેણે કદી પણ તમને ચાહ્યા હોય તે જ જાણે. આ સ્વર્ગમાંથી જાણીબૂજીને પાછી ફરે એવી સ્ત્રી તે વળી પૃથ્વી પર હશે શું?” ફરી પછી થોડીવાર નીરવ રહી, તેના મુખ ભણી જોઈ રહી, મૃદુ મૃદુ સ્વરે તે બોલી, “એ રૂપ તો આંખે દેખાતું નથી ! હૃદયના છેક ઊંડા મર્માન્તરમાં એની ગંભીર છાયા પડે છે, અને દિવસ પૂરો થતાં અગ્નિની સાથે ચિતામાં ને ચિતામાં એ ખાખ થઇ જાય છે.” દેવદાસે વિહ્વલ દ્રષ્ટિથી ચંદ્રમુખીના મોં ભણી જોઈ કહ્યું, “આજે આ બધું તું શું બોલે છે ?” ચંદ્રમુખી મૃદુ હસી બોલી, “એના જેવું બીજું દુઃખ નથી, દેવદાસ ! જેને ચાહતા ન હોઈએ- તે જ પરાણે પ્રેમની વાત સંભળાવે ! પણ હું માત્ર પાર્વતીની વતી વકીલાત કરું છું- મારે પોતાને માટે નહિ.” દેવદાસ ઉઠવા તૈયાર થઇ બોલ્યો, “ હવે હું જાઉં.” “હજી જરા બેસો. કદી તમને જાગ્રત દશામાં પામી નથી- કદી આવી રીતે બે હાથ પકડી વાત કરવા મળી નથી- આ તે શું તૃપ્તિ !” બોલતાં જ એકદમ હસી પડી. દેવદાસે આશ્ચર્ય પામી કહ્યું, “હસી કેમ ?” “એ તો અમસ્તી, માત્ર એક જૂની વાત યાદ આવી ગઈ. દસ વરસ પહેલાંની વાત !-જ્યારે હું પ્રેમઘેલી બની ઘર છોડી ચાલી નીકળી ત્યારે મનમાં થતું કે, કેટલો પ્રેમ રાખું છું- જાણે પ્રાણ પણ પાથરી શકું ! ત્યાર બાદ એક દિવસ નજીવા અમથા એક ઘરેણાં માટે બંને જણ વચ્ચે એવો તો ઝઘડો થઇ ગયો કે ફરી કદી એકબીજાનું મોઢું જોયું નથી. મનને મનાવ્યું કે તે મને બિલકુલ જ ચાહતો નહોતો- નહિ તો એક ઘરેણું સરખું આપે નહિ ?” ફરી એક વાર ચંદ્રમુખી પોતાના મનમાં હસી પડી. બીજી જ ક્ષણે શાંત, ગંભીર મુખે મૃદુ સ્વરે બોલી, “ઘરેણાંની શી વિસાત ? એ વખતે ક્યાં ખબર હતી કે જરા માથું દુખતું મટાડવા ખાતર પણ સુખે પ્રાણ સુધ્ધાં આપી દેવાય છે ! એ વખતે નહોતી સમજતી સીતા, દમયંતીની વ્યથા, નહોતી માનતી જગાઈ માધાઈની વાત. વારુ, દેવદાસ, આ દુનિયામાં બધું જ શક્ય છે, નહિ ?” દેવદાસ કશું બોલી શક્યો નહિ, બાઘાની જેમ મોઢું વકાસી થોડીવાર જોઈ રહી બોલ્યો, “હું જાઉં.” “ગભરાટ શો છે ?હજુ જરા બેસો. હું તમને હવે ભોળવી રાખવા ઈચ્છતી નથી- એ દિવસો મારા વહી ગયા છે. અત્યારે તમે મારી જેટલી ઘૃણા કરો છો, તેટલી જ હું પણ મારી પોતાની ઘૃણા કરું છું. પરંતુ દેવદાસ, તમે લગ્ન કેમ કરતા નથી ?” આટલી વારે દેવદાસે જાણે નિસાસો નાખ્યો; જરાક હસીને તે બોલ્યો, “કરવાં તો જોઈએ, પણ મન થતું નથી.” “ના થાય તોય કરો. છૈયાછોકરાંના મોઢાં જોઇને ખૂબ શાંતિ પામશો. તે સિવાય, મારો પણ કંઇક રસ્તો નીકળે. તમારા કુટુંબમાં દાસીની માફક રહીને પણ હું આનંદે દિવસો કાઢી શકું.” દેવદાસ હસતાં હસતાં બોલ્યો, “વારુ, એ વખતે તને બોલાવી લઈશ.” ચંદ્રમુખીએ તેનું હસવું જાણે જોયું જ ન હોય તેમ બોલી, “દેવદાસ, બીજી એક વાત પૂછવાનું મન થાય છે.” “શી ?” “તમે મારી સાથે આટલી બધી વાતો કેમ કરી ?” “કંઈ દોષ થયો એમાં, શું ?” “એ ખબર નથી. પણ નવું તો છે જ. દારૂ પી ભાન ભૂલી ગયા હો, તે સિવાય તો કદી પણ પહેલાં મારું મોં સુધ્ધાં જોતા નહિ !” દેવદાસે એ પ્રશ્નનો જવાબ આપ્યા વિના ખિન્ન મુખે કહ્યું, “હવે દારૂને ન અડકાય-મારા બાપુ ગુજરી ગયા છે.” ચંદ્રમુખી બહુ વાર લગી કરુણ આંખો વડે જોઈ, બોલી, “હવે પછી પીવાના ?” “કહી શકતો નથી.” ચંદ્રમુખીએ તેના બંને હાથ જરાક વધારે ખેંચી અશ્રુવ્યાકુલ સ્વરે કહ્યું, “જો બની શકે તો છોડી દો; આવો મોંઘો અવતાર કસમયે નષ્ટ કરો નહિ.” દેવદાસ એકાએક ઊઠી ઊભો થઇ બોલ્યો, “હું જાઉં. તું ગમે ત્યાં જાય, ખબર મોક્લાવજે- અને કોઈ દા’ડો જરૂર પડે- મારાથી શરમાતી નહિ.” ચંદ્રમુખી પ્રણામ કરી પગની રજ માથે ચડાવી બોલી, “આશીર્વાદ આપો જેથી સુખી થાઉં.- અને ભગવાન કરે ને જો કદી દાસીની જરૂર પડે, તો મને યાદ કરજો.” “વારુ, “ બોલી દેવદાસ ચાલ્યો ગયો. ચંદ્રમુખી હાથ જોડી રડી પડી બોલી, “ભગવાન ! એક વાર ફરી મેળાપ કરાવજે.”