ધરતીનું ધાવણ/5.રાસ-મીમાંસા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


5.રાસ-મીમાંસા
[‘રાસકુંજ’ (સંપા. બરફીવાળા)ની પ્રસ્તાવના : 1934]
વિશ્વ-સહિયારી સંપત્તિ

ગુજરાતમાં આજે મહાપર્વ મંડાયું છે : એ છે ‘રેનેસાં’નું, નવજાગૃતિનું, પુનરુત્થાનનું પર્વ. નવજાગરણનો આ યુગ બંધનો ત્યજે છે. વિશાળ વિશ્વજીવનના વાયુ પીએ છે. પોતાનું હતું તે જ સાચું ઠરાવવાની જીદ છોડી દઈ પરના તેમ જ પોતાના જીવન-સ્વરો વચ્ચે મેળ ખોજે છે. જીવનને ગતિ તેમજ જોમ આપનારાં બળો, પછી છો ને સ્વકીય હો વા પરકીય, પ્રાચીન હો વા નૂતન, આ નવજાગ્રત પ્રજાને હૃદયદ્વારે વધામણાં પામે છે. અમારાપણાનો અંધ આગ્રહ જગતની જોડે અમારા સહિયારાપણાની નવભાવના પાસે પોતાની હાર કબૂલે છે : શું રાજકારણમાં, શું ધર્મજીવનમાં, કે શું સમાજમાં, વાણિજ્યમાં, શિક્ષણમાં, એ સહિયારાપણાનો લોકસૂર સાહિત્યદેશે પણ પડઘા પાડી રહેલ છે. અન્ય માનવ-પ્રજાઓની અનુભવસામગ્રીની જોડાજોડ આપણે પણ આપણી સામગ્રીને મીંડવી રહ્યા છીએ. નૂતન યુગના ચણતરમાં આપણી કઈ કઈ સંપત્તિ કામ લાગશે તેનો સહિયારો નિર્ણય કરીએ છીએ. આપણા સાહિત્યને જગત-કસોટીને કસપથ્થરે, જગત-તુલાને છાબડે આપણે મૂલવવા માંડ્યું છે. આપણી પાસે શું એવું હતું કે જે બીજાં માનવીઓની કને નહોતું? આ વસ્તુ આપણા અભિમાનની નથી રહી. હવે તો આપણે પરસ્પરનું સમાન તત્ત્વ (‘કૉમન ફૅક્ટર’) નિહાળવા તલસીએ છીએ. એનું નામ સંઘજીવનની ઝંખના : વિશ્વબંધુતાના કોડ. ગરબાનૃત્ય કોનું? ગુર્જરી કુંજોમાં ગવાઈ રહેલા જે રાસ, તે શું આપણું — ગુર્જરો-સૌરાષ્ટ્રીઓનું — જ અસલ કલાધન? કે અન્ય પ્રજાઓ સાથેની આપણી સહિયારી સંપત્તિ? રાસ, ગરબા, ગરબી, ગોફ, ચોકારા — એટલે કે ગોળ કૂંડાળે ફરતાં ગવાતાં ને નચાતાં ગીતો — સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છે. મારવાડ-રાજસ્થાનમાં છે. કચ્છ-સિંધમાં છે. કૂર્ગોમાં અને સાંથાલોમાં છે. યુરોપની કંઈક જાતિઓનો એ કલાસંપત્તિ પર દાવો છે. ‘બૅલડ’ શબ્દની તવારીખ તપાસો. ‘એન્સાઈક્લોપીડીઆ બ્રિટાનિકા’માં આ પ્રમાણે ઉલ્લેખ છે : અસલ ફ્રેન્ચ ક્રિયાપદ baller – to dance, નાચવું પરથી રચાયો ‘બૅલડ’ શબ્દ. ગોળકૂંડાળે નૃત્ય કરતી મંડળીની ગતિના તાલ સાથે એકતાલ બનીને ગવાતું લોકગીત એટલે ‘બૅલડ’ : લોકોએ જ રચેલું, લોકોને માટે જ રચેલું, અને લોકોની કંઠ-પરંપરાએ ચાલ્યું આવતું એ ગીત એની શૈલી પરત્વે, એના રસ તેમ જ એની ઘટના પરત્વે તો યુરોપના તમામ મુલકોમાં સર્વસામાન્ય જ હોય છે. ન્યૂનાધિકતા બાદ દેતા એ તો ઊંડા ભૂતકાળની હકીકત. પણ જાપાનમાં તો તાળીઓ લઈ રમાતો રાસ હજુ જીવે છે. એક હિંદીએ જઈને જણાવેલી વાત છે : જાપાની નગર કોબેની અંદર બંદર-ઉત્સવ ઊજવાયો. એમાં રમાયેલો ‘મિનાતો-ઓદોરી’ (‘હાર્બર ડાન્સ’) હૂબહૂ આપણા રાસડાની જ આવૃત્તિ હતો. આમ ગીતો ગાતાં ગાતાં ગોળ કૂંડાળે સમૂહ-નૃત્ય તો જગતસહિયારું તત્ત્વ દેખાઈ આવે છે. પછી હરેક લોકસમુદાયે પોતપોતાની વિશિષ્ટ ખાસિયતો વડે એ નૃત્યને નવા ઘાટમાં ઉતાર્યું તે ભલે કબૂલ રાખીએ. સૌરાષ્ટ્ર-ગુજરાતી રાસપરંપરા રાસેશ્વર શ્રીકૃષ્ણ જેટલી પુરાતન હશે; મીરાં-નરસિંહના ભક્તિનૃત્ય વડે રસાયેલી હશે. એના રાસકૂંડાળાની મધ્યમાં વિરાજતી માંડવી કે એની રાસસુંદરીઓનાં શિર ઉપર મંડાતા તેજવર્ષણ ગરબા (ગર્ભદીપ) તેમજ ગંજાવર જાગમંડપો એણે પોતે જ નિપજાવેલાં નિજ કલાઅંગો હશે; એની હથેળીઓના તાળોટા કે એના પગ-ઠમકારની લાલિત્યભરી લઢણ કદાચ એના જેટલી કક્ષાએ બીજા લોકોએ નહિ પહોંચાડી હોય. ગુજરાતણોના અંગમરોડો જે રેખાઓ ખેંચે છે તે કદાચ વિદેશીઓનાં બૅલડ-નૃત્યોમાં હજુ અણસાધ્યાં રહી ગયાં હશે. તો બીજી બાજુ બીજાઓએ નિરાળાં જ નૃત્ય-તત્ત્વોમાં પોતાનું વિશેષ જોર મૂક્યું હશે. આપણા દાંડિયારાસ, તો બીજા કોઈના સમશેર-નૃત્ય અથવા ભાલા-નૃત્ય : આપણા ઘેરદાર કેડિયા ચણિયા, તો બીજાના ઝોળદાર ‘સ્કર્ટ’ : આપણાં પુરુષ-છોગલાં, સુંદરી-સાળુના પાલવો, તો બીજાના પતંગી-પાંખ-શા દુપટ્ટા : આપણા અણવટ વીંછિયાં, તો તેઓના પણ પાય-ઘૂઘરા : આપણાં ગોફ-ગૂંથન, તો તેઓનાં ખંજરીબાજન : આમ પ્રત્યેકની ન્યૂનાધિકતા નજર સામે રાખીએ તો રસની એક જ બીના બાકી રહેશે કે રાસ-ગરબાની નૃત્યપરંપરા વિશ્વવ્યાપી છે; એટલે કે માનવજાતિઓને બાંધનાર એક હીર-તાંતણો છે : એક પરમ ધર્મતત્ત્વ છે. એક પાશ્ચાત્ય પંડિતે જ કહ્યું છે કે “એક અર્થમાં તો લોકસાહિત્યને ધાર્મિક શિક્ષણ જ ગણાવી શકાય; કેમ કે ‘રિલિજિયન’નો મૂળ અર્થ ‘સાંકળવું’ છે. લોકસાહિત્યનું માનવ-તત્ત્વ પણ દૂર દૂર પડેલી પ્રજાઓને સાંકળે છે.” હું તો રાસગરબાના આવા વિશ્વદર્શનમાં રાચનારો છું. આંહીંથી બહાર ગયું? પણ પછી અસલ કોનું સર્જન હશે એ? રાસ-નૃત્ય મૂળ સૌરાષ્ટ્ર-ગુજરાતને કિનારેથી તો પરમુલકમાં નહિ સંચર્યા હોય? આપણા નાવિકો, વણિકો, ગોપજનો ને સાહસવીરો જ શું વિદેશ-તટો પર એને નહિ ધરી આવ્યા હોય? એ પ્રશ્ન જરૂરનો નથી. આર્ય ગોવાળિયો તો આજથી હજારો વર્ષો પર ગ્રીસ દેશનાં ગૌચરો પર નેસ બાંધી બેઠો હતો ને રાસડે-ગરબે ઘૂમતો હતો. ભમન્તાં આવતાં મહત્ત્વની વાત એ છે કે આપણે અર્વાચીન ગુજરાતીઓ પૈકી કઈ જાતિ કહી શકશે કે પોતે સોરઠ-ગુજરાતનાં આદિનિવાસીઓ છે? આપણે તો ઘણાંખરાં ‘નૉમેડ્સ’ કામણપ્રેમી પશુ-પાલકોનાં વારસદારો. આપણે તો દૂરદૂરથી ઓતરાદા સીમાડા ઓળંગતા, રસ્તે પેઢાનપેઢી પડાવ કરતાં અનેક ધરતીપટોની રજે રજોટાતાં ને અનેક વનો-કુંજોના રસે-રંગે ભીંજાતાં ભીંજાતાં હજુ હમણાં જ ગુર્જર ભોમે ઉતારા પામ્યા. આપણે સાથે લેતાં આવ્યાં ફક્ત ત્રણ વાનાં : આપણી તેગ, આપણાં ગૌધન, આપણાં નૃત્ય-ગીતો. કોણ ક્યાંથી કેટલું લાવ્યું તે કહેવું વિકટ છે. જિપ્સી લોકો લઈ ગયાં? અથવા જગત પર ભ્રમણ કરતાં પેલાં ઘંટિયાં, લુવારિયાં, છારાં, આડોડિયાં વગેરે જિપ્સી વણજારાં તો સ્થલે સ્થલે આ નૃત્ય અને સંગીત નહિ વેરી આવ્યાં હોય? એચ. જી. વેલ્સ એના ‘આઉટલાઈન્સ ઑફ વર્લ્ડ હિસ્ટરી’માં કહે છે કે “આ કામરુ લોકો દેશદેશોમાં બીજો ચેપ લોકનૃત્યનો લઈ ગયાં. જે જે પ્રદેશોમાંથી એ નીકળ્યાં ત્યાંના નૃત્યગીતની ખાસિયતો તેઓએ પકડી લીધી. તે લોકો બહુ સ્વયંસર્જક નહિ છતાં બહુ ઉમંગી સંગીતજ્ઞાતાઓ હોય છે. ઠેર ઠેર તેઓ લોકભોગ્ય ગીતો-કથાઓને ઉપાડી ગયાં. ને એ ગીતો-કથાઓને તેઓએ પોતાની ખાસ ઊર્મિનો પુટ ચઢાવ્યો.” આજે નિહાળશો તો રાસગરબાનું જીવન્ત નૃત્ય ત્યાં જ સંઘરાયું છે — એ જગભમન્તાં જિપ્સીઓનાં તંબૂઓમાં, ને આપણા કોળીવાડા, વાઘરીવાડા કે અંત્યજવાસોની અંદર. સત્ય વાત તો એક છે કે રાસગરબો સંઘજીવનની સંપત્તિ છે. જ્યાં જ્યાં સંઘજીવન છે, ત્યાં ત્યાં વિશિષ્ટ પ્રકારનાં કલાસાહિત્ય અવશ્ય નીપજે : કથાકારના વાર્તાકથન, માણભટ્ટોનાં પુરાણ-કવન, ભરથરીનાથોનાં કથાગાન, ભજનમંડળીઓનાં ભજનકીર્તનો તેમજ સ્ત્રી-પુરુષોનાં નૃત્યગીતો. એ નૃત્યગાન કૂંડાળે ઘૂમે છે, કેમ કે કૂંડાળું બની ગયું છે સમૂહજીવનનું ‘સિમ્બોલ’, પ્રતીક. કૂંડાળું તો છે કલાની પરિપૂર્ણ ને બલિષ્ઠ રેખા. માનવજાતિ જ્યાં જ્યાં નયનો માંડે છે ત્યાં ત્યાં ગોળાકાર ભાળે છે : ગગનમાં ક્ષિતિજરેખા પર, સાગરપાળે કે વૃક્ષરાજિની ઘટાએ ઘટાએ, જલે-સ્થલે, પુષ્પે-પાંદડે, દલે દલે, સર્વત્ર ગોળાકાર : ‘કર્વેચર’ : વર્તુળ : વળાંક : બંકાપણું : મરોડ, જે કહો તે. એટલે જ માનવીઓનાં મન ગોળાકારે મોહ્યાં : કસબમાં, કલામાં, જીવનનું લાલિત્ય ઉચ્ચારનારી હરએક રચનામાં. તમામ લોકવૃંદોની આ ખાસિયત : માત્ર એકલા ગુજરાતીઓની જ નહિ. આત્મરક્ષાને કારણે માનવી સંઘજીવનમાં ગૂંથાઈને જીવતો હતો. દેહ-શું-દેહ ભીડીને ખીચોખીચ જીવતો હતો. જાણે પ્રાણધબકારા એના એકસમાન હતા. સુખદુ :ખ એનાં સહિયારાં હતાં. જૂથમાં જ એક શ્વાસ લઈ એને જીવવાનું યા મરવાનું હતું. હર્ષશોકના અવસરો એક, ઉત્સવો ને પર્વો એક, નિસર્ગ પ્રત્યેની દૃષ્ટિ એક, રસ એક, રંગ એક. માટે જ ઊર્મિઓના આંચકા એકસમાન. ફ્રેન્ચ ભાષામાં જે જીવનતત્ત્વને elan vital = vital urge એવા પ્રયોગ વડે ઉચ્ચારવામાં આવેલ છે, તે જીવનતત્ત્વની એકતા; લાગણીના ઝંકારની, તલસાટની, તાલાવેલીની એકતા. એ હતું સંઘજીવનનું પરમ કૌવત. દેહવિરામ એવો લોકસમૂહ સંગ્રામ અને શિકારથી થાકતો, કોસ-હાંકણી ને લહાણી-કાપણી કરી કરી લોથ થતો, ધંધાકસબના એકધારા જીવનથી કંટાળતો, ત્યારે એનાં થીજેલાં અંગો સુખવિરામ (‘રિલૅક્સેશન’), શૈથિલ્ય માગતાં. ઉદ્યમે સાહસે શોભતું જીવન તો સદા કલામાં જ એ સુખવિરામ, ‘રિલૅક્સેશન’ શોધતું હોય છે. સંઘજીવનને સંતોષનારી કલા એકાદ ગવૈયાની ઝીણી સિતારી ન હોય. એકાદ વારાંગનાનું માર્દવભર્યું નૃત્ય ન હોય. એને તો જોઈએ છે ઝૂકાઝૂક અને રેલમછેલ. એકલ વસ્તુથી એ ન સંતોષાય. એને તો જોઈએ નૃત્ય, ગાન તેમાજ વાણીનો ત્રેવડો સમુચ્ચય. એ સમુચ્ચયને એણે રાસગરબામાં નિપજાવી લીધો. ધાર્મિક પર્વમાં, બહુરંગીલા લોકમેળાઓમાં, સામાજિક ઉત્સવમાં, લગ્નસરામાં કે ઋતુપરિવર્તનને અવસરે આ સંઘ-હૃદય ગડમથલની મીઠી વિસ્મૃતિમાં ડૂબી જઈ, આ ત્રેવડ ગૂંથેલી રાસકલાનો કેફ કરી શકતું. પુરુષો ગરબીની ચોગમ પુરુષાતનની ખુમારી પી-પી ધીંગે પગલે ને જોશીલા તાળોટા સમેત દેવદેવીના અસુર-પરાજયની વિક્રમશીલ ગરબીઓ મચાવતા. ભૂકમ્પના આંચકા લેવરાવતી એની ભૈરવી વાણ ઊઠતી કે — માડી! તું તો પાવાની પટરાણી ભવાની મા કાળકા રે લોલ. ફટ ફટ પાવાના રાજન કે પાવો તારો પ્રલે કરું રે લોલ. એ પ્રલય-તાંડવનો ભાસ આપતી પદરચનાને દેહના ગતિમરોડમાં મર્દો સાકાર કરતાં, ત્યારે સુંદરીઓ એના માર્દવભીના સૂરલહેકામાં સંઘજીવનને સાદ દેતી કે — મારા ગામના સુતારી રે,

વીરા, તમને વીનવું;

મારી માંડવડી ઘડી લાવ્ય રે,

મારી સાહેલીનું બેડલું.

ઝલકાતું આવે બેડલું,

મલકાતી આવે નાર રે;

મારી સાહેલીનું બેડલું. ગરબે તેડાં નવરાતર ઘૂમવા માટે નૃત્યનાં કેન્દ્ર સમી એક માંડવી એને ઘડી આપવા સુથાર વીરાને, મઢી આપવા લુહાર વીરાને, શણગારી આપવા મોતિયારા વીરાને માંહે ગરબો મૂકવા કુંભાર વીરાને, ગર્ભદીવડે દિવેટ વણી આપવા કપાસી વીરાને, દીપક-કોડિયે દિવેલ પૂરવા ઘાંચી વીરાને, ગરબે ગીત ગાવા ગામની આણાત દીકરીઓને તથા એ ગરબા-ગાન ઝીલવા માટે લજ્જાવંતી સકળ કુલવહુઆરુ ભોજાઈઓને ઊભી ઊભી નોતરાં મોકલે છે. કો રાસેશ્વરીઓ એના ઘરઘરને આંગણે પડતા નિમંત્રણ-પુકારમાં પણ ગુંજે છે સંઘજીવનના શબ્દો : ગલ વાવ્યો એવો ઊગ્યો રે.

ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!

...ભાઈ, તમારી ગોરી રે,

ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!

એને ગરબે રમવા મેલો રે!

ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!

અમે રમશું મેડી હેઠ રે.

ગલ લાલ લ્યો. બાજોઠી લ્યો!

એને મેલી જાશું ઘેર ઠેઠ રે.

ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!

અમે રમશું ને રમાડશું,

ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!

પરોઢિયે પાછાં વાળશું.

ગલ લાલ લ્યો, બાજોઠી લ્યો!

એ નોતરાંના બોલ : તેમજ અમે અમારે ઘેર જાશું!

બૈઓ રામ રામ છે;

બોલ્યું ચાલ્યું કરજો માફ,

રે બૈઓ રામ રામ છે.

‘સંઘ’ સૂચવે છે સુવ્યવસ્થા — એવા વહેલી પરોઢના વિસર્જન-બોલ : એ સો-પચાસનું ગોળ ફરતું નૃત્ય : એક સૂર, એક તાલ, સરખા ઠમકા ને સરખી તાળીઓ : સર્વને નિજજીવનની આરસીરૂપ બને તેવા ગીતોના વિષય : વારંવાર પુનરાવર્તન પામતી પંક્તિઓ : ગીતનૃત્યના કલેજા સમાન અક્કેક ટેકપંક્તિ : એ ‘કેડન્સ ઑફ કન્સેંટીંગ ફીટ’, હોંશે હોંશે જાણે હોંકારા દેતાં પચાસ કદમોની તાલબદ્ધ તેમજ સ્વયંસ્ફુરિત ઠેસો : આ બધા સંઘનૃત્યનાં ઉચ્ચારણો તેમજ એંધાણો. નીરોગી તેમજ સૂરીલા સંઘજીવનમાંથી જ આવા નૃત્યધ્વનિ ઊઠે છે. સંઘ એટલે નર્યું ટોળું નહિ. ટોળું નૃત્ય કરી શકે નહિ. ટોળાના બોલ ફક્ત ‘બેબલ’, ગોટાળો જ રચે. ‘સંઘ’ શબ્દની અંદર તો સુવ્યવસ્થાનો, સંવાદનો, એકરસતાનો, તેમજ પેલા ‘elan vital’નો, જીવન-તલસાટનો ધ્વનિ છે. ‘સ્પીચ, મ્યુઝિક ઍન્ડ ઍક્શન’, શબ્દ, સંગીત તેમજ ગતિ, એ ત્રણેયનો વિરલ મેળ સાધનારી રાસ-ગરબાની બૅલડ નૃત્યકલા જે સંઘજીવનમાંથી સર્જન પામતી હોય, એ સંઘજીવન હરગિજ પ્રાણવાન હોવું જોઈએ. સંઘકવિતાનો વણાટ સંઘકવિતાનાં એ શબ્દ, નૃત્ય તથા સંગીત, ત્રણેયનો વણાટ એવો તો ઘાટો બની ગયો છે કે એને જૂજવાં પાડી દેખાડી શકાતાં નથી. થોડા નમૂના તપાસીએ : જેમ સુકાય તારી જૂઈનાં ફૂલ

મારા વા’લાજી રે!

તેમ તારી ગોરાંદે કરમાય

જઈને કે’જો મારા વા’લાને રે!

એ કૂંડાળે ફરતા ધીરા રાસનું ઊર્મિગીત : પછી — નીંદરભરી રે ગુલાલે ભરી આજ મોરી અંખિયાં નીંદરભરી રે! એ જરા વધુ તરલ પદગતિ માગી લેતું, નશો કરેલું નૃત્યગીત : ને એથીય વધુ ઉન્માદ માગી લેતું — લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી રે, ભભૂત ભરેલ તારી આંખ : લાલ જોગી રે. એ કરતાં પણ અધિક નૃત્ય-ઉછાળના તરંગો ચડાવતું — સામે કાંઠે વેલડી આવે રે,

આવતાં દીઠી, વાલમિયા!

ઘડીક ઉભલા રો’ તો

હું ચૂંદડી પે’રું, વાલમિયા!

પે’ર્યાનો ઝબકારો કે

ઊભલા રો’ ને, વાલમિયા!

અથવા — કોરી ગાગરડીમાં રંગ રેડ્યો રે કેસરિયો પટ લાગ્યો છબીલા,

રંગ લાગ્યો રે.

ને એથીય અધિક જોમવંત — કૂવા કાંઠે રે કેવડો જોગમાયા! કેવડો લળી લળી જાય રે જોગમાયા! ભોળી ભવાનીને કાજ રે જોગમાયા! કાળી કાળકાને કાજ રે જોગમાયા! શબ્દો છલંગો મારે છે; પ્રમત્ત સુંદરીઓના દેહ-દડૂલા જાણે ટલ્લે ચડે છે. નૃત્ય કરતાં શરીરો શરીર મટી જાણે હિંડોળા બની જાય છે. પછી તો એ જ ફંગોળ-ગતિએ — છેલ છોગાળો હોય તો મૂલવે.

ડોલરિયો દરિયાપાર : મોરલી વાગે છે.

મોર બોલે મધુરી રાત રે,

નીંદરા ના’વે રે.

ચંદન તળાવડી રોકી કાનુડે. જળ ભરવા નો દિયે :

હઠીલો મારે ખેધે પડ્યો છે.

રૂખડ બાવા! તું હળવો હળવો હાલ્ય જો,

ગરવાને માથે રૂખડિયો ઝળુંબિયો :

જેમ ઝળુંબે કાંઈ મોરલીને માથે નાગ જો.

(એમ) ગરવાને માથે રે રૂખડિયો ઝળુંબિયો.

એ ઉન્માદીલા મદિરા-સ્વરો ચગવતી લોકપુત્રીઓ પાછી થાકે ત્યારે હળવી હલકે — હું રે મૈયારણ રે ગોકુળ ગામની : મારાં મૈડાં કોઈ લ્યો રે!

મૈયારણ રે ગોકુળ ગામની.

એ મૈયારી-ગીત વેળા નવીન જ પગલાં માંડતી : એનું કલેવર આ નૃત્યના છંદે છંદે પ્રલમ્બાયમાન છોળો દેતું દેતું. ‘મૈયારણ રે... ગોકુળ ગામની’ એ ટેકના ‘રે’ તથા ‘ગોકુળ’ વચ્ચેનો ગાળો કોઈ એવો તો કરામત વડે પૂરતું કે જેનો ચિતાર શબ્દથી આપવો શક્ય નથી. એ જ રીતનો લહેકો — વનમાં હિંડોળો બાંધિયો.

સખી! શ્યામ બોલાવે.

બાંધ્યો છે વડલાની ડાળ,

ગિરિધર લાલ બોલાવે.

આ હિંડોળ-ગીતમાં જડે છે. પછી તો એ પચીસ-પચાસ, કમરથી નીચી લળેલી દેહવેલ્યો ત્વરિત એકતાળી નાખીને કૂંડાળે ફરતી ચલતી નૃત્યનાં ગીતો ગાતી — એક ચંપો રે મરવો ડોલરિયો ગલ વાવ્યો રે રાધાજીને આંગણિયે; એનાં ફૂલ થયાં દસ પાંખડીએ, વા’લે થાળ ભરી ફૂલ ઉતાર્યાં. વા’લે સહુને આલ્યાં સંભારી, રાણી રાધાજીને મેલ્યાં વિસારી. પછી એ એક બાજુ વેરાયે જતી આખી નૃત્ય-વેલડી, બીજી કડી ઉપાડતી પાછી ઊલટી દિશાએ વળે, અને ગીતના સુખભાવને પણ જાણે કે ઊલટી દિશામાં પલટો લેવરાવતી ઉગ્ર અબોલ-સ્વરે ગાય કે — જાઓ જાઓ રે જૂઠડા! નહિ બોલું, કાળા કરસનજી જોડે નહિ બોલું; ગોરા ગોવિંદજીની જોડે નહિ બોલું, મીઠા માવજી જોડે નહિ બોલું, ટપ ટપ ટપ ટપ તાળી દેતી, નમેલી દેહલતાઓને ટૂંકાં પગલાંની ચાલ્યે કૂંડાળે ફેરવતાં આવાં અનેક ગીતો, જેવાં કે — વાંકે અંબોડલે શ્રી નાથજી રે.

અમને મળિયા છે મારગ માંય,
   મન મારાં હેરી લીધાં!

પગે પીરોજી હરને મોજડી રે,

હરની ચટકતી છે ચાલ્ય;
મન મારાં હેરી લીધાં!

એમાં ઝૂલન નહિ : ઉન્માદ નહિ : ફક્ત ઝૂકેલ શરીરે નાનાં પગલાંની એકસરખી રેખા ગોળ કૂંડાળે આંક્યે જવાનું. પછી તપાસો ચલતી-નૃત્ય અને ઊભા શરીરના વિરામ-નૃત્ય, એ બન્નેની મિલાવટ કરતાં નૃત્ય-ગીતો : સાગ રે સીસમનો ઢોલિયો રે : અમરા ડમરાનાં વાણ! મારા વાલમા! એમાં પહેલી પંક્તિ ઊભાં ઊભાં, વિરામ-સ્વરે, એક તાળી નાખીને ગવાય. પછી બીજી પંક્તિ — અમરા ડમરાનાં વાણ! મારા વાલમા! એ ઉપાડતાં જ તમામ દેહલતાઓ કમરથી ઝૂકે પડે, તાળીઓ ‘ત્રણ તાળી’ બની જાય ને ચલતી-ઢાળે આખું નારીવૃંદ પવન-લહેરાવતી વેલ્યના આકારે કૂંડાળે ફરે. પાછું ઊભાં ઊભાં તાળીઓ દેતાં પ્રલંબ સૂરે ગવાતા ગાનવાળું વિરામનૃત્ય : કસુંબલ રંગની ચૂંદડી રે તુરત પાછું ચલતી નૃત્ય : ઝીણી ઝીણી ચોખલિયાળી ભાત્ય, મારા વાલમા! એમ અક્કેક પંક્તિએ નૃત્ય પલટો ખાય. ત્રીજો નૃત્યપ્રકાર કેવળ ઊભાં ઊભાં વિરામગતિથી ગાવાનાં ગીતોનો : આવો રૂડો જમનાજીનો આરો.

કદંબ કેરી છાયા રે,

ત્યાં કાંઈ બેઠાં રાધાજી નાર,

કસુંબલ ઓઢી રે.

અથવા માડી! બાર બાર વરસે આવિયો રે માડી! નો દીઠી પાતળી પરમાર રે જાડેજી મા; મોલ્યુંમાં દીવો શગ બળે રે! બે વિરુદ્ધ ગતિઓનો મીઠો સંવાદ : લાંબા તેમજ તરલ ગીતસ્વરોનો પરિપૂર્ણ સુમેળ : સંઘનૃત્યની, લોકનૃત્યની આ એક વિરલ સિદ્ધિ મનાશે. ચોથો પ્રકાર છે પૂરેપૂરા ઉન્માદીલા હીંચ-નૃત્યની જોડે પૂરેપૂરા વિરામ-નૃત્યની મિલાવટનો : અવળી ગંગાનાં સવળાં નીર, વહુને ઘેર સાસુ બેસવા જાય, વહુ બેઠાં સિંહાસન ચડી. ને સાસુ ઊભાં ચમરો ઢળે. એ સીતા-વનવાસનું ‘બૅલડ’ : પ્રારંભની આ કડી કૂંડાળે ફરતાં હીંચ-તાલે ઝૂકાઝૂક ગવાય. પછી તરત જ — વહુ રે વહુ મારી સમરથ વહુ! લંકા લખી દેખાડો! એવું લાંબા લાંબા ઢાળે ઊભા ગવાતું ચરણ ઊપડે. વંટોળ જેવી હીંચ-ગતિ પૂર્ણ સલૂકાઈથી આ વિરામ-ઢાળમાં સરી પડે. એ સંયોજનની સીમાન્ત રેખાય આપણને ઝટ ન જડે. ખંડ-કાવ્યને મળતો એ ગરબો લગભગ અરધા કલાકના કાળને માઝમ રાત્રિએ પિગાળી નાખે છે. વ્યક્તિગત કલાપૂરણી તાલ, ગતિ અને હલક લહેકાના આ મરોડદાર ગૂંથનમાં મુકરર નિયમોના બંધનો હોવા છતાં, સંઘનૃત્યની એ સંયમબદ્ધ સૃષ્ટિ પ્રત્યેક વ્યક્તિનેય પોતપોતાના એકલ મરોડ ઉમેરવાની છૂટ દેતી. ગરબી ઘૂમતા પુરુષો તેમજ રાસ રમતી સ્ત્રીઓ ગોળ ચાલ્યે ચાલતાં ચાલતાં ફાવે ત્યારે ફૂદડી પણ ફરી લેતા, ઘૂંટણભેર બેસીને દાંડિયા ઝીલતાં, ફૂદડી નાખતાં નાખતાં ઊઠબેસ પણ કરતાં, અને કુંકાવાવ ગામડાની એક રાસમંડળીએ બતાવ્યું તેમ સૂઈ જઈને પણ સંઘ-તાલ ચૂક્યા વગર દાંડિયા લેનારા નરનાર હજુ મોજૂદ છે. આખું કૂંડાળું અરસપરસ એક ત્રાંબા-ગાગરને દડાની જેમ ઉલાળી ઝીલતું ઝીલતું ચલતી-જોડકણું ગાતું કેઠ્ઠ — તાતી તુંબડ નૈયે આવી નૈયાનાં બે પાંદ હેલી તુંબડીનો રણકો વાગ્યો. એ ગાગર-ઝીલણને સમયે નાચનારાં આંગળીઓમાં વેઢ પહેરતાં. તાલે તાલે ત્રાંબાગાગર એ વેઢ-વીંટીઓના આઘાત ખાઈ ખાઈ જોડકણામાં ‘રણકો’ પૂરતી. ને મકાનોના ધાબા ટીપનારી મજૂરણોને પણ નોખનોખી છટાથી ટીપણીઓ પછાડતાં પછાડતાં ગીતો ગાવાનું એક નિરાળું જ નૃત્ય હતું. આ-નાં આ જ રાસગીતો એ ટીપણી-નૃત્યને પૂરાં પડતાં. ઉદયશંકરની ગરબાપ્રશસ્તિ અમેરિકાને કિનારે ઊભીને નૃત્યકાર ઉદયશંકરે કહ્યું છે કે “પરંતુ આ ઉત્તર હિન્દનું એકેય કલાદૃશ્ય મુંબઈના ઓતરાદા ગુર્જર દેશના ગામડામાં દીઠેલા ગરબા-નૃત્ય જેટલું રોમાંચક નહોતું. આ ગરબાને સારુ સાદા ગામડિયાઓ ચાંદની રાતો જ પસંદ કરે છે. કેમ કે પ્રેક્ષકોને નૃત્યના તૉરમાં ઝબકોળવા માટે જરૂરી જે સ્વપ્નાવસ્થ મનોદશા, તે પેદા કરવાને ચાંદનીની જ અગત્ય હોય છે. સતત ગાણાં ગાતી ગાતી સ્ત્રીઓ પોતાના ઘેરદાર ઘાઘરાને ઝોલે ચડાવીને ચકર ચકર નાચ્યા જ કરે.” જળકૂકડીનાં બાળ જૂજવાં ગુર્જર ગરબા-નૃત્યોની આટઆટલી રેખાઓને ચિત્રોમાં આંકવાનો કે છબીમાં તારવાનો પ્રયાસ કોઈએ કર્યો નથી. કલમનો શ્રમ વૃથા છે. આજે જેના રહ્યાસહ્યા અવશેષો પણ લોપાઈ રહેલ છે એવી આ ગુર્જર સોરઠી ગોપજીવનની કલા નવી દુનિયામાં નવું જીવન શોધવા ફાંફાં મારી રહી છે. યુરોપનું વનરુધિર પણ જૂના લોકનૃત્યને માટે તલસી રહ્યું હોઈ ત્યાં ‘ફોક ડૅન્સ સોસાયટીઝ’ ઊભી થઈ. પાદરી પર્સીથી માંડી સેસિલ શાર્પ સુધીના પંક્તિબંધ લોકગીતપ્રેમીઓએ સંઘરેલાં ગ્રામ્યગીતોને તેમ જ નૃત્યપ્રકારોને નવા કલાજીવનમાં વણી કાઢવા આ મંડળીઓ ઉત્સવો યોજે છે. ‘બેસતું વર્ષ’ ઊજવવા લોકનૃત્યો બતાવે છે. લાંબી તરવારના મૂર-નૃત્યકારો મોરિસ-નૃત્ય-રાસમંડળો, ગ્રામ્ય નૃત્યની મંડળીઓ વગેરે દેશના જૂજવા વિભાગોમાંથી આવીને પુરવાર કરે છે કે ‘ધ રીઅલ ઓલ્ડ ઇંગ્લીશ ડાન્સીઝ આર એથ્લેટિક, ઈન્સ્પાયરીંગ એન્ડ ગ્રેસફૂલ’. જળકૂકડીનાં બાળ જે આસાનીથી જળ-તરતાં થઈ જાય તે જ આસાનીથી ગ્રામ્ય અંગ્રેજ તરુણોએ પોતાના પૂર્વજોનાં આ નૃત્યને અપનાવી લીધેલ છે. બીજા સર્વ દેશોએ નવઉત્થાનના યુગથાળમાં આ જૂની સંઘ-કળાને ઝીલેલ છે. સંઘકવિતાની સૂગ થોડાક દાયકા ઉપર આ જૂના રાસ-નૃત્યને સભ્ય કહેવાતા વર્ગમાં લગભગ તાળાં દેવાયાં. પિતાઓએ શેરી-જીવનની આ નૃત્ય-મસ્તીમાં મરજાદભંગ માની પુત્રીઓ પર મનાઈ મૂકી. નવવધૂઓના ભરથાર જ્યાં — ગોરી મોરી, આછા સાળુ ઓઢો જો, પરબતડી ભીડો તો દીસો પાતળાં રે લોલ. ગોરી મોરી, હળવે ફૂદડી ફરજો જો, ફેરડિયા ચડશે, નવ થાશો આકળાં રે લોલ. ગોરી મોરી, ઝીણે રાગે ગાજો જો. જશોદાના જીવણ જોવા આવશે રે લોલ. — એવા સુખભાવે સ્ત્રીને જાગરણોમાં વળાવતો કલ્પાયો હતો. તેને બદલે ઊલટા જ સૂરો સંભળાવી પત્નીને આ ‘નાચણવેડા’થી વારતો થયો. જૂનું તે ‘જંગલી’ મનાયું. શિષ્ટ કહેવાતા સમાજમાંથી રાસગરબાના વહેન પાછાં ગયાં. ઉત્સવે પર્વ જે દેખા દેતું તે તો અવશેષના જ અંશ જેટલું. સંઘ-કલા ને સંઘ-કવિતા પ્રત્યેની આ સુગાળવી દૃષ્ટિ, ધીમે ધીમે ગામડિયા લોકવર્ગમાં પણ મોટે ભાગે નકલિયો આદર પામી. સંઘજીવન સામે જરૂરી બંડ કારણોની ચર્ચા લંબાણ માગે છે. પણ ટૂંકેથી જ પતાવીએ. આપણી પ્રજા નવી સંસ્કૃતિનો સમાગમ પામી. નવાં વિચારમોજાં આપણે કિનારે છંટાયા. નવા શિક્ષણે, નવા સાહિત્યવાચને નવા મનોરથો જગાડ્યા. વ્યક્તિજીવનના, નિજનિજ સ્વતંત્ર વિકાસના મનોરથો ઊઠ્યા. સંઘજીવનની ગૂંગળાવતી સંકડાશ તેમજ એકસૂરીલા જીવનવ્યવહારનો કંટાળો અસહ્ય બન્યાં હતાં. એ શુભ બળ : બીજાં અનિષ્ટ બળો પણ જોડાજોડ આવ્યાં. જીવનમાં કૃત્રિમતા પેઠી. શિષ્ટ-અશિષ્ટનાં ધોરણો સાંકડાં બન્યાં. ઉપરાંત જીવનસંગ્રામ તીવ્ર બન્યો તે તો ઠીક પણ વિચ્છેદક બન્યો. સંગઠનના હાથ-આંકડા ભિડાવેલા હતા તે વછૂટી ગયા, કેમ કે રાજશાસનની પદ્ધતિ પલટી. ગામડાં ભાંગીને શહેરો થયાં. આંચકો લાગે જ શહેરો તો મૂળથી જ ઘણાં હતાં. પણ શહેર-ગામડાંના જીવન-સંસ્કાર જુદા નહોતા. એટલે જ કલા-સાહિત્યમાં આ ગ્રામ્ય ને આ શહેરી એવા વિભાગો નહોતા. એક જ સંસ્કારપ્રવાહના બે ફાંટા તો નવા જીવન-સંજોગોએ જ પડાવ્યા. ‘ગ્રામ્ય સંસ્કૃતિ’ ને ‘શહેરી સંસ્કૃતિ’ એ પ્રયોગો હજુ હમણાં જ વપરાતા થયા. ગ્રામ્ય શબ્દ સૂગ ઉપજાવતો બન્યો. સંઘજીવન : શેરીજીવન : લોકજીવન : એના આ રીતના તૂટવાના અટલ પરિણામરૂપ જ આ જૂના સમૂહ-નૃત્યનો ને સમૂહ-ગીતોનો સામટો નાશ સમજી શકાય છે. સંઘજીવનનાં સઘળાં જ ઉચ્ચારણો આઘાત પામ્યાં : રમતગમતો, ઉત્સવો, જમણવારો, સમૂહરક્ષાના પ્રકારો : જીવનનું એકેએક અંગ : પરિણામે રાસગરબા, કલાને નવો આંચકો વિશેષ પ્રમાણમાં લાગે, કેમ કે કલાજીવન તો કોઈ બાહ્ય આજ્ઞાને, કર્તવ્યના બોધને કે સહિયારા હિતના કરારને ગાંઠતી જ નથી. સંઘજીવનનો નવજન્મ ત્રીસેક વર્ષના વચગાળા પછી આજે શું જોઈ રહ્યા છીએ? — સંઘવૃત્તિ પાછી વળી છે એની પછવાડે એકાદ ગામની કે નગરની રક્ષાનું નહિ પણ રાષ્ટ્રરક્ષાનું પ્રેરક બળ જાગી ઊઠ્યું છે : વ્યક્તિજીવનનાં વલણો (‘ઈન્ડિવિડ્યુઅલિસ્ટિક ટેન્ડન્સીઝ’) ધીમાં પડ્યાં છે. પાછાં જૂથો જામે છે : નવજીવનની કૃત્રિમ સ્થિતિ ગૂંગળાવે છે : છિન્ન પ્રવાહોના વહેન પરસ્પર આવ-જા કરે છે : ગામડાં પ્રત્યે અભિમુખ બનેલી દૃષ્ટિ જૂનાની સૂગ ત્યજે છે : જૂનામાં જે મુક્તજીવનની લહેરો હતી તેને નવા જીવનતત્ત્વમાં વાળવા મથે છે. શ્રી રામનારાયણ વિ. પાઠકે એનું નામ આપ્યું છે ‘ચૈતન્યનો જુવાળ’. પરિણામે પ્રદર્શનો, સમ્મેલનો, સ્ત્રીજાતિ પ્રત્યેના નવભાવે જગાડેલી સ્ત્રીજીવનના આંતરબળો પ્રતિની નવી કૌતુકવૃત્તિ : ફરી એક વાર સંઘકલા, સમૂહ-સાહિત્ય અને સંઘજીવનની ભૂખ સંતોષે તેવું બધું જ સર્જવાનો પુકાર. ગરબાનું પાંગરવું આ ચૈતન્ય-જુવાળનાં, નવશોણિત-ધબકારનાં, ‘રિઅવેકન્ડ ઈમ્પલ્સ’નાં અનેક આવિષ્કરણો માંહેલું એક આવિષ્કરણ તે આ નવા રાસ-ગરબા. ફરી પાછી લગ્નની રાત્રિઓમાં ગરબા પાર્ટીઓ આવશ્યક શોભાઓ ગણાતી થઈ. મહાજનોની જયન્તીઓ, સંવત્સરીઓ, સંસ્થાઓના વાર્ષિક સમારંભો, પરિષદો ને સંમેલનો ગરબાના કાર્યક્રમ વિહોણાં કલ્પી જ ન શકાય! જૂનાં ઘેરદાર નૃત્ય-પરિધાન કરી ‘ફૅશન’માં આવ્યાં. ઘરના એકલ અભ્યાસખંડમાં શૉ અને ઈબ્સન વાંચતી તરુણીઓ પણ ભરતભર્યા ચણિયા ઉપર ચૂંદડીને હેલે ચડાવતી આ ગરબામાં ઊતરતી થઈ. પ્રથમ ટીખળ કે ચેષ્ટા કરવા હાજર રહેનારો પુરુષવર્ગ ધીરે ધીરે આ ગરબામાં સંમેલનોનો સભ્ય અને રસિક પ્રેક્ષક બની ગયો. આજે તો પોતાની ‘ગોરી’ને આછા સાળુ ઓઢાડી રાસ-સમારંભોની રંગભૂમિ પર મોકલનાર પુરુષ કોઈક જ હશે! સંઘકંઠે ન ચડ્યા સૂરત, વડોદરા અને અમદાવાદની આ ગરબા-સુંદરીઓને તાત્કાલિક રાસ-સામગ્રી પૂરી પાડનાર કવિ ન્હાનાલાલ, ‘રાસગરબીનો પ્રવાહ ક્યાંક તૂટક નહોતો થયો’ એ શ્રી રામનારાયણ પાઠકનું વિધાન એક રીતે ભલે સાચું હોય : દલપતરામના ગરબાગરબી, ને પછી નવલરામ, નરસિંહરાવ, કાન્ત, મણિલાલ નભુભાઈ, ત્રિભુવન પ્રેમશંકર વગેરેની રાસકૃતિઓ આપણા કવિતા-ફાલમાં નિ :શંક ઊતર્યા કરતી હતી. પણ એ બધી સંઘકંઠે ચડે તેવી થોડી જ હતી? કારણો આગળ જતાં વિચારશું. હા, નાટકોમાં વાઘજી આશારામે, ડાહ્યાભાઈ ધોળશાજીએ, નથુરામ સુંદરજીએ ને થોડા બીજાઓએ ચલાવ્યે રાખેલી રાસપરંપરાને હું સબળ ગણું છું : એમણે લોકરાસોમાંથી જ ઉઠાવેલા — કુંજલડી રે સંદેશો અમારો જઈ વાલમને કે’જો રે!

હંબો હંબો વીંછીડો.

માવા! મહીની મટુકી મારી મેલ્ય ને રે. વગેરે રાસડા : અથવા એ જ લોકરાસોમાંથી નવરચિત — ચોકને આંગણે ચાંદની રે.

ખીલી રૂપેરી રંગ :

રંગ રે, આવો સાહેલી, રંગ માણવા. ઊગ્યો સખિ! સૃષ્ટિનો શણગાર હાં! ચાલ્ય ચાલ્ય જોવાને ચંદ્રમા!

કુંજવિહારી! રજની સારી, કહો ક્યાં ગુજારી નારી નઠારી! ધુતારી રે કહોને કોણ ભામા મળી!

પૂનમ ચાંદની ખીલી પૂરી અહીં રે. નવા રાસપર્વકાર એ બધા ગરબાઓને રંગભૂમિ દ્વારા જૂની સરવાણીઓને જીવતી રાખ્યા જ કરી છે. એની કીર્તિકલગી તો અર્વાચીન નાટ્યકાર શ્રી ફૂલચંદ ઝવેરચંદ નડિયાદવાસીએ — અહો બ્રહ્મનાદ ગાજે, રૂડો બ્રહ્મનાદ ગાજે, રૂડો રાસ રચ્યો બ્રહ્માંડમાં. — એ રાસ વડે ચડાવી છે. છતાં નવા મંડાયેલા રાસપર્વને જીવ દેનાર તો શ્રી ન્હાનાલાલ જ. શિષ્ટોને એમણે શુદ્ધ, મીઠા ભાવોથી ભરેલા શબ્દો જૂના ગરબાની લીસી મધુરી હલકમાં ઘૂંટીને હાથમાં દીધા. આજથી ત્રીસ વર્ષ પર, પ્રિવિયસનો હું વિદ્યાર્થી હતો ત્યારે, ભાવનગરની ઝરમર વર્ષાની એક ફૂલભરી સંધ્યાએ બોરતળાવને માર્ગે એક નવપરિણીત વિદ્યાર્થીમિત્રનું ગાયેલું — પાનાં પ્રારબ્ધનાં ફેરવું ને મહીં આવે વિજોગની વાત રે સ્નેહધામ સૂનાં સૂનાં રે! — હજુ પણ મનમાં ઘૂમે છે. ‘આશાભર્યા અમે આવિયાં’નો લોકઢાળ આવા નવા બોલને આટલા લોકઝીલ્યા બનાવી શકે છે, તે દર્શન ન્હાનાલાલમાં પ્રથમ વાર થયું. આથીયે વધુ નવભાવનાવંત શબ્દો — ચંદા ને સૂર્ય મારાં જ્યાં સદા સમાણાં

આંખોના તેજ એ હોલાણા સુહાગી દેવ!
   એવાં શાં આળ રાજ! માયા ઉતારી!

એ જ જૂનો રાસબોલ : ‘અમ રે સાથે, એ રાજ! માયા ઉતારીએ!’ જૂના ઢાળની મખમલ-શી મુલાયમ લઢણ આ નવચિત્રમાં ન્હાનાલાલે સાધી, અને આજ સુધી ઓછાને જ સિદ્ધ થયેલી રચનાશક્તિ દાખવતો આ ભક્તિ-રાસ : નાથ ગગનના જેવા રે!

નજરમાં ન માય કદી.

જીભ થાકીને વિરમે રે

વિરાટ વિરાટ વદી.

મારાં નયણાંની આળસ રે

ન નીરખ્યા હરિને જરી!

જૂને કૂંડાળે પલોટ્યા ન્હાનાલાલની આ માર્દવ-સિદ્ધિ એમની પૂર્વેના કોઈ અર્વાચીનોમાં નહોતી. માટે જ એમણે નવી રાસ રમનારીઓના હાથપગને તેમજ કંઠને પુન : રાસ-કૂંડાળે ઉતાર્યા. એમના પ્રત્યેક રાસમાં જાણે કે કોઈ દૂધમલ વછેરાને પ્રથમ વાર ચાલ્ય શીખવવા કૂંડાળે નાખનાર કુનેહબાજ ચાબુકસવારની હાંકણી કળાય છે. નવા ભાવોને તથા નવી ભાષાને એમણે જૂના ડાળને કૂંડાળે પલોટી કૂણાં પાડ્યાં. ચાવી ચાવીને છોતાં કરી નાખીએ એટલા બધા ગવાયા-ચવાયા ન્હાનાલાલના રાસ આજેય રસભરી શેરડીનાં માદળિયા જેવા રહ્યા છે. દીક્ષિતોની ઊણપો ન્હાનાલાલના રાસદીક્ષિતો ઘણા નીકળ્યા. લલિત, રામમોહનરાય, કેશવ શેઠ વગેરેએ નવાં નવાં ગરબા-ગીતો રચતા થઈ નવી ગુજરાતણોના ઉલ્લાસ પોષ્યે રાખ્યા. તેઓની પદ્ધતિ ન્હાનાલાલશાઈ જ રહી. તેઓની કૃતિઓમાંથી ‘આવ્યા આવ્યા અષાઢીલા રાજ : હીંચે મારાં હૈયાં, સખિ!’ અને ‘જોયા જગત ઘૂમી એક જોગીરાજને’ જેવી સંઘઝીલણ ઘણીયે પંક્તિઓ ટપકતી હતી. પરંતુ તેમાં ન્હાનાલાલની નવકલ્પનાઓનો પ્રસાદેય ન જામ્યો. અસલી લોકગીતોની ભાવસરલતાય ન નીતરી. ગુજરાતણોને ગરબા વિના થોભવાનું હતું. બોટાદકરની ‘રાસતરંગિણી’ દરમ્યાન બોટાદકરની ‘રાસતરંગિણી’એ દેખા દીધી. એના રાસોમાં ન્હાનાલાલ-પરંપરા સામે કશા પ્રગટ બળવા વગર, કુટુંબભાવોનું ગાન સિંચાયું. જૂના રાસોમાં વિલસતી સંસારજીવનની કડવાશ તેમજ દારુણતાને દૂર રાખી. એ જૂનાની જ વેધક છતાં સુખદ કરુણતાને કવિ બોટાદકર ઠીક ઠીક દોહી શક્યા. ‘દૂધ ભર્યું હજી દાંતમાં રે, એને આપવાં આણાં!’ એ પુત્રી-વળાવતી માતાનું ગીત : ‘ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ!’ તથા ‘સખિ! પનઘટનાં પરિયાણ મુજને મીઠાં રે : ઓ દૂર થકી દેખાય મહિયર મારું રે!’ એવા સરલ બોલમાં જૂનાનું નૃત્યસંગીત પણ સુલભ બન્યું. ઉમળકા લોક-હૃદયની નજીક પહોંચનારા ઊતર્યા. કેટલાક જૂના ઢાળો પણ નવેસર જીવતા કર્યા બોટાદકરે. અને એ ઢાળોનું માર્દવભર્યું સંગીત પણ પોતે નિપજાવી શક્યા : જેવું કે — સખિ! ધીરે ધીરે પગ ધાર રે,

રાજવણ રંગભીની!

જૂનાં ગીતોને નવસત્કાર લોકરાસના આરાનું પ્રથમ પગથિયું ન્હાનાલાલ : બીજું પગથિયું બોટાદકર : ત્રીજે પગથિયે પગ દેતાં લોકગીતો સુધી પહોંચી જવાય છે. પ્રથમ રણજિતરામના સંગ્રહથી શરૂ થયેલો લોકગીતોનો પુનરુદ્ધાર 1924થી જોર પકડી ગયો. સંગ્રહોની નિર્જીવ બીબાંછાપોમાં પડી જવાને બદલે એ ગીતો સ્થળે સ્થળે જાહેર સમારંભોમાંની અંદર અસલના ઢાળ-હલકથી ગવાતાં થયાં. એમાં તો નર્યો ભાવના-સંભાર નહોતો! એની અંદર તો જેવું જિવાય તેવા જ જીવનની કાળી-ઊજળી કથાઓ હતી : એમાં તો — ગુલાબી ગોટો ઈ તો અમારો પરણ્યો જો! ફૂલડિયાંની ફોર્યું સાહેલી મારા સ્વપનામાં રે! — એ સૂરોની જોડાજોડ જ ખેડૂત પતિએ — હેઠો ઊતરીને સોટો વાઢિયો,

સબોડ્યો સેંજલના બરડામાં જો!

એવાં પણ ગાન હતાં. એમાં તો ટીખળ, મર્મકટાક્ષ, ક્લેશ, ઝેરવેર, હત્યા ને આત્મઘાતનાં હાસ્યરુદન હતાં. પ્રથમ લાગી જુગુપ્સા નવપ્રજાએ એને સત્કાર્યા. એના નવસૂરોએ વશીકરણ કર્યું. એમાંથી ભૂતકાળના ભણકારા સંભળાયા. એના દુ :ખસ્વરોથી દિલો પીગળ્યાં. પછી વળી એના ઉઘાડા જીવનભાવોની સૂગ પણ ચડી. કોઈ કોઈને જુગુપ્સા લાગી. પણ આખરે એની ‘નેવિટિ’ (naivety), ર્નિવ્યાજ બાલોચિતતા, ગમી ગઈ સહુને. રાસોમાં એ ગીતોએ ‘રોમેન્ટિસિઝમ’નો, કૌતુકપ્રિયતાનો, રંગ ઢોળ્યો. લોકોને બીજું ગમ્યું એનું સભર સંગીતનૃત્ય. એનાં બહુવિધ સ્વરૂપો મુગ્ધ કરનારાં નીવડ્યાં. ‘મેંદી રંગ લાગ્યો’ ને ‘કાંતો રે મારી છેલણ બીબિયાં’નો પરિહાસ : ‘મોરબીની વાણિયણ’નો ઉગ્ર કટાક્ષ : ‘કેર કાંટો’ ને ‘રાજલ મારવાડી’નાં પ્રહસનો : ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’ની કરુણ પ્રહાર-કૃતિઓ : ઈત્યાદિમાં વસ્તુની નવીનતાભરી જુનવટ, નિખાલસ જીવનદર્શન તથા તાલસૂરોનાં વૈવિધ્ય જડ્યાં. થોડાં મહિના પર સાંતાક્રુઝની જુવાન કુમારિકાઓએ ગરબે ઘૂમી ગાયેલું ‘રાજલ મારવાડી’ દીઠું-સાંભળ્યું, ત્યારે પ્રતીતિ પડી કે નવા રાસ-નૃત્યમાં લોકગીતોના પુનરુદ્ધારથી કેટલી ગતિ ને કેટલો પ્રાણ સિંચાયાં છે. ત્રણ દીવાલો તોડી લોકગીતોના અસલી પ્રવાહે આ રીતે પાછા આવીને ત્રણ દીવાલો તોડી : કવિતામાં પેસી ગયેલ ‘પેડન્ટ્રી’, અતિચોખલિયાપણાના ઘમંડને; બીજો તોડ્યો જટિલ ભાષાડમ્બરને; ત્રીજી તોડી રાસ-નૃત્યની સાંકડી એકસૂરીલી મંદ ગતિને. જૂના પ્રકારની જે નૃત્ય-કરામતો લોકરાસોમાં હતી, તે તો તે જ સ્વરૂપે હજુ ભલે પાછી નથી આવી. પરંતુ લોકગીતોના નર્યા ગાનમાં જ એક એવું જીવતું હિલ્લોલતત્ત્વ રહેલું છે કે જેણે નવગુજરાતણોમાં વિવિધ મરોડના રાસો નિપજાવવાની સ્વયંસ્ફુરણા ભરી દીધી. એ નવી નૃત્યગતિને પ્રતાપે જ અત્યારે ગુજરાતણોએ અનેક કવિતાઓનાં અ-રાસકાવ્યોનેય ગરબામાં ઝિલાતાં કર્યાં છે, તેમ જ ઊભા ગવાતા ઢાળોને પણ ચલતી-તાલમાં ચગાવેલ છે. ચલતી-તાલમાં એણે કેટલો સૂક્ષ્મ ભાવ મૂર્ત કરેલ છે તેની ખરેખરી જાણ તો તમે — સજન સનેહી મોંસે થોરા મિલેંગી! એવી કોઈ ગઝલને પણ રાસ બનાવી દેતી સાંતાક્રુઝની કન્યાઓનો ગરબો સાંભળઓ ત્યારે થાય. અર્વાચીન રાસકૃતિઓ રાસગરબા ન રચનારો કવિતાકાર ગુજરાતમાં આજે કોઈક જ હશે : કવિ ન્હાનાલાલના એ કથનની સાક્ષી પૂરનાર કંઈક રાસસંગ્રહો આપણી સમક્ષ માજૂદ છે. એ તમામ રાસસાહિત્યનો એકાદ ‘રાસકુંજ’ જેવો પ્રતિનિધિસંગ્રહ પણ સહેજે 200 ગીતો સુધી પહોંચી જાય છે. ખબરદારથી લઈ જનાર્દન સુધીની કૃતિઓ એમાં સંઘરાઈ છે. સંખ્યાને હિસાબે આવડી વિપુલ બનેલી — ને પ્રતિદિન વધતી જ જતી — આ રાસસંપત્તિ નૃત્યસંગીતની સામગ્રી તરીકે કેટલાક ખપમાં આવી શકી છે? પ્રમાણમાં અલ્પ. આપણે એને ત્રણ દૃષ્ટિએ તપાસવી જોઈએ : સાહિત્યની દૃષ્ટિએ, સંગીતદૃષ્ટિએ, શબ્દરચનાની દૃષ્ટિએ. કથાગીતો નથી સાહિત્યદૃષ્ટિએ લગભગ આખી જ અર્વાચીન રાસકવિતા ‘લિરિકલ’ બની છે. જૂના ગરબામાં ભાત્ય પાડતાં કથાગીતો — રાણકદેવી કે જસમા જેવાં ઐતિહાસિક, રામસીતા કે શરવણનાં જેવાં પૌરાણિક દેવદાસીઓના રાસ જેવાં ધાર્મિક, અથવા ‘વઢિયારી સાસુ’ જેવા સામાજિક ગીતો — નું સ્થાન લેનાર નવાં ઘટના-ગીત હજારે એક : રતનબાનો ગરબો, કે ‘ટોપીવાળાનાં ટોળાં ઊતર્યાં’નો વિરલ રાસ : પ્રજાજીવનને વલોવી મૂકનાર ઘટનાઓ પણ રાસગરબે નથી નીતરી શકી. રાષ્ટ્રભાવનો ફાલ હવે, ઊર્મિગીતનું જે તત્ત્વ છે તે કેવી ભાત્યનું? રાષ્ટ્રભાવનાના આ કાળમાં દેશભક્તિના નવા સૂર રાસમાં ફૂંકાયા છે? હા, ‘જોયા જગત ઘૂમી એક જોગીરાજને’ : ‘લાધ્યું સુહાગી દેવદેશ કેરું સોણલું’ : અને ‘રણવાટ શોભી રહી રે’. પણ તેય ઘણું અલ્પ અને લોકઝીલ્યું નહિ. ગામડાંની સ્ત્રીઓ તો અત્યાર સુધી ‘મલ્હારરાવના ગરબા’માં જ નામફેર કરીને ગાંધીજીનો રાસ ગાય છે : દાતણ દેશું દાડમી રે; દાતણ કરતા જાવ રે ગાંધીજી બાપુ!

સવરાજ લઈ વે’લા આવજો રે!

દાતણ કરશું જેલમાં રે; ફરતી સરકારોની ફોજ રે ગાંધીજી બાપુ! સવરાજ લઈ વે’લા આવજો રે! સમાજ-આલેખન સમાજ તો આલેખાયો જ નથી. મજૂર, ખેડુ, નાવિક વગેરે જીવનના સૂરો હજુ ઊઠ્યા જ નથી. (રણવગડામાં લીલી એક ક્યારી જેવો ભાઈ સુન્દરમ્નો ‘ભંગડી’ નામે સફળ ગરબો હજુ હમણાં જ બહાર આવ્યો.) મધ્યમ વર્ગ પણ એમાં ચૂપ છે, કૌટુમ્બિક ઊર્મિઓ પણ ક્યાંક ક્યાંક. ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ જેવું ગીત હજુ અજોડ રહ્યું છે. પરિહાસ-કટાક્ષનો રાસ નવા રાસમાં નથી જ નથી. નવમનોરથોનાં મંથનો, નવાં આત્મસંવેદનો, નવી અશક્ય આકાંક્ષાઓ, નવું પ્રકૃતિદર્શન આવેલ છે; પણ ન્હાનાલાલે ખોડેલ ખાંભા હજુ બહુ ઓળંગાયા નથી. પૂછશો મા કોઈ પૂછશો મા! મારા હૈયાની વાતડી પૂછશો મા! એની પડખોપડખ — આભથી અંધાર ઘેરાં ઊતર્યાં રે બહેન! ના’વ્યો પ્રકાશ પગથાર : જગે એકલી રે બહેન! શોધું, ભમું ને પથ ભૂલતી રે બહેન! એ છેક આડમ્બરી દેખાય છે. કોઈ કોઈ સ્થળે વળી કલ્પનાઓની લૂમો ઊતરતી લાગે છે : માતાની ગોદમાં પોઢેલા બાળના

ભાલ પરે સોલણાંનાં ચુંબન કરું :

એ શ્રીધરાણીનું ‘સોનાપરી’ : અને સાગર-સાગર જહીં ભેટીને ઊછળે

ત્યાં મારે હોડલાં હંકારવાં જી રે

રચે પ્રચંડ દુર્ગ મોજાંની માળ જ્યાં

ત્યાં મારે હીંચકા ઝુલાવવા જી રે.

— એ શ્રી પાટડિયાનું ‘નાવિક બાળ’ : (લોકજીવનનો વાસ્તવિક નાવિક બાળ નહીં. પણ કૉલેજજીવનનો કલ્પના-સાગરો ખેડતો, બેશક!) અને તે પછી — ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,

જંગલની કુંજ કુંજ જોવી હતી;

જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા,

રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.

— ઉમાશંકર જોશીનું અપૂર્વ ચિત્રાંકણ ‘અટૂલો’, મૅથ્યુ આર્નોલ્ડે કવિતાનાં અનિવાર્ય ગણાવેલાં બે લક્ષણો : ‘હાઈ ટ્રુથ ઍન્ડ હાઈ સીરિયસનેસ’ એ બંને ‘અટૂલો’માંથી ગુંજન કરે છે. પરંતુ એથી ઊલટું — સ્વપ્નાનાં સોણલાં આવે હો વ્હાલા! હૈયાના ભાવ આ હીંચોળે ચડે, સ્વપ્ના વિનાની મને નિદ્રા ન આવે, નિદ્રા અટૂલી મને ના રુચે હો વ્હાલાં! — સ્વપ્નનાં. — એ શ્રી જ્યોત્સ્નાબહેનનું ‘સ્વપ્ન-છાયા’ ‘ફેન્સી’ કરતાં ‘ફેન્ટસી’માં ઊતરી જાય છે : ‘ફેન્ટસી’ બંધબેસતું નથી. નિર્જન રણવગડે, અલિ વાદળી! જળ શાં ઢોળવાં અમથાં?

રણે રગદોળવાં અમથાં?

એ ‘હૈયાસૂના’માં શ્રી કેશવ શેઠે એક સુગેય ને સંગીતમય રાસ સર્જતાં, જગતની હૃદયશૂન્યતા દાખવવાની કલ્પના નવી તેમજ મોહક છતાં અજુગતી લીધી. વાદળી વિશે જગત ઊલટું એમ જ માને છે કે એ તો ઔદાર્યનું પ્રતીક : સર્વત્ર અભેદભાવે વરસે. ‘અણદીઠ જાદુગર’ના સભરભર કલ્પના-રાસમાં શ્રી સ્નેહરશ્મિએ પણ એ જ રીતે — અંધકારના દૂર પડઘા પડે એવું દૂરાકૃષ્ટ (‘ફાર ફેચ્ડ’) રૂપક રચ્યું છે. સરલતાને ન પહોંચે આમ છતાં જગતસાહિત્યની કુંજે કુંજે ભમતા નવરાસકારોએ કલ્પનાની તેમ જ ઉરવ્યથાઓની તો લુંબઝુંબ સમૃદ્ધિ ઉતારવા માંડી છે. પરંતુ એ કલ્પનાઓને ગોઠવવાની કલા રાસનૃત્યની સરળતાને પહોંચી શકશે નહિ. એવી સફળ કલાનો નમૂનો ‘ગોવાલણ’ છે. ગગનવ્યાપી કોઈ અગમ વિશ્વગોપીનું સુરેખ રૂપ આલેખ્યું છે — ભાલ પરમાણે રે ચાંદલો બિરાજે

દામણી દેવગંગાની :
ગોવાલણ રે ગોકુળ ગામની.

કેમ કે એને માટે જૂના લોકરાસમાં જે તૈયાર કરામત હતી, તે અહીં વપરાયેલી છે. એવું સફળ સુંદરમ્નું ‘રંગ રંગ વાદળિયાં’ : હાં રે અમે ગ્યાં’તાં

હો રંગને ઓવારે,
કે તેજના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં.

ગ્રામ્ય શબ્દોનો વિભ્રમ શબ્દરચનાની દૃષ્ટિએ તો ન્હાનાલાલ તેમજ બીજા થોડા અપવાદો સિવાય ઘણાંને નિષ્ફળતા વરી છે. કેવળ ગ્રામ્ય શબ્દોથી કે ભાભલડી, રાતલડી જેવા લાડ-પ્રયોગોથી ગીત ગરબાને લાયક નથી બની જતું તેનો દાખલો આ રહ્યો. આ અવતરણ એક સહેલાઈથી સિદ્ધહસ્ત બની શકત તેવા રાસકવિ ભાઈ ત્રિભુવન ગો. વ્યાસના રાસમાંથી કરું છું : ખોબા સમોવડી ભરી તલાવડીમાં

નાની-શી નાવડી ઝૂલતી જી રે!

એમાં એકલડી હીંચું, સાહેલડી!

આનંદઘેલડી હું ફૂલતી જી રે!

‘લડી’ની અતિશયતા લાલિત્યને હણે છે. એ જ રીતે — નાહક આમ તેમ ઘૂમે, ને એની

અમીરસ ચાંદની રોળે;
ગાજે મધરાતલડી.

એમાં ‘નાહક’ શબ્દપ્રયોગ રાસના માર્દવને આંચકો મારે છે. ‘ને એની’નું કઢંગાપણું તો રાસ કદાપિ નહિ સહી શકે. પછી — સોપો પડ્યો, સૌ ઊંઘે આનંદમાં એમાં ‘સોપો’ શબ્દનું ઔચિત્ય કેવળ એ ગ્રામ્ય શબ્દ હોવાથી નહિ જ સ્વીકારી શકાય. એ તો રાસ ઉપર ગ્રામ્યતા ઠોકી બેસાડવા જેવું થાય છે. પણ એથી જ ઊલટું — આનંદ-કંદ ડોલે સુંદરીના વૃન્દમાં,

મીઠા મૃદંગ પડછન્દા રે,

મંદ મંદ એની હેરે મીટડી મયંકની,

હેરે મારા મધુરસ ચન્દા

— હો ભીંજે મારી ચૂંદલડી. એ કડીમાં ન્હાનાલાલે અનેક અઘરા બોલ યોજ્યા છતાં એ રચના આસાનીથી કંઠસ્થ બની રહે છે. એ જ દૃષ્ટિએ — અહો, બહ્મનાદ ગાજે, રૂડો રાસ રચ્યો છે બ્રહ્માંડમાં. સફળ રાસ છે. શબ્દરચનાની લાલિત્ય તથા અતિલાલિત્ય વચ્ચેની રેખા એટલી તો પાતળી છે કે રાસગરબાના રચનારાઓ એ રેખાને સહેલાઈથી ચૂકી જાય છે.

ઢાળોનો દુકાળ

‘હજુ આપણા રાસલેખકોને જૂના રાસની મધુર હલક સિદ્ધ થઈ નથી.’ આ વિવેચના શ્રી રામનારાયણ પાઠકની છે. સંગીતદૃષ્ટિએ આજના રાસકારોએ ઘણુંખરું ન્હાનાલાલના ઢાળ વાપર્યા છે કે બોટાદકરના યોજેલ ઢાળોના વર્તુળમાં રમ્યા કર્યું છે. અક્કેક જાણીતા ઢાળમાં પાંચ-પાંચ કે વધુ ગરબા રચાય છે. રચનામાં પણ અનુકરણનું બંધન સજ્જડ બન્યું છે. ‘મીઠડું ગોરસ લ્યો! ગોરસ લ્યો!’ એની નકલ ‘મીઠડાં જીવન લ્યો!’ નથી ગમતું. ત્રિવિધ સુમેળનું રહસ્ય સત્યજીવનના વાસ્તવને ન વાપર્યા છતાં કેવળ ભાવોર્મિ ભરીનેય ન્હાનાલાલ કેમ એમના રાસોમાં શબ્દ, સંગીત ને કલ્પનાનો પરિપૂર્ણ મેળ નિપજાવી શક્યા? એવી સફળતા એમની પછી બીજાઓને બહુ કાં નથી વરી? જવાબ આ છે : કવિતા જીવનમાંથી વહે છે, ને સાહિત્યના સેવનમાંથી પણ ઝરે છે. ન્હાનાલાલની રાસકવિતા આવેલી છે જીવનના સીધા સંસર્ગમાંથી, ઝિલાઈ છે જગસાહિત્યના પરિશીલન–સરોવરે. ન્હાનાલાલે સૌરાષ્ટ્રના વસવાટનાં પચ્ચીસ-ત્રીસ વર્ષો દરમ્યાન લોકમેળા જોયા, ગરબાગરબી પુષ્કળ સાંભળ્યાં, માનસિક પરિશીલન દ્વારા રાસગરબાનાં નૃત્યસંગીત તેમજ સાહિત્યની રેખાઓ પકડ્યાં. રાસપરીક્ષકના કાન તીક્ષ્ણ હોવા જોઈએ. ન્હાનાલાલમાં એ છે. એથી જ સોરઠી રાગરાગિણીઓનાં ઢાળ ને હલક, જોમ ને લાલિત્ય એના અંતરમાં ઘૂંટાઈ, એકરસ બની ગયાં. એવા રસાયનમાંથી જ — પલ્લવમાં પલ્લવનાં પાલવ પાથરી, પંખી પોઢ્યાં ભીડીને પાંખ-શું પાંખ જો; વિલસે આજ જગત સહુ રસના અંકમાં, અજબ વિલસતી અલબેલી તુજ આંખ જો : એવા રસદિવસોયે પ્રિયતમ, વહી ગયા. — આવા પ્રવાહી બોલ નીકળી શકે. એ ટપકતી રસપંક્તિઓ — મને પાછું આણીને પેલું આપો હો

પ્રાણ, મારું પારેવું!

— એ નીતર્યાં નીરની સરવાણીઓ છે. નીતર્યાં નીર ચોમાસું વરસ્યા બાદ નદીઓનાં ઘેલાં પૂર ઊતરી ગયા પછી, કૂવા-વાવોમાં જે પ્રસન્ન જળ ચઢે છે તેને કહે છે ‘નીતર્યાં જળ’ : એટલે કે ‘ઈમોશન રીકલેક્ટેડ ઈન ટ્રાન્ક્વીલીટી’. રાસકારોએ સંસ્કૃત-અંગ્રેજી કવિતા વાંચી હોય છે. કલ્પના અને ભાષાનો પ્રસાદ પણ તેઓ ધરાવતાં હોય. પરંતુ રાસગરબાની રચના તો સંઘજીવનનો જીવતો સંપર્ક માગી લે છે. એ સંપર્કમાંથી એને સંજીવની-વિદ્યા જડે છે. ન્હાનાલાલ પાસે સંજીવની-તત્ત્વ હતું. રાસરચના વસ્તુતઃ એકાન્તસેવી નિજમસ્ત કવિને માટે બહુ શક્ય નથી. રાસકવિ એટલે સંઘ-કવિ, લોકકવિ : લોકકવિનાં આ એંધાણો : 1. પ્રત્યેક માનવ જે અનુભવે તે જ એ ઉચ્ચરે છે. (હી અટર્સ વ્હોટ એવરીબડી ફિલ્સ.) 2. એ માનવી નહિ પણ જીવતો જાણે અવાજ છે — જનતાનો દેહધારી કંઠસ્વર છે. (હી ઈઝ અ વોઈસ રાધર ધેન અ પર્સન.) 3. એની રચના એકલભાવે કરેલી નથી હોતી. (હીઝ કોમ્પોઝીશન ઈઝ નૉટ અ સોલિટરી ઍક્ટ.) 4. એની ને એના શ્રોતાઓની વચ્ચે ઘનિષ્ઠ ઊર્મિ-સંપર્ક સધાયો હોય છે. (ધેર ઈઝ ધ ક્લોઝેસ્ટ ઈમોશનલ કૉન્ટેક્ટ બિટવીન હીમ ઍન્ડ હીઝ હીઅરર્સ.) સંઘોર્મિઓ સાથે એકાકાર બનવાનું કાર્ય કઠિન છે અને કવિતા એટલે એક રીતે તો ‘એન ઈમોશન રીકલેક્ટેડ ઈન ટ્રાન્ક્વીલીટી’; એટલે રાસકવિએ તો સંઘ-ઊર્મિનું તીવ્ર સંવેદન અનુભવ્યા પછી જ એ ઊર્મિ-નીર નીતરવા દેવાં જોઈએ. તે પછી જ ‘નીતરતી’ કવિતા નીપજે. રાસસર્જક વિભૂતિ સમૂહને કંઠે સિંચાનારી, સમૂહની રસવૃત્તિને સ્પર્શનારી, સમૂહગત ઊર્મિઓના પડઘા પૂરનારી, નૃત્ય સંગીત તેમજ વાણીનો ત્રેવડ મેળ ગૂંથનારી, નૃત્યની કંઈ કંઈ સ્વયંસ્ફુરિત કરામતોને અવકાશ આપનારી રાસકવિતા એક વિશિષ્ટ કાવ્યવિભૂતિ જ માગી લે છે. પ્રાચીનોમાં, નરસિંહમાં, મીરામાં, દયારામમાં, મીઠામાં, અનેક અનામી લોકકવિઓમાં એ વિભૂતિ હતી. ન્હાનાલાલમાં પણ એ રહી છે. લોકગીતો સાથેના મારા એક દાયકાના ઊર્મિરંગ્યા તેમજ તુલનાત્મક સંપર્ક પછીય પુન : એ-નું એ જ મંતવ્ય ઉચ્ચારું છું કે ન્હાનાલાલે રચ્યા છે તે રાસ ખરેખર લોકરાસ છે : બેશક એ રાસનો ઝીલનાર લોકવર્ગ નિરાળો છે. એ આખા વર્ગને એક સામટું આસાનીથી ઝિલાવી શકાય કે — મારા અંતરના સરોવરની માંય રે, પાણીડાં હેલે ચડ્યાં, હેલે ચડ્યાં. આ સફળતાનું કારણ? કવિની ને લોકોની વચ્ચે જામેલો ઘનિષ્ઠ ઊર્મિ-સંપર્ક. (‘ક્લોઝેસ્ટ ઈમોશનલ કૉન્ટેક્ટ બિટવીન ધ ફોક પોએટ ઍન્ડ હીઝ હીઅરર્સ’.) પછી? ‘પ્રોસેસ ઑફ ટ્રાન્સમ્યૂટેશન’ અર્થાત્ રૂપાન્તર કરવાની જે રસાયન-ક્રિયા કહેવાય છે, તે ન્હાનાલાલની કને હોવાથી જ એમણે રચ્યું કે — વેણી ગૂંથીને મહીં ફૂલ હું તો ભૂલી! આ રચના ક્યાંથી આવી? લોકહૈયાને પડકારનારા કેટલાક સૂક્ષ્મ ચીમટા પડ્યા છે લોકગીતોમાં : હું તો ઈસવર પૂજવાને નીસરી રે લોલ! ચોખા કંકાવટી વીસરી રે લોલ! એ લોકગીતની લોકહૃદય પર ચોટ મારવાની યુક્તિ. કવિ એને અપનાવી શક્યા. આ જાતના અનેક કાવ્ય-ચીપિયા લોકગીતોમાં પડ્યા છે : અંગ્રેજી રાસડાના ‘રિડલ સૉન્ગ્સ’, તેમ આપણાંય — રામ ને સીતા વાદ વદે, લાવજો રે એક રાતું ફૂલ :

રૂદાકમળમાં રામ રમે.

રાતો તે રંગત ચૂડલો, રાતા રે કન્યાના દાંત :

રૂદાકમળમાં રામ રમે.

પછી લાક્ષણિક લોકતર્કો : બહેને પોતાની સાસરવાસમાં આવેલ ભાઈને, પૂર્વે કદી ન દીઠેલ છતાં — ઓળખ્યો ઓળખ્યો રે માની આંખ્યુંનો અણસાર,

બાપની બોલાશે વીરને ઓળખ્યો.

બોટાદકરે એવી લોકતર્કની લાક્ષણિકતાને આબાદ પકડી ‘સંદેશ’ના રાસમાં : સાસરવાસમાં પુરાયેલ પુત્રી, પોતાના આગમનની વાટ જોતી માતાની એંધાણીઓ આભની ચંદાને આપે છે : કાગ ઉડાડતી આંગણે, એ તો દોડી દોડી ડોકાય રે,

આંખડી આંસુ ભરી.

ગાય વળાવતી ગોંદરે, એની એક દિશામાં આંખ રે. — આંખડી. એ રે એંધાણે ઓળખી, સખિ! કહેજે કુશળનાં કે’ણ રે. — આંખડી. અનુકરણ વિઘાતક છે રાસને લોકઝીલ્યા બનાવવાની આ બધી કરામતો છે. પલટાયેલું આજનું જીવન નવી યુક્તિઓ માગશે. ને સુઝાડશેય ખરી : પણ એક શરતે : ‘ક્લૉઝેસ્ટ ઈમોશનલ કૉન્ટેક્ટ’ : સફળ રાસકવિ, સંઘનો કવિ, લોકકવિ થવાની એ પહેલી શરત કે એણે શ્રેષ્ઠોનું પણ અનુકરણ ત્યજવું : સીધા જનહૈયાંની નજીક જઈ કાન માંડવા, જનતાના ધબકાર ઝીલવા, ને જીવતી વાણીના બોલ વાપરવા, શબ્દકોશના શબ્દો નહિ. રાસ એટલે બોલકાવ્ય. અનુકરણ કરશે તે મરશે : ‘ઈમિટેશન ઈઝ ધ વર્સ્ટ ફોર્મ ઓફ ફ્લૅટરી’. રાસનું ભાવિ આજની રાસકવિતા પ્રતિ આપણી દૃષ્ટિ કઈ હોવી ઘટે? આશાની કે નિરાશાની? સંઘજીવન, અસલનું સંઘત્વ આજે લોકકવિને પ્રેરવા પૂરતું જોશદાર છે? થઈ શકશે? એ તત્ત્વ રાસગરબાને ધીરશે? કે કૂચગીતોને? સરઘસ-ગીતોને? પ્રભાતફેરી-ગીતોને? સંઘનૃત્યને માટે તલસી ઊઠતું શ્રમજીવન આજે છે? હોય તો એ શ્રમજીવનને ‘રિલૅક્સેશન’ શોધવાનાં અન્ય અનેક આરામ-ક્ષેત્રો સાંપડેલા છે ને? તો પછી રાસગરબાનું સ્થાન ‘રિલૅક્સેશન’ મેળવવા પૂરતું કેટલું? ને સભાન કલા ખીલવવા પૂરતું કેટલું? કેવળ ભૂતકાળના કલાવશેષો સંઘરવા જેટલું જ માહાત્મ્ય કાળક્રમે એને ભાગે રહે, એવું શું નથી લાગતું? રમવા-ઝીલવાની વસ્તુ મટી જઈ કેવળ કવિતા રચવાના એક વાહન તરીકેનું, બહુ બહુ તો એકલવિહારી કવિના એક ગેય કાવ્ય તરીકેનું જ એનું સ્થાન રહેશે કે શું? જવાબ જડવાનો સમય નથી થયો હજુ. હજુ તો જીવનનાં તેમજ સાહિત્યનાં નવાં ઊભરેલ નીર નીતર્યાં નથી. નીતરતાં વાર લાગશે. મારો આશાવાદ દરમ્યાન મારી આંખ તો છે આશાભરી. સંઘકવિનું સ્વરૂપ રચાતું જોઉં છું હું. મારા અંતરમાં એક જ વાર વાંચ્યા છતાં ‘રંગ રંગ વાદળિયાં’ના સંઘ-ઝુલાવણ બોલ-હીંડોળ ઝૂલે ચડે છે. એવા સૂરો લોકસમૂહને નવેસર નૃત્ય, ગીત અને વાણીનો ત્રેસર-ગૂંથ્યો રાસોલ્લાસ પૂરો પાડશે. અથવા કંઈ નહિ તો એકલાં-અટૂલાંય અનેક માનવીઓ અંતર-દોલે હીંચશે — આવું સફળ ગાતાં કે — ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવા’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. નિર્ણય કરવાનો પરંતુ રચનારે નિર્ણય કરવો જ પડશે : સંઘઝીલણ રાસ રચવો છે? કે કેવળ સુવાચ્ય અને એકલભોગ્ય ઊર્મિગીત લખવું છે? સંઘનૃત્યની જેને ખેવના હોય, તે કવિએ પોતાનું રચ્યું જરી સંઘ કને જઈને ઝિલાવી જોવું : અથવા એકાન્તે પોતાના જ કંઠે ચડાવી હાથપગના તાલ સાથે મિલાવી જોવું. કંઠ અને દેહનો હર એક રજકણ તત્કાલ જવાબ દઈ દેશે કે લોકવૃંદ તમારા રાસને સ્વીકારશે કે નહિ સ્વીકારે. પૂર્વે સૂર્યોદયના પીછાં પોપટિયાં,

રંગે છે દેવના ઉતારા રે લોલ,

પશ્ચિમ પતંગિયાની પાંખો, રસિકડાં!

ઊછળે મહેરામણ ખારા રે લોલ.

— એ કાવ્ય છે, સુંદર કાવ્ય છે, પણ રાસ ન હોય. એમાં નૃત્ય સંગીતના મરોડ અધૂરા ને અણલઢ્યા રહ્યા છે. કલ્પનાનાં આભરણો જો અતિ તોલદાર અને લાવણ્ય-લાલિત્ય વિનાનાં હશે તો સંઘકંઠે એનો બોજો નહિ સહેવાય. સંઘની સ્મરણશક્તિ પણ તોબા પુકારશે. એથી ઊલટું — મારે ઘરને માથે રે અગાશિયું, એમાં ચાંદની ભરી છલકાય રે; હાં રે એમાં ચાંદની છલછલ થાય રે,

સહિયર! શું રે કહું? શું ના કહું?

— એમાં નૃત્ય ને સંગીત અચ્છી તરહથી લઢાયું છે. શ્રી [રામનારાયણ વિ.] પાઠકની રસવૃત્તિની ખરલ કેવું બારીક ઘૂંટણકામ કરે છે તેનો હું સાક્ષી છું. સાબરમતી કારાગૃહમાં મારે મોંએથી સાંભળેલ — મારા ઘર પછવાડે રે વાડિયું, એનાં ફૂલડાં લેર્યે જાય રે; હાં રે એનાં ફૂલડિયાં કરમાય રે,

વાગે છે વેરણ વાંસળી.

— એ લોકગીતનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ નૃત્યમરોડ ગળામાં ઊતરી જતાં સુધી પોતે જંપ્યા પણ નહોતા. કેટલા રાસકારો એમ કરે છે? જીવશે કેટલાં? એટલે જીવશે અને ઝિલાશે ફક્ત એ જ ગરબા કે જેણે સંઘના કંઠની સ્મરણશક્તિઓની બારીક મર્યાદાઓ પિછાનીને પાળી હશે. કલ્પનાના બેહદ સંભાર ઝીલવાનું ગજું રાસગરબાનું ન હોય. નૃત્યગીતના દોર ઉપર તો એક-બે સુસંબંદ્ધ કલ્પનાઓના કનકવા ચગી શકશે. માટે જ લોકગીતોમાં — કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, મેહુલો કરે ઘનઘોર! —

હાં રે કળાયલ બોલે છે મોર!

પછી ‘કડલાં’, ‘ગૂજરી’ ને ‘ચૂંદડી’નાં નર્યાં ખાનાં જ પૂર્યા કરવાનાં હતાં — એક જ કલ્પનાને, એક જ ભાવને સંઘહૃદયમાં ઘનીભૂત કરવા માટે. લાઘવ એ તો કાવ્યનો પ્રાણ છે. ‘બ્રેવીટી ઈઝ ધ સોલ ઑફ વિટ’ એ વિધાનના કડક પાલનને પરિણામે જ ‘આવેલ આશાભર્યા’ તેમ જ ‘મેંદી રંગ લાગ્યો’ જેવી સેંકડો લોકપદાવલિઓ કંઠે કંઠે રમતી પેઢાનપેઢી સજીવન રહી. એવું રસાયન જે સાધશે તેનાં જ ગીતો ગરબે ચઢશે.