ધૂળમાંની પગલીઓ/કૃતિ-પરિચય
કૃતિ-પરિચય
ધૂળમાંની પગલીઓ
ધૂળમાંની પગલીઓ (૧૯૮૪) : ચંદ્રકાન્ત શેઠનો બાળપણનાં સંસ્મરણો આલેખતો ગ્રંથ. દૂરના ભૂતકાળને વર્તમાનની ક્ષણથી જોવાનું કુતૂહલ અને એમ કરવામાં સ્મૃતિ સાથે કલ્પનાને ભેળવવાનો સર્જક કીમિયો અહીં મહદંશે સફળ નીવડ્યો છે. આત્મકથાની પ્રમાણભૂતતા કરતાં આત્મકથાની સામગ્રીના સંવેદનનો પ્રશ્ન લેખક માટે મહત્ત્વનો છે, એવો પ્રચ્છન્ન અભિગમ આ ગ્રંથ સાથે સંકળાયેલો છે. એટલે જ, શબ્દેશબ્દમાં લેખકે પોતાની ઉપસ્થિતિ હુંપદની રીતે નહિ, પણ સર્જનકર્મ માટે અનિવાર્ય એવા ધ્રુવપદ તરીકે સ્વીકારી છે. સંવેદનશીલ ગદ્યના કેટલાક નમૂનેદાર ખંડો અહીં જોવા મળે છે.
– ચંદ્રકાન્ત ટોપીવાળા
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)
→