ધૂળમાંની પગલીઓ/પગલીઓની આગળ પગલીઓની પાછળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પગલીઓની આગળ
ળછપા નીઓલીગપ






છેંતાલીસ વરસે થયું: ચાલો, આપણે પેલા નાનકડા ચંદ્રકાન્તને મળીએ. જવાનું છે પાછા જ્યાં થઈને આવ્યા ત્યાં. ચાલવાનું છે પેલા ઊબડખાબડ ધૂળિયા રસ્તે. ડામરના રસ્તાથી ટેવાયેલા પગને હવે એ રસ્તો ફાવે કે ન ફાવે પણ ચાલવાનો આનંદ છે ને તેમાંય પાછા પગલે ચાલવાનો વળી સવિશેષ. દૂરથી ડુંગર જ નહીં, દૂરથી વીતેલો સમય પણ રળિયામણો લાગે છે. મારે તો વળી જે પગલાં ભૂતકાળની શૈશવ ને કૈશૌર્યની ધૂળમાં ડટાઈ ગયેલાં એમને જ સ્મૃતિ ને કલ્પનાના કીમિયાએ બહાર કાઢીને જોવાનાં હતાં. મારે એ પગલાંની લિપિ ઉકેલી, એ ઉકેલતાં ઉકેલતાં જે ભાવરસ સ્ફુરે એની લિજજત લેવી હતી. અમરતા મારી ફરે; અહીં તો જીવેલું ફરી જીવવાનો, વધુ દિલચસ્પ રીતે જીવવાનો ઉપક્રમ રહ્યો છે. આ પગલીઓ એવા આસ્વાદલક્ષી ઉપક્રમનું જ પરિણામ. મને તો એમ કે મારે મારી જ પગલીઓ જોવી છે ને! પણ જેમ જેમ પગલીઓ જોતો ગયો તેમ લાગ્યું કે આ પગલીઓ પણ ભુલભુલામણી જેવી જ ભેદી છે. એય મને આમતેમ ભમાવી શકે ખરી! એક એક પગલીમાંયે કેટકેટલા જણની પગલીઓની ભાત ભળતી-મળતી લહાય છે! વડીલો, મિત્રો, તટસ્થો, વિરોધીઓ–સૌની પગલીઓ એમાંથી ઊપસે છે. કેટલીક અજાણી પગલીઓય એમાં ખરી, પરંતુ મનની વાત કરું તો એ ગાળામાં જે અજાણ્યું હતું તે હવે અહીં અજાણ્યું નથી, જે વિરોધી હતું તે હવે અહીં વિરોધી નથી. મને પરમતત્વની જ કોઈ અપાર કરુણાનો સ્પંદ લહાય છે. પૃથ્વી, જળ, વાયુ, આકાશ—આ સર્વ સાચે જ અત્યંત કરુણાળુ ને માયાળુ છે. એમણે મને ચાલવા દીધો, હું ચાલી શક્યો — અહીંતહીં થોડી પગલીઓ માંડી શક્યો – પાડી શક્યો. સારું છે કે આ પગલીઓ સાથે માત્ર મારા સ્નેહીજનોની કે માનવબંધુઓની નહીં, પશુપંખીઓનીયે પગલીઓ જડે છે. આ પગલીઓમાંથી કેવી કેવી રૂમતીઝૂમતી રસકથાઓ સ્ફુરે છે! આ કથાઓનું અહીં તો જરાતરા જ આચમન! મને વારંવાર પ્રશ્ન થાય છે: કોણ આપણને ચલાવે છે ને શા માટે આપણે ચાલીએ છીએ? ‘ચાલતો મધુને પામે’ (- चरन् वै मधु विन्दति) એવું શા માટે કહેવાયું હશે? આ સમજવા માટેય પાછું આપણે ચાલવાનું! કેટલુંક તો એવું જ કે ચાલતાં જ પમાય, ચાલતાં જ ચાલનું રહસ્ય પકડાય-પમાય; પગલીથી જ પગલીનો પરિચય પમાય - સાચો ને પાકો. અહીંનો પગલીનો પાડનાર તો એક ગામડિયો, ચાંદા-સૂરજછાપ થીંગડિયાળી ચડ્ડી ને સાંધેલું બાંડિયું ફરી ફરતો રહેતો એક છોકરો, નામે બચુડો-ચાંદરિયો-ચાંદરો, અને એને ઓળખાવવા બેઠેલો કવિતાવાળા ‘ચંદુડિયો’, ગૂજરાત વિદ્યાપીઠનો સેવક અને ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક. લા. સ્વાધ્યાય મંદિરનો નિયામક-પ્રાધ્યાપક ડૉ. ચંદ્રકાન્ત શેઠ. બે વચ્ચે ઠીક ઠીક છેટું છે. દુનિયાદારીના દાવપેચ ને દાવાદંભને દોંગાઈ—ઘણુંબધું અખળડખળ વચમાં અટવાયા કરે છે. આમ છતાં બે વચ્ચે સેતુ ટક્યો છે. પેલા ચંદરિયાની દોસ્તી ગુમાવવા જેવી નહીં એ ‘ચંદુડિયા’ના સર્જક કવિશ્રી સમજે છે ને તેથી જ એ દોસ્તીને ખીલવવાના ખ્યાલથી જ આવી પગલીઓ શબ્દના માર્ગે ચમકાવીને રાજી થાય છે. આ રાજીપામાં સૌને સામેલ કરવાની હોંશે આ પગલીઓ પ્રકાશિત થાય છે. આ પગલીઓ મારી છે એ તો એક અકસ્માત કે નિમિત્ત જ લેખાય. આ પગલીઓમાં સૌ કોઈનો હકલાગો રહેલો છે. આ પગલીઓમાં – એના શબ્દેશબ્દમાં હું અવશ્ય છું, પણ તે હું પદની રીતે નહીં, સર્જનકર્મ માટે અનિવાર્ય એવા ધ્રુવપદની રીતે. મનહરભાઈ (કવિ મનહર મોદી) મારામાંના ‘નંદ સામવેદી’ને શબ્દ સુધી ખેંચી લાવવામાં નિમિત્ત બન્યા હતા, એમ જ નિમિત્ત બન્યા આ પગલીઓને શબ્દમાં બાંધી બતાવવામાં. એમનું મારા માથે મોટું ઋણ છે. આશા છે કે આ પગલીઓમાં જે પ્રાણુપુરુષ યત્કિંચિત્ પ્રકટતો રહ્યો છે તેનો સૌને પોતપોતાની રીતે—ખાસ તો સર્જનાત્મક રીતે સાક્ષાત્કાર થાય. એવા સાક્ષાત્કારમાં આ કૃતિ નિમિત્ત થાય તોયે બસ. મારા પક્ષે કૃતજ્ઞતાભાવ વ્યક્ત કરવા સિવાય જાણે બીજું કશું શેષ રહેતું નથી! આ પગલીઓ ‘ઉદ્દગાર’ અને ‘સમકાલીન’માં પ્રગટ થઈ ત્યારે અનેક મિત્રો વડીલોએ એમનો પુરસ્કાર કરેલો. એ સૌનો નામનિર્દેશ કરવા જતાં એક લાંબી યાદી થાય. એ અહીં જાણીને ટાળું છું પણ એ સૌ પ્રત્યે અહીં મારો ઋણભાવ વ્યક્ત કરું છું. એમના પ્રાત્સાહક વલણે આ પગલીઓ માંડવા માટે મારામાં હિંમત અને તાકાત સંકોરી તે કેમ ભૂલું? અત્રે મારા મિત્ર-પ્રકાશક ભગતભાઈને અને ‘સમકાલીન’-વાળા સૌરભભાઈને પ્રેમપૂર્વક યાદ કરી લઉં. એમણે આ પગલીઓ સાથે એના પાડનારનેય એક વિશાળ ભાવકવર્તુળમાં હોંશપૂર્વક ગોઠવી દીધો ને પરિણામે જ મને મળી અનેકોની મીઠી દાદ, આ લખવા બદલ. આ ગ્રંથને આવરણચિત્રથી સુંદર કરવામાં પ્રદાન કરનાર ભાઈ શૈલેશ મોદીને ધન્યવાદ. ભવિષ્યના પંથેય આપ સૌનો રસસ્નેહ ને સ્નેહરસ મને લાધી રહે અને મારામાંનાં ગાબડાં પુરવામાં એની સતત સહાય મળો એવી પ્રાર્થના સાથે વિરમું.

૨૧-૭-’૮૪

- ચંદ્રકાન્ત શેઠ

બીજી આવૃત્તિવેળાએ

‘ધૂળમાંની પગલીઓ’ને ગુજરાતી ભાષાના સન્માન્ય સાહિત્યનો તેમજ સાહિત્યરસિકોએ જે ઉમળકાથી વ્યાપક રીતે આવકાર આપ્યો તેથી હું સ્વાભાવિક રીતે જ કૃતજ્ઞતાનો ભાવ અનુભવું છું. યોગાનુયોગે આ કૃતિને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક તથા ૧૯૮૭નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત થયું એ પણ આનંદની વાત છે. એમાં જે કોઈ નિમિત્ત થયા તે સૌ પ્રત્યે કૃતજ્ઞતાભાવ પ્રગટ કરતાં આનંદ થાય છે. આ કૃતિ સૌને તેમના બાળપણનો સાક્ષાત્કાર કરવામાં નિમિત્ત થાઓ એવી સદ્દભાવના વ્યક્ત કરી વિરમું છું.

૨૬-૭-૧૯૮૭

- ચંદ્રકાન્ત શેઠ