ધ્વનિ/વિધાતાને
વિધાતાને
હજી આ હૈયાનો વ્રણ રુધિરથી છે નીંગળતો,
ત્યહીં તારાં ખારાં દૃગ લવણ કેવું ઉલટથી
ભરે? -એથી છું કૈં વ્યથિત, અનુકંપા પણ કશી
વહે તારો ન્યાળી અબલ ઉછળાટે વસવસો!
ઝીલ્યા છે આ અંગે અગણ જખમો એથી ય વધુ
ઝીલ્યા છે મસ્તાના વનવિહગ જેવા મનતણી
ઉઘાડેલી પાંખે, ઉર થિજવનારી સકલની
કથાએ છે નાનું જીવતર મહાભારત બન્યું.
પ્રહારોથી રીઢું જીવન બનિયું એવું પણ ના:
ચકામાં કેરી છે અભિનવ ત્વચા કોમલતર,
સહેવામાં-જેવી હિમથી અમરાઈ મુકુલિત
બને તેવી-મ્હોરી હૃદય મુજ હેતાળ કરુણા.
વીંઝી રે’ તું તારી, ચરમ બલથી, વજ્ર ચપલાઃ
અને જો ગોરંભ્યા સજલ ઘનની વૃષ્ટિ–રમણા.
૧૩-૨-૪૭