નર્મદ-દર્શન/ત્યારે કલ્પના ન હતી કે—

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ત્યારે કલ્પના ન હતી કે—
૧૯૬૫માં ‘નર્મદ – એક સમાલોચના’ લખવાનો આરંભ કર્યો ત્યારે કલ્પના ન હતી કે,
— તે ડિગ્રીથી નિરપેક્ષ રીતે પણ મહાનિબંધનો ઘાટ લેશે.
— નર્મદ વિશે જ, સંશોધન અને વિવેચનનું આ બીજું પુસ્તક તૈયાર કરવાનું બની આવશે.
□ ૧૯૬૫માં, ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૩મા, સુરતના અધિવેશનમાં વિવેચન વિભાગના અધ્યક્ષપદે વરાયેલા નર્મદ-વ્રતી વિજયરાય વૈદ્યે તેમનું વ્યાખ્યાન, સુરેન્દ્રનગરમાં મારે ત્યાં રહીને લખ્યું હતું. તેમાં તેમને વિશેની પૂર્તિ મારી પાસે લખાવી હતી. નાદુરસ્ત તબિયતને કારણે તેઓ તેમનું વ્યાખ્યાન વાંચી નહિ શકે માટે, અધિવેશનમાં તે મારે જ વાંચવું એવું પણ તેઓ મારા મન પર સતત ઠસાવતા રહ્યા હતા. પરંતુ ‘નર્મદ – એક સમાલોચના’ના લેખન દરમ્યાનની એકાગ્રતા નંદવાઈ ન જાય માટે, ઘરઆંગણે મળી રહેલા તે અધિવેશનમાં હું હાજર ન રહ્યો, ત્યારે કલ્પના ન હતી કે,
— સુરતના તે પછીના જ, નર્મદની સાર્ધશતાબ્દીએ મળનારા અધિવેશનમાં, નર્મદવિષયક વિભાગના અધ્યક્ષપદે વરાઈને તે મંચ પરથી મારે વ્યાખ્યાન આપવાનું થશે.
□ આ ગ્રંથ ‘નર્મદ – એક સમાલોચના’ની સંપૂર્તિ છે. તે સળંગ સમગ્ર સમીક્ષાનો ગ્રંથ હતો; આમાં ભિન્ન ભિન્ન મુદ્દાઓ વિશેના સ્વતંત્ર લેખો છે. પરિપ્રેક્ષ્ય ભિન્ન છે તેથી પરિકલ્પના ભિન્ન છે. અહીં એક એક નાનામોટા મુદ્દાને લઈને જે વિગતે પરીક્ષવાનું, સમીક્ષવાનું, સંશોધવાનું, ખંખોળવાનું બની આવ્યું છે તે પુનરુક્તિ નિવારે છે અને કેટલાંક ડગલાં આગળ લઈ જાય છે. સાહિત્યેતર દૃષ્ટિથી પણ નર્મદને ઓળખવા –અવલોકવા જેવો છે, તે વિશે લગભગ ઉપેક્ષા થઈ છે એમ, દોઢસો વર્ષ પછી, તેની પ્રસ્તુતતાનો પ્રશ્ન સુરતના જ વિશ્વવિદ્યાલયના મંચ પરથી તેના ભૂતપૂર્વ કુલપતિ જેવી હસ્તીએ ઉઠાવ્યો ત્યારે સમજાય છે. આ એક આહ્‌વાન છે, ‘નર્મદ – એક સમાલોચના’માં તે વિશે વિચારવાનું બન્યું છે. તે દિશામાં વધુ સઘન અભ્યાસને હજુ પણ અવકાશ છે.
□ આ લેખો તો સાર્ધશતાબ્દી નિમિત્તે ભિન્ન ભિન્ન સંસ્થાઓએ આપેલાં નિમંત્રણો અને સોંપેલા વિષયો અનુસાર લખાયા છે. આગળના કામને આધારે કશુંક ઔપચારિકતાથી લખી કાઢવાનું, જૂની મૂડી વટાવી લેવાનું વલણ ન સેવતાં, વિષયને નવેસરથી તપાસી, વિશેષ મૂલ્યાંકનનો ઉપક્રમ તેમાં રાખ્યો છે. એક વિષય પર લખવા માટે સ્વાધ્યાય અને સંશોધન કરતાં, જે કેટલાક અચર્ચિત મુદ્દાઓ નજરે ચડ્યા, તે પણ અહીં સ્વતંત્ર લેખરૂપે માવજત પામ્યા છે.
□ લેખન માટે નિમિત્ત આપનાર સંસ્થાઓનો,
પ્રકાશન અનુદાન માટે ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યનો,
મારાં અગાઉનાં પ્રકાશનોની જેમ આ ગ્રંથનું પણ નિર્માણકાર્ય — production – સંભાળવા માટે મારા મિત્ર શ્રી બાલુભાઈ પારેખનો આભારી છું.

રાજકોટ, ૨૬-૨-૧૯૮૬
૧૦૧મો નર્મદ-નિર્વાણદિન

રમેશ મ. શુકલ