નવલકથાપરિચયકોશ/પરમાર્થની પ્રતિમા અથવા આત્મભોગની પરિસીમા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૭

‘પરમાર્થની પ્રતિમા અથવા આત્મભોગની પરિસીમા’ : સુમતિ મહેતા

– દર્શના ધોળકિયા

સુમતિકૃત ચોથી લઘુનવલ ‘પરમાર્થની પ્રતિમા અથવા આત્મભોગની પરિસીમા’ ચોવીસ પ્રકરણોમાં વહેંચાયેલી છે. તેનું વસ્તુ રાજસ્થાનના ઇતિહાસને અનુલક્ષીને છે. અલબત્ત, કૃતિના ઉપોદ્ઘાતમાં લેખિકા પોતે નોંધે છે તેમ, ‘આ વાર્તાનો સમય આશરે હજાર વર્ષ પહેલાંનો કલ્પ્યો છે અને વાર્તાનું વૃત્તાન્ત કોઈ પણ ઐતિહાસિક બનાવ ઉપરથી નથી.’ લેખિકાને આ કૃતિને મળતું અંગ્રેજી નાટક વાંચવા મળતાં એના પરથી આ નવલકથા લખવાનું સૂઝ્યું એવો એકરાર તેમણે કર્યો છે. આ પ્રકારની કથા આલેખવા પાછળનો પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું છે તેમ, ‘કદાચ ચાલુ જમાનાના વૃત્તાન્તો અને કથાઓ માનવમન ઉપર વધારે સારી અસર કરી શકે, પરંતુ કથામાં કેટલાક એવા વિષયો છે કે જે ચાલુ જમાનાને લાગુ પાડવા તે અસંભવિત જ છે. વળી ‘આનંદ’ના ગ્રાહકોને દર વર્ષે એક જ જાતનું વાંચન કદાચ અરુચિકર લાગે તેથી કથાને જુદા પ્રકારના રૂપમાં મૂકી છે.’ (ઉપોદ્ઘાત, પ્રથમ આવૃત્તિ) કથાનો આરંભ વૃદ્ધ રાજા કનોજપતિ ઉદયસિંહના રાજ્યમાં ભરાયેલા રાજવીઓના સંમેલનની ઘટનાથી થાય છે. એ સમયના ક્ષત્રિયો વિશે નિરાશ થયેલા મહારાજા ‘હવે જોયા આજના ક્ષત્રિયો! કંકણ પહેરી અંતઃપુરમાં બેસે એટલું જ બાકી રહ્યું છે.’ એ પ્રકારનું મંતવ્ય ધરાવીને હવે તો ક્ષત્રિયો કન્યાહરણ પણ કરી શકતા નથી એવું મહેણું સૌને મારે છે. સભા પૂર્ણ થતી વેળાએ કનોજપતિ અમરસિંહના કાનમાં ચેતતા રહેવાની ફૂંક કોઈક મારે છે. આ પ્રકારના રહસ્યાત્મક અંતથી પ્રથમ પ્રકરણ પૂરું થાય છે, જેનાથી કથા વેગ પકડે છે. કનોજપતિએ આપેલા મહેણાના પ્રત્યુત્તરરૂપે જ જાણે રાજાની પોતાની પુત્રી વિમળાકુમારી ને પાલકપુત્રી વિજ્યાકુમારીનું એ જ રાત્રે થવેલું હરણ કનોજપતિને સ્તબ્ધ બનાવી દે છે. પછીથી અમરસિંહ પોતાની લાડકી પુત્રી વિમળાને હરનાર ને પોતાનો જમાઈ બનનાર રણજિતસિંહના બળની પરીક્ષા લઈને તેને ધન્યવાદ આપીને સ્વીકારે છે. બીજી બાજુ, અમરસિંહની પાલકપુત્રી વિજ્યાકુમારી કૃતિની કુટિલ ખલનાયિકા છે. આદિવાસી પિતાની પુત્રી વિજ્યાને કનોજપતિએ પ્રેમથી મોટી કરી છે પણ વિજ્યાને પાલક પિતા પર નાનપણથી રહેલી ચીડ ધિક્કારમાં પરિવર્તિત થતી રહે છે. રાણી બનેલી વિજ્યાકુમારીથી ત્રસ્ત થયેલા વેપારી હરનારાયણસિંહને બચાવવા માટે અમરસિંહનો પુત્રી સાથે વિવાદ થાય છે. વિજ્યાકુમારી વેરની તૃપ્તિ માટે સુલેહનું નાટક ભજવીને પિતાને ભોજન માટે નિમંત્રે છે. ત્યારે પિતા અમરસિંહ હરનારાયણસિંહની કુવૃત્તિ સામે વિજ્યાના પુત્રનું રક્ષણ કરવા જતાં પોતાના પુત્રો ગુમાવે છે. તેના સહુથી નાના પુત્રનો વિજ્યા જ અંત કરી દે છે ને બીજી બાજુ અમરસિંહ વિજ્યાના પુત્રને બચાવીને લાવે છે. કૃતિમાં એક બાજુ વિજ્યાની વેર લેવાની વૃત્તિ તો બીજી બાજુ મહારાજની પરોપકારની વૃત્તિ વચ્ચે સદ્-અસદ્નું દ્વંદ્વ રચાય છે. કૃતિમાં આવા રહસ્યમય ને સનસનાટીભર્યા બનાવોની વચ્ચે વિજ્યાનો અજિતસિંહ પ્રત્યેનો એકપક્ષી પ્રેમ લેખિકાએ વણી લીધો છે. ક્યાંક વિજ્યા સાત્ત્વિક બનતી જણાય છે ખરી, પણ છેવટે તેની અસલ વૃત્તિઓ માથું ઊંચકે છે ને વિષયી વિજ્યા પહેલાં બનેવી રણજિતની ને છેલ્લે પોતાની હત્યા કરી બેસે છે. કૃતિમાં અંતે બચે છે વૃદ્ધ કનોજપતિ ને તેની વિધવા પુત્રી વિમળા. અહીં વિજ્યા ને હરનારાયણ ખલ પાત્રો તરીકે ઊપસ્યાં છે. બાકીનાં પાત્રો ઉદાત્ત ને સૌમ્ય પ્રકૃતિનાં આલેખાયાં છે. પ્રફુલ્લ રાવલ કૃતિના શીર્ષકને ઉચિત રીતે સમીક્ષતાં નોંધે છે તેમ, (અમરસિંહની) પાલક પુત્રીએ પરમાર્થ સામે દુરિત આચાર કર્યો છે અને અમરસિંહ વેદનાસભર બન્યા છે. વિમળા સંન્યાસિની બને છે. ચિતોડ સાથેનો સંબંધ તોડે છે કારણ કે હવે એને ‘માત્ર એક પરમપદ સાથે સંબંધ (પૃ. ૧૧૪) રહ્યો છે. આત્મજ્ઞાન પાસે કથાનો અંત આવે છે. પ્રભુસેવન ને પ્રભુસ્મરણ એનું લક્ષ્ય રહ્યું છે. એની સામે ‘પરમાર્થની પ્રતિમારૂપ’ પિતા છે અને ‘આત્મભોગની પરિસીમારૂપ’ પતિ છે. (એજન, પૃ. ૯)

ડૉ. દર્શના ધોળકિયા
પ્રોફેસર અને અધ્યક્ષ,
ગુજરાતી વિભાગ,
ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભુજ
વિવેચક, સંશોધક, સંપાદક, ચરિત્રકાર, અનુવાદક
મો. ૯૦૯૯૦૧૭૫૫૯
Email: dr_dholakia@rediffmail.com