નવલકથાપરિચયકોશ/પરોઢ થતાં પહેલાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૬

‘પરોઢ થતાં પહેલાં’ : કુન્દનિકા કાપડિયા

– ઇંદુ જોશી
Parodh thata pahela.jpg

કુન્દનિકા કાપડિયા એ ગુજરાતી ભાષાના અગ્રગણ્ય વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર અને સંપાદક હતાં. ફિલસૂફી, પ્રકૃતિ અને સંગીતમાં તેમને ઊંડો રસ. તેમનો જન્મ ૧૧ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામે નરોત્તમદાસ કાપડીઆને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પંચમહાલ જિલ્લાના ગોધરામાં અને વડોદરામાં લીધું હતું. ત્યારબાદ ભાવનગર શામળદાસ કૉલેજમાં ૧૯૪૮માં રાજકારણ અને ઇતિહાસ સાથે બી. એ. કર્યું. તેમણે ૧૯૪૨ની ‘ભારત છોડો’ ચળવળમાં પણ ભાગ લીધો હતો. મુંબઈ સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાંથી ‘એન્ટાયર પોલિટિક્સ’ સાથે એમ.એ.નો અભ્યાસ કર્યો. તેઓ ૧૯૫૫થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ અને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’ના સંપાદક પણ રહ્યાં હતાં. ‘અખંડ આનંદ’, ‘જન્મભૂમિ’માં પણ તેમણે નિયમિત લખેલું. ફિલ્મ ડિવિઝનમાં કોમેન્ટરી પણ તે લખતાં. ‘પ્રેમનાં આંસુ’ (૧૯૫૪), ‘વધુ ને વધુ સુંદર’ (૧૯૬૮), ‘કાગળની હોડી’ (૧૯૭૮), ‘જવા દઈશું તમને’ (૧૯૮૩), ‘મનુષ્ય થવું’ – તેમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે. એમની પ્રથમ વાર્તા ‘પ્રેમનાં આંસુ’ ‘જન્મભૂમિ’ પત્ર દ્વારા યોજવામાં આવેલી આંતરરાષ્ટ્રીય વાર્તાસ્પર્ધામાં બીજા ક્રમે પુરસ્કૃત થઈ હતી. પ્રાર્થનાઓનું સંકલન ‘પરમસમીપે’ (૧૯૮૨) પણ તેમનું લોકપ્રિય પુસ્તક છે. ‘પરોઢ થતાં પહેલાં’ (૧૯૬૮), ‘અગનપિપાસા’ (૧૯૭૨), ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) – તેમની ત્રણ નવલકથાઓ છે. ‘દ્વાર અને દીવાલ’ (૧૯૫૫) અને ‘ચંદ્ર તારા વૃક્ષ વાદળ’ તેમનાં નિબંધસંગ્રહો છે. એમણે છ જેટલા અનુવાદ આપ્યા છે. ‘હિમાલયના સિદ્ધયોગી’, ‘જીવન -એક ખેલ’ અનુવાદનાં પુસ્તકો છે. તેમણે લૉરા ઇંગ્લસવાઇલ્ડરની નવલકથાનો અનુવાદ ‘વસંત આવશે’ (૧૯૬૨) નામે અને મેરી એલન ચેઝનાં શૈશવનાં સ્મરણોનો અનુવાદ ‘દિલભર મૈત્રી’ (૧૯૬૩) નામે કર્યો છે. તેમણે બંગાળી લેખિકા રાણી ચંદના પ્રવાસવર્ણનનું ભાષાંતર ‘પૂર્ણકુંભ’ (૧૯૭૭) નામે કર્યું છે. ‘પુરુષાર્થને પગલે’, ‘કિશોર ડિટેક્ટિવ’ પણ તેમનાં અનુવાદનાં પુસ્તકો છે. ‘ઊઘડતાં દ્વાર અંતરનાં’ એઈલીન કેડીનો અનુવાદ છે. આ પુસ્તકમાં લેખિકાએ પોતાનું નામ માતાના નામ સાથે જોડીને ઈશા કુન્દનિકા રાખ્યું છે. તેમણે તેમનાં ઘણાં ચિંતનાત્મક લખાણો ‘ઈશા કુન્દનિકા’ના નામે લખ્યાં છે. ‘પરમ સમીપે’ અને ‘સાત પગલાં આકાશમાં’ તેમનાં ખૂબ વંચાયેલાં સર્જનો છે. ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર, શેક્સપિયર અને ઇબ્સનમાંથી તેમને લેખનની પ્રેરણા મળી એમ તેઓ માને છે. તેમનું તખલ્લુસ ‘સ્નેહઘન’ હતું. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. તેમાં ૧૯૮૪માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક અને ૧૯૮૫માં ‘સાત પગલાં આકાશમાં’ નવલકથા માટે સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કાર મુખ્ય છે. તેમણે ૧૯૬૮માં મોટી વયે મકરન્દ દવે જેવા પ્રતિભાસંપન્ન અને તત્ત્વદર્શી કવિ સાથે લગ્ન કર્યાં. વલસાડ પાસે આવેલા વાંકલ ગામે નંદિગ્રામ નામના પોતે સ્થાપેલા આશ્રમમાં તે બંનેએ આદિવાસીઓ અને વંચિતોના ઉત્થાન માટે ઉપયોગી પ્રવૃત્તિઓ શરૂ કરી. નંદિગ્રામ ખાતે જ ૩૦ એપ્રિલ, ૨૦૨૦ના રોજ તેમનું ૯૩ વર્ષે અવસાન થયું હતું. ગુજરાતી સાહિત્યના વિશિષ્ટ વાર્તાકાર-નવલકથાકાર અને કુન્દનિકા કાપડીઆ સાથે નંદિગ્રામમાં જોડાઈને સાથે કામ કરનારાં હિમાંશી શેલત એક મુલાકાતમાં કહે છે, ‘સાહિત્યકાર તરીકે તેમની સંવેદના તેમના પ્રકૃતિપ્રેમ સાથે જોડાયેલી હતી. તેમનો ફૂલો, આકાશ અને કુદરત માટેનો પ્રેમ નજીકથી જોઈ શકી એ સૌથી પ્રિય યાદગીરી રહેશે. હું જેટલો સમય તેમની સાથે રહી શકી, શીખી શકી એ મારા જીવનનો ખૂબ મહત્ત્વનો સમય રહ્યો.’ ‘પરોઢ થતાં પહેલાં’ એ કુન્દનિકા કાપડીઆની પ્રથમ સામાજિક નવલકથા છે. તેની પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૬૮માં આવી. તે સમયે સાહિત્ય સહકારી પ્રકાશન લિ. તેના પ્રકાશક હતા. પછીની ત્રીજી આવૃત્તિ વખતે નવભારત સાહિત્ય મંદિરે તેનું પ્રકાશન કર્યું છે. નવલકથાની શરૂઆતમાં રાઈનર મારિયા રિલ્કેની એક કવિતાનો અનુવાદ છે. ‘સુનંદાની કથા સત્યને સમર્પિત’ – એ પ્રકારનું અર્પણ પછીના પાને છે. નવલકથાનું જ કોઈ પાત્ર બીજા પાત્રને નવલકથાનું અર્પણ કરે તે નવાઈ પમાડે તેવું વિશિષ્ટ અર્પણ છે. નવલકથા વાંચ્યા પછી આ અર્પણ સમજાય છે. ત્યારબાદ ‘સુભગ મણિ’ શીર્ષક હેઠળ મકરન્દ દવેની પાન નં. ૯થી ૨૪ સુધીનાં પાનાઓમાં વિસ્તરેલી દીર્ઘ પ્રસ્તાવના છે. પ્રસ્તાવના પછી કવિ ચંડીદાસની પંક્તિઓ આપેલી છે. આ ત્રણે બાબતો નવલકથા વાચતાં પહેલાં કેવી મનોભૂમિકા રાખવી તે અંગે સૂચન કરે છે. નવલકથામાં વર્ણવાયેલી ક્યારેક ભૂતકાળની ઘટનાઓ પરથી આપણને ખબર પડે કે સુનંદાનું લગ્નજીવન એક વર્ષનું રહ્યું હતું અને તેનો પતિ દેવદાસ તેને કશું જ કહ્યા વગર છોડીને જતો રહ્યો હતો. તે બાબતનો તેને ખૂબ આઘાત લાગે છે. ૧૧ વર્ષથી તે એકલી જ રહેતી હતી. સુનંદા સરકારી ડૉક્ટર છે. તેની બદલી થતાં તે નવા ગામમાં આવી છે. અહીં પ્રકૃતિનું, ગામનું, ઘરનું, દવાખાનાનું વર્ણન આંખ સામે તાદૃશ્ય થઈ જાય તેવું છે. આ ગામમાં કુમાર નામનો યુવક વર્ષોથી સરકારી દવાખાનાના કમ્પાઉન્ડર તરીકેનું કામ કરે છે. તે સુનંદાને આવકારે છે અને તેને ગામ વિશે પણ માહિતગાર કરે છે. કુમાર દ્વારા સુનંદા ઘણી બાબતો સાથે જોડાય છે. એ રીતે તે નવલકથાનું મહત્ત્વનું પાત્ર છે. અન્ય પાત્રો અમીના-અબ્દુલ, યુસુફ-ફાતમા, દીપચંદ-લલિતા, નંદલાલ-શોભા એ પણ ઘટનાઓના ભાગરૂપે આવે છે. સમાજના વિવિધ વર્ગોમાંથી જે દર્દીઓ આવે છે તેમની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને મનોવૈજ્ઞાનિક ભૂમિકાને, દર્દીઓના માનસને લેખિકા યથાર્થ રીતે વર્ણવી શક્યાં છે. ગામનો નાનો સમાજ આખા માનવસમાજનું પ્રતિબિંબ પાડે છે. અહીં નિર્દય હિંસા કરનાર માણસો છે તેમ પ્રેમ અને માનવતાની સંવેદના ધરાવનાર વ્યક્તિઓ પણ છે. સુનંદાને પોતાની વ્યથાનો ઉપાય સાધ્વી અંજનાશ્રી અને સત્યની વાતોમાંથી મળે છે. અંજનાશ્રી સાધ્વીને લ્યુકેમિયા રોગ છે. પણ તે રોગ અને મૃત્યુની વાત ખૂબ તટસ્થ રીતે કરી શકે છે. તેમનું આ પીડાથી અલિપ્ત રહેવાનું અને આનંદમાં રહેવાનું વલણ સુનંદાને પોતાની વ્યથાને નવી રીતે જોવાનું શીખવે છે. કુમાર દ્વારા સત્ય અને સુનંદા એકબીજાની આડકતરી રીતે ઓળખાણ પામેછે. સત્ય જ્યારે કુમારને મળે છે ત્યારે તે સુનંદા માટે પણ કંઈક ને કંઈક કહે છે કે કાગળ આપે છે. નવલકથામાં લાંબા સમય સુધી પ્રત્યક્ષ રીતે સત્યનું પાત્ર આવતું નથી. સત્ય પાસે સુનંદાના પ્રશ્નોના ઉત્તર છે એવું સુનંદાને કુમારની વાતો પરથી લાગે છે. અહીં દુઃખ, સુખ, અલિપ્તતા વગેરે ભાવોની અને જીવન ફિલસૂફીની ચર્ચાઓ લંબાણપૂર્વક નિરૂપાઈ છે. સત્યને સુનંદા કોઈ દિવસ મળી નથી પણ તેના વિચારોને કારણે તે આકર્ષણ અનુભવે છે. જાણીતા કવિઓની કવિતાઓ પણ લેખિકાએ નવલકથામાં પ્રસંગો સાથે સાંકળી લીધી છે. પોતાની વ્યથા અને બીજાનાં દર્દનાં ઊંડાં અંધારાં અનુભવ્યા પછી સુનંદાને જાણે પોતે એક પ્રકારની સમજનો પ્રકાશ જોઈ રહી હોય તેવું લાગે છે. નાયિકાની વ્યક્તિગત પીડાનો જાણે વિસ્તાર થાય છે. અહીં ગામના લોકોની અને મુખ્યત્વે સ્ત્રીઓનાં દુઃખ, યાતનાઓની વાત થઈ છે. અમુક વાક્યો જેવાં કે – આંતરિક શક્તિ સમાજ દ્વારા ઊભા થતા પ્રશ્નોને સરળતાથી અવગણી કરી શકે છે. નિષ્ક્રિય સહનશીલતાને લોકો સ્વાર્પણનું રૂપાળું નામ આપે છે. માણસનું જીવન વિકસતું રહેવું જોઈએ. કોઈપણ આદર્શ કે માન્યતાના નામ હેઠળ જીવન નિરાશ બનતું હોય તો આદર્શો ગમે તેટલા ઊંચા હોય, ખોટા છે – આ નવલકથા લેખનના હેતુ અંગે વારંવાર સૂચન કરે છે. કવિ ચંડીદાસ અને રવીન્દ્રનાથની પંક્તિઓ પણ વાતચીતમાં સંવાદરૂપે મુકાઈ છે. જાગૃતિનું પરોઢ થાય એ પહેલાં અસ્તિત્વના પ્રશ્નો અંગે થતું હૃદયવિદારક મનોમંથન નવલકથાના શીર્ષકને યથાર્થ ઠેરવે છે. દુઃખ અને પીડા મનુષ્યમાત્રને જાગૃતિ તરફ લઈ જાય તેવું ઘટે. ભૌતિક રીતે જિવાતા જીવનની પેેલે પાર ચેતનાની સરહદો સ્પર્શનારને આનંદની અનુભૂતિ થયા વગર રહે નહીં – આ પ્રકારનું ચિંતનાત્મક વલણ ધરાવતા વાચકને આ નવલકથા વાંચવાનો સંતોષ જરૂર થશે.

ડૉ. ઇંદુ જોશી
ગુજરાતી વિષયશિક્ષિકા, વડોદરા
કવિ, વાર્તાકાર, અનુવાદક, ફાર્બસ યુવાવિભાગના સંપાદક
મો. ૯૪૨૮૦૦૫૯૧૬
Email: indujoshi૩@gmail.com