નવલકથાપરિચયકોશ/સોનલછાંય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૫૫

‘સોનલ છાંય’ : શિવકુમાર જોશી

– ચાર્મી જોષી
Sonal Chhay.jpg

લેખકનો પરિચય : નામ : શિવકુમાર ગિરજાશંકર જોશી જન્મ : ૧૬/૧૧/૧૯૧૬ – અવસાન : ૦૪/૦૭/૧૯૮૮ વતન : અમદાવાદ વ્યવસાય : ૧) ઈ. સ. ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કાપડનો વ્યવસાય કર્યો. ૨) ઈ. સ. ૧૯૫૮થી કાપડના વ્યવસાય સાથે કલકત્તાની સાહિત્યિક, સાંસ્કૃતિક અને રંગમંચની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. સાહિત્યિક પ્રદાન : નવલકથાકાર, વાર્તાકાર, એકાંકીકાર, પ્રવાસકથાકાર વગેરે સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. ઇનામ : ૧) ઈ. સ. ૧૯૫૨માં કુમારચંદ્રક ૨) ઈ. સ. ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક ૩) ઈ. સ. ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક શિવકુમાર જોશીકૃત ‘સોનલ છાંય’ નવલકથા પ્રથમ આવૃત્તિનું વર્ષ : ૧૯૬૭ (પ્રત : ૨૫૦૦) દ્વિતીય આવૃત્તિનું વર્ષ : જુલાઈ ૧૯૮૧ (પ્રત : ૧૭૫૦) પ્રકાશક : આર. આર. શેઠની કંપની અવતરણ : આ એક એવો ત્રિકોણ છે જેને માત્ર બાજુઓ છે, ખૂણા નથી. ત્રણ ખૂણા સિવાયના ત્રિકોણ કરી શકાય તો આ ત્રિકોણ સમજવો સરળ પડશે. – શિવકુમાર જોશી અર્પણ : ચંદ્રકાંત બક્ષીને ‘સોનલ છાંય’ નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે શરદ, અમૂલ્ય, રેવા (પીયૂ). શરદ ગુજરાત અમદાવાદનો રહેવાસી છે, જેનું બંગાળમાં ટ્રાન્સફર થયું છે. બંગાળમાં રોકાવા માટે એ ઘરની તપાસ કરે છે ને લેક કોલોનીમાં નંદબાબુને ત્યાં બીજો માળ ખાલી હતો ત્યાં શરદ રહેવા જાય છે. ત્યાં સિદ્ધેશ્વર નામે એક ચાકર હતો. શરદને વાંચવાનો ખૂબ શોખ હતો એટલે સિદ્ધેશ્વરે કીધું કે “તમારી પેહલાં જે અહીં રહેતા હતા, આ કબાટમાં એમનાં પુસ્તકો છે, તમારે વાંચવાં હોય તો તાપે મૂકી દવ.” શરદ એ કબાટનાં પુસ્તક વાંચવા લે છે. દરેક ઊઘડતે પાને પુસ્તક ખરીદાયાની તારીખ, તેની કિંમત એની એક બાજુ પુસ્તક માલિક ‘અમૂલ્ય મહેતા’નું નામ લખેલું હતું. પુસ્તકમાં કેટલીક જગ્યા એ અમૂલ્યએ તેના પોતાના વિચાર લખેલા. એ વાંચી શરદને અમૂલ્ય વિશે જાણવાની ઇચ્છા થાય છે. એક દિવસ નંદબાબુ અને શરદનો ભેટો થાય છે ત્યારે નંદબાબુ અમૂલ્ય વિશેની તૂટક માહિતી આપે છે. શરદને થાય છે કે એક વારમાં જ આખી વાત જણાવી દેતા હોય તો આ રોજ રોજની મગજમારી તો નઈ અને નંદબાબુ અમૂલ્યની ડાયરી આપે છે. એ ડાયરીમાં અમૂલ્યના જીવનના ઘણા પ્રસંગ આલેખાયેલા છે. એમાંનો એક પ્રસંગ કે અમૂલ્ય અને તેની પત્ની વનમાલા મુંબઈમાં રહે છે. અમૂલ્ય વનમાલાના પિતાની કંપનીમાં જ નોકરી કરે છે. એક દિવસ અમુક કારણોને લઈ અમૂલ્ય અને બીજા કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ ગઈ તેમાં અમૂલ્યને કોઈકે કીધું કે તું વનમાલાનો પતિ છે એટલે તને વધારે પગાર મળે છે બાકી તું એને લાયક નહિ. જોકે અમૂલ્ય ખૂબ મહેનતુ છે અને ડિગ્રી પણ છે. અમૂલ્યને એ વાત સદી ના અને વનમાલા અને તેના પિતા સાથે બોલવાનું થઈ જાય છે. એ સમયમાં અમૂલ્ય વનમાલાને કહે છે કે આમ સાથે નઈ રહેવાય અને વનમાલાનું વર્તન પણ સારું ન હતું એ વધારે જ મોર્ડન હતી અને એને કારણે અમૂલ્યને એનું વર્તન ગમતું ન હતું. અમૂલ્ય વનમાલાથી દૂર બંગાળમાં આવીને વસે છે અને નંદબાબુને ત્યાં રહેવા આવે છે. નંદબાબુની ઉપર સુધીન અને તેની પત્ની શ્યામા રહે છે. શ્યામાની દૂરની મોટી બહેનની દીકરી રેવા (પિયુ) તેની જોડે રહે છે. પિયુના માતાપિતા મરી ગયાં છે માટે શ્યામા તેને રાખે છે. એક દિવસ અચાનક અમૂલ્યના દરવાજે ટકોરા પડે છે. અમૂલ્ય દરવાજો ખોલે છે ને સામે સાવ લઘરવઘર વાળ, શ્યામ રંગ, સાવ પાતળી છોકરી આવી ને ઊભી. પહેલાં ખાંડ લેવા પછી ચા લેવા, કેટલીક વાર દૂધ લેવા એ અમૂલ્યના ઘરે આવ્યા કરતી. તે છોકરી પિયુ હતી. પિયુ સોળ સત્તર વર્ષની છે. પિયુને ઘરે માસી વઢે કે કંઈ પણ થાય તો એ અમૂલ્યને ત્યાં આવી જતી. પિયુ અમૂલ્યને અમુલદા કહેતી. થોડા સમય પછી દુર્ગોત્સવ આવવાનો હતો તેની તૈયારી શરૂ થઈ જાય છે. તહેવારના કારણે અમૂલ્ય પિયુને સરસ મજાનાં કપડાં લાવી આપે છે. એ સમયે અમૂલ્યને બહાર જવાનું થાય છે, પિયુ એને રોકવા માટે આવે છે અને અમૂલ્ય જાણે કોઈ બહાનું જ શોધતો હોય એમ રોકાઈ જાય છે. ગલીમાં પિયુને એક દિવસ કેટલાક છોકરાઓ અનપઢ કહીને ઉડાવે છે કેમ કે પિયુ ગામડામાંથી આવે છે. પિયુ અચાનક અમૂલ્યને ત્યાં આવે છે અને કહે છે – “બહેન જેવી ગણો છો, આટલું વ્હાલ વરસાવો છો, આટલી સંભાળ રાખવાનો ચાળો કરો છો છતાં મારું આવું અપમાન થાય તો ચલાવી લો છો?’ અમૂલ્ય પિયુને અંગ્રેજી શીખવાડે છે. અમૂલ્ય અને પિયુ બંને સાથે ફરવા જાય છે. અમૂલ્ય પિયુ માટે જે ફીલ કરે છે એ ઘણી વાર કહેવા માથે છે પણ કહી નથી શકતો. સુધીનને લત્તાના બધા છોકરા કહેવા આવે છે કે જુવાન છોકરીને એ ઘરડાના હાથમાં શું જોઈને આપી છે. બધા ભેગા થઈ અમૂલ્યને ભગાડવા મથે છે, મારે છે અને એ સમયે પિયુ વચ્ચે આવી કહે છે, મારા મોટા ભાઈ સમાન વ્યક્તિને કેમ મારો છો. પિયુએ અમૂલ્યને બચાવવા માટે આમ કીધેલું. થોડા જ સમયમાં પિયુ તેના માસા-માસી જોડે એ શહેર છોડી નીકળી જાય છે. પિયુના ગયાના ૬ મહિનામાં જ અમૂલ્ય પણ એ જગ્યા છોડી જતો રહે છે. એ ક્યાં જાય છે એની માહિતી ના તો નંદબાબુની પાસે છે ના તો એ ડાયરીમાં. શરદને અમૂલ્યને મળવાની ઘણી ઇચ્છા છે. અને નંદબાબુ પણ શરદને કહે છે કે અમૂલ્યને ફરી અહીં લઈ આવ. એવામાં શરદના બારણે ટકોરા પડે છે. શરદ બારણું ખોલે છે સામે એક સુવ્યવસ્થિત છોકરી ઊભી છે. એ પિયુ જ હતી. શરદને અમૂલ્યની ડાયરી વાંચીને એમ થાય છે કે એક દિવસ આ બારણે ટકોરા પડશે અને એ દિવસ આજે જ હતો. પિયુ અમૂલ્યની જ તપાસમાં આવેલી. એ પેહલાંની જેમ જ એ ઘરમાં ફરવા માંડે છે. શરદ સાથે વાત કર્યાના ઘણા સમય પછી એને ખ્યાલ આવે છે કે સામે જે વ્યક્તિ બેસી છે એ એના અમૂલદા ન હતા. શરદ પિયુને કહે છે કે – આપણે ભેગા થઈ તારા અમૂલદાને શોધી લઈશું. અને ત્યાર પછી બંને સાથે ભેગાં મળીને અમૂલ્યને શોધવા નીકળે છે. નંદબાબુનું મૃત્યુ થયું છે. પણ શરદ એમની ઇચ્છા પૂરી કરવા જાણે નીકળી પડ્યો હોય. શરદ એકલો જ અમૂલ્યને લેવા જાય છે. અમૂલ્ય રામકૃષ્ણ પરમહંસમાં જાય છે એ જાણ થતાં શરદ તરત ત્યાં જાય છે. ત્યાં જઈને ખબર પડે છે કે એ અહીંયાંથી નીકળીને હવે હરિદ્વાર બાજુ ગંગા કિનારે જોવા મળે છે. એટલે શરદ અમૂલ્યને શોધવા જાય છે અને એને ત્યાં ગેરુઆ કપડાંમાં ભજન કરતા જુવે છે. શરદ અમૂલ્યને કહે છે કે પોતે એમને લેવા આવ્યો છે પણ અમૂલ્ય માનતા નથી. શરદ પિયુને પત્ર લખી બોલાવે છે. શરદને જે આશા હતી એનાથી તદ્દન વિરુદ્ધ થયું છે. શરદને એમ છે કે પિયુ અમૂલ્યને દોડીને આવી ભેટી પડશે અને અમૂલ્યને પોતાની સાથે આવવા માટે મનાવશે કાં તો પોતે અહીં રોકાઈ જશે. પણ એમ કંઈ નથી થતું. અમૂલ્ય જતા પહેલાં પિયુને મળીને કંઈ વાત કરે છે અને ત્યાંથી શરદ અને પિયુ રવાના થાય છે. રસ્તામાં પિયુ ચૂપ બેસી રહી પછી વાત ચાલુ થઈ. બંગાળ આવતા લગી વાત ચાલુ રહી. રસ્તામાં ટ્રેનમાં શરદે પોતાની વાત મૂકી કે એ પિયુને ચાહે છે. બંગાળ આવી ટૅક્સીમાં બેઠા ત્યારે પિયુએ કીધું કે હું આવીશ, બહુ જલદી મારો નિર્ણય જણાવીશ અને હોસ્ટેલ ઊતરી જાય છે. ત્યાર પછી શરદ રોજ રાહ જુવે છે કે આજે દરવાજે ટકોરા પડશે એ જ આશામાં એની સવાર થાય છે. પણ હજી કોઈ ટકોરા પડ્યા નથી. નવલકથાની દૃષ્ટિએ ખૂબ સારી કૃતિ છે, એકી બેઠકે નવલકથા પૂર્ણ કરી શકાય એવો નવલકથાનો પ્રવાહ છે. નવલકથા વાચકને સતત પકડી રાખે છે. નવલકથા ભાવનાત્મક દૃષ્ટિએ ઉત્તમ છે.

ચાર્મી અક્ષયકુમાર જોષી
B.A., M.A., Ph.D. (Running)
મો. ૯૮૭૯૮૨૪૦૮૬
Email: joshicharmi22@gmail.com