નવલકથાપરિચયકોશ/મંછીભાભી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૧૩૦

‘મંછીભાભી’ : પ્રાગજીભાઈ ભામ્ભી
માણસમાં રહેલા માણસની તલાશ : ‘મંછીભાભી’

– પ્રેમજી પટેલ
ગુજરાતના ઠીક ઠીક સાહિત્ય રસિક વાચકો સર્જક પ્રાગજીભાઈ ભામ્ભીને છેલ્લા બે દાયકાથી ઓળખે છે. ઈ. સ. ૨૦૦૦માં તેમનો નવલિકાસંચય ‘ફરી પાછા પૃથ્વી પર’ પ્રગટ થયો ત્યારે સુજ્ઞ વાચકોનું ધ્યાન ખેંચાયું હતું. તે સંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક પ્રાપ્ત થયેલું. તે પછી તેમના ત્રણેક વિવેચન ગ્રંથો ક્રમશઃ પ્રકાશિત થયેલા. જેમાં તેમની કળાદૃષ્ટિ તથા સાહિત્યની ઉત્તમ પરખશક્તિ કળાય છે. અગાઉ તેમની બે નવલકથાઓ (૧. ‘દિવાળીનો દિવસો’ ઈ. સ. ૨૦૦૨ અને ૨. ‘ઘેરાવ’ ઈ. સ. ૨૦૦૯) પ્રગટ થયેલી છે. જેમાંથી નવલકાર પ્રાગજીભાઈની પ્રથમ કક્ષાની કથનસૂઝ અને કળાસૂઝનો પરિચય થાય છે.

નવલકાર પ્રાગજીભાઈ ભામ્ભીની ત્રીજી કૃતિ ‘મંછીભાભી’ (૨૦૧૯)ની કથા ગામડાના, વૈશાખ મહિનાના સાત-આઠ દિવસોના સીમિત ફલકમાં રજૂ કરાઈ છે. અહીં પણ ‘છબીકારની તટસ્થતાથી’ સુચારુ રીતે કથાનું આલેખન થયું છે. શીર્ષક જોતાં જ સમજી શકાય કે કૃતિ ચરિત્રકેન્દ્રી છે. કથાનાયકના કથન કેન્દ્રથી રજૂ થઈ છે. નાયક કરસન ઓગણસાઠ વરસની ઉમ્મરનો પ્રૌઢ છે. તેની આસપાસની ઉમ્મરનાં બે સ્ત્રી પાત્રો – જેમાં એક નાયકની પત્ની મંગુ અને બીજી, નાયકને જેના તરફ ખેંચાણ છે – પ્રેમ છે તે મંછીભાભી. એમ ત્રણેયની ક્ષણો વણાતી રહે છે, નાયકના આંતરમનમાં તેનાં આ સ્વજનો સાથે ઘટતી નાની મોટી પ્રસંગાવલિઓમાં કથાનું રેશમી ભાવપોત ગૂંથાતું રહે છે. નાયકના ચિત્તમાં આ પાત્રોનાં વર્તમાન અને અતીતની ક્રિયા-પ્રતિક્રિયાઓની ઝીણી ઝીણી ભાવછબીઓ ઝિલાતી આવે છે. સાથે નાયક પરિવાર અને મંછીભાભીનાં કુટુમ્બીજનોનાં જરૂરી કેટલાંક પાત્રો ક્યાંક દેખાતાં રહે છે ખરાં પરંતુ સર્જક તો એ ત્રણે પાત્રો વચ્ચેના સંબંધ-વિશ્વની અભિવ્યક્તિને તાકે છે. નાયક ચિત્તમાં ખાસ તો મંછીભાભી અને મંગુ સંદર્ભે ઊઠતાં રાગાવેગનાં વિવિધ પ્રકારનાં રંગવર્તુળ – યાને કશ્મકશનાં વાસ્તવિક વર્ણનોથી કૃતિનો ગર્ભભાગ બંધાયો છે. કૃતિની ધરી આ મંછીભાભીનું ચરિત્ર છે, એ અર્થમાં શીર્ષક ઉચિત જણાય છે. કૉલેજના સહાધ્યાયી મગને મંછીભાભીના રૂપની તથા વ્યક્તિત્વની વાતો કરેલી. સાસરીમાં મંછીભાભી સાથેની પ્રથમ મુલાકાતમાં નાયક કરસનને થાય છે કે આ તો તેનાથી પણ વધારે સુંદર છે, રૂપાળાં છે. સાસરીમાં નાયક પત્ની સાથે બેઠેલો છે ને ત્યાં મંછીભાભી આવી ચડે છે. સહજ રીતે જાણે પતિને મંછીભાભીને સોંપી મંગુ વાડામાં જાય છે. તેને લીધે નાયક અને મંછીભાભી માટે એકાંત સર્જાયું. રૂપનો છાક તો અનુભવાયેલો જ હતો. ઓચિંતો જ નાયકે મંછીભાભીના ગાલે સ્નેહસિક્કો લગાવી દીધો. મંછીભાભીએ વિરોધ પણ ના કર્યો, એટલાથી તો નાયકનું મન તર તર થઈ ગયું! એ પછીય આવું તેવું વર્તન ક્યારેક થયું છે પણ ક્યારેક મર્યાદારૂપ ‘પાળ તોડી શકાઈ નથી.’ મંછીભાભીને એકે સંતાન થયું નથી, તે કારણે તેમનું રૂપ એવું ને એવું રહ્યું છે, ઓસર્યું નથી. મંછીભાભીને દુખાવો ઊપડ્યો છે, કેન્સર હૉસ્પિટલમાં બતાવ્યું છે. આ વાતની જાણ થતાં નાયક અને પત્ની મંગુ ખબર જોવા સાસરીમાં આવે છે. મંછી સંબંધની રીતે મંગુના કાકાના દીકરા અમરાભાઈની પત્ની છે, એ રીતે મંગુની ભાભી છે. આ ઉંમરેય નાયકને મંછીભાભી તરફનો મોહ ઘટ્યો નથી! મંછીભાભીનો પ્રતિભાવ પણ નાયકને ગમી જાય તેવો રહ્યો છે. મંછીના જીવનમાં કેટલાંક સ્ખલનો પણ બન્યાં છે. પણ હવે તે કળણમાંથી બહાર આવવા મથામણ કરી રહી છે. લગ્નજીવનના પ્રારંભમાં પતિ સાથે જ અણગમો હતો તે ત્રીજા આણાથી ગયો ને તે પતિ તરફ ઢળી. તેણે પોતાના અતીત ઉપર ચોકડી મારી દીધી... ધીમે ધીમે સદ્વર્તન કરવાનો સંઘર્ષ કરતી રહી. પોતાના તરફ ‘સખીભાવ’ રાખતા નાયક આગળ પોતાનાથી થયેલાં ‘પાપ’ (સ્ખલન)ની વાતો કબૂલીને તે પ્રાયશ્ચિત્ત કરે છે. તેમાંથી તેના ‘કાચ’ જેવા પારદર્શક વ્યક્તિત્વનો પરિચય થાય છે. પોતે હવે દામ્પત્યથી ચલિત થવા માગતી નથી તેથી નાયકને પણ કહે છે : ‘હવે મને પાપમાં ના પાડશો.’ આમ મંછીભાભીનું પાત્ર સંઘર્ષરત ડાયનેમિક કેરેક્ટર છે. નાયક અને મંગુ મંછીભાભીના દુઃખમાં સતત પડખે રહી જીવનોત્સાહ પૂરો પાડવા પ્રયત્નશીલ છે. મંછીભાભી એકલી ના પડે તેથી રિપોર્ટ લેવા તેઓ અમદાવાદ સાથે જાય છે. એ પ્રકારે દરકાર રાખે છે. અહીં મંદવાડ નિમિત્તે સ્નેહ મૂલવાતો રહ્યો છે. રૂપવાન મંછીની વાક્છટા – ‘બોલવાના વળાંકો’ રાજસ્થાની લહેજાવાળી ગાયકી નાયકને ગમી જાય છે. જેને લીધે મંછીનું પાત્ર વધારે પ્રભાવી અને વાસ્તવિક બની રહ્યું છે. નાયકના મનોવિશ્વમાં પ્રગટતા વિવિધ ભાવોને સર્જકે બખૂબી આલેખ્યા છે, મંછીનું પાત્ર સૌથી તેજસ્વી અને નિખાલસ છે. સાથોસાથ વાસ્તવિક અને જીવન્ત બની શક્યું છે. ગુજરાતી નવલકથાઓનાં યાદગાર સ્ત્રીપાત્રોમાં સ્થાન પામી શકે તેવું અસલી પોતવાળું બની આવ્યું છે. નાયકચિત્તમાં થઈ રહેલી પત્ની મંગુ અને મંછીભાભી એમ બે રૂપવતી આધેડ નારી પાત્રોની તુલના થકી પણ મંછીભાભી ઊપસે છે. મંગુ પણ જેમતેમ નથી. કોઠાસૂઝવાળી, સ્વમાની અને વ્યવહારડાહી ગૃહિણી છે. મંછી સાથેના પારિવારિક સંબંધ કરતાં વિશેષ તો બેનપણી તરીકેનો અંગત, હૈયાનો સંબંધ છે. તેઓ બંને એકબીજાની રજેરજ વાતો જાણે છે. એકમેકને પણ કહે છે. ત્રીજા આણાથી મંછીભાભી પતિ તરફ ઢળી તે વિશેનો મંગુનો સંવાદ જોતાં સાચાં સખીપણાં કળાય છે. નાયક તરફ મંછીને ખેંચાણ થાય છે, તે વાત તે આ સહિયર આગળ મોઢામોઢ કહે છે. મંગુ પણ દેખાવડી છે. નાયક સાથેના પ્રથમ આણાની પહેલી મુલાકાતે તેનું હીર પરખાય છે. તેના શબ્દોમાંથી તેની સમજ અને કાબેલિયતનો પરિચય થાય છે. નાયક સાથેના સંવાદો, ક્રિયા-પ્રતિક્રિયાઓમાં તેનું આંતરબાહ્ય વ્યક્તિત્વ ખૂલે છે. પતિ ઉપર તેને ‘અતૂટ’ વિશ્વાસ છે. પોતે મંછીની જેમ પુરુષપારખુ છે. તેથી તે નાયકના ‘કોરા’ રહી ગયાની વાતને પામી ગઈ છે! મંછીની ખરી ઓળખ નાયક કરતાં મંગુને વિશેષ છે. કૃતિમાં તે પ્રારંભથી અંત સુધી મંછીભાભીની દરકાર રાખ્યા કરતી દેખાય છે. મંછીને દુખાવો ઊપડ્યો છે એ વાત જાણ્યા પછી મંગુને આખી રાત ઊંઘ આવી નથી, પિયર જાય છે. ત્યાં મંછીને જોતાં જ રડી પડે છે. મંછીને એકલું ન લાગે તેથી સાથે અમદાવાદ રિપોર્ટ લેવા જવાની, નાયકની વાતને સ્વીકારે છે. એ બધાંમાં બેનપણી તરીકેનો તેનોે સ્નેહ સાચો છે તે સ્પષ્ટ થાય છે. પુત્ર પુષ્કર અને પુત્રવધૂ વીણી સાથેનું તેનું વર્તન સતત કાળજી રાખતી પ્રેમાળ મા તરીકે, નાયક સાથેનું હૂંફાળું દામ્પત્ય જીવન વગેરે તેને સફળ ગૃહિણી તરીકે જીવન્ત કરે છે. નવલકથા નાયકની આંખે રજૂ થઈ છે. સ્કૂલમાંથી નિવૃત્ત થઈને કરસનદાસ ગામડાના વતન ઘરે આવ્યા છે. પ્રૌઢવયના કરસનદાસને સાસરીનું આકર્ષણ પહેલેથી છે. મંછીભાભીના દુઃખની વાત જાણી સવારે ખબર જોવા પત્ની સાથે સાસરી આવી જાય છે. દુઃખની ગંભીરતા સમજી ચાર દિવસ રોકાય છે. મંછીભાભીની પ્રથમ મુલાકાતનું દૃશ્ય હજી કેડો મૂકતું નથી, એ આકર્ષણનો ભાવ તેમના દરેક વર્તનમાં કળાય છે. જોકે મંછી સાથે ક્યારેય ‘પાળ તોડી નથી’ અને મંછીએ ક્યારેય અણગમો બતાવ્યો નથી. ઘણી વાર નાયક મંગુ અને મંછીનું, તેમના ચહેરાઓનું, દેખાવનું ઝીણું નિરીક્ષણ કર્યા કરે છે. આ તેમની ટેવ છે. પ્રથમ પ્રકરણમાં લીલાભાભીના ચહેરાની છાપ મનોમન ઝીલે છે. સંવેદનશીલ સ્વભાવ હોવાથી ખબર જોવા આવ્યા હોવા છતાં લાગણીવશ સાંત્વનાના શબ્દો પણ બોલી શકતા નથી! તેમના મનની સૂક્ષ્મ કશ્મકશ કૃતિમાં અખંડ અને સતત ચાલ્યા કરે છે. નાયક જાણે ત્રાજવાની દાંડી હોય અને મંગુ અને મંછી બે પલ્લાં હોય! ટૂંકમાં બંનેના ચહેરાઓને, છટાઓને... અને વર્તનને સરખાવતા રહે છે. પરિસ્થિતિ મુજબ ક્રિયા, પ્રતિક્રિયા ઝીલતા તેમના ચિત્તની અનેક ગડીઓ ઉકેલાતી જાય છે. મંછી તરફના ખેંચાણની વાત પત્ની સામે કબૂલી શક્યા છે. એમાં દામ્પત્યજીવનની વફાદારી અને નિષ્ઠા જણાય છે. નાયકચિત્તની ઝીણી ઝીણી ગડમથલ આલેખવામાં સર્જક કલમ પરિપક્વ સાબિત થઈ છે. કૃતિનાં ગૌણ પાત્રોમાં અમરાભાઈ, રમણભાઈ અને પુષ્કરને ગણાવી શકીએ. ત્રણેમાં મંછીના પતિ અમરાભાઈનું પાત્ર ચડિયાતું છે. શરૂમાં મંછીથી તરછોડાયેલા એવા અમરાભાઈ મંછીનાં સ્ખલનોને જાણતા હોવા છતાં સહન કરી મૌન રહે છે. એનું કારણ મજબૂરી નહિ, પત્ની તરફનો સાચો સ્નેહ છે. જેને પત્નીના હજારો ગુનાઓ પણ ચળાવી શકતા નથી. છેવટે ત્રીજા આણાથી મંછી અતીતને છોડી પતિ તરફ ઢળે છે. નાયકના સાળા રમણભાઈ સમજુ છે, મંછીભાભીની તથા તેના કુટુંબની દરકાર લેતા રહે છે. પુષ્કર સીધી ભરતીમાં નાયબ મામલતદારની નોકરી મેળવી લેતો સંસ્કારી છોકરો છે. માતા-પિતા કે પત્ની સાથેના તેના વર્તનમાં તેનો પરિવાર-પ્રેમ કળાય છે. આમ આ ત્રણે પાત્રોનાં આંશિક ચરિત્રો યથોચિત રજૂ થયાં છે. ‘મંછીભાભી’ કૃતિનાં તમામ પાત્રો સહજ-સ્વાભાવિક અને વાસ્તવિક જણાય છે, તેથી વધારે જીવન્ત લાગે છે. આ કથાનું મુખ્યપાત્ર મંછીભાભી ધીમે ધીમે સૌથી વધારે ઊંચાઈ પ્રાપ્ત કરતું દેખાય છે. તે શરીરથી તો સુંદર છે જ, ઉપરાંત તેનું આંતર વ્યક્તિત્વ પણ નિખાલસ અને નિર્દંભ છે. તેનામાં ભાવને પારખવાની આંતરિક દૃષ્ટિ છે. વધારામાં પોતાના ‘પાપ’ને કબૂલવાની હિમ્મત પણ છે. તે એક વ્યક્તિ તરીકે જીવનની અસલિયતને જાળવનારું છે, તે અગત્યની વાત છે. એની સામે મંગુ અને નાયકને તુલનાવતાં આ વધારે સ્પષ્ટ થાય છે. ભણેલા કેળવાયેલા કરસનદાસ કરતાં મંછીભાભી વધુ સાચુકલાં જણાય છે. મંગુ જોકે માત્ર નણંદ તરીકે નહીં પણ ‘સખીભાવ’થી વર્તે છે. નાયક તરફ પોતાનું મન લલચાય છે. તે વાત મંગુ અને નાયક સામે કબૂલ કરી શકે છે. સાથોસાથ હવે ‘કળણ’માં પડવું નથી. પાપથી દૂર રહેવા સતત સંઘર્ષરત છે. આ બધાંથી તેના જીવંત વ્યક્તિત્વની અસલિયત પરખાય છે. તેની સામે નાયક પણ તસુભાર અલ્પ અનુભવાય છે. મંછી તેને ‘અલગ’ પ્રકારના ગણતી હતી પણ ‘સિક્કો’ લગાવી દીધો ત્યારથી ‘અમારા વટલાઈ ગયેલ’ કહે છે! નવલકથાની અંતિમ કથાક્ષણ જુઓ. અમરાભાઈના ઘરે નાયક ખાટલા પર અધૂકડો બેઠો છે, પત્ની મંગુ બાજુના પલંગ પર સૂઈ રહી છે, નાયકને મંછી સાથે હૃદયભરી વાતો કરવી હતી પણ તે શક્ય નથી. મંગુએ મંછીભાભીને ઢોલિયા પર આવી જવા કહ્યું. નણદોઈલાલની વાત સાંભળવા કહ્યું. તરત તે નાયકના ઢોલિયા પર બેઠાં, તદ્દન નાયકની પાસમાં! અમરાભાઈને બેસવા કહ્યું, પણ ના બેઠા. મંછીભાભી બોલ્યાં : ‘હું તો બેસવાની... આજે તો નહીં ચૂકું. મને ખબર છે, સારા માણસ જોડે બેસવાથી સારી બુદ્ધિ આવે!’ અમરાભાઈ પ્રત્યુત્તર આપતાં કહે છે : ‘તારી પાસે સારી બુદ્ધિ આવશે તેમાંથી હું ય થોડી લઈ લઈશ.’ તે ક્ષણે મંગુ બેઠી થઈને બોલે છે : ‘બરોબર છે, ભાભી! તમતમારે બેસો જ! તમે ય સારાં જ મણસ છો ને – તમારી જોડે બેસવાથી, તમારા નણદોઈલાલને ય સારી બુદ્ધિ આવશે!’ અને મંછીભાભી બિન્ધાસ્ત નાયકની જોડે અડે ના અડે એટલાં પાસે બેઠાં તે જોઈ અમરાભાઈ અને મંગુનેય હસવું આવી જાય છે. પાત્રઉક્તિ લેખે અહીં રજૂ થયેલો કટાક્ષ નવલકથાના આખા ચરિત્ર વિશ્વ પર પ્રકાશ ફેંકે છે. સવાલ એ ઊભો થાય છે કે ‘સારું માણસ’ કોણ? વધુ ભણેલો, સંસ્કારી અને સાહેબ ગણાતો પુરુષ કે પછી બિન્ધાસ્ત સચ્ચાઈથી વર્તી રહેલ મંછીભાભી? રોમાન્સ, સ્ખલનો, શરીર મનની ભૂખ શમાવવાની ધખના અને ઉધામા છતાં મંછીભાભી સહિત બધાં પાત્રોનો ઉદ્દેશ તો સારા માણસ બનવાનો છે અને સારા માણસનો એક જ અર્થ તે સાચા માણસ બનવાનો. પાત્રગત સચ્ચાઈ અહીં સહજ લાગે તે રીતે આલેખન પામી છે. એ રીતે માણસમાં રહેલ માણસની શોધ પણ નવલકથાને અભિપ્રેત છે. મારી દૃષ્ટિએ તે વસ્તુ કેટલી પ્રતીતિકરતાથી આલેખાઈ છે... તે જોવાનું કામ પણ વિવેચનનું છે. હું કહીશ કે એમાં લેખકને સફળતા મળી છે. અહીં સંઘર્ષ મહત્ત્વનાં પાત્રો પૈકી એકનો બીજા સાથે નથી પણ પોતાના ભીતર સાથે છે. આ સઘળાં ચરિત્રો જોતાં અહીં સર્જકની સ્વભાવને પૂરેપૂરો ઓળખવાની તથા શબ્દો દ્વારા તેને જીવંત રીતે વ્યક્ત કરી જે તે ચરિત્રને યથોચિત ચિત્રિત કરવાની કળાદૃષ્ટિ પ્રતીત થાય છે. ત્રણે પાત્રો કે કૃતિનાં બધાં પાત્રો જોતાં એક બાબત તરફ ધ્યાન ખેંચાય છે કે આ પાત્રો એકબીજા તરફ સદ્ભાવ રાખનારાં, જીવનનો મહિમા કરનારાં, માનવતાને ઉજાગર કરતાં... સામાન્ય જીવન જીવતાં હોવા છતાં એકપણ પાત્રને અન્ય પાત્ર તરફ કોઈ ફરિયાદ નથી. કોઈના તરફ ઈર્ષ્યા, દ્વેષ કે ઝઘડાની વાત બની નથી. ખલત્વની જાણે કે સદંતર ગેરહાજરી...! દરેક પાત્ર સારપને ચાહનારું, સારપનું ગૌરવ કરનારું છે. અહીં વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશી ગયેલાં પાત્રો છે પણ પ્રાકૃતિક આકર્ષણનો (જાતીય સંવેદના) જે સિસ્મોગ્રાફ પ્રગટ થતો આવે છે તે માણસની વાસ્તવિકતા હોવાની અસર મૂકે છે! સર્જક આ ચરિત્રોનું સચોટ દર્શન કરાવી શક્યા છે. વેદનાસભર કરુણના બેકડ્રોપ ઉપર પ્રણયનો વાયોલેટ રંગ સમુચિત ઉપસાવી શક્યા છે. જે વાચકના હૃદયમાં પ્રભાવ અને પ્રકાશ પાથરી દે છે.

પ્રા. પ્રેમજી પટેલ
નિવૃત્ત અધ્યાપક
આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, તલોદ
(હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ)
લઘુકથાકાર, વિવેચક, સંશોધક, સંપાદક, નિબંધકાર, બાળવાર્તાકાર
મો. ૯૪૨૬૩૬૫૮૦૨
Email: premjipatel૮૦૨@gmail.com