નવલકથાપરિચયકોશ/મીરાંની રહી મહેક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૬

‘મીરાંની રહી મહેક’ : દિલીપ રાણપુરા (મૂળનામ–ધરમશીભાઈ)

– નીતા જોશી
મીરાંની રહી મહેક.jpg

દિલીપ રાણપુરા જન્મ : ૧૪ નવેમ્બર ૧૯૩૧ (ધંધુકા, જિ. અમદાવાદ) મૃત્યુ  : ૧૬ જુલાઈ ૨૦૦૩ માતા : છબલબેન પિતા : નાગજીભાઈ પત્ની : સવિતા રાણપુરા (લગ્ન ૧૯૫૧) સંતાન : પુત્ર-સુશેષ અને પુત્રી-પારુલ અભ્યાસ : વર્નાક્યુલર ફાઈનલ (૧૯૫૦), જુનિયર પી.ટી.સી (૧૯૫૯) વ્યવસાય : સર્વોદય યોજના અને ત્યારબાદ પ્રાથમિક શાળામાં શિક્ષક, નિવૃત્તિ વખતે બજાણામાં પ્રાથમિક શાળાના આચાર્ય સાહિત્ય સર્જન  : નવલકથાઓ : ‘નતમસ્તક’, ‘આમન્યા’, ‘સપનાં શોધે સપનાં’, ‘સૂકી ધરતી સૂકા હોઠ’ (૧૯૬૭), ‘હું આવું છું’ (૧૯૬૯), ‘હળાહળ અમી’ (૧૯૬૯), ‘આતમ વીંઝે પાંખ’ (૧૯૭૦), ‘ભીંસ’ (૧૯૭૦), ‘મધુડંખ’ (૧૯૭૨), ‘હરિયાળાં વેરાન’ (૧૯૭૨), ‘કોઈ વરદાન આપો’ (૧૯૭૬), ‘કારવાં ગુજર ગયા’ (૧૯૭૬), ‘નિયતિ’ (૧૯૭૬), ‘કાન તમે સાંભળો તો’ (૧૯૭૭), ‘અમે તરસ્યાં પૂનમનાં’ (૧૯૭૮), ‘રે અમે કોમળ કોમળ’ (૧૯૭૯), ‘મને પૂછશો નહીં’ (૧૯૮૦), ‘વાસંતી ડૂસકાં’ (૧૯૮૧), ‘કૂંપળ ફૂટ્યાની વાત’ (૧૯૮૩), ‘આંસુ ભીનો ઉજાસ’ (૧૯૮૪), ‘મીરાંની રહી મહેક’ (૧૯૮૫), ‘પીઠે પાંગર્યો પીપળો’ (૧૯૮૭), ‘અંતરિયાળ’ (૧૯૮૯), ‘વંચના’, ‘અંધાપો’, ‘પળના પડઘા’. નવલિકાઓ : ‘રાતોરાત’, ‘આંખમાં દેખાવું એટલે’, ‘સરનામું’, ‘ખોટી આંગળી’, ‘મારી શ્રેષ્ઠ વાર્તાઓ’ (૧૯૭૫), ‘પણ માંડેલી વારતાનું શું?’ (૧૯૮૬) સંસ્મરણકથા : ‘દીવા તળે ઓછાયા’ (૧૯૭૭), ‘ભીતર ભીતર’, ‘આ ભવની ઓળખ’ ચરિત્ર નિબંધ સંગ્રહો : ‘વાત એક માણસની’ (૧૯૮૫), ‘છવિ’ (૧૯૮૮), ‘લાગણીનાં ફૂલ’ પ્રસંગકથાઓ : ‘માનવમંદિરના પૂજારીઓ’, ‘રૂપ અરૂપ શ્રેણી ૧થી ૮’, ‘પડખો પડખ’, ‘અડોઅડ’, ‘હારોહાર’ લોકજીવન : ‘ધોળી મજૂરી’, ‘કાળું લોહી’, ‘સૂકા દુકાળની ભીની વાતો’ હાસ્ય : ‘મોજ મેળો’ બોધકથાઓ : ‘જીવનવલોણું’ આ ઉપરાંત ‘જનસત્તા’, ‘સમભાવ’, ‘ગુજરાત મિત્ર’, ‘ફૂલછાબ’ જેવાં પ્રસિદ્ધ વર્તમાનપત્રોમાં એમની નવલકથાઓ ધારાવાહી રૂપે પ્રગટ થતી હતી. સન્માન : ગુજરાતી સાહિત્ય અકાદમી સન્માન ગુજરાતી સાહિત્ય પરિષદ સન્માન ધનજી કાનજી સુવર્ણચન્દ્રક કાકા સાહેબ કાલેલકર એવૉર્ડ સરોજ પાઠક એવૉર્ડ પત્રકારત્વ માટેનો કલકત્તાનો ‘ધ સ્ટેટમેનનો એવૉર્ડ’ તેમજ એમની નવલકથા ‘સૂકી ધરતી સૂકા હોઠ’ નવલકથા પરથી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન થયો જે અધૂરો રહી ગયો.

‘મીરાંની રહી મહેક’ દિલીપ રાણપુરા લિખિત આત્મવૃત્તાન્ત છે. કથાના કેન્દ્રમાં પતિ-પત્નીનું સાહચર્ય અને પત્નીની કેન્સરગ્રસ્ત બીમારીની સંઘર્ષગાથા છે. કથા એટલી અકૃત્રિમ રીતે લખાયેલી છે કે હજારો વાચકોની સહૃદયી બની શકી છે. ‘ગુજરાતમિત્ર’ની રવિવારીય પૂર્તિમાં અનેક વાચકોની કરુણાથી આંખો ભીની કરાવી ગઈ છે. દિલીપભાઈ અને સવિતાબેન બન્ને શિક્ષક અને લેખક. સવિતાબહેનની બીમારીનો આરંભ માથામાં થયેલી ફોડકીથી થાય છે. શરૂઆતના તલના દાણા જેવડી ફોડકી વાલના દાણા જેવડી ઊપસે છે. આરંભે મસો અને રસોળીનો ભ્રમ અંતે કેન્સરની ગાંઠમાં પરિવર્તે છે અને ઉપચારોની શરૂઆત ઘરગથ્થુ ઓસડિયાંથી કરી. ખ્યાત વૈદ્ય, ડૉક્ટરો, અમદાવાદ હૉસ્પિટલ, મુંબઈ ટાટા હૉસ્પિટલ, શસ્ત્ર ક્રિયાઓ સાથે કથા જેમ જેમ આલેખાતી જાય છે એમ નાની ફોડકી અસાધ્ય પીડાદાયક અને કેન્સરની મહાવ્યાધિ સુધી પહોંચે છે. પ્રિય પત્નીને બચાવવા પતિ આર્થિક, માનસિક, શારીરિક રીતે તનતોડ મહેનત કરે છે એ જાણવા છતાં કે મૃત્યુ ઘણું નજીક છે. પરંતુ પ્રિયજનનું મૃત્યુ ઓછું પીડાદાયક બની રહે એટલા માટે. પચ્ચીસ વર્ષના દામ્પત્યજીવનમાં બે વયસ્ક સંતાનો છે. મધ્યમવર્ગીય પરિવારને ભવિષ્ય માટેનાં અનેક આયોજનો છે. એક અણધાર્યો વળાંક આ બધાં આયોજનો ઉપર પાણી ફેરવે છે. લેખકનાં પત્ની સવિતાબેન પણ શિક્ષિકા, વાર્તાકાર અને ઘરરખ્ખુ ગૃહિણી છે. કરકસર અને કુશળતાથી સંસારને હર્યો ભર્યો રાખવાની બન્નેની મથામણ છે. બીમારીના એ દિવસોમાં કુટુંબ, મિત્રો અને સંબંધીઓનો સહકાર તો ક્યાંક સંબંધોની વ્યથા છે. મુંબઈ જેવા શહેરમાં મળી ગયેલા ઉમદા માણસોની વાતો વાર્તાની જેમ ગૂંથાયેલી છે. હૉસ્પિટલમાં લેખકનાં પત્ની સવિતાબહેનની પીડાદાયક ક્ષણોમાં એને પિયાનોની સુમધુર સૂરાવલી સંભળાય છે. સવિતાબહેન ઇચ્છા વ્યકત કરે છે કે ‘મને આ સૂરો ખૂબ રાહત આપે છે. કલાકાર પિયાનોવાદકને કહો મને સવારે રોજ થોડીવાર સંભળાવે.’ લેખક પતિ પિયાનોવાદકનો સંપર્ક કરે છે પરંતુ સવારનો સમય તો એનો કૉલેજ જવાનો છે. કલાકારના નકારથી બન્ને નિરાશ થાય છે અને આશ્ચર્ય વચ્ચે સવારે પિયાનો ગૂંજી ઊઠે છે. સવિતાબહેન એમની ઇચ્છા પૂરી થવાથી પ્રસન્નતા અનુભવે છે અને લેખક આભારવશ કલાકાર પાસે જાય છે કહે છે ‘તમે તો કહેતા હતા કે સવારે શક્ય નથી અને?’ પિયાનોવાદક જવાબ આપે છે ‘મારું પિયાનોવાદન એક દર્દીને રાહત આપતું હોય તો એટલા દિવસ હું કૉલેજ મોડો જઈશ.’ શહેર સાવ કૃત્રિમ નથી એનો આ પ્રસંગ પુરાવો આપે છે. હૉસ્પિટલનો માહોલ, ડૉક્ટર, દર્દી, ઓપીડી, સ્પેશિઅલ વોર્ડ, જનરલ વોર્ડ, આઈ સી યુ, દવા, એક્સ રે, પેમેન્ટ, ચીસો, કણસાટ, પીડા, રિપોર્ટ, ઊલટી, ઊબકા, સેલાઈન, સ્ટ્રેચર, ધક્કા, તારીખો, ક્યાંક આયુષ્ય ક્યાંક મૃત્યુ અને વ્યક્તિને બચાવવા મથી રહેલ પરિવાર, ઉપયોગી થતાં સ્વજનો અને ઘડી બે ઘડીનાં મળી જતાં સંગાથી. એક મધ્યમ વર્ગીય વ્યક્તિની પાઈ પાઈની બચાવેલી બચત પાણી વેગે વહી જાય ત્યારે કોની પાસે હાથ લંબાવવો? એની વ્યથા. આ બધાંની સમાંતરે ચાલતી દર્દીનાં દર્દની તીવ્રતા લેખકે મૂકેલા સંવાદોથી અનુભવી શકાય છે. ‘આજ રાતે તમે મારું ગળું દબાવી દો દબાવી દો. હું ચીસ નહિ પાડું. તરફડિયાં પણ નહિ મારું. શાંત પડી રહીશ. હું આંખો પણ નહિ ફાડું, પણ હું મરવા માંગું છું તમારા હાથે.’ શરીરની સુંદરતાને અનહદ ચાહ્યા પછી વિરૂપ ચહેરાને ચાહવાની અને મૃત્યુ પછી પણ ચાહ્યા કરવાની કથા એટલે ‘મીરાંની રહી મહેક’. ચારસો અઠ્યાવીસ પાનાંનું પાક્કા પૂંઠાનું આ પુસ્તક ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય પ્રકાશિત કરે છે. પ્રથમ આવૃત્તિ ઓગસ્ટ ૧૯૮૫માં અને પછી ૧૯૮૭ અને ૧૯૯૩માં પુનર્મુદ્રણ થાય છે. લેખકે પુસ્તક અર્પણ પંક્તિ આ મુજબ લખેલ છે-

અર્પણ
કેન્સરગ્રસ્તોની સમભાવ પૂર્વક
ચિકિત્સા કરનાર તબીબોને...
અને
કરુણાપૂર્વક કેન્સરને સાધ્ય
અને
નિર્મૂળ કરવા મથતા વિશ્વભરના વિજ્ઞાનીઓને...

સત્તર પાનાંની પ્રસ્તાવના ભગવતીકુમાર શર્માએ લખી છે. શીર્ષક છે ‘અમૃત સમીપે’ની અશ્રુકથા જેનો આરંભ લેખકની ડાયરીનો અંશ મૂકી કરેલ છે. ‘આપણે છેલ્લાં વર્ષો ખૂબ સુંદર રીતે જીવ્યાં. પીડા સાથે જીવવાની પણ એક મજા હોય છે. સુખમાં તો બધાં જીવી શકે કે ટકી શકે, પણ આપણે તો...’ સાથે ભગવતીકુમાર શર્મા ઉમેરે છે ‘આ કૃતિ ત્રણેક વાર વાંચવાનું મારે બન્યું. ‘ગુજરાતમિત્ર’ની રવિવારીય પૂર્તિમાં ધારાવાહી સ્વરૂપમાં તેને પ્રકટ કરવાનું શક્ય બન્યું તેને એક સંપાદક તરીકે મારું સદ્ભાગ્ય લેખું છું’ આ કથા સત્યકથા જ નહીં મૃત્યુગાથાનો પણ ઉત્તમ નમૂનો છે. ‘ડૂસકું ફૂટતા પહેલાં’ શીર્ષકથી લેખક પોતાના મનોભાવો વ્યકત કરી એનું સહજીવન અને આ બીમારી દરમ્યાન જોડાયેલાં તમામ પાત્રોને સંવેદે છે. ટ્રેનમાં કવ્વાલી ગાયકોની ટોળકી અને ખાસ કરી કવ્વાલી ગાયિકાનો ઠસ્સાદાર ખૂબસૂરત દેખાવ અને વર્તણૂકથી લેખક પત્નીને અણગમો ઊપજે છે. ગાડીનો ડબ્બો બદલવા માટે જીદ કરે છે પરંતુ એ વિખ્યાત ગઝલ કવાલ્લી ગાયિકા રશિદા ખાતુન જે એના માનવતાવાદી અભિગમથી સવિતાબહેનનું દિલ જીતે છે. આવા અનેક ભાવપ્રસંગથી કથા વધુ ભાવવાહી અને બળકટ બની છે. પુસ્તકના અંતે વાચકો અને સાહિત્યકારોના પ્રતિભાવ-પત્રો પણ મૂકવામાં આવ્યા છે. ચન્દુ મહેરિયા, હસમુખ રાવળ, વિપિન પરીખ, વાડીલાલ ડગલી, વૈદ્ય શોભન વસાણી, હીરાબેન પાઠક, ભૂપત વડોદરિયા, બાબુ દાવલપુરા, કુંદનિકા કાપડીઆ આમ આશરે પચાસ જેટલા પત્રોની સંવેદના વાંચવા મળે છે. જેમાં હીરાબેન પાઠક એમના પત્રના અંતે આ મુજબ લખે છે – ‘નવલકથાનાં સંતાનપાત્રો વિશે એક સૂચન કરું? તમે બન્ને પતિ પત્ની વિશે મારો ભાવ પાઠક સાહેબને સંબંધે પરિવાર જેવો હોય તે તમે સમજી શકશો. ચિ. પારુલ એસ.એસ.સી. પાસ થઈ ગઈ? બહેન સવિતાની ઝંખના મુજબ તેને કાનની કડી કરાવી દેવી જોઈએ તે મારા તરફથી, એના દાદા તરફથી કરાવી દેશો. પાઠક સાહેબ ગાંધીવાદી હોઈ, મેં ખાસ સોનું લીધું નથી. પણ જે કાંઈ હોય તે તમને પહોંચતું કરીશ. સુશેષ શું કરે છે? તેનું લગ્ન થાય ત્યારે પણ સંભારજો. એથી બહેન સવિતાનો આત્મા કેટલો પ્રસન્ન થશે! હીરાબેન પાઠક નવલકથાના અંતે ‘વિદાય વેળાએ’ શીર્ષકથી લેખક સૌનો આભાર માની કવિ શ્રી મકરંદ દવેની પંક્તિઓ ટાંકી છે –

જેને ભાલે મેં મારું તિલક આંક્યું છે,
એને હૈયે પરોવ્યા છે સોયા
દુનિયાના સગપણ તો સોંઘા છે ભાઈ;
એક મોંઘા મીરાંના બલોયા

લેખક દિલીપ રાણપુરાની આ અંગત કથા વાચકો માટે સમ સંવેદનની અનુભૂતિ બની રહે છે એ જ એના લખાણની સાર્થકતા છે. એમને કોઈ બોધ, કોઈ ઉપદેશ, કે કોઈ જ સાર સિદ્ધ નથી કરવો. માત્ર જિંદગીનો પીડાભર્યો એક સમયખંડ સહુની સામે વ્યક્ત કરવો છે. અને કહેવું છે કે ‘જીવન આ પણ છે.’ ‘મીરાંની રહી મહેક’ એ માત્ર સ્વજનની કેન્સરકથા જ નથી. એક યુગલની વ્યથા કથા છે. મૃત્યુ સામે બળપૂર્વક લડત આપતી વ્યક્તિની આંતર ચેતના ઉજાગર કરતી સંવેદનશીલ નવલકથા છે.

નીતા જોશી
ગૃહિણી અને વાર્તાકાર, વડોદરા
એમ.એ., એમ.ફિલ. હિન્દી વિષય સાથે. વાર્તાસંગ્રહ ‘ખુલ્લી હવા’
મો. ૯૪૨૮૧૭૩૪૨૬
Email: neeta.singer@gmail.com