નારીવાદ: પુનર્વિચાર/અદૃષ્ટ સ્ત્રીઓ: વિકલાંગતા, જાતિ અને નારીવાદ


અદૃષ્ટ સ્ત્રીઓ : વિકલાંગતા,
જાતિ (જેન્ડર) અને નારીવાદ

શિલ્પા દાસ
ફૅકલ્ટી, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, અમદાવાદ

હકીકતો દર્શાવતી પત્રિકા :

  • સંયુક્ત રાષ્ટ્રસંઘ : સમગ્ર વિશ્વમાં ૬૦ કરોડ લોકો વિકલાંગ છે અને આ પરિસ્થિતિને કારણે દુનિયાની વસ્તીના ૨૫ ટકા લોકોની રોજબરોજની જિંદગી કોઈક રીતે અસર પામે છે.
  • ભારતમાં ૨૦૦૧ના નૅશનલ સેન્સસ ડેટા મુજબ ૨ કરોડ ૨૦ લાખ લોકો અથવા કુલ વસ્તીના ૨.૨ ટકા લોકો વિકલાંગ છે.[1]
  • પણ જો દુનિયાભરમાં પ્રવર્તમાન સંયુક્ત રાષ્ટ્રસંઘના ૫ ટકાના આંકડા ધ્યાનમાં લઈએ તો ભારતમાં આશરે ૬ કરોડ લોકો વિકલાંગ છે અને એની સીધી અસર ૬૦ કરોડ ભારતીયો પર પડે છે.[2]
  • ભારતમાં વિકલાંગોની સંખ્યા યુ.કે., કૅનેડા અથવા ઑસ્ટ્રેલિયાની કુલ વસ્તી કરતાં પણ વધારે છે.
  • આંકડાસહિતની રાષ્ટ્રીય માહિતી એ બાબત પર પ્રકાશ પાડે છે કે ભારતમાં વિકલાંગ લોકોમાંથી ૫૫ ટકા નિરક્ષર છે (રાષ્ટ્રીય સરેરાશ આંકડા કરતાં લગભગ ૨૦% વધારે) અને તેઓમાંના માત્ર ૯ ટકા માધ્યમિક અથવા એથી વધુ ઉચ્ચ સ્તરનું શિક્ષણ પૂરું કરવા માટે આગળ જાય છે.
  • બધા જ વિકલાંગ લોકોમાંથી માત્ર ૨૫ % લોકોને જ રોજગાર મળે છે.
  • સંયુક્ત રાષ્ટ્રસંઘ : સમગ્ર વિશ્વમાં ૩૦ કરોડ સ્ત્રીઓ અને છોકરીઓ વિકલાંગતા ધરાવે છે અને એમાંથી મોટા ભાગના વિકાસશીલ અથવા કંગાળપણે સાધન-સંપત્તિ ધરાવતા દેશોમાં રહે છે.
  • વિકલાંગતા-રહિત સ્ત્રીઓના ૩૮ ટકા અને વિકલાંગતા ધરાવતા પુરુષોના ૨૮ ટકાની સરખામણીમાં, વિશ્વભરમાં વિકલાંગતા ધરાવતી બધી જ સ્ત્રીઓમાંથી માત્ર ૧૬ ટકા સ્ત્રીઓ જ કૉલેજનું શિક્ષણ પ્રાપ્ત કરવાની શક્યતા ધરાવે છે.
  • ભારતમાં વિકલાંગોમાં લગભગ ૫૦ ટકા સ્ત્રીઓ છે.
  • ભારતની સ્ત્રીઓમાંથી માત્ર ૩૮ ટકા જ શાળાએ જાય છે.
  • વિકલાંગતા ધરાવતી સ્ત્રીઓમાંથી માત્ર ૦.૫ ટકાને જ કૉલેજનું શિક્ષણ મળે છે.
  • ભારતમાં નિર્ણાયક તંત્રોમાં માત્ર ૨૮.૪૫ ટકા જ સ્ત્રીઓ હોય છે, જેમાં વિકલાંગ સ્ત્રીઓનું પ્રમાણ ફક્ત ૩.૭૧ ટકા જેટલું નજીવું છે.
  • ભારતમાં વિકલાંગ વ્યક્તિઓમાંથી ૪૭ ટકા અપરિણીત જ રહે છે.
  • વિકલાંગ પુરુષોમાંથી ૪૦ ટકા લગ્ન કરતા નથી.
  • વિકલાંગ સ્ત્રીઓમાંથી ૬૦ ટકા લગ્ન કરતી નથી.
  • ગુજરાતમાં વિકલાંગ સ્ત્રીઓમાંથી ૯૦ ટકા (લગભગ ૪૭,૦૦૦) સ્ત્રીઓ ગામડાંઓમાં રહે છે, જેમાંથી માત્ર ૧ ટકો સ્ત્રીઓ શાળામાં જાય છે. આની સામે ૬૭ ટકા વિકલાંગ પુરુષો શાળાએ જાય છે.
  • માત્ર વિકલાંગ સ્ત્રીઓ માટે જ કામ કરતી હોય એવી કોઈ બિન-સરકારી સંસ્થા (NGO) નથી.
  • ગુજરાતમાં માત્ર એક NGO એક વિકલાંગ સ્ત્રી દ્વારા ચલાવવામાં આવે છે.
  • ગુજરાતમાં વિકલાંગ પુરુષો દ્વારા ૫૦ NGO ચલાવવામાં આવે છે.
  • ૦.૨ ટકા વિકલાંગ સ્ત્રીઓ મહિને ૨૦૦૦ રૂપિયાથી વધારે કમાય છે.

એક ઈજાગ્રસ્ત શરીર લઈને એક એવી દુનિયામાં જીવવાનું કે જ્યાં સારવાર કર્યા વિના, દુ:ખ પ્રદર્શિત કર્યા વિના, દર્દને ગૂંગળાવી દઈને જીવવાની આ સમસ્યાને હજી સુધી વ્યક્ત કરવામાં આવી નથી. કોઈના શરીરનું દર્દ, એ શરીરની સમગ્ર દુનિયાના દર્દ સાથે, જરાય ઉન્માદ વ્યક્ત કર્યા વિના જોડવું, એ જ એક મોટી સમસ્યા છે.

– એડ્રિયન રીચ
“કાર્ટોગ્રાફીઝ ઑફ સાઇલન્સ”

આ પેપરના અસ્તિત્વનું કારણ જ વિકલાંગતા (જાતિ-જેન્ડર), અને નારીવાદને જોડતી કડીઓ અને વિકલાંગ સ્ત્રીઓએ ભોગવવા પડતા જુલમને તપાસીને અવલોકન પૂરું પાડવાનું છે. એક વિકલાંગ ભારતીય સ્ત્રી તરીકે હું, વિકલાંગતાને લગતા એક પ્રકલ્પ માટે, વિકલાંગતા પર કામ કરનારી એક NGO સાથે એથ્નોગ્રાફિક સંશોધન કરી રહી છું, જાતજાતની વિકલાંગ સ્ત્રીઓ સાથે વાત કરી રહી છું[3] અને અન્ય વિકલાંગ સ્ત્રીઓ વિશે લખી રહી છું; માટે હું આ સાંસ્કૃતિક વાતાવરણની ‘અંદર’ તો છું જ અને એ સાથે જ હું જે અવલોકનો કરી રહી છું, એમાં પણ ભાગ લઈ રહી છું. આપણે આપણા અનુભવોનો સાર છીએ અને આપણામાંના હરએકને, આપણા અસ્તિત્વનું, આપણી પોતાની રીતે અર્થઘટન કરવાનો હક્ક છે. એટલે જ આ પેપર જેટલું મારા અનુભવો વિશે છે એટલું જ બીજાના અનુભવો વિશે પણ છે. હું નિષ્પક્ષતાનો બિલકુલ દાવો કરતી નથી; કારણ કે દુનિયાને જોવાની બીજાંઓની રીતને દાબી દઈને, પોતાની રીતને બીજાઓ પર ઠોકી બેસાડવાની રીત માટે એ શબ્દ વપરાય છે, એમ હું માનું છું. પણ એ સાથે જ, ‘અંદર’ રહીને કામ કરવાનો અને પોતાના અનુભવો બહાર પાડવાનો (જેને ‘બહાર આવવું’ કહેવાય છે) નિર્ણય એની પોતાની જગ્યાએ એક સ્વ-સશક્તિકરણ કરનારી બાબત બની રહે છે. આ દેશમાં અથવા અન્યત્ર ક્યાંય પણ વિકલાંગ છોકરીઓ અને યુવાન સ્ત્રીઓની સંખ્યાનો આધાર ‘વિકલાંગતા’ની વ્યાખ્યા કઈ રીતે કરવામાં આવે છે એના પર આધારિત છે. વિવિધ પ્રકારનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક નિર્ણાયક બળો દ્વારા કેટલીય વિભિન્ન વ્યાખ્યાઓ કરવામાં આવી છે, જે વારંવાર વિવાદાસ્પદ બની રહી છે.[4] અહીં અગાઉના વિકલાંગતાના બે દૃષ્ટાંતરૂપ નમૂનાઓનું વિવરણ કરવું જરૂરી બને છે. પહેલું મોરાલિટી મૉડલ (નૈતિકતા-આધારિત નમૂનો) સૂચવે છે કે નૈતિકતામાં ભૂલ કરવાને કારણે વિકલાંગતા આવે છે અને એટલે જ, એ જે-તે વ્યક્તિ અને એના પરિવાર માટે શરમજનક બની રહે છે. વિકલાંગતાને એક લાંછન તરીકે જોવામાં આવે છે, જે આંતરિક અનિષ્ટ અથવા નીતિભ્રષ્ટતાને ઉઘાડાં પાડે છે અને વિકલાંગ વ્યક્તિ કલંકયુક્ત વ્યક્તિ બની રહે છે, જેને સજા મળવી જોઈએ, જેને બધાથી અલગ અને ખરાબમાં ખરાબ રીતે એકલી પાડી દેવી જોઈએ, એને ટાળવી જોઈએ અથવા તો સારામાં સારી રીત વાપરીને એની દયા ખાવી જોઈએ. ઐતિહાસિક રીતે, કોઈ એક વ્યક્તિના ગુનાની એને સજા કરવા માટે, એનું વિકલાંગ તરીકે નિરૂપણ કરવું એ એક સામાન્ય આચરણ[5] બની રહેતું અને ઘણી સંસ્કૃતિઓમાં, જેમાં આપણી પોતાની સંસ્કૃતિનો પણ સમાવેશ થઈ જાય છે, આ આચરણ આજ સુધી ચાલુ જ રહ્યું છે. હું એમ નથી કહેતી કે આ જે છે એ વ્યવસ્થાની વિકલાંગ ન હોય એવા સમાજે, પોતાના ફાયદા માટે, પદ્ધતિસર યોજના કરી છે; પણ આ અત્યાચારી માળખાં એક એવી ઐતિહાસિક પ્રક્રિયાને કારણે ઉદ્ભવ્યાં હોઈ શકે છે, જેની શરૂઆત કરનારા તો ક્યારના જતા રહ્યા હશે. દાખલા તરીકે પશ્ચિમમાં ચાર્લ્સ ડાર્વિન અને એમના સમકાલીન હર્બટ સ્પેન્સર, જેમણે “સર્વાઈવલ ઑફ ધ ફિટેસ્ટ”(‘બળવાનનો જ જગતમાં વિજય છે’)નો સિદ્ધાંત પ્રચલિત બનાવ્યો; યુજીનિક થિયરી (સુપ્રજાજનોનો સિદ્ધાંત) ડાર્વિનના સિદ્ધાંતનું સમાજીકરણ એ દૃષ્ટિ માન્ય રખાવે છે કે “જન્મજાત ગુણો અને વ્યક્તિગત સામર્થ્યમાંના વૈષમ્યમાંથી જ હાલનું સામાજિક વર્ગીકરણ પરિણમ્યું છે.” (ઇવાન્સ, ૧૩૬) ભારતમાં આમ તો અન્ય વિભિન્નતાઓને માન્યતા આપીને એનું મૂલ્ય પણ સમજવામાં આવે છે, પણ તે છતાંય વિકલાંગતાની સામે નકારાત્મક અને બહિષ્કૃતતાસભર સામાજિક અભિગમ રખાતો હોય એવું દેખાય છે. સંશોધન દર્શાવે છે કે પરિવારમાં એક વિકલાંગ બાળક હોવાને કર્મના પ્રશ્ન તરીકે જોવામાં આવે છે અને એ પૂર્વજન્મમાં કરેલ કોઈ કર્મ અને દૈવી દંડના પરિણામે થાય છે. (અલુર, ૭). માટે વિકલાંગ લોકો અને એમના પરિવારોએ તેમના નસીબનો હિંમત અને ધૈર્યથી સ્વીકાર કરવો જરૂરી છે અથવા આ એક માનવહક્કો કરતાં પણ વધુ તો દાન-ધર્મને લગતો મુદ્દો છે. આ અભિગમ લેવાથી સંભાળ અને સહિષ્ણુતાની ખાતરી મળે છે, પણ વિકલાંગોમાં અન્ય પર આધાર રાખવાની વૃત્તિને પ્રોત્સાહન મળે છે. અહીં દાનના પ્રકાર, રકમ અને હકદાર વિશેના નિર્ણયો લેવા માટે દાતા અધિકારી બને છે. બીજો નમૂનો મેડિકલ મૉડલ (ચિકિત્સા-સંબંધિત નમૂનો) છે, જેનાં મૂળ રોગનિદાનશાસ્ત્રમાં રહેલાં છે અને ઐતિહાસિક રીતે તપાસતાં, સ્વાસ્થ્યલાભની સેવાઓ પૂરી પાડનારાઓ અને એ વિશેની નીતિઓ ઘડનારાઓ આ નમૂનો અપનાવે છે. મોરાલિટી મૉડલ કરતાં આ નમૂનો થોડો ઓછો ઘૃણાજનક છે, પણ હજી આમાં પણ વિકલાંગ વ્યક્તિ અથવા તો વિકલાંગતાના અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વિકલાંગતા પર જ ધ્યાન અપાય છે. એનો મુખ્ય હેતુ જ સુધારવાનો અને સાજાં કરવાનો છે. વિકલાંગતાને એક મોટી દુર્ઘટના તરીકે જોવામાં આવે છે, જે કોઈક રીતે સમારવાની ચીજ બનીને રહી જાય છે. વિકલાંગતા વિશેનાં માનસશાસ્ત્રીય લખાણો પણ હલકાં પાડનારાં હોય છે, જેમાં વિકલાંગતાને જીવનના એક અનુભવ તરીકે ગણીને એને સંબંધોના સંદર્ભમાં સમજવાનું જરૂરી ગણવાને બદલે, એને એક અંગત કરુણ ઘટના ગણીને વિકલાંગ વ્યક્તિએ એની સાથે બાંધછોડ કરી લેવી જરૂરી છે, એમ માનવામાં આવે છે.[6] મેડિકલ મૉડલને અનુસરનારી મુખ્ય પ્રવાહની સારવાર ઘણી વિકલાંગ વ્યક્તિઓને આઘાતજનક અનુભવો તરફ દોરી જાય છે. તેઓ જણાવે છે કે તેઓને એક નિર્જીવ વસ્તુ તરીકે જોવામાં આવે છે, તેમની સાથે વિકૃત વર્તન કરવામાં આવે છે અને તેઓની મર્યાદા અને ગોપનીયતાનો અનાદર કરીને ડૉક્ટરોની સામે જાહેરમાં નગ્ન કરીને તેઓની શારીરિક પ્રતિભા અને આત્મસન્માન ગુમાવવા તરફ વાળી દે છે. જોકે એક વાત તો કબૂલવી જ પડે કે મેડિકલ મૉડલ અને એની સાથે જોડાયેલ પુનર્વસન, ક્ષતિઓને લીધે ઊભી થનારી ઘણી અગવડો અર્થપૂર્ણ રીતે દૂર કરે છે અને ઘણી વિકલાંગ વ્યક્તિઓને જીવનમાં મળી શકનારી અનેક તકો સુધી દોરી જાય છે; પણ તે છતાંય આ જ કારણોસર ‘તેઓ પર અસર પડે છે’ અને વ્યાવસાયિક મંડળોની મદદ વિના તેઓ પોતાની જિંદગીની પરિસ્થિતિ બદલી શકવાને અસમર્થ હોય એવી વિભાવના ઊભી કરે છે. આ કારણે ભાગલા પાડવાની વૃત્તિને વધુ પ્રોત્સાહન મળે છે. આમ દરેક મૉડલ સ્પષ્ટતા દર્શાવે છે કે આ સમસ્યા શું છે, આ સમસ્યા કોની છે તેમ જ કોણે અને કેવી રીતે આ સમસ્યા પર ધ્યાન આપવું જોઈએ. ‘ક્ષતિ’, ‘વિકલાંગતા’ અને ‘અપંગતા’ જેવા પારિભાષિક શબ્દો અને એ દરેક શબ્દના ઉપયોગ વિશે પણ ગૂંચવાડો જ છે અને શરૂઆતથી જ આ વિશેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. અક્ષમતાને વિસ્તૃતપણે રોગ / અકસ્માત / ક્ષતિ / અપંગતાના અવિચ્છિન્ન સ્વરૂપે જ સમજવામાં આવે છે. ક્ષતિની સ્પષ્ટ વ્યાખ્યા એ છે કે કોઈ એક અંગના બંધારણ અને કામગીરીમાં વ્યક્તિગત ધોરણે મર્યાદા, અક્ષમતા કે વિકલાંગતા એટલે ક્ષમતાનો અભાવ, જેને અગાઉ ક્ષતિના પરિણામસ્વરૂપ માની લેવામાં આવતી (ગોફમેન, ૭[7]). કોઈ એક કામગીરી કરવાની અક્ષમતાથી પણ આગળ ઉપર વધવાને આજે વિકલાંગતા તરીકે વિચારવામાં આવે છે. આ વિકલાંગતાનું સોશિયલ મૉડલ (સામાજિક નમૂનો) કહેવાય છે, જે વિકલાંગતાની વિભાવના માટેની ભૂમિકા બદલનારું એક ગહન ઉદાહરણ છે. આ દર્શાવે છે કે કોઈ એક વ્યક્તિનો વિકલાંગતાનો જટિલ અનુભવ એ કંઈ જે-તે વ્યક્તિની ભૌતિક ક્ષતિ અને એની સામાન્ય શરીરની ઊણપ નથી, પણ એ તો વિકલાંગતા ધરાવનારી વ્યક્તિને સામાજિક અને રાજકીય રીતે ઘડેલા કાચ વડે જે રીતે જોવામાં આવે છે એ છે. પ્રાઈડ અગેઇન્સ્ટ પ્રેજ્યુડાઈસમાં જેની મોરિસ વિકલાંગ વ્યક્તિના આ પ્રકારના અભિગમને તપાસે છે. “અમારું દુ:ખ એ કંઈ ‘વિકલાંગતા સાથે બાંધછોડ કરવામાં અસફળતા’ નથી. અમારા જીવન સાથેનો અમારો અસંતોષ વ્યક્તિત્વમાં રહેલી ખોડ નથી, પણ અમે જે બોજ અનુભવી રહ્યા છીએ એને જે ઠંડે કલેજે પ્રત્યુત્તર મળે છે, એમાં છે.” (મોરિસ, ૧૯૯૬) માટે જ અસમર્થતા તો એવા સમર્થ વાતાવરણમાં જડાઈ ગઈ છે, જે પૂરતી સગવડો સાચવનારુંય નથી અને જાતે વિકલાંગ શરીરમાં હાજર પણ નથી. વિકલાંગતાનો બોજો વ્યક્તિ પરથી ખસીને સમાજના માથે જાય છે; અને મનોવિશ્લેષણનું કેન્દ્રબિંદુ વ્યક્તિની તબીબી હાલતો પરથી ખસીને સામાજિક માળખાં, સાંસ્કૃતિક મૂલ્યો, સંસ્થાઓ, ઘડાઈ ચૂકેલા વાતાવરણ અને સ્થિર માનનારી અને વિકલાંગતા ધરાવનાર વ્યક્તિને પરિવર્તનીય માનનારી દૃષ્ટિની દિશા પલટાઈ જાય છે. વિકલાંગ હોવું એ અપંગતાના અનુભવની બરાબરી કરી શકે એવું નથી, વાતાવરણમાં બાધારૂપ પરિબળોની સાથોસાથ, વિકલાંગતા અપંગતાની પરિસ્થિતિમાં પરિણમે છે. આ બધાને અતિક્રમી જવા માટે, કાર્ય કરવાની શક્તિ જેવાં અંગત પરિબળો નિર્ણાયક ભાગ ભજવે છે, પણ તે છતાંય સામાજિક અભિગમો, કારમી ગરીબી, માહિતીનો અભાવ અને ગુણવત્તાસભર સેવાઓ સુધીની પહોંચ જેવાં બાહ્ય પરિબળોના કારણે અપંગતા પરિણમે છે. વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને જ્યારે સમાજના મુખ્ય પ્રવાહમાંથી બહાર રાખીને તેઓને પોતાની સંપૂર્ણ સંભાવ્ય શક્તિ પામવાથી અટકાવવામાં આવે છે, ત્યારે અપંગતા શાશ્વત બની જાય છે. પોતાની વિકલાંગતા ઉપરાંત જ્યારે એ વ્યક્તિઓને તેઓની અપંગતાઓ સાથે જીવવાની ફરજ પાડવામાં આવે છે, ત્યારે તેઓ આઝાદી ગુમાવી બેસવાનો અને આત્મગૌરવપૂર્વક જીવન જીવવાનો અને સમાન તકો મેળવવાનો અધિકાર ગુમાવી બેસે છે. જોકે આ સોશિયલ મૉડલ વિશિષ્ટરૂપે માત્ર સામાજિક, રાજકીય અને અર્થશાસ્ત્રીય સિદ્ધાંતો પૂરતું જ મર્યાદિત છે, કારણ કે એ માત્ર માળખાકીય અડચણો જ તપાસે છે અને બહુસ્તરીય ચિત્રના અન્ય ગહન સ્તરો જોતું નથી. એ વિકલાંગતા ધરાવનાર વ્યક્તિઓને વિવિધતા અને બહુમુખી ઓળખ ધરાવતા લોકો તરીકે જોવાને બદલે એક સમાનધર્મી સમૂહ તરીકે જ જુએ છે. અહીં જાતિનો અને અન્ય વિવિધ સામાજિક વિભાગોનો અનાદર કરવામાં આવેલ છે. વિકલાંગતાવિષયક અમુક ઍક્ટિવિસ્ટો, જેમ કે સુઝન વેન્ડેલ ક્ષતિ-વિષયક, શારીરિક અને વિકલાંગતા ધરાવનાર સમાજના અનુભવોને લગતી સમસ્યાઓનો આ મૉડલમાં સમાવેશ કરવાની હિમાયત કરે છે. (વેન્ડેલ, ૧૯૯૬). તેઓ ભારપૂર્વક જણાવે છે કે વિકલાંગતા લોકોને સતત પોતાની શારીરિક અવસ્થા વિશે જાગ્રત રાખે છે (પેટરસન અને હ્યુજીસ, ૫૯૭-૬૧૦). એ જ રીતે ક્રો સૂચવે છે કે શારીરિક અનુભવો અક્ષમતા ધરાવનાર વ્યક્તિઓના જીવનનો અંતર્ગત ભાગ બની રહે છે (ક્રો, ૫૯) અને ક્ષતિ ભલે વિકલાંગતામાં ન પરિણમે, પણ એ આ પ્રકારના બોજ માટેની પૂર્વશરત બની રહે છે. (ક્રો, ૬૯.) તેઓ એમ પણ સૂચવે છે કે સોશિયલ મૉડલના કારણે અમુક વ્યક્તિઓ માટે તેઓની ક્ષતિમાંથી ઉદ્ભવતી તકલીફ અને અગવડો વિશે વાત કરવાનું મુશ્કેલ બને છે. માટે જ, વિકલાંગતા અને ક્ષતિને કારણે લોકો પોતાના વિશે કઈ રીતે વર્તન કરે છે અને વિચારે છે અને કઈ રીતે આ બંને બાબતો પણ તેઓના ‘અસ્તિત્વ’ સામેની અડચણો બની જાય છે, એના વિશે તપાસ કરવી મહત્ત્વપૂર્ણ બની રહે છે. ડિસેબિલિટી સ્ટડીઝની માહિતી આપનાર (માઇનૉરિટી મૉડલ) તરફ પણ આપણે નજર નાંખવી જરૂરી છે. એ વિકલાંગતા વિશેનો અભ્યાસ નથી, પણ વિકલાંગતાના મજિયારા અનુભવોનો અભ્યાસ છે. સાઇકોથેરપિસ્ટ અને ખુદ વિકલાંગતા ધરાવનાર એક સ્ત્રી, ર્હોડા ઓલકિન, આ મજિયારા અનુભવ વિશે કહે છે કે આ અનુભવ બધા જ લઘુમતી સમૂહોનો છે : ‘પૂર્વગ્રહ, ભેદભાવ અને લાંછન.’ આ લાંછનના સિદ્ધાંત મુજબ, “જ્યારે શારીરિક વિકલાંગતા ધરાવનાર વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિને મળે છે, ત્યારે એ અજાણ વ્યક્તિ તરત જ એ વ્યક્તિના ‘અપ્રતિષ્ઠાદાયી લક્ષણ’ વિશે જાગ્રત થઈ જાય છે, જે આવા કિસ્સાઓમાં શારીરિક ક્ષતિ હોય છે. આમ ક્ષતિ લાંછનમાં પરિણમે છે અને એ અજાણી વ્યક્તિ પેલા - પેલીના માત્ર આ એક લક્ષણ પર આધારિત અનેક લક્ષણો ધારી લે છે, જેમ કે એ અનાકર્ષક છે, નપુંસક છે અથવા નિર્માલ્ય છે. આ વ્યક્તિને પ્રેમી અથવા મિત્ર બનાવવાની શક્યતા તરત જ ઘટી જાય એવું બને છે. આમ વિકલાંગતા એક સોંસરવું ઊતરી ગયેલ, દિગ્મૂઢ કરી નાંખનાર વર્ગીકરણ બની રહે છે, જે વ્યક્તિની અન્ય ખાસિયતો, કૌશલ્યો અને આવડતોની ઉપર કાળા ધાબાની જેમ છવાઈ જાય છે.”[8]જે લોકો મુખ્ય પ્રવાહના લોકસમૂહના ભાગ ન હોય, તેઓને પરંપરાગત રીતે ઊતરતા અને માનસિક રીતે અશક્ત તરીકે જ જોવામાં આવે છે. એ લોકો માટે કળા અને અન્ય માધ્યમોમાં ઘણા ઓછા પૉઝિટિવ રોલ મૉડલ્સ મોજૂદ હોય છે; નાણાકીય સ્રોતો માટે એમની પહોંચ ઘણી ટૂંકી હોય છે; એ લોકો પાસે ઓછી અથવા નહિવત્ રાજકીય સત્તા હોય છે. ટૂંકમાં, તેઓને મુખ્ય પ્રવાહના જીવનની શક્યતાઓ મેળવવામાંથી બાકાત રાખવામાં આવે છે.” (ઓલ્કિન, ૧૯૯૯) ડિસેબિલિટી સ્ટડીઝ રીડરમાં ડેવિસ સૂચવે છે કે “આપણે સર્વસામાન્ય સ્વરૂપોની દુનિયામાં જીવીએ છીએ. વિકલાંગતાની સમસ્યા એ જ કંઈ વિકલાંગતા કે વિકલાંગતા ધરાવનાર વ્યક્તિ નથી, પણ વિકલાંગતા ધરાવનાર વ્યક્તિની ‘સમસ્યા’ સર્જવા માટે જે રીતે સર્વસામાન્યતા ઘડવામાં આવી છે એ છે.” (ડેવિસ, ૧૯૯૭). ઉલરિક શિલ્ડ્સમેન કહે છે, “સર્વસામાન્યતાના માપદંડ પરના આંકા એ દર્શાવે છે કે સમાજ શાને સ્વીકાર્ય અને સહ્ય ગણે છે; અને એણે જ માર્ગદર્શિકા તરીકેની ગરજ સારવાની છે. જો લોકો એ માર્ગદર્શિકાને અનુસરે તો એ લોકોને સલામત પરિમાણોની અંદર રહ્યાની ખાતરી આપવામાં આવે છે.” (શિલ્ડ્સમેન, ૭). વિકલાંગતાની વ્યાખ્યા કરતી વખતે આપણે હંમેશાં સમાજમાં મોજૂદ સર્વસામાન્યતાને એની બાજુમાં મૂકીએ છીએ. એ તો સર્વસામાન્યતાની ઊલટી બાજુ છે અને એ તો વિચલનનો એક પ્રકાર છે, અને વિકલાંગતા ધરાવનાર લોકોને મોટા ભાગે ‘અસામાન્ય’ જેવું સંપૂર્ણ વર્ગસૂચક નામ આપી દેવામાં આવે છે; અને એટલે જ તેઓ અણગમતા બની જાય છે. જેમ થોમસને કહ્યું છે, વિકલાંગતા એટલે “એવા દેહધારી લોકોનો સમૂહ કે જેઓની વચ્ચે માત્ર અસામાન્ય હોવાનું જ સામ્ય હોય છે.” (થોમસન, ૧૯૯૭.) સર્વસામાન્યતાનો કાચ વાપરીને શિલ્ડ્સમેન વિકલાંગતાને પુન: પરિભાષિત કરે છે: “વિકલાંગતા બે બાજુઓ ધરાવતો એક સિક્કો છે, જેની એક બાજુ વિકલાંગ બનવાની છે અને બીજી બાજુ વિકલાંગ હોવાની છે. આનો અર્થ એ થાય છે કે વિસામાન્ય વ્યક્તિના દરજ્જા પર નિયંત્રણ રાખવા માટે, એને સામાન્યતાના હાંસિયા ઉપર અથવા તો હાંસિયાની બહાર રાખવા માટે, સમાજ ચોક્કસ ધારાધોરણો, અંકુશો અને કાયદાકીય કલમો લાદીને એનો અમલ કરે છે. આ પ્રક્રિયાના પરિણામે વિકલાંગ વ્યક્તિ શિસ્તમાં રહે છે અને સંભવત: એની અંગત છૂટછાટો પણ અંકુશમાં રહે છે. વિકલાંગ વ્યક્તિએ આ કથિત સામાજિક સર્વસામાન્યતાઓ માન્ય રાખવાની હોય છે અને સૂચિત જિંદગી જીવવા માટે પોતાનું અનુકૂલન કરી લેવાનું હોય છે.” (શિલ્ડ્સમેન, -૫)[9] આ જ કારણસર, ટોમ શેક્સપિયરના મત મુજબ, અક્ષમતા ધરાવનારા લોકો તો “નાકબૂલાતની કચરાપેટીઓ” છે. (શેક્સપિયર, ૧૯૯૪.) વ્યાખ્યાઓ મહત્ત્વપૂર્ણ હોય છે અને શરૂઆતથી જ એમને ધ્યાનમાં લેવાની હોય છે; કારણ કે “એના જ આધાર પર ઘટનાઓ ઘટે છે અને સામાજિક નીતિનિયમો ઘડવામાં આવે છે. ઉ. ત., વિકલાંગતાને જો અંગત દુર્ઘટના જ ગણવામાં આવતી હોય, તો વિકલાંગતા ધરાવનાર લોકોને દુર્ભાગ્યપૂર્ણ સંજોગોના શિકાર બનેલા જ ગણી લેવામાં આવશે અને સામાજિક નીતિઓ પણ પીડિતોની ક્ષતિપૂર્તિ કરવા માટેની જ ઘડાશે. જો વિકલાંગતાને સામાજિક દમન તરીકે જોવામાં આવશે, તો વિકલાંગતા ધરાવનાર લોકોને અજાણ અને લાપરવા સમાજના સામૂહિક પીડિતો તરીકે જોવામાં આવશે, અને તેથી સામાજિક નીતિઓ આ દમન દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.” (ઓલિવર, ૬૨.) આ રીતે તપાસવામાં આવેલી બધી જ વ્યાખ્યાઓ બળવાન વિચારસરણીઓ પણ છે, જે લોકોને પોતે કેવા છે અથવા ક્યારેક તેઓ એવા બની પણ શકે છે, એ વિશેની માહિતી આપીને એમના વિચારો રંગીન બનાવી શકે છે. જોકે વિકલાંગતાનાં મોટા ભાગનાં સ્વરૂપો કંઈ પરસ્પરને બાકાત રાખી દેનારાં નથી અને ‘વિકલાંગતા’ને એકસરખા ગણાતા સમૂહના નામકરણ હેઠળ મૂકવા વિશેનો સર્વસામાન્ય વિચાર જ આ પેપરમાં હંમેશાં સૂચવવામાં આવ્યો છે. જો વિકલાંગતા સામાજિક ધોરણે ખડી કરવામાં આવી હોય તો, એ વિવિધતાનું વિશ્લેષણ કરવા માટે અને બિનપાયેદાર સાર્વત્રીકરણથી દૂર રહેવા માટે મદદરૂપ થનાર અન્ય સામાજિક ધોરણો, જેવાં કે જાતિ, વય, વર્ણ (caste) અને વંશીયતાને પણ લાગેવળગે છે. જ્યારે વિકલાંગતાના બીબામાં જાતિભેદનો પ્રવેશ થાય છે, ત્યારે એ ઊંડા જાતિભેદ સહિતની વિકલાંગતાના બીબાને પ્રસ્થાપિત કરે છે અને એક વિકલાંગ સમાજ વિશેના લોકોના અનુભવને અસર કરવામાં એક વિશિષ્ટ ભાગ ભજવે છે. જાતિ અને વિકલાંગતા વચ્ચેનો આંતરસંબંધ માત્ર સ્ત્રીઓ અને છોકરીઓ બાબતે નથી. આ બંને સામાજિક માળખાંની અસર પુરુષો અને સ્ત્રીઓ બંને પર પડે છે અને જ્યારે આપણે વિકલાંગતા ધરાવનાર વ્યક્તિઓ વિશેની વાત ધ્યાન પર લઈએ છીએ ત્યારે એ બંનેને જ ધ્યાનમાં લેવાં જરૂરી છે. જોકે અહીં આપણે સ્ત્રીઓ પર જ દૃષ્ટિપાત કરીએ છીએ. ચોક્કસ અને જરૂરી બાયોલોજિકલ અને સાંસ્કૃતિક લક્ષણો વડે ‘સ્ત્રી’વર્ગ વિકલાંગતાની વિભાવનાઓ સાથે ગૂંથાયેલ છે. આ કંઈ એક નિયમવિહીન સંયોગ નથી, પણ એ ચોક્કસ સામાજિક અને રાજકીય હિતસંબંધોને પ્રતિબિંબિત કરે છે. જોકે ‘સ્ત્રી’ એ એક સામાજિક રીતે પ્રસ્થાપિત અને સ્થિર વર્ગ હોવા છતાં આપણે જોઈએ છીએ કે વિકલાંગતા એક ઓછી સ્થિરતા વડે અંકિત થઈ ચૂકેલ ફ્લેક્સિબલ વર્ગ છે. પણ નારીવાદ અને વિકલાંગતાની અર્વાચીન વિભાવનાને ઝીણવટપૂર્વક તપાસીએ તો એવું સૂચિત થાય છે કે નારીવાદ અને વિકલાંગતાવાદ એ બંને અલગ ‘વાદ’ નથી. ‘સ્ત્રીઓ’ અને ‘વિકલાંગ વ્યક્તિઓ’ એ બંને શબ્દો વચ્ચેનો એક સામાન્ય તાર એ છે કે સર્વસામાન્ય રીતે, અમુક એકધારાં સ્વરૂપો અને પૂર્વગ્રહોનો ખડકલો એમના પર કરવામાં આવ્યો છે. આપણે કલ્પનાના બહુ ઘોડા દોડાવવા ન પડે એ માટે એમાંથી અમુકની સૂચિ અહીં આપી છે : નિષ્ક્રિય, દુર્બળ, બોજારૂપ, અતિ સંવેદનશીલ, દૃઢ નિશ્ચય વિનાની અથવા અત્યંત આક્રમક, પ્રભાવી, તર્ક-અસંગત, ખોટાબોલી, પ્રપંચી, લુચ્ચી, કપટી, હલકટ, ધોખેબાજ, લોભી, મુશ્કેલ, માગણ, પરાધીન, અપર્યાપ્ત અને દોષયુક્ત, નીતિવિહોણી, માનસિક અને શારીરિક અંકુશ-વિહોણી, અસમર્થ, ભરોસાપાત્ર ન હોય એવી, ઊર્મિશીલ, લાગણીપ્રધાન, ચારિત્ર્યભ્રષ્ટ, મૂર્ખ, આળસુ જેના વિશે પૂર્વાનુમાન ન કરી શકાય એવી, રક્ષણની જરૂરિયાત ધરાવનારી, વિશ્વાસ ન રાખી શકાય એવી, બીકણ, સ્વકેન્દ્રી, અસ્થિર, ઓછી અથવા વધુપડતી કામોત્તેજના ધરાવનારી, વિકૃત, જોખમી હોવાની સંભાવના ધરાવનારી, ન જીવવા જેવી જિંદગી ધરાવનારી અને આ સૂચિ તો હજી પણ આગળ લંબાવી શકાય.[10] આપણે જોઈ શકીએ છીએ કે આમાંનાં મોટા ભાગનાં લક્ષણો કોઈ પણ વાતનું વધુપડતું અથવા સાવ ઓછું પ્રમાણ દર્શાવતાં હોવાને કારણે એનું તંદુરસ્ત સમતોલન કરવાનું અશક્ય બની જાય છે. અને પછી એ શરીર સ્ત્રીઓ અને વિકલાંગ વ્યક્તિઓની સ્થિતિસૂચક નિશાની બની જાય છે. બૉડી ઍન્ડ પાવરમાં મિશેલ ફુકો શરીર અને શક્તિ વચ્ચેના આંતરિક સંબંધો પ્રસ્થાપિત કરે છે અને કહે છે કે શરીરની કહેવાતી કેળવણીમાં, માનવજાતિના વિકાસમાં, શરીરનું બંધારણ પોતાને એક જરૂરી સાધન તરીકે ઊઘડી આવે છે. ડિસિપ્લિન ઍન્ડ પનિશમાં સ્ત્રીઓ અને ક્ષતિ ધરાવનારા લોકો – એ બંનેનાં શરીરોને કેવી નિર્દય રીતે ‘શિસ્ત પળાવવામાં આવે છે’ – એ સામાજિક નિયમો જે એમને ઘડે છે અને તેઓનું નિયંત્રણ કરે છે – એ બધા વિશે ફુકો વાત કરે છે. મુખ્યત્વે મેડિક્લાઇઝેશનના નીતિશાસ્ત્ર અને બાહ્ય દેખાવના નીતિશાસ્ત્ર દ્વારા – ભગશિશ્નવિચ્છેદ. (ક્લાયટેરોડેક્ટોમી), ધ હ્યુમન જીનોમ પ્રોજેક્ટ, અંડાશયનો નિકાલ, ધારી લેવાયેલ અતિકામોત્તેજક સ્ત્રીઓના નિયંત્રણ માટેની દવાઓ, જન્મજાત અક્ષમ, સંલગ્ન જોડકાં, ઉભયલિંગી વ્યક્તિઓ (હર્માફ્રોડાઇટ્સ) વગેરે કરવામાં આવે છે. આ વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. (હુકો ૧૯૭૯.) બાહ્ય દેખાવના નીતિશાસ્ત્રના ફાયદા માટે સ્ત્રીઓ અને શારીરિક ક્ષતિ ધરાવનાર વ્યક્તિઓના મેડિકલાઇઝેશનને કામે લગાડવામાં આવે છે. દા. ત., સ્ત્રીઓના શરીરના સૌંદર્યીકરણ માટે અને ચોક્કસ આદર્શને અનુરૂપ બનવા માટેની કૉસ્મેટિક સર્જરી; જ્યારે રિ-કન્સ્ટ્રક્ટિવ સર્જરી – શારીરિક ક્ષતિ ધરાવનાર વ્યક્તિને પણ એ જ બધું કરવા તાકે છે. સુધારાવધારા કરવાના નામે જ આ બંને વેચવામાં આવે છે. સ્ત્રીઓ અને વિકલાંગ વ્યક્તિઓ – એ બંને વર્ગોને તેઓની શારીરિક ઉપસ્થિતિના અમુક વિભાગોમાં ઊતરતા બનાવી મૂકે છે : સ્ત્રીઓ સામે એકરસ થઈને ટગરટગર જોવામાં આવે છે, જ્યારે અક્ષમ વ્યક્તિઓ સામે તાકીતાકીને જોવામાં આવે છે. જેમ પુરુષોની એકરસ દૃષ્ટિ એક આદર્શ સ્ત્રીને કામુક તમાશો બનાવે છે, તેમ જ તાકીતાકીને જોવાથી વિકલાંગ શરીર એક વિકૃત પદાર્થ બની રહે છે, અને ચોક્કસપણે આ ચેષ્ટા વિકલાંગતાને એક નિર્દય સામાજિક સંદર્ભ બક્ષે છે. વિકલાંગ પુરુષો અને સ્ત્રીઓ, બંનેના કિસ્સામાં, દેખીતી શારીરિક ખોડને મોટા ભાગે અન્ય મર્યાદાઓના પુરાવારૂપે ગણી લેવામાં આવે છે. બંને રીતે આ અમાનવીકરણ જ થાય છે અને સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભે માણસોને અશક્ત બનાવી દે છે; કારણ કે તેઓને બહાર ધકેલી દે છે; એ બંનેને જાણે નિયંત્રણ રાખવા જેવા ભૌતિક પદાર્થ હોય એવા બનાવી દેવાય છે, જાણે પોતાની જિંદગી બદલવાની એમની પાસે કોઈ શક્તિ જ ન હોય અને આમ તેઓને એક જુદા જ ‘અન્ય’ વિભાગમાં ધકેલી દેવામાં આવે છે. જોકે ખલેલજનક બાબત તો એ છે કે આ બંને વર્ગ ‘કુદરતી’ સત્યોનો પહેરવેશ પહેરી લે છે; સામાજિક વર્ગીકરણની શ્રેણીની સીડી પર બંને ચોક્કસ પગથિયા પર છે અને એ બંને અસામાન્ય સામાજિક પરિસ્થિતિ દર્શાવે છે. સામાજિક વર્ગીકરણની શ્રેણી તપાસતાં એમ લાગે છે કે મનુષ્યજાતિની અથવા સર્વસામાન્ય લાક્ષણિકતાઓ પુરુષની, જે એક નેતા (લિબરમેન્શ) કે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર (આલ્ફામેલ) અનિવાર્ય જાતિ હોય, એની લાક્ષણિકતાના નમૂના સાથે સરખાવાય છે. આ અધિકૃત ધોરણ મુજબ, સ્ત્રીઓની લાક્ષણિકતાની વ્યાખ્યા કરવામાં આવે છે, અને અહીં જ વિસામાન્યતાનો પ્રથમ સ્તર ઊભો થાય છે. સ્ત્રી ગૌણ બની જાય છે અને પુરુષ માટે ‘અન્ય’ બની જાય છે. ત્યાર બાદ વિકલાંગ લોકોને ‘અન્ય’ કરતાં પણ અન્ય તરીકે ઘડવામાં આવે છે. વિકલાંગતાને ક્ષમતા ધરાવનારી વ્યક્તિઓની સર્વસામાન્યતાથી વિસામાન્ય સમજવામાં આવે છે. પછી વિકલાંગ પુરુષોને સક્ષમ સ્ત્રીઓ કરતાં નીચેના પગથિયે મૂકવામાં આવે છે અને વિકલાંગ સ્ત્રીઓ એના કરતાં નીચેના ચોથા પગથિયા પર આવે છે. માટે બહુ જ સાહજિકપણે કહી શકાય કે પુરુષો અને સ્ત્રીઓ અપંગ હોવાનો અનુભવ જુદીજુદી રીતે કરે છે. અપંગ સ્ત્રીઓએ બમણા ભેદભાવનો સામનો કરવો પડે છે; કારણ કે એક તો તેઓ સ્ત્રી જાતિની છે અને બીજું એમની વિકલાંગતા – જોકે આ બંને શરીરની ‘ઊણપ’ના વિવિધ પ્રકારો જ છે. જ્યારે આપણે એક દલિત ભારતીય સ્ત્રી પર નજર નાંખીએ, જે સમાજના નીચલા આર્થિક સ્તરમાંથી આવતી હોય અને એ ગ્રામ્ય પ્રદેશની હોય, ત્યારે આ ચિત્રણ વધુ ગૂંચવાય છે. પારંપરિક રીતે, એક તો સ્ત્રીને અબળા માનવામાં આવે છે અને એમાંય જો એ સ્ત્રી વિકલાંગ હોય તો-તો એને ઔર વધુ નબળી મનાય છે. વિવિધ શારીરિક ક્ષતિઓની પણ એક પોતીકી વર્ગીકરણની શ્રેણી છે : એમાંના અમુક વર્ગો અન્ય કરતાં વધુ નબળા અને ઓછા સ્વીકાર્ય ગણાય છે. ઉદાહરણ તરીકે મંદબુદ્ધિ અથવા માનસિક બીમારી ધરાવતા લોકો, એમાંય ખાસ કરીને આ સ્ત્રીઓને ક્ષતિઓના વર્ગીકરણની શ્રેણીના તળિયે (શારીરિક વિકલાંગતા અને ભણવામાં નબળા લોકો કરતાં પણ નીચેના પગથિયે) મૂકવામાં આવે છે, કારણ કે તેઓ વિકૃત અને જોખમી ગણાય છે. આમ વિકલાંગ સ્ત્રીઓનો એક વિષમજાતીય સમૂહ બને છે અને એક સમૂહ તરીકે તેઓ વિવિધ પ્રકારના અન્યાયોનો અનુભવ કરે છે, જે દમનની અન્ય વ્યવસ્થાઓ સાથે મળીને વધુ ગૂંચવણો ઊભી કરે છે. સમકાલીન પારિભાષિક શબ્દોમાં આને “થિયરી ઑફ ઇન્ટરસેક્શનાલિટી” તરીકે ઓળખવામાં આવે છે અને અમુક નારીવાદી સિદ્ધાંતના વિશેષજ્ઞો જ્યારે ‘નારીવાદ’ના લેબલનો, ફ્લેક્સિબલ અને વિસ્તૃત શબ્દ ગણીને, વિરોધ કરે છે ત્યારે એના માટે તેઓ વિવિધ શબ્દો અપનાવે છે – જેમ કે એલિસ વૉકરે બે શબ્દો જોડીને ‘વુમેનિઝમ’ શબ્દ બનાવ્યો છે – જે કાળી અને વિવિધરંગી સ્ત્રીઓની જરૂરિયાતો સમજવા માટે વપરાય છે, ડાયેન પ્રાઈસ હર્નડેલ અને રોબિન વોરહોલ ‘ફેમિનિઝમ્સ’ (હર્નડેલ ઍન્ડ વોરહોલ, ૧૯૯૭) અને જ્યુડિથ ગ્રાન્ટ ‘હાઇફનેટેડ ફેમિનિઝમ’ (ગ્રાન્ટ, ૩) જેવા શબ્દો વાપરે છે. ભારતીય સમાજ જે રીતનું વલણ દાખવે છે, એ ઘણી સ્ત્રીઓ માટે સૌથી વધુ સજારૂપ વિકલાંગતા છે.[11] ઘણા પરિવારોમાં સ્ત્રીઓ ‘ગુપ્ત’ અથવા અજાણ સભ્યો હોય છે. ખાસ કરીને આપણા ગ્રામ્ય વિસ્તારોમાં, આજે પણ વિકલાંગ સ્ત્રીઓને સામાજિક પ્રતિબંધો અને લાંછનના કારણે નજરથી દૂર રાખવામાં આવે છે. (ઓનિયલ, ૧૨; ઘોષ, ૧૩.) વરસોની મથામણ પછી, અમુક અંશે, વિકલાંગ પુરુષો તેઓનો ‘અવાજ’ બુલંદ કરવામાં સફળ બન્યા છે, પણ વિકલાંગ સ્ત્રીઓની સમસ્યા હજી પણ ભારતની અન્ય સ્ત્રીઓ જેવી જ છે. તેઓ શિક્ષણથી વંચિત હોવાને કારણે એમાં અન્ય જટિલ સમસ્યાઓ – જેવી કે ગરીબી, નિર્ણય લેવાની શક્તિનો અભાવ અને પર્યાયોના અભાવનો ઉમેરો થાય છે. રાષ્ટ્રીય સ્તરે કરાયેલ અમુક અભ્યાસ જણાવે છે કે વિકલાંગ છોકરીઓને શાળામાં મોકલવામાં આવતી નથી; વિકલાંગ છોકરાઓ કે પુરુષોની સરખામણીમાં તેઓને પુનર્વસન અને સ્વાસ્થ્યસંભાળ, શિક્ષણ, મદદગાર ટેક્નૉલોજી, વ્યાવસાયિક તાલીમ અને રોજગાર જેવી સેવાઓ ઘણી ઓછી મળે છે; મોટા ભાગે પુખ્ત વયે તેઓ પરણતી નથી અને તેઓ પાસે વારસાગત કે ખુદની સ્થાવર મિલકત હોતી નથી; અને પરિણામે તેઓ ગરીબોમાં પણ સૌથી વધારે ગરીબોનું પ્રતિનિધિત્વ કરતાં હોય છે. યુવાન વિકલાંગ છોકરીઓનાં મા-બાપ બમણા જોશથી તેઓનું વધુપડતું રક્ષણ કરતાં હોય છે, કારણ કે તેઓ માની લે છે કે એમની દીકરીઓ સ્ત્રીજાતિની હોવા ઉપરાંત વિકલાંગ હોવાને કારણે બે બાજુએથી દંડાઈને આસાનીથી કોઈના હુમલાનો ભોગ બની જઈ શકે છે; અથવા તો, જેમ વિકલાંગ પુરુષોને ‘ઓછું પૌરુષ’ ધરાવતા ગણવામાં આવે છે, એમ જ ભારતીય સ્ત્રીના પત્ની, ગૃહિણી અને માના સ્વરૂપને તેઓ પૂરતો ન્યાય નહીં આપી શકે એમ ગણી લેવામાં આવે છે – અને સૌંદર્ય અને નારીત્વના સામાજિક રીતે સ્વીકાર્ય ધોરણો મુજબના ન હોવાને કારણે એ લોકોને વધુપડતા અવગણવામાં આવે છે અને તેઓ પ્રતિબંધો અને વહેમના ભોગ બને છે. વિકલાંગ પુરુષો માટેની થેરપીઓમાં, પરંપરાગત રીતે માન્ય રખાયેલા પૌરુષને મહત્ત્વ આપીને, તેઓને વ્હીલચેરમાં બેસીને રમતો રમવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, જ્યારે વિકલાંગ સ્ત્રીઓને પોતાની જાતને વધુ સ્ત્રીત્વ દર્શાવી શકે એવી રીતે રજૂ કરવા માટે મેક-અપ અથવા ટાપટીપ કરવાના વર્ગોમાં જ મોટા ભાગે મોકલવામાં આવે છે. આમ બંનેના માથે પરંપરાગત પાઠ ભજવવાનું જ ઠોકી બેસાડવામાં આવે છે, ‘જુદા દેખાવાનું લાંછન’ જેમ બને એમ ઓછું કરવા માટે આ પ્રકારના પાઠ ભજવવાનું તેમને કહેવામાં આવે છે. આપણો સમાજ પુરુષોને ‘કુટુંબનું ભરણપોષણ કરનાર વ્યક્તિ’ ગણે છે, માટે જે વિકલાંગ પુરુષો આર્થિક સ્વાયત્તતા ધરાવતા હોય તેઓ સારા પતિ અને પિતા બનવાની કસોટીમાંથી પાર ઊતરે છે (વિકલાંગ હોવા છતાંય વધુ સારા બની શકવાના સિદ્ધાંતની જેમ – ‘સુપરક્રીપ’ ઘટના). આપણા સમાજમાં લગ્નો ગોઠવવાની વ્યવસ્થા અતિ જુલમી વ્યવસ્થા છે; કારણ કે એમાં મા-બાપ મુરતિયો શોધે છે અને દીકરીને દહેજ પણ આપવો પડે છે. આનો અર્થ એવો થાય છે કે જો વિકલાંગ છોકરીનાં લગ્ન વિકલાંગ ન હોય એવા છોકરા સાથે કરવાં હોય તો વધારાનો દહેજ આપવો પડતો હોય છે. વિકલાંગ પુરુષો અને છોકરાઓ વિકલાંગ છોકરી કરતાં વિકલાંગ ન હોય એવી બાજુએથી – વિકલાંગ ન હોય એવા છોકરા અને પુરુષો તેમ જ વિકલાંગ પુરુષો – તરફથી જુલમ જ કરવામાં આવે છે.[12] આ જ પરીક્ષણોમાં બહાર આવ્યું છે કે વિકલાંગ ન હોય એવી સ્ત્રીઓની સરખામણીમાં વિકલાંગ સ્ત્રીઓ બેથી ત્રણગણા વધારે શારીરિક અને જાતીય અત્યાચારોની ભોગ બને છે અને પ્રજનનતંત્રના સ્વાસ્થ્યને લગતી સ્વાસ્થ્યસંભાળ વિશે, ગર્ભનિયમન અથવા જાતીય સમાગમ કરવા વિશે અથવા બાળકો વિશેની કોઈ માહિતી એમને આપવાની કોઈ જરૂરિયાત જ ગણવામાં આવતી નથી; એટલે જ તેઓને પ્રજનનતંત્રને લગતી સમસ્યાઓ વધારે પ્રમાણમાં થવાની સંભાવના વધતી જાય છે. ઘણા કિસ્સાઓમાં તો એ લોકોને ‘જાતિ-ભેદ બાબતના અજ્ઞાન’ને કારણે નહીં, પણ તેઓ જાણે સ્ત્રી જ ન હોય અથવા તો તેઓને જાણે જાતીય જરૂરિયાતો જ ન હોઈ શકે એમ જ માની લેવામાં આવે છે. (એલ્વાન, ૧૯૯૯.) મિશેલ ફાઈન અને એડ્રિયન એશ તો આને જાણે કોઈ ‘ભૂમિકા જ ન ભજવવાની હોય એવી પરિસ્થિતિ’ કહે છે, જે સાંસ્કૃતિક રીતે પરાણે ઘુસાડી દેવામાં આવેલી સામાજિક અદૃષ્ટતા અને સ્ત્રીત્વનો (‘ફેમિનિટી’)-નો ઇન્કાર છે. (ફાઈન ઍન્ડ એશ, ૧૯૮૮.) આપણા પિતૃસત્તાક સમાજમાં, પુરુષોને જવલ્લે જ અનુભવવો પડતો હોય એવો સંસ્થાકીય અને વૈયક્તિક ભેદભાવ સ્ત્રીઓએ વેઠવો પડે છે. આ ક્ષેત્રમાં તેઓની ચોક્કસ જરૂરિયાતો પૂરી પાડવા માટેની નીતિઓ અને આચરણો પણ ઘડવામાં આવ્યાં નથી. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ઐતિહાસિક રીતે જે સત્તાની અસમાનતા રહેલી છે એના પ્રતીક રૂપે, નારીવાદના સિદ્ધાંતો અને વિકલાંગતા માટેના હક્કોની ચળવળ વચ્ચે ઘણું સામ્ય છે. તે છતાંય સમગ્ર વિશ્વમાં અને ભારતમાં ખાસ ઊડીને આંખે વળગે એ રીતે, વિકલાંગતા માટેની ચળવળો અને સ્ત્રીઓ માટેની ચળવળોમાં વિકલાંગ સ્ત્રીઓ લગભગ અદૃશ્ય જ રહી છે, કારણ કે આ બંને ચળવળોમાં તેઓની ચોક્કસ સમસ્યાઓ અને તેઓને લાગતીવળગતી બાબતો નકારવામાં આવી છે. ડૉ. અનીતા ઘાઈ ધ્યાન દોરે છે કે વિકલાંગતા વિશેના અભ્યાસો અને વિકલાંગતાને લગતી ચળવળો માટેનાં ઉચ્ચ કક્ષાનાં નિરીક્ષણો મોટા ભાગે ભદ્ર મધ્યમવર્ગીય પુરુષો જ કરતા હોય છે, અને તેઓ રોજગારી, આવક, રહેઠાણ વગેરે જેવા વિકલાંગતાનાં માળખાકીય પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, અને તેઓ સ્ત્રીઓ સાથે નેતૃત્વમાં ભાગ પડાવતા હોતા નથી. પરિણામે, એ લોકોને માત્ર તેઓને પોતાને લગતી બાબતો વિશે જ વધુ ચિંતા હોય છે. વિકલાંગ સ્ત્રીઓના અનુભવોને આવરી લેતાં મોટા ભાગનાં સંશોધનો પુરુષોના દૃષ્ટિકોણથી જ તપાસવામાં આવેલાં હોય છે અને તેથી જ એને એ જ નેજા હેઠળ જોવાય છે. ભારતના અને પશ્ચિમના મુખ્ય પ્રવાહોમાં, વિકલાંગતા ધરાવતી અને ન ધરાવતી લેખિકાઓએ લખેલાં લખાણો છે, જે સૂચવે છે કે કદાચ વિકલાંગ સ્ત્રીઓમાં શક્તિ અને આત્મવિશ્વાસનો અભાવ હોય અને વિકલાંગતા ન ધરાવતી સ્ત્રીઓની આ પ્રત્યે લાપરવાહી હોય. પોલો ફ્રેઇર વંચિતોમાં પ્રવર્તમાન એક ‘ચુપકીદીની સંસ્કૃતિ’નું વર્ણન કરે છે, જે તેઓ પર થતા જુલમને ચિરસ્થાયી બનાવે છે. આ જુલમ તેઓમાંથી જીવનશક્તિ અને પોતાની પરિસ્થિતિ સામે પહોંચી વળવા માટે જરૂરી નિર્ણાયક જાગૃતિ હરી લે છે અને એ જુલમને ઉઘાડો પાડવા માટેનું “શબ્દભંડોળ પણ ગુમાવી બેસે છે.” (ફ્રેઇર, ૧૨.) બીજી બાજુએ, નારીવાદમાં વિકલાંગતાના દૃષ્ટિકોણના સંકલનના અભાવને, વિકલાંગ નારીવાદી લેખિકા જેની મોરિસ “વિકલાંગ ન હોય એવા નારીવાદીઓ તેઓનાં સંશોધનમાં અને સિદ્ધાંતોમાં અમારી વાસ્તવિકતાઓના સમાવેશ કરવાની મુશ્કેલી” તરીકે જુએ છે (મોરીસ, ૧૯૯૧) અને સુઝન વેન્ડલ કહે છે કે “વિકલાંગ વ્યક્તિઓ પોતાની સામાજિક વાસ્તવિકતાઓને કઈ રીતે સમજે છે, એનો સ્વીકાર જ નથી થતો.” (વેન્ડેલ, ૧૯૯૬.) જો વર્તમાન નારીવાદી વિદ્વાનો કબૂલ કરે છે કે દરેક સ્ત્રી બહુમુખી ઓળખ ધરાવતી હોવાને કારણે અભ્યાસના કેટલાંક નિર્ણાયક ક્ષેત્રો ઊભાં થાય છે – દા. ત., કાળી સ્ત્રીઓના નારીવાદ વિશેનો અભ્યાસ, સમલૈંગિક નારીવાદ વિશેનો અભ્યાસ, લૅટિન સ્ત્રીઓ વિશેનો અભ્યાસ વગેરે..., તો પછી ફેમિનિસ્સ્ટ ડિસેબિલિટી સ્ટડીઝ વિશે સામે શા માટે આંખ આડા કાન કરવામાં આવે છે ? પશ્ચિમમાં વિકલાંગતા વિશેના શરૂઆતના અભ્યાસોમાં – પછી ભલે એ માક્સવાદી, આધુનિકતાવાદી (મૉડર્નિસ્ટ) અથવા બ્રિટિશ પાઠાંતરવાળું સોશિયલ મૉડલ હોય, અથવા તો વધુ અનુ-આધુનિકતાવાદનું (પોસ્ટ-મૉડર્નિસ્ટ) અમેરિકન પાઠાંતર હોય – એમ માની લેવામાં આવતું કે વિકલાંગ લોકો તો સમાન લક્ષણો ધરાવતો જ એક સમૂહ છે, જે કોઈ જાતિ અથવા સામાજિક ખાસિયતો વિનાનો જ હોય છે. માત્ર તાજેતરમાં જ પશ્ચિમમાં વિકલાંગતા ધરાવતી વિદુષીઓ, જેવી કે સુઝન વેન્ડેલ, જેની મોરિસ અને અનીતા સિલ્વર્સે નારીવાદના દ્વિતીય મોજા, અશ્વેત નારીવાદનો વિચાર અને ખાસ કરીને અનુ-આધુનિકતાવાદ પર તાત્ત્વિક સૂક્ષ્મ સમજ મેળવી છે અને વિકલાંગતાના પ્રાધાન્ય અને સમાનધર્મીપણા પર ટીકાટિપ્પણ કરવાનું વધાર્યું છે. વિકલાંગતા નારીવાદ સમક્ષ વિચાર કરતા કરી મૂકે એવા પ્રશ્નો ખડા કરે છે, જેમ કે સ્ત્રીઓ વચ્ચેના સત્તાવિષયક સંબંધો, જીવંત શરીરનું સ્થાન, સક્ષમ અથવા જેને ‘સર્વસામાન્ય’ (નૉર્મલ) કહેવાય છે’ એવું શરીર ધરાવવાના ફાયદા, સક્ષમ શરીર ધરાવનારાઓનું સામાજિક ઘડતર અને ઓળખ પ્રસ્થાપિત કરવાના રાજકારણના ઉપયોગો. પ્રતિનિધિત્વ, શરીર, ઓળખ અને ઍક્ટિવિઝમ જેવી સમસ્યાઓ ફેમિનિસ્ટ ડિસેબિલિટીઝ સ્ટડીઝને માથે ઝળૂંબેલી જ છે. રોઝમેરી ગાર્લેન્ડ-થોમસન લખે છે કે નારીવાદનાં ઘણી વાર પરસ્પર-વિરોધી અને હંમેશાં ગૂંચવણભર્યાં ધ્યેયો શરીરોની આવશ્યકતા દર્શાવીને સ્ત્રીઓના વર્ગીકરણનું પુનર્લેખન જે રીતે દાખવે છે, એનો ઉપયોગ સામાન્ય સ્વરૂપે વિકલાંગતા અને ખાસ તો સ્ત્રીઓની વિકલાંગતા તપાસવા માટે કરવો જોઈએ. (ગાર્લેન્ડ-થોમસન,૪). બીજી રીતે કહીએ તો નારીવાદી માળખાંમાં વિકલાંગ સ્ત્રીઓ - લોકો માટેની હાલમાં પ્રવર્તમાન માન્યતાઓ, બીબાઢાળ સ્વરૂપો, ધારણાઓ અને ગ્રહણશક્તિઓને પડકારવાની જરૂર છે અને એને સંસ્કૃતિ અને ઇતિહાસના સંદર્ભમાં ચકાસવાની જરૂર છે; અને વિકલાંગ વ્યક્તિઓના સામૂહિક સૂરને પ્રતિબિંબિત કરીને એનું બહુમાન કરતી હોય એવી દૃષ્ટિ વિકસાવવાની જરૂર છે. નારીવાદી લખાણોએ વિકલાંગ સ્ત્રીઓના પોતાની ઓળખ દર્શાવતા હક્કો પ્રદર્શિત કરવા જરૂરી છે, એ વિશે ચર્ચા કરવી જરૂરી છે અને વિકલાંગતા વિશેના વિવાદોને વધુ મહત્ત્વપૂર્ણ બનાવવા માટે વિકલાંગતાના સમગ્ર ફલકની દૃષ્ટિએ ક્ષતિઓનું પુન: સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. દા. ત., જેની મોરિસ કહે છે વિકલાંગ સ્ત્રીઓના જીવન વિશે જે થોડુંઘણું પૃથક્કરણ કરવામાં આવ્યું છે એ જાણે કોઈ ‘ખાસ’ પ્રકારનો અભ્યાસ હોય એવું જ દેખાય છે, જેમાં જાતિ અને વિકલાંગતા એ બંનેને કારણે અનુભવાતા કહેવાતા ‘બમણા ગેરફાયદા’ પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, અને એ બંનેમાંથી શું વધારે ખરાબ છે એ જ તપાસવામાં આવતું હોય એમ લાગે છે. (મોરિસ, ૧૯૯૮, ૪.) આ પ્રકારનું મહત્ત્વ શક્તિ હણનારું બને છે, કારણ કે એનાથી સ્ત્રીઓને નિષ્ક્રિય પીડિતો અને ઊણપવાળી ચીતરવામાં આવે છે; અને એ નારીવાદી પૃથક્કરણો અને વિકલાંગતા વિશેના અભ્યાસોના પર્યાયી તેમ જ વધારાના ચોંટાડેલા મુદ્દા હોય એમ લાગે છે. હકીકતમાં, નારીવાદી લખાણો – ભલે સ્ત્રીઓએ પોતાના જીવનમાં જે મુસીબતોનો સામનો કરવો પડે છે – એ વિષયનાં ંહોય, તે છતાં પણ મોટા ભાગે એ (વિકલાંગ ન હોય એવી) સ્ત્રીઓ – જેમના વિશે રિસર્ચ અને એનેલિસિસ થતાં હોય એમને – નિશાન બનાવતાં નથી. સ્ત્રીઓના દમન પર થનારાં પૃથક્કરણો જાતે જ એ વિરોધના સ્વીકારનો એક રસ્તો બની જાય છે. નારીવાદી લખાણે વિકલાંગ શરીરને ‘વ્યક્તિગત એ જ રાજકીય’ સંદર્ભમાં મૂકવાની જરૂર છે. આ રીતે વિકલાંગ સ્ત્રીઓને તેઓનાં પોતાનાં શરીરનો ઇન્કાર કરવાની પરિસ્થિતિઓમાં પરાણે મુકાવું નહીં પડે, અને સક્ષમ શરીરો ધરાવનારી દુનિયાની ‘સામાન્ય’ વ્યક્તિ વિશેની જે દૃષ્ટિ છે, એની સાથે કબૂલ નહીં થવું પડે. એન્કાઉન્ટર્સ વિથ ધ સ્ટ્રેન્જર્સમાંથી લિઝ ક્રોને ટાંકતાં મોરિસ નીચે મુજબની જરૂરિયાતો પર ધ્યાન દોરે છે :

આપણી રાજનીતિમાં ક્ષતિના અનુભવને ફરીથી સ્થાન આપવું. આપણા શરીરના અને આપણા મનના અંગત અનુભવો વિશે આપણે જ લખવાની, રિસર્ચ અને એનૅલિસિસ કરવાની જરૂર છે; કારણ કે જો આપણે આપણી પોતાની વ્યાખ્યાઓ અને દૃષ્ટિકોણો લાદીશું નહીં તો વિકલાંગ ન હોય એવી દુનિયા આપણા માટે બધું એવી રીતે કરતી રહેશે, જે આપણને એકલા પાડી દેશે અને આપણી શક્તિ હણી લેશે. અમુક લોકોએ આ પરિસ્થિતિની સામે વિરોધ કરવા માટે એમ પણ કહ્યું છે કે ક્ષતિ વિશે રાજકીય દૃષ્ટિએ કહેવા જેવું કશું જ નથી – ક્ષતિ એક એવા વિશ્વની માલિકીની છે કે જ્યાં દરેક વ્યક્તિ ભિન્ન છે અને દરેક વ્યક્તિના અનુભવોમાં એટલી બધી ભિન્નતા છે કે માંડમાંડ અમુક જ સામ્યો દર્શાવી શકાય. અમુક અંશે આ વાત, સ્ત્રીઓના બાળકને જન્મ આપવાના વ્યક્તિગત અને અંગત અનુભવનું ઉદાહરણ આપીને, કરી શકાય; જેમ કે આપણા ડૉક્ટરો સાથેના જુદાજુદા અનુભવો, મિડવાઈફના કામ અને કૌશલ્યને માન્યતા આપવાનો અભાવ અને આપણે કઈ રીતે બાળકને જન્મ આપવો છે એ વિશેના સ્વાતંત્ર્યનો નકાર, દુખાવાનો સ્વીકાર કરવા બાબતે વ્યાવસાયિક દાદાગીરી અને દુખાવાના નિયમન જેવી બાબતો માટે કોઈ રાજકીય માગણી ન કરવાની હોય. જો આપણે આપણા શરીરના અનુભવોની વાત નહીં કરીએ તો આપણા વતી એ વાત બીજા કરશે.(મોરિસ ૧૯૯૮, ૧૫.)

અમુક સામાજિક નમૂના બનાવનારાઓ આવી બાબતોની ટીકા કરતાં કહે છે કે આ બાબતો વિકલાંગ ન હોય એવા લોકોને વિકલાંગ લોકોની દયા ખાવા માટે પ્રેરે છે. બીજા (મોટા ભાગે, સિદ્ધાંત ઘડનારા પુરુષો) કે આવી બાબતોને કારણે સમાજ બદલવાની લડાઈ તરફથી ધ્યાન બીજે દોરાઈ જાય છે. (વેન્ડેલ, ૭૩.) આ બેધારી વિચારધારા જાહેર જનતા / રાજકીયને ખાનગી / અંગતથી જુદાં પાડી દે છે. પણ મોરિસ વિરોધપૂર્વક કહે છે કે અંગત વિષયને ‘સ્ત્રૈણ’ (ફેમિનાઇન) ગણવામાં આવે છે, માટે એને નજરઅંદાજ કરવામાં આવે છે, અને આ વિભાજિત વિષયોને ફરી પાછા ભેગા કરવાની મથામણપૂર્વક દલીલ કરે છે કે વ્યક્તિગત જિંદગીઓનું મૂલ્ય સમજવા માટે અંગત અવાજો સાંભળવા જરૂરી છે, અને “વ્યક્તિગત એ જ રાજનૈતિક” એ વાત “જાહેર નીતિઓ અંગત અનુભવો મુજબ જ ઘડાવી જોઈએ” એ મુદ્દા પર આધારિત છે.[13] મોરિસ ભારપૂર્વક કહે છે કે ડિસેબિલિટી સ્ટડીઝમાં આ મુદ્દાઓનો સમાવેશ થવો જ જોઈએ. સુઝન વેન્ડેલ મોરિસની વાતનો પડઘો પાડતાં કહે છે કે ભલે વિકલાંગ લોકો વિભિન્ન હોય અને અમુક લોકો ભલે “બીજા વિકલાંગતા ધરાવનારાઓ સાથે એકાત્મતા ન અનુભવતા હોય અથવા વિકલાંગતા વિશે સમાન માન્યતા ન ધરાવતા હોય”, પણ તે છતાંય વિકલાંગતા સાથે જીવતા હોય, તેઓ પણ વિકલાંગતા ન ધરાવનારા લોકો કરતાં જુદા સામાજિક અનુભવો ધરાવતા હોય જ છે. વિકલાંગ સ્ત્રીઓ પાસે જે અર્થપૂર્ણ જ્ઞાન છે, અને વિકલાંગ ન હોય એવી સંસ્કૃતિ દ્વારા જેનો અનાદર કરવામાં આવ્યો છે અને એને દબાવી દેવામાં આવ્યું છે, એનો વધુ વિકાસ કરવો જોઈએ અને એને સુસ્પષ્ટ બનાવવું જોઈએ. (મોરિસ, ૧૯૯૧, ૧૮૩; પીટર્સ, ૨૨૭.) વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓના મુદ્દાઓ પરિચિત તત્ત્વજ્ઞાનનાં દર્શનો પર પ્રકાશ પાડી શકે છે; જેમ કે વિકલાંગતાની નારીવાદી જ્ઞાનમીમાંસા ઉત્સાહ પ્રેરી શકે માહિતી પૂરી પાડી શકે અને સૌથી વધુ તો સશક્તિકરણ કરી શકે. તદુપરાંત, વેન્ડેલ એમ પણ દર્શાવે છે કે વિકલાંગતા ન ધરાવનાર શરીર જે ધારણાઓ કરે છે, એ મુજબ જ શરીર વિશેની માન્યતાઓ ઘડાય છે, એટલે કે શરીર માટેની મોટા ભાગની માન્યતાઓ, વિકલાંગ વ્યક્તિઓના અનુભવોનો સમાવેશ કરવાથી, સમૃદ્ધ બનશે. એક વર્ચસ્વધારી માન્યતા સામે પણ એ વિરોધ કરતો મુદ્દો ઉઠાવે છે કે કોઈ એક વ્યક્તિની વિકલાંગતા શારીરિક અથવા બાયોલોજિકલ હોય છે અને સમાજ એને ધ્યાનમાં લે એ પહેલાંથી જ એ ‘ત્યાં’ હોય જ છે. આવી માન્યતાઓ લોકોને એ પૂછવા તરફ દોરતી નથી કે સામાન્ય રીતે જે ગોઠવણ કરવામાં આવે છે, એ કેમ એ જ રીતે કરવામાં આવે છે અને શા માટે સાધનસંપત્તિના સ્રોતોને અમુક ચોક્કસ રીતે વહેંચવામાં આવે છે કે જેથી ચોક્કસ વિકલાંગતાઓ સર્જાય છે. એ ભારપૂર્વક કહે છે કે જીવવૈજ્ઞાનિક અને સામાજિક ક્રિયા-પ્રતિક્રિયાઓ જ વિકલાંગતાનું સર્જન કરે છે. જ્યારે એની તુલનામાં લોકોની ક્ષમતા તેઓની આસપાસના વિવિધ વાતાવરણમાં રહેલા સ્રોતો પર આધારિત છે, જે તેઓને પોતાના માટે કાર્ય કરવામાં અને તકો વિકસાવવામાં મદદરૂપ થાય છે. ત્યાર બાદ, ડિસેબિલિટી સ્ટડીઝના ઊગતા ક્ષેત્રમાં અમુક જાણીતા વિચારો સાથે તેઓ ખાસ કરીને સહમત થાય છે કેવિકલાંગતા સાથે જિવાતી જિંદગીઓ પણ જીવવા જેવી હોય છે. એમની સૌથી વધુ ઉત્તેજક અને અલંકૃત સૂક્ષ્મ દૃષ્ટિ “શરીરથી ઉપર ઊઠવા” વિશેની છે, જે “મર્યાદાઓને અતિક્રમવાનું” એકમાત્ર પગલું છે. શારીરિક વિકલાંગતા ધરાવનારા લોકો કેવી રીતે અને શા માટે માત્ર તેઓનાં શરીરથી જ ઓળખાવાનો વિરોધ કરે છે, એનું તેમણે ઊંડાણપૂર્વક પૃથક્કરણ કર્યું છે – તેઓ કઈ રીતે “તેમના પર્યાયો કેટલા ઓછા છે, એ વિશે વિચારે છે; નહીં કે જે પણ પર્યાયો ઉપલબ્ધ હોય છે, એનાથી એમને સંતોષ હોય છે.” (વેન્ડેલ, ૧૯૯૬.) એમના કહેવા મુજબ પોતાના શરીર પરનો કાબૂ પુરુષો અને પિતૃસત્તાક સંસ્કૃતિ પાસેથી લડીને પાછો મેળવી શકાય છે, પોતાના શરીરનો આનંદપૂર્વક અનુભવ કરીને આમ પોતાની ભૌતિક જાત સાથે એકાકાર થવાનું અનુભવી શકાય છે, એમ જ્યારે સ્ત્રીઓ વિચારતી થાય ત્યારે નારીવાદ અવાસ્તવિક અને ગેરમાર્ગે દોરનારો બને છે. અનીતા સિલ્વર્સ અંગુલિનિર્દેશ કરે છે કે “આવી ધારણાઓ શારીરિક પીડાઓનો અનાદર કરે છે, જેનું ઉન્મૂલન ન થઈ શકે; વધુ આઘાતજનક બાબત તો એ છે કે ચૈતન્ય અને શરીર વચ્ચેના દ્વૈતવાદી સંબંધ દર્શાવતી વ્યાપક દલીલનો એ છેદ ઉડાડી મૂકે છે.” (સિલ્વર્સ, www, ૭.) વિકલાંગતાને આ રીતે ધ્યાનમાં લેવામાં આવે તો નારીવાદીઓએ શરીરથી ઉપર ઊઠવાની બધી જ ધારણાઓના નકાર વિશે પુનર્વિચાર કરવો પડશે. આ પરથી એમ કહી શકાય કે નારીવાદની શરૂઆત જ શરીરથી ઉપર ઊઠવાની ધારણાથી થાય છે. દા. ત., મેરી વોલ્સ્ટોનક્રાફ્ટ અને અન્યો. સારસંભાળનું નારીવાદી નીતિશાસ્ત્ર પણ વિકલાંગ નારીવાદી અભ્યાસીઓની સખત ટીકાનો ભોગ બન્યું છે. સારસંભાળ એ માત્ર સ્ત્રીઓની જ જવાબદારી છે, એ સૂચનનો જ તેઓ વિરોધ કરે છે. તેઓ માને છે કે આ દૃષ્ટિ, સારસંભાળને સ્ત્રી-ઉચિત લક્ષણ તરીકે જોઈને એની પ્રશંસા કરવા તરફ તાકે છે, જે કારણે વિકલાંગ સ્ત્રીઓ અને વિકલાંગ ન હોય એવી સ્ત્રીઓ વચ્ચેનો અન્યોન્ય સંતુલિત સંબંધ માત્ર ખોરવાઈ નથી જતો, પણ વિકલાંગતા ધરાવતી સ્ત્રીઓને નિષ્ક્રિય અને લાચાર ચીતરવામાં આવે છે. સિલ્વર્સ સમજાવે છે કે “સમાનતાના નૈતિક સિદ્ધાંતોને સારસંભાળના સિદ્ધાંત વડે બદલીને પિતૃસત્તાક વ્યવસ્થાઓને જીતવાનું તો દૂર રહ્યું, આ તો વધુ જુલમી પૈતૃક શાસનવાદનો ભય ઊભો કરે છે.” (સિલ્વર્સ, એ જ લખાણમાંથી.) સારસંભાળ લેવાની જવાબદારી માનવમાત્રની છે એમ આપણે દલીલ કરી શકીએ. અહીં માત્ર એક જ વાતનો ભય છે કે તેઓ સારસંભાળના નારીવાદી નૈતિક સિદ્ધાંતોને માત્ર વિકલાંગ વ્યક્તિઓની સારસંભાળ પૂરતા જ સીમિત કરી રહ્યા છે. બીજો વખોડવા-લાયક નારીવાદ સિદ્ધાંત ઉદાર વિચારસરણીનો છે, જે સ્વાયત્તતા અને સ્વાતંત્ર્યને સશક્તિકરણ સાથે સરખાવે છે. અહીં એક ચિંતાની લાગણી અનુભવાય છે – આમાં વિકલાંગ સ્ત્રીઓના શરીરની જરૂરિયાતો અને અનુકૂલન માટે કોઈ જગ્યા છોડવામાં આવતી નથી; જોકે આ બંને મુદ્દા જ ચર્ચા કરવાયોગ્ય છે. સાક્ષરોની સક્રિયપણે કામ કરવાની નીતિની દૃષ્ટિથી જોઈએ તો તેઓએ નારીવાદે ડિસેબિલિટી સ્ટડીઝને વિવિધ અભ્યાસક્રમો સાથે સાંકળી લેવાની હિમાયત કરવાની જરૂર છે – જેમ કે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, કાયદાશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, સાહિત્ય, લલિતકળા, રચનાશાસ્ત્ર, આંતરરાષ્ટ્રીય અભ્યાસ, સંસ્કૃતિ અને પ્રસારમાધ્યમો-વિષયક અભ્યાસ, કમ્યુનિકેશન્સ-વિષયક અભ્યાસ અને સાહિત્યિક વિભાવનાઓના અભ્યાસમાં એનો સમાવેશ કરી દેવો જરૂરી છે. આમ કરવાથી આપણા અભ્યાસક્રમોમાં જ ઊંડા ઊતરીને વિવિધ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે. ઉદાહરણ તરીકે વિકલાંગોના હક્કો માટેની ચળવળનો ઇતિહાસ, સ્ત્રીઓનો ઇતિહાસ, વિકલાંગ સ્ત્રીઓનાં જીવન અને તેઓની કળાકૃતિઓ, તેઓ દ્વારા લખાયેલ પુસ્તકો, બૌદ્ધિક મિલકત માટેનાં હક્કો વિશેની બાબતો, પ્રોડક્ટ ડિઝાઇન, અને ડિજિટલ ડિઝાઇન અને વિકલાંગ વ્યક્તિઓ માટેનાં સૉફ્ટવેર સાધનો, વિકલાંગ વ્યક્તિઓ વિશે અને તેઓ દ્વારા જ બનાવવામાં આવેલાં ચિત્રપટો, વગેરે વગેરે. વિકલાંગ સ્ત્રીઓએ જાતે ‘બહાર આવવું’ જરૂરી છે, જેથી કરીને તેઓની અન્યો સાથે આત્મીયતા બંધાવાની શક્યતા ઊભી થાય છે અને એકલતાની ભાવના ઓછી થઈ જાય. ‘બહાર આવવામાં’ એક પાયાનો મુદ્દો સૂચવીને કહેવામાં આવે છે કે “હું આ જ છું અને લોકોના આ સમૂહની સાથોસાથ મારી જાતને ઊભી રાખું છું.” આમ કહેવાથી આપણે એક બાબતનું ખંડન કરી શકીએ છીએ કે શરીરની રચના તો એક નિયતિ છે, પણ આપણે આપણો સ્વતંત્ર ‘અવાજ’ વિકસાવી શકીએ અને જાતિગત સ્વભાવ અને વિકલાંગતાના અનુભવને પ્રમાણીને આપણી પોતાની એક હકારાત્મક ઓળખ ઊભી કરી શકીએ. સક્ષમ અને અક્ષમની દ્વિભાજનપદ્ધતિ પર ધ્યાન આપવાથી અને એ પદ્ધતિ માત્ર આ બંને વર્ગોનાં વર્ણન અને અનુભવો પર ભાર આપવા માટે જ છે, નહીં કે પ્રતિક્રિયાઓ અને અભિગમોની સંકુલ મર્યાદાઓ વિશે સહૃદયતા દર્શાવવા માટેના અવકાશ પૂરો પાડવા માટે – આ વાત સમજી લેવાથી ‘આપણે’ અને ‘તેઓ’ જેવાં વર્ગસૂચક નામોને ઓગાળી શકાશે. આ કોયડામાંથી બહાર નીકળવા માટે આપણા આવશ્યક માનવ આંતર સંબંધો પ્રત્યેનાં જાગૃતિ અને સમજણ જરૂરી છે. નારીવાદી ફિલસૂફ કેરોલિન વ્હાઇટબેક સૂચવે છે કે -

આ પ્રકારના અભિગમના મૂળમાં, સ્વ-અન્ય સંબંધ, જે સ્વ-અન્ય પ્રતિકાર કરતાં ઘણો જુદો પડે છે, એ કલ્પન રહેલું છે (જેના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ), ઘણુંખરું કહેવાતો પશ્ચિમી વિચાર... જોકે અન્ય એટલે સ્વનો વિરોધી એમ ન ગણાતું હોવાને કારણે, સ્વનાં લક્ષણો માત્ર અન્યનાં લક્ષણોથી વિરોધી એવી વ્યવસ્થા કરવામાત્રથી બની જતાં નથી. અગણિત વિવિધ રીતે અન્ય લોકો એકબીજા જેવા જ અથવા તો ભિન્ન હોઈ શકે છે. આ સંબંધ બિલકુલ દ્વિપદી નથી હોતો, એટલે જ એને સ્વ અને અન્ય સંબંધ તરીકે વધુ સારી રીતે સમજાવી શકાય, કારણ કે સંબંધો જ, ભૂતકાળના અને હાલના વ્યાવહારિક અને ઐચ્છિક સ્વનું ઘડતર કરે છે.[14]

જેનિફર નેડેલ્સ્કી ચિંતનપૂર્વક જણાવે છે કે : “જો આપણે આપણી જાતને પૂછીએ કે કઈ બાબત લોકોને ખરેખર સ્વાયત્ત બનાવે છે, તો એનો જવાબ એ છે કે સંબંધો, નહીં કે એકલતા... સંબંધો જઝ્સ્વાયત્તતા અને અનુભવના વિકાસ માટે જરૂરી આધાર અને માર્ગદર્શન પૂરા પાડે છે.”[15]

ટિપ્પણી :

  1. ૧.૬ ટકા શહેરની વસ્તી અને ૦.૬ ટકા ગ્રામ્ય વિસ્તારોની વસ્તી સાથે (નૅશનલ ડેટા સેન્સસ, ૨૦૦૧ અને નૅશનલ સેમ્પલ સર્વે ઑર્ગેનાઇઝેશન રિપૉર્ટ, ૨૦૦૨-૨૦૦૩). ભારતમાં પ્રવર્તમાન દરનો આ અડસટ્ટો ઓછો આંકવામાં આવ્યો હોય એમ લાગે છે, કારણ કે કાર્યપદ્ધતિમાં ફરક અને અપૂરતી કેળવણી પામેલા સર્વેયરોને લીધે ડેટા સરખાવી શકાય નહીં. (કન્ટ્રી સ્ટ્રૅટિજી : ઇન્ડિયા, ૨૦૦૪-૨૦૦૮, હૅન્ડિકૅપ ઇન્ટરનૅશનલ, ઇન્ડિયા દ્વારા પ્રકાશિત – મુજબ)
  2. નોંધ લેશો કે ભારતની વસ્તી ૧ અબજથી વધારે ગણવામાં આવી છે અને પરિવાર દીઠ આશરે ૫ સભ્યો ગણવામાં આવ્યાં છે. (કન્ટ્રી સ્ટૅ્રટિજી : ઇન્ડિયા, ૨૦૦૪-૨૦૦૮, હૅન્ડિકૅપ ઇન્ટરનૅશનલ, ઇન્ડિયા દ્વારા પ્રકાશિત – મુજબ)
  3. વિકલાંગ સ્ત્રીઓ એટલે આપણે શું કહેવા માગીએ છીએ ? શારીરિક-માનસિક સાંભળવા અને જોવાની ક્ષતિઓ, જોઈ શકાય એવી અથવા અન્ય વિકલાંગતાઓ જેમાં માનસિક બીમારી ધરાવતી અને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ધરાવતી સ્ત્રીઓ, ભણવામાં નબળી અને વિવિધ લાંબો સમય ચાલનારી પરિસ્થિતિઓ, – જેવી કે ડાયાબીટીસ, હૃદય અથવા કિડનીની તકલીફો, વાઈ, એચઆઈવી / એઈડ્સ, વધારેપડતી સ્ત્રીઓને જ લગતી બીમારીઓ, જેમાં સ્તનનું કૅન્સર, વા, લુપસ, ફાઈબ્રોમાયેલ્જિયા અને ઑસ્ટિયોપોરોસિસનો સમાવેશ થાય છે. આમાં કોઈ પણ મુદ્દા, જેવા કે ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં રહેવાસ, વિકલાંગતાના પ્રકાર, કામુકતાની પસંદગી, સાંસ્કૃતિક પરિવેશ અથવા જે સમાજ કે સંસ્થામાં રહેતા હોય તેના પર ધ્યાન આપ્યા વિના જોઈએ તો અહીં દરેક ઉંમરની વિકલાંગ છોકરીઓ અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે.
    “મૅનિફેસ્ટો બાય ડિસેબલ્ડ વિમેન ઇન યુરોપ” મુજબ, જે ૪ ડિસેમ્બર, ૧૯૯૯માં યુરોપિયન પાર્લમેન્ટમાં રજૂ કરાયેલ અને યુરોપિયન ડિસેબિલિટી ફૉરમ વર્કિંગ ગ્રૂપ ઑન વિમેન ઍન્ડ ડિસેબિલિટી દ્વારા ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૭માં બ્રસેલ્સમાં અપનાવવામાં આવ્યું હતું. વિયેનામાં, ૧૯૯૦માં ડિસેબલ્ડ વિમેન પર જે (યુનાઇટેડ નૅશન્સ તરફથી) સેમિનાર યોજાયો હતો એનું જ આ પુનરાવર્તન હતું અને એમાં યુ.એન. સ્ટાન્ડર્ડ રૂલ્સ ઑન ધ ઈક્વલાઇઝેશન ઑફ ઓપોર્ચ્યુનિટીઝ ફૉર પર્સન્સ વિથ ડિસેબિલિટીઝનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું. પણ ભારતના કાયદા મુજબ, પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (ઇક્વલ ઑપોર્ચ્યુનિટીઝ, પ્રોટેક્શન ઑફ રાઇટ્સ ઍન્ડ ફુલ પાર્ટિસિપેશન) ઍક્ટ, ૧૯૯૫ હેઠળ વિકલાંગતા હેઠળ માત્ર અંધ, સીમિત જોઈ શકનાર, રક્તપિત્તથી સાજી થયેલ, બધિર, હલન-ચલન માટે અક્ષમ, મંદબુદ્ધિ અથવા માનસિક બીમારી ધરાવનાર વ્યક્તિઓનો જ સમાવેશ થાય છે. હિમોફિલિયા, ઑટિઝમ અને એઇડ્સ જેવી અન્ય દેશોમાં માન્ય વિકલાંગતાઓને આ સૂચિમાંથી બાકાત રાખવામાં આવેલ છે.
  4. ઉદાહરણ તરીકે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન અથવા ઇન્ટરનૅશનલ ક્લાસિફિકેશન ઑફ ઇમ્પેરમેન્ટ્સ, ડિસેબિલિટીઝ ઍન્ડ હૅન્ડીકૅપ્સ, WHO-ICIDH, જીનીવાના ૨૦મા પાના પર વિકલાંગતાની વ્યાખ્યા આ મુજબ છે: “કોઈ ક્ષતિના કારણે, સામાન્ય માનવી આસાનીથી કરી શકે એવી કોઈ પણ પ્રક્રિયા કરવામાં મર્યાદા નડે અથવા તો પ્રતિબંધ આવે; દા. ત., ચાલવામાં, જોવામાં, બોલવામાં, સાંભળવામાં, ગણતરી કરવામાં, ઊંચકવામાં, વાંચવામાં, લખવામાં, વગેરે. વિકલાંગતા લાંબા કે ટૂંકા સમય માટેની, કાયમી કે હંગામી, આગળ વધનારી કે ફરીથી સામાન્ય થઈ જાય એવી હોઈ શકે છે અને પરિસ્થિતિ મુજબ એની હળવી કે ઊંડી અસર થઈ શકે છે.” ક્ષતિની વ્યાખ્યા મુજબ, “શરીરના આવશ્યક ભાગ અથવા કાર્યનું કાયમી અથવા હંગામી, માનસિક, શારીરિક અથવા એનૅટોમિકલ નુકસાન અથવા અસામાન્યતા. દા.ત., અંગવિચ્છેદ, પોલિયોની અસરથી થનાર લકવો, ડાયાબીટીસ, મંદબુદ્ધિ, બધિરતા, નજીકની દૃષ્ટિને લગતી તકલીફ વગેરે.” અપંગતાની વ્યાખ્યા આ મુજબ કરવામાં આવી છે: “કોઈ વ્યક્તિના જીવનમાં અમુક સમયે જે કાર્ય કરવાની અપેક્ષા રાખવામાં આવતી હોય, એ કરવામાં નડતરરૂપ હોય (દા. ત. પોતાની જાતની દેખભાળ, પોતાના વિચારો કે સમસ્યાઓ વિશે વાતચીત કરવી, સ્વતંત્ર રીતે આર્થિક પ્રવૃત્તિ કરવી).”
    જોકે આ વ્યાખ્યાઓને, ખાસ કરીને વિકલાંગ લોકો અને એમની સંસ્થાઓ તરફથી વિશ્વવ્યાપી માન્યતા મળી નથી. “રિડિફાઇનિંગ ડિસેબિલિટી : એ ચૅલેન્જ ટુ રિસર્ચ”, ડિસેબલિંગ બૅરિયર્સ ઍન્ડ એનેબલિંગ એન્વાયર્નમેન્ટ્સ (૧૯૯૩) – લેખકો જ્હોન સ્વેઇન, વિક ફિન્કલસ્ટાઇન, સેલી ફ્રેન્ચ અને માઈક ઓલિવર (એડિટર્સ) (લંડન, કૅલિફોર્નિયા ઍન્ડ ન્યુ દિલ્હી : સેજ પબ્લિકેશન્સ, ૨૦૦૩)ના ૬૧મા પાના પર માઈક ઓલિવર લખે છે : “સક્ષમ શરીર ધરાવનારાઓની વિકલાંગતાની ધારણાઓ મુજબ આ વ્યાખ્યા ઘડાઈ હોવાની ટીકા પ્રમુખપણે કરવામાં આવી છે; અને એ જ કારણસર એ વિકલાંગ લોકોની વ્યક્તિગત હકીકતો મુજબની નથી. આમ સક્ષમ શરીર ધરાવનારાઓ અને વિકલાંગ લોકોની વ્યાખ્યાઓ વચ્ચેની આ અસમાનતા કંઈ માત્ર અર્થનિધારણ વિશેનો વિતંડાવાદ જ નથી, પણ એની અસર તો સેવાઓ પૂરી પાડવા પર પડે છે.”
  5. આ મુદ્દા પર એક કુતૂહલ પ્રેરે એવો દૃષ્ટિકોણ મેળવવા માટે વાંચો જે ઇવાન્સ, “ઇન્ફન્ટેલિઝમ, પ્રોજેક્શન ઍન્ડ નૅચરાલિઝમ ઇન ધ કન્સ્ટ્રક્શન ઑફ મેન્ટલ ડિસેબલમેન્ટ”, ઇન ધ ક્રિચર્સ ટાઇમ ફરગોટ : ફોટોગ્રાફી ઍન્ડ ડિસેબિલિટી ઇમેજરી, બાઈ ડેવિડ હેવી એટ-આલ (એડિટર્સ), (લંડન : રટલેજ).
  6. જોકે ફ્રૉઇડના સિવિલાઇઝેશન્સ ઍન્ડ ઇટ્સ ડિસકન્ટેન્ટ્સથી શરૂ કરીને યુ.કે.ના જુલિયેટ મિચેલ અને સુઝી ઓર્બાક અને યુ.એસ.એ.ના નેન્સી ચોડોરો અને જેસિકા બેન્જામિન જેવા લેખકોનું કામ તપાસીએ તો, ધરમૂળથી ફેરફારો કરવામાં માનનારા અમુક મનોવિશ્લેષકો દલીલ કરે છે કે સામાજિક દમનમાંથી જ ઘણીબધી માનસિક બીમારીઓ જન્મે છે.
  7. માઈકલ ઓલિવરનો વિચાર. માઇક ઓલિવર, સોશિયલ વર્ક વિથ ડિસેબલ્ડ પિપલ (લંડન : મૅકમિલન, ૧૯૮૩) વાંચો.
  8. કે. ડવી ઍન્ડ જે. ગ્રેફેમ, “ધ એક્સપિરીયન્સ ઑફ ડિસેબિલિટી : સોશિયલ કન્સ્ટ્રક્શન ઍન્ડ ઇમ્પોઝ્ડ લિમિટેશન”, ઇન્ટિમેટ એન્કાઉન્ટર્સ પ્રદર્શન માટે લખાયેલ “ઍન એસે ઑન બૉડી ઇમેજ”માં જ્યૉર્જ ટેલ્પોરસ ટાંકે છે.
  9. ધ રિજેક્ટેડ બૉડી : ફેમિનિસ્ટ ફિલૉસોફિકલ રિફ્લેક્શન્સ ઑન ડિસેબિલિટી(૮૮)માં, સુઝન વેન્ડેલ “ધ ડિસિપ્લિન્સ ઑફ નૉર્માલિટી”-માં લખે છે: આ એવી માનસિક તાલીમની વાત છે, “જે આપણી પાસેથી શારીરિક સર્વસામાન્યતાઓની બરાબરી કરવાની, આપણા શરીરને ઑબ્જેક્ટિફાઇ કરવાની અને એના પર નિયંત્રણ રાખવાની માગ રાખે છે. આપણાં શરીર એ સામાજિક સર્વસામાન્યતાઓથી જેટલાં વધુ દૂર હોય, એટલું વધુ અસ્વસ્થ આપણું સામાજિક સ્થાન હોય. આ સર્વસામાન્યતાઓ આપણી – પોતાની અને એકબીજાની – કિંમત નક્કી કરે. – આપણે એ મુજબ અભિપ્રાયો બાંધીએ.” ગ્રેમ્સીએ પ્રાધાન્યનો સિદ્ધાંત વાપરીને એક એવી પરિસ્થિતિનું વર્ણન કર્યું છે કે જ્યાં સમાજમાં એક ચુનંદા સમૂહની યોગ્યતાઓને મુખ્ય ગણવામાં આવે અને તેઓ એક સર્વવ્યાપી વૃત્તિ દ્વારા પોતાના જ રસના વિષયોને આગળ કરીને અન્યને ગૌણ બનાવી દે.
  10. એક રસપ્રદ નિબંધ “વિમેન, જેન્ડર ઍન્ડ ડિસેબિલિટી : હિસ્ટોરિકલ ઍન્ડ કન્ટેમ્પરરી ઇન્ટરસેક્શન્સ ઑફ અધરનેસ” www.academyanalyticarts.org / perrywhiteside.htm. ૬માં ડેલા પેરી અને રૂથ કેસ્ઝીઆ નોંધે છે કે ડૉ. ડેનિયલ બ્રોવર અને ડૉ. હેન્રી બેનિસ્ટર દ્વારા લખાયેલ એક એકૅડેમિક મેડિકલ પ્રકાશન, જે ૧૯૦૨માં છપાયું’તું, એમાં “એ પ્રૅક્ટિકલ જેન્યુઅલ ઑફ ઇન્સેનિટી ફૉર ધ મેડિકલ સ્ટુડન્ટ ઍન્ડ જનરલ પ્રૅક્ટીશનર”માં આ પ્રકારની કેટલીક બીબાઢાળ મનોવૃત્તિઓ જોવા મળે છે.
  11. ડીપીઆઈ – ઇન્ડિયા સાથે NCPEDP અને રાજસ્થાન સરકાર દ્વારા આયોજિત નૅશનલ કૉન્ફરન્સ ઑન એમ્પાવરમેન્ટ ઍન્ડ મેઈનસ્ટ્રીમિંગ ઑફ વિમેન વિથ ડિસેબિલિટીઝમાં ભારતના દરેક ભાગમાંથી વિકલાંગ સ્ત્રીઓ, વિકલાંગ પુરુષો, માતા-પિતા અને વ્યાવસાયિકોએ જે ૧૬ મુદ્દાનો ઉકેલ કાઢ્યો હતો એ વાંચો.
  12. www.Laura Hershey@compuserve.com પર લોરા હર્શી, ઍન ઇન્ટરવ્યૂ વિથ ડૉ. અનીતા ઘાઈ, વન ઑફ ઇન્ડિયાઝ ઍડવોકેટ્સ ફૉર રાઇટ્સ ઑફ ડિસેબલ્ડ વિમેન વાંચો.
  13. ફિન્કલસ્ટાઇન ભારપૂર્વક જણાવે છે કે “ભેદભાવના અનુભવને સમજવાનો પ્રયત્ન કરવો એ તો માત્ર દમનની વાતને સોશિયલ મૉડલની પરિભાષામાં જોવા જેવું જ છે.”. “ધ ડિસેબિલિટી મૉડેલ હૅઝ રન આઉટ ઑફ સ્ટીમ”, ડિસેબિલીટી નાઉ, ફેબ્રુઆરી ૧૯૯૬, પૃષ્ઠ ૧૧ પર વિ. ફિન્કલસ્ટાઇનને વાંચો.
  14. www.academyanalyticarts.org/perrywhiteside.htm, ૮ પર ડેલા પેરી અને રૂથ કેસ્ઝીઆ વ્હાઈટસાઇડ દ્વારા “વિમેન, જેન્ડર ઍન્ડ ડિસેબિલિટી : હિસ્ટોરિકલ ઍન્ડ કોન્ટમ્પરેરી ઈન્ટરસેક્શન્સ ઑફ ‘અધરનેસ”’માં ટાંકવામાં આવેલ છે.
  15. www.metafuture-org / articlesbycolleagues / Jen-niferfitzgerald / Bioethics, ૧૧ પર “બાયોએથિક્સ, ડિસેબિલિટી ઍન્ડ ડેથ : અનકવરિંગ કલ્ચરલ બાયસ ઇન ધ યુથેનેશિયા ડિબેટ”માં જેનિફર ફિટ્ઝજેરાલ્ડે ટાંકેલ છે.

Works Cited
Alur, Mithu, “Inclusion in the Indian Context,” Hu-manscape, july 2001.
Crow, L.(1996) “Including All of Our Lives : Renewing the Social Model of Disability” In C. Barnes snd G. Mercer (eds.), Exploring the Divide : Illness and Disability. Leeds : The Disability Press.
Davis, L. J., The Disability Studies Reader. New York : Routledge, 1997.
Dovey, K. and Graffam, j., છThe Experience of Disability: Socia Con-struction and Imposed Limitationઝ. Quoted by George Talporos in છAn Essay on Body Imageઝ written for the exhibition In-timate. Encounters.
Elwan, Anne, છPoverty and Disability: Background Paper for the World Development Report, World Bankઝ. New York: World Bank, 1999.
Evans, J., છInfantalism, Projection and Naturalism in the Construction of Mental Disablementઝ. In David Hevey et al. (eds.), The Creatures Time Forgot: Photography and Disability
Imagery. London: Routledge.
Fine, Michelle and Adrienne Asch (eds.), Women with Disabilitie : Es-says in Psychology, Culture and Politics. Philadelphia: Temple University Press, 1988.
Finkelstein, V., છThe Disability Movement Has Run out of Steamઝ.Disability Now, February 1996.
Fitzgerald, Jennifer. છBioethies, Disability and Death: Uncovering Cultural Bias in the Euthanasia Debates.
ww.metafuhire.org/articlesbycolleagues/JenniferFitzgerald/Bio ethics.
Foucault, Michel, Discipline and Punish: T]ie Birth of the Prison. Trans, Alan M. Sheridan-Smith. New York: Vintage Books, 1979.
Freire, Pauio, Pedagogy of the Oppressed. London: Penguin, 1993.
Garland-Thomson, RoseMarie, છRe-shaping, Re-thinking, Re-defining: Feminist Disability Studiesઝ. Barbara Waxman Fi-duccia Papers on Women and Girls with Disabilities: Center for Women Policy Studies. Washington: Women Policy Studies, 2001.
Ghosh, Deepshikha, છક્કDisabilityક્ક Muddle Disables Census Staffઝ.Equity, Vol. 3, Issue 4, January 2001.
Goffman, Erving, Stigma. New York: Simon & Schuster, 1963.
Government of India, Planning Commissionક્કs Encyclopaedia of
Social Work, Vol. II. New Delhi: Government of India, 1968
Grant, Judith, Fundamental Feminism: Contesting the Core Concepts of Feminist Theory. New York: Routledge, 1993.
Handicap International, Country Strategy: India. New Delhi: Handicap International, 2004-2008.
Herndl, Diane Price and Robyn Warhol, Feminisms, 2nd ed. New-Brunswick: Rutgers University Press, 1997.
Hershey, Laura, છAn Interview with Dr. Anita Ghai, One of Indiaક્કs Advocates for Rights of Disabled Womenઝ. Laura Hersheyડ્ડ co mpuaer ve.com
Mani, Rama, Physically Handicapped in India. New Delhi: Ashish-Publishing House, 1988.
“Manifesto by Disabled Women in Europe”: Recommendations from the United Nation’s Experts Seminar on Disabled Women in
Vienna 1990, and a Manifestation of the UN Standard Rules on the Equalisation of Opportunities for Persons with Disabilities. Brussels: European Disability Forum Working Group on Women and Disability, February 1997.
Morris, Jenny, Pride against Prejudice: Transforming Attitudes to Disability. London: The Women’s Press, 1991.
—, “Feminism, Gender and Disability.” Paper at a seminar in Sydney, February, 1998. http: //www.leeds.ac.uk/disability-studie s/archiveuk/morris/gender
Oliver, Michael, Social Work with Disabled People. London: Macmil-lan, 1983.
—, “Redefining Disability: A Challenge to Research”. In JohnSwain, Viec Finkelstein, Sally French and Mike Oliver (eds.), Disabling Barriers and Enabling Environments. London, California and New Delhi: Sage Publications, 2003.
Olkin, Rhoda, What Psychotherapists should Know about Disability. New York: The Guilford Press, 1999.
Onial, Devyani, “Census Miracle: How the Disabled have Disap-peared”. Equity, Vol. 3, Issue 4, January 2001.
Paterson, K. and Hughes B., “Disability Studies and Phenomenology: The Carnal Politics of Everyday Life”. Disability and Society, Vol. 14 (5): 597-610.
Perry, Delia and Ruth Keszia Whiteside, “Women, Gender and Disa-bility : Historical and Contemporary Intersections of Other-ness”, www.academyanalyticarts.org/perrywhiteside.htm
Peters, 5., “The Politics of Disabled Identity”. In L. Barton (ed.), Disa-bility and Society: Emerging Issues and Insights. Longman: 1996
Schildmann, Ulrike, Lecture: “What is Normal? Normality, Disabil-ity-Gender”. Women’s World 1999: The 7th International Inter-disciplinary Congress on Women. Tromso, Norway: June 20-26, 1999.
Shakespeare, Tom, “Cultural Representations of Disabled People: Dustbins for Disavowal?” Disability and Society. London : Cas-sell, 1994.
Silvers, Anita, ; Review. Susan Wendell”s The Rejected Body: Feminist Philosophical Reflections on Disability, http://www.apa.udel.edu/ apa/archive/newsletters/v9 7n2/medicine/
—, “Reconciling Equality to Difference: Caring (f)or Justice for People with Disabilities”. Hypatia 10, no. 1, Winter, 1995.
Thomson, R. G., “Feminist Theory, the Body and the Disabled Figure”. In L. J. Davis (ed.), The Disability Studies Reader. New York; Lon-don: Routledge, 1997.
Wendell, Susan, The Rejected Body: Feminist Philosophical Reflections on Disability. New York: Routledge, 1996.
World Health Organization, World Health Organisation or Interna-tional Classification of Impairments, Disabilities and Handicaps. Geneva: WHO-ICIDH, 1980.