નારીવાદ: પુનર્વિચાર/I – પુનર્રચના
પુનર્રચના
પુન: સ્પષ્ટીકરણની આપણી પ્રક્રિયાનું પ્રથમ ચરણ પુનર્રચના છે અને એમાં મૂળભૂત વલણોને વિધિસર પ્રશ્નો કરીને, એનું અર્થપૂર્ણ પુન: નિવેદન કરવાનો સમાવેશ થાય છે. બદલાતા સંદર્ભો સાથે, પ્રવર્તમાન પરિમાણોની નિષ્પક્ષ પુન: સમીક્ષા કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ મહત્ત્વપૂર્ણ છે. પરિસ્થિતિ બદલવાનો આ વિચાર મહત્ત્વનો છે, કારણ કે એનાથી માત્ર વિધિસરના પ્રશ્નો કે વિરોધ જ નથી થતા, પરંતુ વિધેયાત્મક સક્રિયતા પણ આવે છે. અહીં સ્વ થકી વિશ્વ માટેના દૃષ્ટિકોણો સક્રિય બને છે. અમારા આ સંગ્રહમાં ચાર વિભિન્ન રીતો વડે પુનર્રચના થઈ છે. ભારતમાં નારીવાદના સામે, વિદ્યા બાલ પોતાના લેખમાં, એક નારીવાદી તરીકેના સ્વાનુભવ રજૂ કરે છે. એમનો માર્ગ “વ્યક્તિગત એ જ રાજનૈતિક”થી શરૂ કરીને “સ્ત્રી-હકો એ માનવહકો” સુધી જઈને પછી “નારીવાદ એક જીવનશૈલી છે” જેવી માન્યતાની પરાકાષ્ઠાએ પહોંચવાનો છે. શિલ્પા દાસ, ખાસ કરીને સ્ત્રીઓની અક્ષમતાઓ પ્રત્યેના પ્રવર્તમાન દૃષ્ટિકોણોને વિધિસરના પ્રશ્નો કરીને વ્યક્તિગત – રાજનૈતિક જેવી ભિન્ન દિશાઓથી શરૂ કરીને એક બિંદુ તરફ લઈ જાય છે. સામાન્યતા અને અક્ષમતાના સામાજિક ઘડતર તેમ જ આ વિષય પરનાં ભારતીય નારીવાદી વિવરણોમાં જે મૌન સેવાઈ રહ્યું છે એને આ લેખમાં વિધિસરના પ્રશ્નો કરવામાં આવ્યા છે. શિલ્પા દાસે જે એકૅડેમિક – ઍક્ટિવિસ્ટ જોડાણનો પ્રયત્ન કર્યો છે, એને ઇલા પાઠક ઍક્ટિવિસ્ટ – સોશિયો-પૉલિટિકલ ચર્ચા તરફ આગળ વધારે છે. ઇલા પાઠકે એમના લેખમાં, અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ– “અવાજ”(AWAG)ની પ્રવૃત્તિઓ પર ગાંધીવાદ અને નારીવાદની પડતી અસરોની આકારણી કરી છે. નારીવાદી પ્રવૃત્તિઓના ફાળાને વિસ્તારીને વિભૂતિ પટેલ કાર્યસ્થળે થનારી જાતીય સતામણીને ઉઘાડી પાડીને જાહેરમાં થનારી સ્ત્રીઓની સતામણી વિશેની ખોટી માન્યતાઓનો પર્દાફાશ કરે છે. વિધેયાત્મક પ્રવૃત્તિની વિભાવના વડે ભવિષ્ય પર નજર નાંખનારી WDC(વિમેન્સ ડેવલપમેન્ટ સેલ્સ)ની ભૂમિકા અને કાર્ય વિશેની એમની ચર્ચા આ સંગ્રહના પુનર્રચનાના માળખાને એક સુઘડ નિષ્કર્ષ પૂરો પાડે છે. યોગાનુયોગે, અમારી રિ-ડિફાઇનિંગ ફેમિનિઝમ્સની નૅશનલ કૉન્ફરન્સના પહેલા જ દિવસે ગુજરાત યુનિવર્સિટીના WDCનું ઉદ્ઘાટન થયું હતું અને ત્યાં આ પેપરને એના મુખ્ય સૂર તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.