નિરંજન/૩૯. બદનામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૯. બદનામ

``ભયંકર! ``નિર્લજ્જતા! ``ધૂર્તતા! એવા એવા અર્થના અંગ્રેજી ઉદ્ગારોએ વિદ્યાલયનું મકાન ગજવી મૂક્યું. લાંબી મૂછોવાળા પ્રોફેસરો તેમ જ મૂછો વિનાના, સર્વ મળી સામસામા હેરત બતાવવા લાગ્યા. તેઓના પુણ્યપ્રકોપનો જુસ્સો જ્વાળામુખી ફાટીને પછી રસ ઝરે તેમ ડહાપણના અગ્નિરસને રેલવવા લાગ્યો. ``જુવાનોનું નખ્ખોદ વળી જશે. ``હું નહોતો કહેતો? ``મેં તો ધારી જ મૂક્યું હતું. ``આટલા માટે તો અમે ડરીને વિદ્યાર્થીઓથી વેગળા રહીએ છીએ. ``આ ગંદવાડો અહીં ન ચલાવી લેવાય. ``પ્રિન્સિપાલને કહેવું જોઈએ. ``પોલીસકેસ થઈ શકે તો તે પણ કરાવવો જોઈએ. ``હવે ભાઈ છોડોને! એવી વાતની લાંબી ચોળાચોળ શી! – આમ આગ ઓલવનારા અવાજો પણ ઊઠ્યા. પણ એ અવાજોને આગ શોષી ગઈ. વાત પ્રિન્સિપાલ પાસે ગઈ; પ્રિન્સિપાલે લાલવાણીને તેડાવ્યો, પૂછ્યું: ``ડર રાખશો નહીં. શી વાત છે તે કહો. લાલવાણીના હૃદય ઉપર બદનામીનો ભાર હતો. અપકીર્તિની બીક ઉચ્ચ આત્માઓને પણ પછાડે છે. એ યુવાને પોતાની ચોગમ વાઘ-વરુ ઘેરી વળ્યાં જોયાં; ને આ બધાં પશુઓની વચ્ચે પોતાને લઈ જનાર નિરંજન જ હતો, એવું એણે પોતાના મનને સુધ્ધાં મનાવ્યું હતું. સ્નેહનું મીઠું ઝરણું આ અપકીર્તિના સળગતા તાપથી સુકાઈ ગયું, ને તેની નીચેથી ભોરિંગો ઊઠ્યા. લાલવાણીને બીજી કશી જ ગમ ન રહી, એણે પોતાની જ સલામતી શોધી. એણે કહ્યું: ``હવે મને એમ ભાસે છે ખરું કે નિરંજનની મારા પરની મૃદુતા જો આંહીં જ ન રોકી દેવાઈ હોત તો કદાચ પાપમાં પરિણમી જાત. તે વખતે મને મારી નિર્દોષતાને લીધે આવું કશું ભાન નહોતું. પ્રિન્સિપાલે નિરંજનને તેડાવ્યો, પૂછ્યું. નિરંજને કશું ન છુપાવ્યું; જીવનમાં પ્રથમ વારનો થયેલો આ માનસિક અનુભવ, પહેલી જ વાર નજરે પડેલો આ મનોભાવનો પ્રદેશ, એના હિસાબે તો ભવ્ય બાનીમાં રજૂ કરવા જેવો હતો. પ્રિન્સિપાલ સામે એ જ્યારે બોલી રહ્યો હતો, ત્યારે એને થતું હતું કે પોતે કોઈ કલાકાર બનીને સૂર્યાસ્તનું ચિત્ર દોરતો હતો. ``હું પોતે તો, પ્રિન્સિપાલે કહ્યું, ``આમાંની કેટલીક વસ્તુ સમજી શકું છું. પણ દુર્ભાગ્યે આંહીંના વહીવટી વાતાવરણમાં, ને કાયદાના વિચિત્ર વલણની સામે, આ વાતને કેવળ કવિતામય ગણી હું ચૂપ ન રહી શકું. ``તો આપ શું કહો છો? ``હું તમને જ પૂછું છું. તમે `ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી' સામે ઊભવા માગો છો? કે ચુપચાપ રાજીનામા પર ઊતરી જવા માગો છો? ``મારે નિર્દોષ કોની પાસે ઠરવું છે? કોણ મારી મનોભૂમિકામાં પ્રવેશી શકશે? હું કોને, અને કઈ ભાષામાં સમજાવીશ? ઊલટાનો કાદવ ઊખળશે. અને મને અપરાધ ચડાવનાર જો લાલવાણી પોતે જ હોય, તો પછી મારે નિરપરાધી થવાની પણ શી તમા હોવી જોઈએ? એ કરતાં તો એ પ્રિયની રમ્ય નાની પ્રતિમાને મારા અંતરની કરી, એક ખૂણામાં અખંડિત લઈને જ હું કાં ન ચાલી નીકળું? ને જે વાત મારા પણ શાસન બહારની છે, મને પણ અગમ્ય કોઈ અતલ મન:પ્રદેશની છે, તેને અવનીનાં નેત્રો સામે હું ઉઘાડી પણ કઈ રીતે કરી શકીશ? ચુપચાપ એણે સામાજિક ફાંસીની કાળી ટોપી પહેરી લીધી. સાંજ પડી ત્યારે હોસ્ટેલની `ફેલો-રૂમ' ખાલી હતી, ને નિરંજનને ખતમ કરનાર વિરોધી ત્યાં નિશાચર જેવો લપાતો-છુપાતો કબાટો તપાસતો હતો; ટપાલનાં ફોડેલાં પરબીડિયાંનો જથ્થો પડેલો, તેનાં સરનામાંના હસ્તાક્ષરો વાંચતો હતો.