નીરખ ને/બુદ્ધ અને ધ્યાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search

પરમાર્થની શોધમાં ગૃહ-ત્યાગ કરવાની ધૂન મને બાળપણથી જ લાગી હતી. એટલે સ્વાભાવિક રીતે જ ગૌતમ બુદ્ધ, શંકરાચાર્ય, સમર્થ રામદાસ જેવા મહાન પરિવ્રાજકોનું મને વિશેષ આકર્ષણ હતું. વડોદરામાં, જ્યાં મારું અધ્યયન થયું, એક બગીચામાં ભગવાન બુદ્ધની કરુણામય પ્રસન્ન મૂર્તિ રાખી હતી. એનું કેટલીયે વાર દર્શન કરતો, અને ક્યારેક એનું ધ્યાન પણ ધરતો. આખરે ૨૫ માર્ચ, ૧૯૧૬ને દિને હું ઘર છોડી નીકળી જ પડ્યો. ધમ્મપદનું મરાઠી ગદ્ય ભાષાન્તર બાળપણમાં જ મારા વાંચવામાં આવ્યું હતું. કેટલાંક વર્ષો બાદ મૂળ પાલિ ગ્રંથ પણ જોવા મળ્યો. એને માટે પાલિનો થોડો અભ્યાસ કરી લીધો હતો. એ દિવસોમાં મારું મન ગીતા અને ઉપનિષદમાં રત હતું. પણ ધમ્મપદનાં કેટલાંક વચનોની ચિત્ત ઉપર એટલી અસર રહી કે મારું પ્રથમ લખાણ ‘ઉપનિષદોનું અધ્યયન’ ધમ્મપદના એક વચનથી સમાપ્ત કર્યું. આ વાત ૧૯૨૩ના સાલની છે, જ્યારે મારી ઉંમર ૨૮ વર્ષની હતી અને મારા હૃદય અને મગજમાં વેદાન્ત-રસ ભર્યો પડ્યો હતો. એના ૨૨ વર્ષ પછી ૧૯૪૫માં ગીતાના સ્થિતપ્રજ્ઞ-દર્શન પર મેં વ્યાખ્યાન આપ્યાં; એને સમાપ્ત કરતા વેદાન્ત અને બૌદ્ધદર્શનનાં અંતિમ ધ્યેયોની એકરૂપતા બતાવવાનો મેં પ્રયત્ન કર્યો. ...આ ધમ્મપદની નવી સંહિતા વાંચીને વાચકોને પ્રતીતિ થશે કે એમાં નવી રીતે સમન્વયની વાત નથી; સમન્વય પહેલેથી મોજૂદ જ છે. એટલે કે ગૌતમ બુદ્ધે પહેલેથી જ એ કરી રાખ્યો છે. ગૌતમ બુદ્ધની પહેલાં જ્ઞાની બ્રાહ્મણો અને તપસ્વી શ્રમણોની એક પરંપરા ભારતમાં ચાલી આવી હતી. એમને માટે પૂરેપૂરો આદર જાળવી ગૌતમ બુદ્ધે પોતાના વિચારો રજૂ કર્યા છે. ‘જે સમભાવથી વર્તે છે, જે શાંત, સંયમી અને બ્રહ્મચારી છે, જેને દંડત્યાગ કરીને બધાં પ્રાણીઓને અભય પ્રદાન કર્યું છે એ બ્રાહ્મણ છે, એ શ્રમણ છે, એ ભિક્ષુ છે.’ ગૌતમ બુદ્ધના આ ઉદ્ગાર એમની નમ્ર અને સારગ્રાહી દૃષ્ટિનું પૂર્ણપણે નિદર્શન છે.

વિનોબા ભાવે



બુદ્ધ અને ધ્યાન

“In the midst of all good and evil, not a thought is aroused in the mind - this is called Za. Seeing into one’s self-nature, not being moved at all-this is called Zen. Such a way of meditation (Zazen) should be practised at all times and not just during formal sitting,” Hui Neng said. (“ઈષ્ટ અને અનિષ્ટની મધ્યે એકેય વિચાર ન ઉદ્ભવે એને ઝા કહે છે. પોતાની પ્રકૃતિમાં જોવું અને જરાય હાલવું નહીં એને ઝેન કહે છે. આ પ્રકારનું ધ્યાન – ઝાઝેન આખો વખત રહેવું જોઈએ, માત્ર વિધિસર ધ્યાન ધરવા બેસીએ ત્યારે જ નહીં” – હ્યુઈ નેંગ) ભારતના અધ્યાત્મ સંસારના દ્વન્દ્વાત્મક સ્વરૂપને પૂર્ણપણે પિછાણ્યું છે. ખ્રિસ્તી ધર્મ કે આપણા પ્રચલિત સંપ્રદાયોએ અશુભ ઉપર શુભ અને પાપ ઉપર પુણ્યની સારપ અને મહત્તાની વાતો કરી છે અને એ સંદર્ભમાં સ્વર્ગ અને નર્કની વાતો બહેલાવી છે. પણ અંતિમ અર્થમાં આપણા ભારતીય અધ્યાત્મે પાપ અને પુણ્ય અને શુભ અને અશુભ બન્નેને સરખાં જ દ્વન્દ્રાત્મક ગણ્યાં છે અને બન્નેની ઉપર જવાની વાત કરી છે. પુણ્ય કરો તો સ્વર્ગે જાઓ, પણ પાપ અને પુણ્ય બન્નેની ઉપર જાઓ તો જ મોક્ષ મળે. પશ્ચિમ મનને ફેંદી વળ્યું છે; વિજ્ઞાનના કેટલાય સીમાડાઓ પાર કર્યા છે, પણ એમનો ધર્મ શુભાશુભથી ઉપર નથી ગયો. ફ્રોઇડનું માનસજગતનું ઊંડાણભર્યું – ગતિશીલ દર્શન એ માણસજાતને એની મોટી દેણ છે. સેક્સના દમનને કારણે ઊભી થતી વિકૃતિઓ અને મનોરુગ્ણતા તરફ એમણે આપણું તીવ્રતાપૂર્વક ધ્યાન દોર્યું. ભારતમાં પણ સામાજિક સ્તરે – ખાસ કરીને વર્તમાનકાળમાં દમનનો વધારે ભોગ સ્ત્રીઓ બની અને તાણ (હિસ્ટીરિયા) જેવા રોગો અને બીજી વિકૃતિઓ એમને ગ્રસી રહી. પણ આપણું શુદ્ધ અધ્યાત્મ – આપણાં ઋષિમુનિઓની ચિંતનધારામાં કે એમના દર્શનમાં દમનનો પડછાયો સુધ્ધાં નહીં, પણ જે છે એને એ સ્વરૂપમાં જોવું એ એમની સાધના રહી. આ સંદર્ભમાં આપણને ઝેન ગુરુ Hui Nengના વિધાનની અપૂર્વતા પમાય. ભારતીય અધ્યાત્મદર્શનમાં બુદ્ધનું દર્શન વિશ્વભરનાં જિજ્ઞાસુઓને વધુ સ્વીકાર્ય રહ્યું. એમની રેશનાલિટીને બુદ્ધની વાતો વધુ જચતી લાગી. બુદ્ધે કોઈ ધર્મ, તત્ત્વજ્ઞાન કે માન્યતાનો બોધ કર્યો નહીં. એ એમના બોધને ધમ્મ કહેતા. ધમ્મ એટલે કુદરતનો નિયમ. એમણે ભારપૂર્વક કહ્યું કે તમને જે કંઈ કહેવામાં આવે કે પછી પેઢી દર પેઢી જે કહેવામાં આવ્યું હોય કે સામાન્યપણે જે માનવામાં આવતું હોય કે શાસ્ત્રોએ કહ્યું હોય – એ એમ ને એમ માની લેતા નહીં. સત્ની તમારી પોતાની અનુભૂતિ એ સૌથી ઉચ્ચ ઑથોરિટી છે. સત્નો સીધો અનુભવ લેવો હોય તો અંદર જોવું, પોતાને જોવું. બુદ્ધનો માર્ગ આત્મનિરીક્ષણ, સ્વનિરીક્ષણનો છે. અસ્તિત્વની પ્રકૃતિ સમજવા માટે પોતાની પ્રકૃતિમાં સૂક્ષ્મ દૃષ્ટિ પ્રાપ્ત કરવી જોઈએ. બુદ્ધે જોયું કે શરીર સબએટમિક કણો અને ખાલી અવકાશનું બનેલું છે. પણ આ કણોને કોઈ સાચી નક્કરતા નથી. એક કણની હસ્તી સેકંડની કંઈ કેટલાયે નાના ભાગની છે. કણોનું સતત સર્જન અને સંહાર સ્પંદનોના (Vibrations) પ્રવાહની જેમ થયા કરે છે. શરીરનું, બધા જ પદાર્થનું આ અંતિમ વાસ્તવ છે. બુદ્ધે અઢી હજાર વર્ષ પૂર્વે આ શોધ્યું. આધુનિક વિજ્ઞાનીઓએ પોતાની તપાસો દ્વારા ભૌતિક વિશ્વના આ અંતિમ વાસ્તવને પિછાણ્યું અને સ્વીકાર્યું. કેટલાંક વર્ષો પહેલાં એક અમેરિકી વિજ્ઞાનીને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મળ્યું. વિજ્ઞાનીએ બુદ્ધે જે સત્ય શોધ્યું હતું તે જ શોધ્યું. છતાં એક માનવને નાતે બન્ને વચ્ચે ગુણાત્મક ફેર! આ વિજ્ઞાની મુક્ત માનવ ન બન્યો; એણે દુઃખમાંથી મુક્તિ ન મેળવી; મનની તંગ અવસ્થા એમની એમ રહી – કારણ કે બુદ્ધની જેમ સત્નો એને સીધો અનુભવ ન થયો. ઈગતપુરીની વિપશ્યના સંધોશન સંસ્થાએ ‘The Art of Living’ નામનું પુસ્તક બહાર પાડયું છે. આ પુસ્તકના લેખક છે વિલિયમ હાર્ટ, પણ એમણે એમના જ કહેવા પ્રમાણે માત્ર દલીલો, મુદ્દાઓ કે વ્યાખ્યાનોમાં અપાતાં દૃષ્ટાંતો જ નહીં, પણ શ્રી ગોએન્કાએ (વિપશ્યના કેન્દ્રના સંસ્થાપક અને સંચાલક) વાપરેલા એના એ જ શબ્દો અને વાક્યો ઘણી જગ્યાએ લીધાં છે. એટલે આ પુસ્તકનું સંકલન-સંપાદન વિલિયમ હાર્ટે કર્યું છે એમ કહેવું વધુ યોગ્ય ઠરે; એમાં બેશક એમની સૂક્ષ્મ દૃષ્ટિ વર્તાય છે – પણ પાયામાં બૌદ્ધ દર્શન અને બુદ્ધ સ્વયં જે પ્રમાણે ધ્યાનની પ્રક્રિયામાંથી પસાર થયા અને બર્માના બૌદ્ધ સમાજમાં જે સેંકડો દાયકાથી વિપશ્યનાને નામે જળવાઈ રહી છે – આ સર્વનું અર્થઘટન અને અભિવ્યક્તિ શ્રી ગોએન્કાનાં રહ્યાં છે. શ્રી ગોએન્કા નિવૃત્ત ઉદ્યોગપતિ છે. બર્મામાં ભારત સમાજના એ એક અગ્ર આગેવાન હતા. જુવાનીથી જ એ આધાશીશીના દર્દથી પીડાતા રહેતા. બધા જ ઉપાયો પરદેશગમન સમેતના નાકામયાબ નીવડયા હતા. છેવટે કોઈક મિત્રના સૂચનથી બર્મામાં એ એક સંત જેવા માણસ ઉ બા ખીન પાસે ગયા. એ આમ તો એક સરકારી અફસર હતા, પણ વિપશ્યનાની ૧૦ દિવસની શિબિર એ નિયમિતપણે ચલાવતા. ઉ બા ખીને માત્ર આધાશીશીના દર્દના ઉપાય તરીકે વિપશ્યનાની ટેક્નિક અખત્યાર કરવા માટે શ્રી ગોએન્કાને ના સુણાવી દીધી. કરુણાપૂર્વક એમણે જણાવ્યું કે ધમ્મનો હેતુ શારીરિક રોગો મટાડવાનો નથી. તમને એમાં જ રસ હોય તો હૉસ્પિટલમાં જાઓ. ધમ્મનો હેતુ જીવનનાં બધાં જ દુઃખોને હલ કરવાનો છે. તમારો રોગ તમારા દુઃખનો ઘણો નાનો ભાગ છે. મનના શુદ્ધિકરણની પ્રક્રિયામાં એનો ઇલાજ એક આડપેદાશ છે. આખરે અનેક દિવસોની મથામણ પછી (શ્રી ગોએન્કા એક રૂઢિવાદી હિંદુ હતા) ઉ બા ખીનના દૃષ્ટિબિંદુને પૂરતો આદર આપી વિપશ્યનાની દસ દિવસની શિબિરમાં શ્રી ગોએન્કા જોડાયા. રોગમુક્ત તો એ થયા જ, પણ ૧૪ વર્ષ સુધી એમના ગુરુના માર્ગદર્શન હેઠળ આ ટેક્નિક એમણે આત્મસાત્ કરી. વિપશ્યનાની ટેક્નિક ભારતે ક્યારની ગુમાવી દીધી હતી. એનું નામ પણ ભુલાઈ ગયું હતું. બર્મામાં એક પારંપરિક માન્યતા હતી કે બુદ્ધના સમય પછી ૨૫ સદી બાદ ધમ્મ એના મૂળ દેશમાં પાછો ફરશે અને ત્યાંથી પછી વિશ્વભરમાં ફેલાશે. ઉ બા ખીન આ વાતનો નિર્દેશ કરતા રહેતા. એમની ઇચ્છા હતી કે આ આગાહી સાચી પાડવામાં મદદરૂપ થવું. કમનસીબે એમની પાછલી જિંદગીમાં રાજકીય પરિસ્થિતિએ એમને બર્મા બહાર જવા ન દીધા. જ્યારે શ્રી ગોએન્કાને ૧૯૬૯માં બર્માની સરકારે ભારત જવાની છૂટ આપી ત્યારે ઉ બા ખીન ખૂબ ખુશ થયા અને એમણે શ્રી ગોએન્કાને કહ્યું, “ગોએન્કા! તમે નથી જતા, હું જાઉં છું.” બુદ્ધે દેખાતી દુનિયાના ઘાટ અને આકાર, રંગ અને સ્વાદ અને સુગંધ, દર્દ અને આનંદ, વિચાર અને આવેગ, બીજાઓની હસ્તી કે પોતાની હસ્તી – આ બધાંને નકાર્યાં નથી. એમણે માત્ર એટલું જ કહ્યું કે આ અંતિમ વાસ્તવ નથી. આપણા સામાન્ય દર્શનમાં આપણે માત્ર અત્યંત વિશાળ ભાતો જોઈએ છીએ; આ ભાતોની નીચે વધારે સૂક્ષ્મ ઘટના-ફિનોમિના પોતાને ગોઠવતી જતી હોય છે. માત્ર ભાતો જોવી અને એની અંદર રહેલા ઘટકો ન જોવા – આપણે મુખ્યત્વે ભાતોની વચ્ચે રહેલા તફાવતોથી સચેત હોઈએ છીએ અને એટલે એમની વચ્ચે ભેદ કરીએ છીએ, લેબલો લગાડીએ છીએ, પસંદગી અને પૂર્વગ્રહો બાંધીએ છીએ – આ રીતે ગમા-અણગમાની શરૂઆત થાય છે – આ પ્રક્રિયા તૃષ્ણા અને દ્વેષ તરફ લઈ જાય છે. આ તૃષ્ણા અને દ્વેષની આદતમાંથી બહાર આવવા માટે માત્ર સમગ્ર દર્શન જ નહીં, પણ ચીજોને એમના ઊંડાણમાં, દેખાતા વાસ્તવ પાછળ રહેલી ઘટનાને જોવી જરૂરી છે. શ્રી ગોએન્કા કહે છે કે વિપશ્યના-ધ્યાન બરાબર આ જ કરે છે. અહીં આપણે વિપશ્યનાની આખી ટેક્નિકમાં નહીં જઈએ. એ માટે પુસ્તક જોવું વધુ યોગ્ય થાય. બુદ્ધની સૌથી મોટી ઝંખના, ગૃહત્યાગ પાછળની પરમ ઉત્કટ લગન માનવી પર પડતાં દુઃખોનું મૂળ શોધવાની હતી. બુદ્ધે સમજાવ્યું કે There is a sphere of experience that is beyond the entire field of matter, the entire field of mind, that is neither this world nor another world nor both, neither moon nor sun. This I call neither arising, nor passing away, nor abiding, neither dying nor rebirth. It is without support, without development, without foundation. This is the end of suffering. (અનુભૂતિનું એક ક્ષેત્ર છે જે પદાર્થના આખા ક્ષેત્રની પાર, મનના આખા ક્ષેત્રની પાર, જે આ દુનિયા નથી, નથી બીજી દુનિયા, નથી બન્ને, ચંદ્ર નહીં, સૂર્ય નહીં. આને હું ઊભું થતું કહેતો નથી, પસાર થતું પણ નહીં, રહેતું નહીં, મરતું નહીં કે પુનર્જન્મ પામતું નહીં. આ દુઃખનો અંત છે.) બુદ્ધે એક જગ્યાએ કહ્યું છે કે એક ક્ષણભર પણ તમને જીવનની સર્વ વસ્તુઓ ક્ષણભંગુર-વિનાશી છે એમ બેસી જાય તો ઘણી મોટી વસ્તુ બને. જે ઉદ્ભવે છે એનો વિલય છે. વાસ્તવની આ અનુભૂતિ એ બુદ્ધના બોધનું સારતત્ત્વ છે. મન અને શરીર માત્ર પ્રક્રિયાઓનું બંડલ છે – પ્રક્રિયાઓ જે સતત ઊભી થાય છે અને પસાર થઈ જાય છે – આ પ્રક્રિયાઓ હકીકતમાં નક્કરતા વગરની ક્ષણિક છે, અને એ પ્રત્યે આપણામાં આસક્તિ ઊભી થાય છે ત્યારે દુઃખ ઊભું થાય છે. આપણે જો આ પ્રક્રિયાઓની ક્ષણભંગુરતાનો સીધો અનુભવ કરીએ તો એમના પ્રત્યેની આપણી આસક્તિ ચાલી જાય. આપણા મનમાં, શરીરમાં કે બહારની દુનિયામાં ક્યાંય પણ કંઈ પણ ઊભું થાય તેનો કંઈ પણ તાણ વિના સ્વસ્થ મનથી આનંદપૂર્વક સામનો કરી શકીએ. આપણે ખુલ્લા થઈ જઈએ જીવન પ્રત્યે, વ્યક્તિઓ પ્રત્યે – એ જ ફુલફિલ્મેન્ટ છે, તૃપ્તિ છે, મોટો આશીર્વાદ છે. ક્ષણભંગુરતાની સમજણ એ જ આપણી સલામતી છે.

[ફેબ્રુ., ૧૯૯૦